Opinion Magazine
Number of visits: 9446628
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન જતાં પહેલાં, શિરાઝ હકીમે કે. આસિફને કહેલું, મુઘલ-એ-આઝમનું તોતિંગ બજેટ જો કોઈ કાઢી શકે તેમ હોય, તો તે બિલ્ડર શાપૂરજી પાલોનજી મિસ્ત્રી. 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 July 2022

મુંબઈમાં રહેતા (અને બહારથી અવરજવર કરતા) લોકો બ્રેબોર્ન સ્ટેડિયમ, તાજ મહાલ હોટેલ, ઓબેરોય હોટેલ, મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, એચ.એસ.બી.સી. બેંક અને મફતલાલ સેન્ટરથી પરિચત હશે. તેમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે મુંબઈની આ સીમાચિહ્નરૂપ બિલ્ડિંગો પાલોનજી શાપૂરજી મિસ્ત્રી નામના, કન્સ્ટ્રકશન ક્ષેત્રના, પારસી ઉદ્યોગપતિએ બનાવ્યાં હતાં. ગઈ 27મી

જૂનની વહેલી સવારે, 93 વર્ષની ઉંમરે પાલોનજીનું મુંબઈમાં અવસાન થયું, ત્યારે દેશના સૌથી મૂલ્યવાન ખાનગી સાહસ તરીકે, તેમના શાપૂરજી પાલોનજી ગ્રુપની કિંમત 2.5 બિલિયન ડોલર હતી. તેઓ આઈરિશ સ્ત્રીને પરણ્યા હતા અને આઈરિશ નાગરિકત્વ સ્વીકાર્યું હતું, એટલે તેમના અવસાન સમયે તે સૌથી ધનાઢ્ય આઈરિશ હતા.

ગિરગાંવ ચોપાટી પર આજે તમે જે ફરસબંધી (ફૂટપાથ) જુઓ છો, 100 વર્ષ પહેલાં પાલોનજી મિસ્ત્રીના પિતા શાપૂરજીનો એ સૌથી પહેલો કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ હતો. 2012માં, તેમની કંપનીએ ગુજરાતના દરિયા કિનારે, કોડિનારમાં, ડીપવોટર પોર્ટ બાંધવા માટે ઝંપલાવ્યું હતું. ચોપાટીથી કોડિનાર સુધીની મિસ્ત્રી પરિવારની યાત્રા, ગુલામ ભારતની આઝાદ ભારત તરીકેની યાત્રા સાથે કદમ મિલાવતી આવે છે. 

પાલોનજીની કંપનીએ દેશ-વિદેશમાં અનેક શાનદાર બાંધકામો કર્યાં છે અને તેની ગૌરવ ગાથાઓ પણ ખૂબ છે, પરંતુ એ બધામાં, તેમનું એક ‘બાંધકામ’ અનોખું તરી આવે તેવું છે, અને તે છે ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મનું નિર્માણ. જી હા, પાલોનજીના પિતા શાપૂરજી મિસ્ત્રીએ, બાંધકામના તેમના વ્યસ્ત ધંધામાંથી સમય (અને પૈસા) કાઢીને એકવાર ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવ્યો હતો. એમાં ‘મુઘલ-એ-આઝમ’ પહેલી અને છેલ્લી ફિલ્મ. તેમને ફિલ્મના ધંધાની કોઈ સૂઝ નહોતી (યુવાન પાલોનજીએ તો ના પણ પાડી હતી) છતાં, તેમણે કે. આસિફના આ મેગ્નમ ઓપસ માટે 1.5 કરોડ રૂપિયા (તે જમાનાના ફિલ્મ બજેટ પ્રમાણ, આ રકમ દસ ઘણી વધુ હતી) રોક્યા હતા. એ જુગાર સાચો સાબિત થયો. એકલા 1960માં જ મુઘલ-એ-આઝમનું બોક્સ ઓફિસ કલેકશન અંદાજે 5 કરોડની આસપાસ રહ્યું હતું. 

સલીમ-અનારકલીની આ પ્રેમકથા શરૂઆતથી જ મનહૂસ સાબિત થઇ હતી. સૈયદ ઈમ્તિયાઝ અલી તાજ નામના લાહોરના ઉર્દૂ નાટ્યકારે, 1922માં, અનારકલી નામની ગુલામ છોકરી અને રાજકુમાર સલીમના પ્રેમ સંબંધ પર ‘અનારકલી’ નામનું નાટક લખ્યું હતું (આ તેજના ‘કહકશાં’ નામના ઉર્દૂ સામાયિકમાં, હિન્દીના મશહૂર કહાનીકાર મુન્શી પ્રેમચંદ પણ ઉર્દૂ વાર્તાઓ લખતા હતા). 

મૂળ શર્ફ-ઉન-નિસ્સા નામની આ છોકરી, ઈરાનના વણઝારાઓની ટોળીમાં લાહોર આવી હતી. મુઘલ બાદશાહ અકબરે તેનું અપ્રતિમ સૌન્દર્ય જોઇને તેનું નામ ‘અનારકલી’ (દાડમની કળી) પાડ્યું હતું. એવું કહેવાય છે કે અકબરનો ત્રીજો પુત્ર સલીમ (જે પાછળથી જહાંગીર નામથી મુઘલ સામ્રાજ્યનો વારસ બન્યો હતો) અનારકલીથી આકર્ષાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે જહાંગીરની આત્મકથા ‘તુઝ્ક-ઈ-જહાંગીરી’માં કે તે સમયના ઇતિહાસકારોનાં લખાણમાં અનારકલીનો કોઈ ઉલ્લેખ નથી. તેના કારણે ઘણા ઇતિહાસકારો અનારકલીના અસ્તિત્વને લઈને પણ પ્રશ્નો ઉઠાવે છે. શક્ય છે કે અકબરના ખૌફને લઈને તેનું નામ લેવાયું ન હોય. લાહોરમાં જહાંગીરે બંધાવી હોવાનું મનાતી અનારકલીની મઝાર આજે પણ છે. 

એક વાત તો છે કે સલીમ-અનારકલીની પ્રેમકથા સદીઓથી દંતકથાનો વિષય રહી છે. ઉર્દૂમાં તેના પર પહેલું લોકપ્રિય નાટક 1922માં ઈમ્તિયાઝ અલી તાજની કલમમાંથી આવ્યું હતું. 1930માં સંભાવત: તેમણે તેના પરથી નવલકથા લખી હતી. તાજના એ પ્લોટ પરથી એક નાટક મંચસ્થ થયું હતું. ભારતની પહેલી બોલતી ફિલ્મના સર્જક, ખાન બહાદુર અરદેશર ઈરાનીએ, 1928માં, આ વાર્તા પરથી ‘અનારકલી’ નામની મૂંગી ફિલ્મ બનાવી હતી. 1935માં, તેમણે તેને સાઉન્ડ સાથે ફરીથી બનાવી હતી. 

40ના દશકમાં, શિરાઝ અલી હકીમ નામના એક નિર્માતા અને એક યુવાન નિર્દેશક નામે કરીમુદ્દીન આસિફ ઉર્ફે કે. આસિફે તેના પરથી નવી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમને તેનું નામ મુઘલ-એ-આઝમ રાખવું હતું. ફિલ્મની પટકથા અને સંવાદ લખવા માટે તેમણે ચાર ઉર્દૂ લેખકોને રોક્યા હતા: (ઝીનત અમાનના પિતા) અમાનુલ્લાહ ખાન, વજાહત મિર્ઝા, કમાલ અમરોહી અને અહેસાન જાફરી. તેનું સંગીત અનિલ વિશ્વાસ આપવાના હતા.

ફિલ્મમાં અકબર તરીકે ચંદ્ર મોહન, સલીમ તરીકે ડી.કે. સપ્રુ અને અનારકલી તરીકે નરગીસનું નામ નક્કી થયું હતું. ચંદ્ર મોહન 30-40ના દાયકાનો મોટો ખલનાયક હતો. તેણે સોહરાબ મોદીની ‘પુકાર’માં જહાંગીરની ભૂમિકા કરી હતી. માંજરી આંખોવાળો દયા કિશન સપ્રુ, જે પાછળથી જજની ભૂમિકામાં લોકપ્રિય થયો હતો, ત્યારે ચરિત્ર્ય ભૂમિકાઓ કરતો હતો. સલીમના રાજપૂત મિત્ર દુર્જન સિંહની ભૂમિકા હિમાલયવાલા નામનો એક નવોદિત એકટર કરવાનો હતો. 

1945માં, ‘ફિલ્મઇન્ડિયા’ નામના સામાયિકમાં ‘મુઘલ-એ-આઝમ’ની જાહેરાત થઇ હતી. 1946ના તેના અંકોમાં, ફિલ્મનું શૂટિંગ જારી હોવાના સમાચારો આવ્યા હતા. ભારતમાં ત્યારે વિભાજનને લઈને માહોલ ગરમાગરમ હતો. અકબર સલીમ-અનારકલીના પ્રેમમાં વિલન બને કે ન બને, વિભાજન વિલેન બન્યું. ફિલ્મના ફાયનાન્સર શિરાઝ હકીમ અને એક્ટર હિમાલયવાલાએ નક્કી કર્યું કે તેઓ પાકિસ્તાન જઈને તેમનું નસીબ અજમાવશે. બાકી હોય તેમ, મુખ્ય એકટર ચંદ્રમોહનનું અવસાન થઇ ગયું. કે. આસિફને ફિલ્મ શૂટ કરવાનો દસ ટ્રક ભરાય એટલો કાચો માલ માથે પડ્યો. 

પાકિસ્તાન જતાં પહેલાં, શિરાઝ હકીમે કે. આસિફને એક સૂચન કર્યું; મુઘલ-એ-આઝમનું તોતિંગ બજેટ જો કોઈ કાઢી શકે તેમ હોય, તો તે બિલ્ડર શાપૂરજી પાલોનજી મિસ્ત્રી છે. એનું એક કારણ હતું. મહાલક્ષ્મીમાં ફેમસ સિને સ્ટુડિયો આ હકીમની માલિકીનો હતો, અને તેનું બાંધકામ કર્યું હતું શાપૂરજીએ. 

હકીમે પાકિસ્તાન જતાં પહેલાં, ફેમસ સ્ટુડિયોના બાંધકામના બદલામાં ‘મુઘલે-એ-આઝમ’ની સ્ક્રીપ્ટ શાપૂરજી પાસે ગીરવે મૂકી હતી. ફિલ્મની બે રીલ બની પણ ચૂકી હતી. શાપૂરજીને ફિલ્મમાં કોઈ રસ નહોતો, પણ (પાકીઝાવાળા) કમાલ અમરોહી, જે ‘મુઘલ-એ-આઝમ’માં એક સ્ક્રીપ્ટ લેખક હતા, તેમણે આ ફિલ્મને બનવામાં રસ બતાવ્યો. એ જ વર્ષોમાં, નંદલાલ જશવંતલાલ નામના બીજા એક નિર્દેશકે, બીના રાય અને પ્રદીપ કુમારને લઈને, ઘણી સફળ નીવડેલી, ‘અનારકલી’ ફિલ્મ બનાવી હતી. તેના પરથી શાપૂરજીને કે. આસિફ કેવા પ્રકારની ઐતિહાસિક ફિલ્મ બનાવવા માંગે છે તેનો ખ્યાલ આવ્યો. 

શાપૂરજીને ફિલ્મો સાથે સીધી લેવા દેવા નહોતી, પણ તેઓ કળાના રસિયા હતા અને ફિલ્મો પણ ખૂબ જોતાં હતા. તેમના કળાપ્રેમની સાબિતી તેમના રિયલ એસ્ટેટના આર્કીટેક્ચરમાં જોવા મળતી હતી. ખાસ તો, આ ફિલ્મ મુઘલ બાદશાહ અકબર પર હતી, સલીમ-અનારકલીની પ્રેમકથા તો તેની પેટા-વાર્તા હતી. આર્કીટેક્ચરના રસિયા શાપૂરજીને ફિલ્મમાં એવી જ ભવ્યતા દેખાઈ હતી. શાપૂરજી અને આસિફ વચ્ચે કોઈ સમાનતા નહોતી. કદાચ હકીમે બંને વચ્ચે નિર્માતા-નિર્દેશક તરીકેની જુગલબંધી કરાવી હશે. 

1951માં, શાપૂરજીએ ‘મુઘલે-એ-આઝમ’ના ફાયનાન્સર બનવાનું નક્કી કર્યું. તેના માટે તેમણે રૂપિયા 1.5 કરોડનું બજેટ ફાળવ્યું. કે. આસિફે હવે નવેસરથી ફિલ્મ શરૂ કરી. સૌથી મોટો ફેરફાર ફિલ્મના કલાકારોને લઈને હતો. જૂનાં કલાકારોમાંથી માત્ર દુર્ગા ખોટે જ જોધાબાઈ તરીકે ચાલુ રહ્યાં. અકબરની ભૂમિકામાં પૃથ્વીરાજ કપૂર આવ્યા, સલીમ તરીકે દિલીપ કુમારની પસંદગી થઇ અને અનારકલી માટે મધુબાલા પર કળશ ઢોળાયો. 

દિલીપ કુમાર શરૂઆતમાં સલીમની ભૂમિકા માટે બહુ ઉત્સાહિત નહોતા. તે વખતે યુસૂફભાઈ બહુ મોટા સ્ટાર હતા અને તેમને એવી દ્વિધા હતી કે ફિલ્મમાં સલીમ ઘણો નબળો બતાવ્યો છે અને તે તેમના ચાહકોને પસંદ નહીં પડે. તેમને એમ પણ લાગ્યું હતું કે અસલી ટક્કર અકબર અને અનારકલી વચ્ચે છે. વધારામાં, સલીમ પર એકપણ ગીત ફિલ્માવાનું નહોતું. ત્રીજું, ‘નયા દૌર’ વખતના ફિયાસ્કો અને રોમેન્ટિક ટકરાવને કારણે મધુબાલા સાથે તેમના અબોલા ચાલતા હતા. 

દિલીપ કુમારે ફિલ્મ કરવાની ના પાડી દીધી. જો કે, કે. આસિફને સલીમ તરીકે દિલીપ કુમાર જ જોઈતા હતા. તેમણે તેમની બધી શંકાઓ દૂર કરી. ખાસ તો પ્રિન્સ સલીમને તેઓ કેવી રીતે પડદા પર પેશ કરવા માંગે છે તે સમજાવ્યું. એ સમજાવટ અને આસિફ સાથેની દોસ્તી(આસિફની પત્ની સિતારા દેવી દિલીપ કુમારને રાખી બાંધતી હતી)ના કારણે દિલીપ કુમારે છેવટે હા પાડી. એ વાત સાચી જ હતી કે દિલીપ કુમારની ત્યારે જે ઈમેજ હતી, તેના કરતાં સલીમની ભૂમિકા એકદમ વિપરીત હતી, પરંતુ દિલીપ કુમારે એ ભૂમિકાને જીવી બતાવી હતી. ખાસ કરીને સલીલના પાત્રમાં તેમનો સંયમ અને ઉર્દૂ ઉચ્ચારોની સુંદરતા મોહક હતી. ફિલ્મ હતી મુઘલ-એ-આઝમ અકબર પર, પણ રિલીઝ થયા પછી ગુણગાન દિલીપ-મધુબાલાનાં ગવાયાં. કે. આસિફના આત્મવિશ્વાસની એ સાબિતી હતી. 

તેમનો આત્મવિશ્વાસ ફિલ્મના સ્કેલને લઇને હતો. ઇતિહાસમાં મુઘલ સામ્રાજ્યનો જે દબદબો હતો, તેને ધ્યાનમાં રાખીને કે. આસિફે એક એવી ફિલ્મની કલ્પના કરી હતી, જે તેના કલાકારોથી લઈને કારીગરો, સંગીતથી લઈને સેટ્સ અને સંવાદથી લઈને સમય (3 કલાક અને 30 મિનિટ), બધા જ ક્ષેત્રોમાં ભવ્ય હોય. શાપૂરજીએ આપેલું બજેટ દસ ઘણું વધુ હતું એટલું જ નહીં, ફિલ્મને પૂરી થતાં પણ દસ વર્ષ લાગ્યાં. 

તેના યુદ્ધનાં દૃશ્યોમાં, 2,000 ઊંટ, 4,000 ઘોડા અને સૈનિકો તરીકે 8,000 એક્સ્ટ્રા કલાકારોનો ઉપયોગ થયો હતો. તેમાં શીશ મહેલનો સેટ ઊભો કરતાં બે વર્ષ લાગ્યાં હતાં અને તેના કાચ બેલ્જિયમથી આયાત કરવામાં આવ્યા હતા. કે. આસિફનું ઝનૂન એવું હતું કે તેમણે 30 લાખ ફૂટ નેગેટિવ્સ શૂટ કરી હતી, જેને એડિટ કરીને સાડા ત્રણ કલાકની ફિલ્મ કાઢવામાં આવી હતી. 

5 ઓગસ્ટ 1960ના રોજ તે રિલીઝ થઇ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. આસિફે તેને પ્રતિ ટેરેટરી રૂ. 1,00,000માં વેચી હતી, જે રેકોર્ડ હતો. પંદર મહિના સુધી તે સૌથી વધુ કમાણીવાળી ફિલ્મ સાબિત થઇ હતી. મુઘલ-એ-આઝમ પહેલી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ હતી, જેને રંગીન બનાવીને 2004માં ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. આ વખતે તેમાં શાપૂરજીના પૌત્ર શાપૂર મિસ્ત્રીએ તેમાં 7 કરોડ રૂપિયા રોક્યા હતા. આ રંગીન ફિલ્મ પણ સફળ રહી હતી. 2016માં, શાપૂરજી ગ્રુપે ફિલ્મને નાટ્ય સ્વરૂપે પણ બનાવી હતી, જેનું નિર્દેશન ફિરોઝ અબ્બાસ ખાને કર્યું હતું.

“મુઘલ-એ-આઝમ ક્યારે ય અમારા માટે બિઝનેસ નહોતી. એ શુદ્ધ રૂપે કળા અને સંસ્કૃતિ માટેનો પ્રેમ હતો,” એમ શાપૂરજી પાલોનજી મિસ્ત્રી ગ્રુપે ત્યારે કહ્યું હતું. 

——————————————

“શાપૂરજી મને દીકરા જેવો ગણતા હતા”

“હું શાપૂરજી મિસ્ત્રી અને પાલોનજી મિસ્ત્રીને સારી રીતે જાણતો હતો. હું તેમના ઘરે જતો હતો અને પરિવારની સ્ત્રીઓ જે રીતે ચાની સાથે પર્સિયન વ્યંજન પરોસરતી હતી, તે જોઈને મને પેશાવરની યાદ આવતી હતી, જ્યારે અમારા ઘરમાં ટેબલ પર ભાવતું ખાવાનું ગોઠવાતું હતું. એ બહુ સારા અને શાલીન લોકો હતા. હું મુઘલ-એ-આઝમ વખતથી તેમને ઓળખતો હતો. શાપૂરજીએ મારી પાસેથી ‘ગંગા-જમુના’ની વાત સાંભળી હતી. તેમને વાર્તા ગમી હતી. મારા ભાઈ નાસિરને હું બાગી બનું એવા પાત્રમાં શંકા હતી. મેં થોડો વિચાર કર્યો હતો અને શાપૂરજીને વાર્તામાં વિશ્વાસ હતો એટલે હું આગળ વધ્યો. મેં શાપૂરજીને કહ્યું હતું કે ફિલ્મના શૂટ માટે મારે ઉત્તર ભારતનાં અંતરિયાળ વિસ્તારોમાં જવાનું છે. શાપૂરજીએ હું આરામથી ફરી શકું તેની ગોઠવણ કરી આપી હતી. એ મને દીકરા જેવો માનતા હતા. એ તેમના દીકરાઓ અને સ્ટાફને મારું ઉદાહરણ આપીને કહેતા કે થાક્યા વગર કેવી રીતે કામ થાય. તેમને ય ક્યારેક થતું કે હું એક્ટિંગના જટિલ અને અસાધારણ વ્યવસાયને કેવી રીતે જીરવી શકું છું.”

—દિલીપ કુમાર તેમની આત્મકથા ‘ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’માં.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 July 2022 Vipool Kalyani
← પોલીસનો રાજકીય ઉપયોગ સઘળા પક્ષો કરે છે !
ન્યાયતંત્ર માત્ર અને માત્ર બંધારણને પ્રતિબદ્ધ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved