ગુજરાત સ્થાપના દિને વિન્ટેજ વેટરન્સના ઉપક્રમે પ્રીતેશ સોઢા લિખિત અને પરેશ વોરા દિગ્દર્શિત નાટક STOP જોયું. આમ તો ‘વિન્ટેજ વેટરન્સ’ના ઉપક્રમે સભ્યોને ફિલ્મ બતાવાય છે, પણ આ વખતે રોહિત મારફતિયાએ નાટકનો અપવાદ કર્યો તેનો આનંદ છે. નાટકના લોગોમાં સુરતનું, સુરત દ્વારા, સુરતીઓ માટેનું નાટક એમ કહ્યું છે, પણ તે માત્ર સુરત પૂરતું સીમિત નથી, કારણ જે સમસ્યા છે તે સુરતની હોય તો પણ વૈશ્વિક છે.
ખૂન, બળાત્કારની એટલી બધી ઘટનાઓ શહેર, રાજ્ય અને દેશમાં બને છે કે કોઈ ધારે તો માત્ર એનું જ દૈનિક ચલાવી શકે. ગઈ 12 ફેબ્રુઆરીએ ફેનિલ નામના યુવાને એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીની ઘાતકી હત્યા સુરતમાં કરી ને તેને દોષિત ઠેરવી કોર્ટે સજા કરવાનું પણ ઠરાવ્યું છે. આ ઘટનાએ સામાજિક, માનસિક, શૈક્ષણિક એવા ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. જેમ કે આ ઘટના જાહેરમાં, ધોળા દિવસે, અનેક લોકોની અવરજવર વચ્ચે થઈ. હત્યારાએ ગ્રીષ્માને રસ્તા વચ્ચે જકડી લીધી ને તે છોડી દેવા કરગરતી રહી, પણ ખૂનીએ તેનું પૂરી નિર્દયતાથી ગળું કાપી નાખ્યું. જે બની રહ્યું હતું, તે બધાં જોઈ રહ્યાં હતાં, તો કેટલાંક આખી ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા, કદાચ વીડિયો વાયરલ કરવામાં મોડા ન પડાય એની ઉતાવળ હતી, પણ આ બધાંને લીધે ગ્રીષ્મા જીવવામાં મોડી પડી. જેમ નિર્જીવ જુએ એમ જ સજીવો જોઈ રહ્યા હતા. એ વીડિયો ઉતારવા પૂરતા જ સજીવ હતા. આ ઘટનાનો વીડિયો દુનિયાભરમાં ફેલાયો ને બધેથી હાયકારો જ ઊઠ્યો. એ હાયકારા પછી જગત ફરી બીજી ઘટનાની રાહ જોવા લાગ્યું. આ જોઈ રહેવું ને જીવ વગર જોઈ રહેવું આ સદીની કદાચ સૌથી મોટી શોધ છે, પણ કેટલાંક જોઈ નથી રહેતાં, જોવાની ફરજ પણ પાડે છે –
આ ઘટના પરથી બ્રેઇન બોક્સ સ્ટુડિયોઝ પ્રોડક્શનને ઉપક્રમે પ્રીતેશ સોઢાએ સ્ટોપ નામે નાટક કર્યું અને પરેશ વોરાએ તેનું મંચન કર્યું. નાટક શેરી નાટક શૈલીનું છે, પણ તેનું સ્વરૂપ ખુલ્લું છે. તે સ્ટેજ પર કે અન્ય સ્થળે પણ ઓછી સગવડે ભજવી શકાય એમ છે. તેમાં આ ઘટના સંદર્ભે ઊભી થતી સમસ્યા ઉમેરી કે ઘટાડી શકાય એવી મોકળાશ પણ છે. એ રીતે સ્ક્રિપ્ટનું સ્વરૂપ પણ ખુલ્લું છે. નાટ્યકારે મૃત્યુની ક્ષણ પકડી છે ને જીવન આ ક્ષણ સુધી કેમ આવ્યું તેની તપાસ આદરી છે. ખૂની એક યુવતીને ગળે છરો ફેરવવાની તૈયારીમાં છે ને એને ન રોકી શકતું ટોળું ચિત્કાર થઈને ધ્રૂજતું ઊભું રહી જાય છે. અહીંથી નાટક શરૂ થાય છે ને ત્યાં જ પૂરું થાય છે. આ ‘શરૂ’થી ‘પૂરું’ વચ્ચે એક જ ક્ષણ છે. એ રીતે તો આ ક્ષણનું જ નાટક છે, પણ નાટ્યકારે એ ક્ષણને ત્રીસેક મિનિટ સુધી વિસ્તારી છે. આ જે મિનિટો છે તે અનેક જીવો, પ્રશ્નોમાંથી થઈને ખૂનની ક્ષણ સુધી આવે છે ને એ દરમિયાન જીવન ક્યાં ક્યાં ગૂંચવાયું તેની વાત થઈ છે. નાટકમાં માંડીને કશું કહેવાયું નથી. જે પરિણામ પર વાત આવી તે મારનાર કે મરનારનાં કુટુંબ પૂરતી સીમિત નથી, બલકે, અનેક કુટુંબની વાત પણ હોય એમ વિસ્તરે છે, અથવા તો એમ કહી શકાય કે ઘણાં કુટુંબોની વાત જ કદાચ આ એક પરિણામ સુધી પહોંચી છે અથવા તો પહોંચી શકે એમ છે. કોશિશ બધાંની એ જ છે કે છરી અને ગળા વચ્ચે જીવન ગોઠવાઈ શકે એમ છે કે કેમ?
અહીં નાટકનો રિવ્યૂ જ પ્રસ્તુત કરવો એવું નથી. એ નિમિત્તે જે વિચારવાનું થયું તે પણ મૂકવું છે.
એ હકીકત છે કે હરામની સગવડોએ અને સંપત્તિની ભયંકર લાલસાએ જીવન ગૂંચવી માર્યું છે. એ તપાસવા જેવું છે કે ટેકનોલોજીએ માણસનું ભલું વધારે કર્યું છે કે નુકસાન? એ સારી વાત છે કે મોબાઈલથી માઈલો દૂરના સંબંધીઓ સાથે જીવંત સંપર્ક સેકંડોમાં શક્ય બન્યો છે. કોઇની વર્ષગાંઠનો કે લગ્નનો વીડિયો જીવનભરનું સંભારણું બની રહે એ કેવી મોટી વાત છે ! પણ એ જ મોબાઈલ કોઈ સ્ત્રીની અંગત જિંદગીના ફોટા લઈને બદનામ કરે કે બ્લેકમેઇલ કરે કે કોઈનું પણ એકાઉન્ટ હેક કરીને કોઈને ખાલી કરી નાખે તો તે નુકસાન પેલાં સંભારણાં કરતાં વધારે પીડા આપે એવું ખરું કે કેમ? આમ તો પાસવર્ડ પોતાનાં ખાતાની સુરક્ષા માટે છે, પણ એ નબળાઈ ઢાંકવા પણ ખપનો છે. એટલે જ પુત્ર, માબાપને મોબાઈલનો પાસવર્ડ આપવા તૈયાર નથી, એટલું જ નહીં, માબાપ પણ પોતાનો પાસવર્ડ પુત્રને આપવા તૈયાર નથી, તે તો ઠીક, માબાપ એકબીજાને પણ પાસવર્ડ આપતા નથી. આ બધું પ્રાઈવસી જાળવવા થાય છે, પણ હકીકત એ છે કે આ પાસવર્ડ સાચા ખોટા સંબંધોથી રક્ષણ આપે છે ને ગમ્મત એ છે કે બધાં જાણે છે કે પાસવર્ડની પાછળનું જગત શું છે ને કેવું છે? આ ‘અંગતતા’ તો પાસવર્ડ વગર જ જાહેર થઈ ગઈ છે. મા, બાપથી કે બાપ, માથી સંતાડે છે ને બંને જાણે છે કે જે સંતાડાય છે તે શું છે? પુત્રને કે પુત્રીને મિત્ર હોય તે તો સમજાય છે, પણ પતિપત્નીને પણ મિત્ર છે ને તેમની વાતો અંગત રહે એટલે પાસવર્ડ નખાય છે, પણ બધાં જ જાણે છે કે જે વાતો થાય છે તે શરીરની બહાર ભાગ્યે જ જાય છે. આ કહેવાતી પ્રાઈવસીએ ઘણી શારીરિક, માનસિક ને આર્થિક સમસ્યાઓ ઊભી કરી છે. બગાડ તો દરેક સમયમાં હતો જ, પણ મોબાઈલ કે સોશિયલ મીડિયાને કારણે સાયબર ક્રાઇમની આખી નવી શાખા ખોલવી પડી છે એના પરથી પણ ખ્યાલ આવે એમ છે કે નુકસાન વધ્યું છે. સારું પણ થતું જ હશે, પણ અનેક પ્રકારની છેતરપિંડી ને દંભનો શિકાર આપણે થયા છીએ તે નોંધવું ઘટે.
જે આદર્શ છે તે જ દગો કરે છે. જે સત્તા પર છે તે જ શોષણખોર છે, કાઉન્સેલરનું કાઉન્સેલિંગ કરવું પડે એ હદે સમસ્યાઓ વકરી છે ને જે આવે છે તે સુધારવા મથે છે, પણ પરિણામ બગડવામાં આવે છે. આજના સમયની મુશ્કેલી એ છે કે ફરિયાદીને જ આરોપી ગણીને તપાસ ચાલે છે. પોલીસ હોય કે કાઉન્સેલર, મદદ કરવા જ મથે છે, પણ પ્રયત્ન જવાબદારી ઊભી કરવાનો જ કરતા હોય છે. નાટકમાં કાઉન્સેલર એક જગ્યાએ કહે છે કે તે આવનારને સાંભળે છે. આ સાંભળવાનો વખત કોઈને નથી. સંભળાવે છે બધાં, પણ સાંભળતું કોઈ નથી. લાગે છે તો એવું કે વ્યક્તિને પોતાની જવાબદારી જણાતી નથી ને તેને સામે બધાં જ જવાબદારીમાંથી છટકતાં જ લાગે છે. છેલ્લાં થોડાં વર્ષમાં એક વાત બની છે. આમ નોકરી નથી એમ કહીએ છીએ, પણ વગર પગારની ખર્ચાળ નોકરી બધાંને જ મળી ગઈ છે. બધાં જ મોબાઇલની નોકરીએ લાગ્યાં છે. કોઈ ફરજ નથી, પણ મેસેજ કે વીડિયો ફોરવર્ડ કર્યાં વગર કોઈને કોળિયો ગળે ઊતરતો નથી. આવેલા મેસેજ વાંચ્યા વગર જ ફોરવર્ડ કર્યાની સ્પર્ધામાં કોઈ પાછળ રહેવા માંગતું નથી. આખી ફોર્વર્ડિયા સંસ્કૃતિ ઊભી થઈ છે. કૈં પણ કોઈને પણ ફોરવર્ડ કરવાનો કોઈને સંકોચ નથી.
સક્સેસ પાછળ દુનિયા ગાંડી છે. બધાંએ જ મોખરે રહેવું છે. બીજો નંબર કોઈને જોઈતો નથી. માબાપ નાપાસ થયા હોય તો પણ, સંતાને તો મોખરે જ રહેવાનું છે. સ્કૂલો, સર્ટિફિકેટ આપવા જ એડમિશન આપે છે, બાકી ભણવાનું તો ટ્યૂશન ક્લાસમાં જ ચાલે છે એ વાત નાટકમાં ચર્ચાય છે. ટ્યૂશન કલાસો વચ્ચે પણ સ્પર્ધા છે ને વિદ્યાર્થીઓ સાહેબના કારનામા જાણતા હોય છે. વધારે ફી માંગતા માસ્તરને કેમ વટાવવો તે છોકરાઓ જાણે છે એટલે એજ્યુકેશન હવે સ્પર્ધામાં ટકવા લેવાનું છે, બાકી નોલેજ, એક્નોલેજ કોણ કરે છે? કોલેજ, નોલેજ માટે હોય એવું તો હવે સપનું ય પડતું નથી. જે હોંશિયાર છે તેમણે પોતાની શક્તિ પર જ ટકવાનું છે. એમાં કોઈ સાચી મદદ મળી તો ઠીક છે, બાકી તો મૂરખ બનવા જ તૈયાર રહેવાનું છે.
નાટકને અંતે ખુલાસો થાય છે કે અમે બધી નકારાત્મક વાતો જ કરી છે, કારણ કે એ જ તો સામે આવે છે. સારું પણ જગતમાં છે જ. સારાં માબાપો, સારા શિક્ષકો, સારી વ્યવસ્થા વગેરે છે જ, પણ એનું પ્રમાણ ઘટી રહ્યું છે ને ચિંતા કરવાની હોય તો એની છે. જગત હજી એટલું ખરાબ નથી થયું. ગમે એટલું ભ્રષ્ટ કેમ ન હોય, પણ જગતમાં હજી ક્યાંક સત્યનો મહિમા છે. હજી આંસુ આવે છે. હજી પીડા થાય છે. હજી કોઈ યાદ આવે છે, હજી કોઈને માટે જીવવા-મરવાનું મન થાય છે. ટૂંકમાં, હજી આશા છે. આપણે દુનિયા સુધારવાની જરૂર નથી. શરૂઆત ઘરથી થાય તો ય ઘણું છે.
નાટકમાં પાત્રો સ્ટેજ પર તો છે જ, પણ કેટલાંક ઓડિયન્સમાં પણ છે. પછી તો ઓડિયન્સ પણ પાત્ર બની રહે છે. આ બધાં વાતને આગળ વધારે છે. આમ તો પ્રચલિત અર્થમાં આ નાટક નથી, કેવળ વાત છે. એક ખૂન નિમિત્તે કુટુંબોમાં, કાયદાઓમાં જે વાતો થાય છે તે વાતોના ટુકડાથી નાટકનું પોત બંધાયું છે. નાટકને અપેક્ષિત સંઘર્ષ એમાં ઓછો જ છે, બલકે, સંઘર્ષને નાટ્યકારે ઇરાદાપૂર્વક ટાળ્યો છે. શરૂઆતમાં જ સનસનાટી ઊભી કરીને થ્રિલર થઈ શક્યું હોત, પણ ત્યાં જ નાટ્યકારે કહ્યું, STOP ! ને પછી શરૂ થયું આ ઘટનાના મૂળમાં જવાનું ઉત્ખનન ! પછી જે બહાર આવે છે તેની સાથે પ્રેક્ષકો પણ સંકળાતા આવે છે ને એ બધા નાટ્યકાર નથી, એટલે જ અહીં વાર્તા નથી, વાત છે ને વાતોના જે ટુકડા જોડાય છે તે નાટ્યાત્મકતા ઊભી કરે છે ને નાટક એનાથી રચાય છે.
નાટક પૂરું થયા પછી નાટ્યકાર કપિલદેવ શુક્લે અભિનંદન આપતાં કહ્યું કે બીજા બાણું, ચોરાણું શો જ ખૂટે છે. આપણે ઈચ્છીએ કે ન ખૂટે એટલા શો થાય. કલાકારો વિદ્યાર્થી, શિક્ષિત ને વ્યવસાયી હતા, પણ એમણે અભિનય શિક્ષિત નથી એવો કરવાનો હતો ને એ એમણે કર્યો. લેખક, દિગ્દર્શક અને આખી ટીમને અને એની સાથે જોડનાર સૌ પ્રેક્ષકોને પણ અઢળક અભિનંદનો ને શુભેચ્છાઓ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “દિવ્ય ભાસ્કર”, 03 મે 2022