Opinion Magazine
Number of visits: 9446634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુષ્ય બુદ્ધિવાન પ્રાણી હોવા છતાં અનુભવમાંથી કાંઈ શિખતો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|21 August 2022

આ જગતમાં મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેનામાં અન્ય પશુ-પક્ષીઓ કરતાં વધારે બુદ્ધિ હોવા છતાં અનુભવમાંથી કાંઈ શીખતું નથી. તમે જોયું હશે કે પશુ-પક્ષી એ જગ્યાએ ક્યારે ય પાછાં જતાં નથી જ્યાં તેમને ખરાબ અનુભવ થયો હોય, જ્યારે ગુનો કરનાર મનુષ્ય ગુનાની જગ્યાએ કમ સે કમ એક વાર તો પાછો જાય જ છે. ગુના-અન્વેષણ શાસ્ત્ર માટે આ હકીકત ગુનેગારને પકડવા માટેનું હુકમનું પાનું છે. મનુષ્ય પાસે વધારે વિકસિત ચિત્ત છે એટલે એ ચિત્તવૃત્તિને રોકી શકતો નથી. આખું પાતંજલ યોગશાસ્ત્ર આ ચિત્તવૃત્તિના નિરોધ માટે રચવામાં આવ્યું છે, પણ મનુષ્ય વારંવારના અનુભવ પછી પણ ચિત્તવૃત્તિઓને રોકી શકતો નથી.

આપણને ન ગમે એવું બોલનાર કે કરનાર વ્યક્તિની હત્યા કરવાથી એ વિચાર કે પ્રવૃત્તિનો અંત આવતો નથી એનો અનુભવ માણસજાતને જ્ઞાત ઇતિહાસમાં અનેકવાર થયો હોવા છતાં તે હત્યાઓ કરે જ છે. સોક્રેટીસથી લઈને ગાંધી સુધીના જ્ઞાત અને બીજા હજારો અજ્ઞાત લોકોની હત્યાઓ કરવામાં આવી છે અને છતાં ય આપણે જોઈએ છીએ કે સમાજ તેના પ્રભાવથી રોકતા રોકાતો નથી. આ એક એવી દોરીસ્પર્ધા છે જેમાં એક છેડે મોટું ટોળું હોય છે જે ઈચ્છે છે કે સમાજનું સ્વરૂપ એના એ સ્વરૂપમાં કાયમ રહે અને બીજા છેડે માત્ર એકલો અટૂલો માણસ હોય છે જે કહે છે કે પરિવર્તનની જરૂર છે. ટોળું ચિત્ત થઈ જાય છે અને પેલો અટૂલો માણસ સમાજરૂપી દોરીને પોતાના તરફ ખેંચી લે છે.

જેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો (અને એમ લાગે છે કે સદ્દનસીબે તેઓ બચી જશે) એ ભારતીય અંગ્રેજી સાહિત્યકાર સલમાન રશ્દીની તુલના હું ગાંધી-સોક્રેટીસ કે ઈશુ સાથે નથી કરતો, પણ હું એમ કહેવા માગું છું કે હત્યાઓ કરવાથી અવાજો બંધ થતા નથી. જો એમ હોત તો દુનિયા અત્યારે ત્યાં જ હોત જ્યાં બે-પાંચ હજાર વરસ પહેલાં હતી. દરેકે દરેક યુગમાં બહુમતી સમાજ ન ગમતા અવાજોથી ભાગવાનો પ્રયાસ કરે છે, પણ ભાગી શક્યો નથી. સર્જકના સર્જનાત્મક અવાજો પણ એક અવાજ છે જે કેટલાક લોકોને પરેશાન કરે છે. પાંચ વરસ પહેલાં એક યુવકે કન્નડ પત્રકાર અને લેખિકા ગૌરી લંકેશની હત્યા કરી હતી. શું હાથમાં આવ્યું? ગૌરી લંકેશ એ લોકો સુધી પહોંચી ગયાં જેણે તેમની હત્યા પહેલાં તેમનું નામ પણ નહોતું સાંભળ્યું. સલમાન રશ્દીની વિવાદાસ્પદ કૃતિ ‘સેતાનિક વર્સીસ’ આખા જગતમાં પહોચી ગઈ અને જગતની લગભગ દરેક ભાષામાં અનુવાદિત થઈ. હત્યાઓ અને સતામણી અવાજોને રૂંધવાની જગ્યાએ તેને ઝડપથી પ્રસારિત કરવાનું કામ કરે છે. આ અનુભવ છે, પણ માણસ તેમાંથી કાંઈ શીખતો નથી અને એની એ ભૂલ એ વારંવાર કરતો રહે છે.

વળી જે યુવકે ગૌરી લંકેશની હત્યા કરી હતી એણે તપાસકર્તા પોલીસ અધિકારીને કહ્યું હતું કે તેણે ગૌરી લંકેશનો એક લેખ સુદ્ધા નહોતો વાંચ્યો તો કૃતિ તો બાજુએ રહી. વગર વાંચ્યે તેનું દિલ દુભાયું હતું. મને ખાતરી છે કે સલમાન રશ્દીની હત્યા કરવાનો પ્રયાસ કરનારા યુવકે રશ્દીની કૃતિ નહીં વાંચી હોય. ઘણાં લોકોનાં વાંચ્યાકર્યા વિના કે ઘટના પ્રત્યક્ષ જોયા વિના દિલ દુભાય છે એ કાં તો બુદ્ધિની દરિદ્રતાની પરાકાષ્ટા છે અને કાં સંસ્કારિતાના અભાવની પરાકાષ્ટા છે. હકીકતમાં દિલ કોઈનાં દુભાતાં નથી, એ તો માત્ર દિલ-દુભામણીનું રાજકારણ હોય છે. જો ઓળખો દ્વારા રચાતાં ટોળાંનાં દિલ દુભાતાં હોત તો બિલ્કીસ બાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓને છોડી મુકવામાં આવ્યા અને ઉપરથી હત્યારા બળાત્કારીઓની જાહેરમાં આરતી ઉતારવામાં આવી ત્યારે દિલ દુભાવા જોઈતા હતા. હિંદુ આવો હોય? બળાત્કારી હત્યારાઓની આરતી ઉતારે? ક્યાં છે દિલ? પૂછી જુઓ પોતાના અંતરાત્માને જો પોતાને સાચા હિંદુ તરીકે ઓળખાવતા હો તો. આવો હોય હિંદુ? આ હિંદુ દેશને વિશ્વગુરુ બનાવશે? વળી બળાત્કારી હત્યારાઓનો કોઈ ધર્મ હોય?

સમાજ બદલાય નહીં, સમાજનું મસ્તિષ્ક વિકસે નહીં અને સમાજનું હ્રદય કોમળ સંવેદનશીલ બને નહીં એમાં કેટલાક લોકોનો સ્વાર્થ છે. મુખ્યત્વે ધર્મગુરુઓનો અને રાજકારણીઓનો. તેઓ વાતો દેશ અને ધર્મની મહાનતાની કરે છે અને કામ કુંઠિત માનસ અને અસંવેદનશીલ હ્રદય ધરાવનારાં ટોળાં પેદા કરવાનું કરે છે. તમારું સંતાન જો ટોળાંમાં જગ્યા અને સલામતી શોધતું હોય તો આજે જ ચેતી જજો.

રહી વાત સત્ય અને સર્જકતાની તો તેને આ જગતમાં કોઈ રૂંધી શક્યું નથી. માનવસમાજનો ઇતિહાસ તપાસી જુઓ. જગત આખામાં દરેક સમાજનું આ સત્ય છે. સત્ય અને સર્જકતા લોકો સુધી પહોંચીને જ રહે છે અને એનામાં જેટલી તાકાત હોય એટલા પ્રમાણમાં સમાજને પ્રભાવિત કરીને જ રહે છે. જગતની કોઈ તાકાત તેને અવરોધી શકી નથી અને અવરોધી શકવાની નથી. આખરી પરાજય તો એ લોકોનો જ થાય છે જે સત્ય અને સર્જકતાના અવાજોને રૂંધવાના પ્રયાસ કરે છે.

સલમાન રશ્દીની નવલકથા ‘શેતાનિક વર્સીસ’માં સર્જકતાની તાકાત કેટલી છે એ હું જાણતો નથી. મારામાં સાહિત્યકૃતિને સર્જકતાને એરણે મૂલવવા જેટલી ક્ષમતા નથી. જે લોકો આવી આવડત ધરાવે છે એમાંના કેટલાક લોકોએ કહ્યું છે કે ‘સેતાનિક વર્સીસ’ કોઈ મહાન કૃતિ નથી. જો એમ હોત તો એની મેળે જ એ કૃતિ ભુલાઈ જાત. પ્રતિબંધ મૂકનારાઓએ અને લેખકની હત્યા કરવાના ફતવા કાઢનારાઓએ કૃતિને જીવતદાન આપ્યું છે. ખોટનો ધંધો કર્યો છે અને મોટાભાગે આવા લોકો ખોટનો જ ધંધો કરતા હોય છે. માટે પ્રારંભમાં મેં કહ્યું છે કે પશુ-પક્ષીથી ઊલટું માનવી અનુભવમાંથી કાંઈ શીખતો નથી. પણ જો શીખવું હોય તો અંતિમ સત્ય એ છે કે સત્ય અને સર્જકતાને આંતરી શકાતાં નથી અને પરિવર્તનને રોકી શકાતું નથી. લાખ પ્રયાસ કરો, નિષ્ફળતા જ મળવાની છે. આજ નહીં તો કાલે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઑગસ્ટ 2022 

Loading

21 August 2022 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—159
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘઃ સ્વયંને સ્વતંત્ર સેનાનીઓ સાબિત કરવાની ચળવળમાં આજે પણ વ્યસ્ત છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved