Opinion Magazine
Number of visits: 9446682
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શા માટે કાઁગ્રેસના નેતાઓ વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં અને કમર કસવામાં પાછા પડે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 March 2022

આ વખતના પરાજય પછી એમ લાગતું હતું કે કાઁગ્રેસ પક્ષની અંદર શરમ, સંકોચ અને સ્વાર્થને બાજુએ રાખીને મુક્ત ચર્ચા થશે, પક્ષની વારંવારની નિષ્ફળતાનાં કારણો ઓળખી કાઢવામાં આવશે અને ભવિષ્યમાં પક્ષને કઈ રીતે બેઠો કરવો એ વિષે પણ ચર્ચા થશે. પરંતુ પરમ આશ્ચર્યની વાત છે કે એવું કશું જ બન્યું નહીં. હંમેશ મુજબ પક્ષની કાર્યસમિતિની બેઠકમાં ગાંધીપરિવારે જવાબદારીનો સ્વીકાર કર્યો, સોનિયા ગાંધીએ રાજીનામું આપવાની ઓફર કરી, એ ઓફર ઠુકરાવવામાં આવી, નિષ્ફળતા માટે સામૂહિક જવાબદારીની વાતો કરવામાં આવી અને અંતે આઠ-દસ વાક્યોનું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં એ જ વાત કહેવામાં આવી છે જે ૨૦૧૪થી કરવામાં આવી રહી છે. લોકસભાની બે ચૂંટણીમાં અને રાજ્યોની વિધાનસભાઓની એક ડઝન જેટલી ચૂંટણીઓમાં પરાજય પછી પણ પક્ષના નેતાઓને એમ નથી લાગતું કે હવે સમય આવી ગયો છે કે સાચું નિદાન કરવામાં આવે અને અસરકારક ઈલાજ શોધવામાં આવે.

શા માટે કાઁગ્રેસના નેતાઓ વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં અને કમર કસવામાં પાછા પડે છે? એવી કઈ મજબૂરી છે કે પક્ષ ખતમ થઈ રહ્યો હોવા છતાં પક્ષના નેતાઓ આત્મવંચના કરી રહ્યા છે અને ભ્રમની દુનિયામાં રહીને સમય પસાર કરી રહ્યા છે? ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વખતમાં પક્ષ ઉપર ગાંધીપરિવારનો જે પ્રભાવ હતો એ પણ હવે તો બચ્યો નથી. પક્ષના નેતાઓ ધારે ત્યારે પક્ષને ગાંધીપરિવારથી મુક્ત કરી શકે છે. સવાલ એ પણ છે કે પરિવાર શા માટે એક વાર કાયમ માટે બાજુએ હટીને પક્ષને નવા નેતૃત્વ અને નવી તાજગીની તકથી વંચિત કરી રહ્યો છે? શા માટે? જો આનો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે શા માટે વારંવારના પરાજય પછી પણ કાઁગ્રેસના નેતાઓ સમીક્ષાથી ભાગે છે.

પહેલું કારણ તો એ છે કે પક્ષમાં હવે એવા બહુ ઓછા નેતાઓ બચ્યા છે જે સીધો લોકસંપર્ક ધરાવતા હોય જેને અંગ્રેજીમાં ગ્રાસરૂટ લીડર કહેવામાં આવે છે. શરદ પવાર અને મમતા બેનર્જી જેવા જનાધાર ધરાવનારા નેતાઓ એક પછી એક પક્ષ છોડીને જતા રહ્યા છે અથવા જવું પડ્યું છે. કાઁગ્રસ પક્ષ જનાધાર વિનાના નેતાઓનો પક્ષ છે. ઇન્દિરા ગાંધીના સમયથી જનાધાર ધરાવનારા નેતાઓને કદ પ્રમાણે વેતરવાનું શરૂ થયું હતું કે જેથી કોઈ પરિવારના નેતૃત્વને પડકારી ન શકે. અત્યારના મોટા ભાગના નેતાઓએ લોકોની વચ્ચે કામ કર્યા વિના સીધો પક્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને સત્તા ભોગવી હતી. કપિલ સિબ્બલ મુખરપણે ગાંધીપરિવારે ખસી જવું જોઈએ એમ કહે છે, પરંતુ તેઓ પોતે કોઈ પ્રકારનો જનાધાર ધરાવતા નથી. તેઓ ઉપરથી સીધા પક્ષમાં પ્રવેશ્યા હતા અને સારા દિવસોમાં સત્તા ભોગવી હતી. તેઓ જ્યારે પક્ષમાં સત્તા ભોગવતા હતા ત્યારે તેમને એમ નહોતું લાગ્યું કે પક્ષ અંતર્ગત લોકતંત્ર હોવું જોઈએ અને નેતાઓએ નીચેથી ઉપર જવાનો માર્ગ અપનાવવો જોઈએ. નરેન્દ્ર મોદી છેક નીચેથી ઉપર સુધી પહોંચ્યા છે. કપિલ સિબ્બલ તો એક ઉદાહરણ માત્ર છે. આવા બીજા અનેક નેતાઓ છે. જે નેતા જનાધાર ન ધરાવતો હોય એ શિવધનુષ ઉઠાવવાની હિંમત ન કરી શકે.

બીજું કારણ એ છે કે ગાંધીપરિવારનાં સભ્યો અને પક્ષના નેતાઓ વર્તમાન શાસકો પરત્વેના લોકોના મોહભંગની રાહ જોઈ રહ્યા છે. આવું ભૂતકાળમાં બનતું હતું, પણ હવે એમ બનતું નથી તો એનાં કોઈ કારણો હોવાં જોઈએ. એ કારણો શોધવાનો અને એ મુજબ રણનીતિ બદલવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર અને રાજ્યોમાં બી.જે.પી.ની સરકારના કામકાજને જોઇને મોહભંગ થવા માટે કારણો છે, લોકોનો મોહભંગ થયો પણ છે અને એ છતાં હિંદુ મતદાતાઓ બી.જે.પી.ને મત આપે છે તો શા માટે? કાઁગ્રેસના નેતાઓએ એ દિવસો યાદ કરવા જોઈએ જ્યારે કાઁગ્રેસનો સૂર્ય જ્યારે મધ્યાહ્ને તપતો હતો અને ત્યારે ભારતીય જનતા પક્ષના નેતાઓ કેવળ લોકોના મોહભંગની રાહ જોઇને બેસી નહોતા રહ્યા. તેઓ લોકમાનસમાં મોહભંગ આધારિત નહીં, પણ પોતીકી જગ્યા બનાવવા પ્રયત્નો કરતા હતા. તેઓ હિંદુ માનસને કેળવતા હતા, ઘડતા હતા અને પોતાના માટે જગ્યા બનાવતા હતા. અંગ્રેજીમાં આને કાઉન્ટર નેરેટિવ કહે છે. બી.જે.પી.ના હિંદુ સામે કાઁગ્રેસે ભારતીય નાગરિકનું ઘડતર કરવું જોઈએ, તેને કેળવવો જોઈએ અને તેને માટેની ભાષા અને અભિવ્યક્તિ (નેરેટિવ) વિકસાવવાં જોઈએ. દેશના અડધોઅડધ હિંદુ ઘેટાં બનવા તૈયાર નથી.

કાઁગ્રેસના કેટલાક નેતાઓને આ વાત સમજાય પણ છે. આ સિવાય સમાજવિજ્ઞાનીઓ પણ વખતો વખત કાઉન્ટર નેરેટિવ વિકસાવવાની વાત કરી રહ્યા છે. આ જ એક માત્ર ઈલાજ છે એમ પણ તેઓ કહે છે. પણ કરે કોણ એ ત્રીજી સમસ્યા છે. અત્યારે વાવો તો બે દાયકે ફળ મળે ત્યારે એવી મહેનત કરે કોણ? ખાસ કરીને એવા નેતાઓ તો કરી જ શકવાના નથી અને કરવાના નથી જેઓ નીચેથી ઉપર આવ્યા નથી અને જનાધાર ધરાવતા નથી. જે લોકોએ શોર્ટકટ દ્વારા સત્તા ભોગવી હોય એ પરસેવો પાડવાના છે? બીજી બાજુ જે નેતાઓ થોડો પણ જનાધાર ધરાવે છે તેઓ પોતાનાં રાજ્યોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહદમાં પડ્યા છે અને તેમને સતત અસ્થિરતાનો સમાનો કરવો પડે છે. જે નેતા પોતાનાં રાજ્યમાં અસ્તિત્વની લડાઈ લડતો હોય અને સતત અસ્થિરતાનો સમાનો કરતો હોય એ રાષ્ટ્રીય સ્તરે પક્ષને બેઠો કરવા કોઈ યોગદાન આપી શકે એ શક્ય જ નથી. આવા નેતાઓએ પોતાનાં રાજ્યમાં પોતાના પ્રતિસ્પર્ધીઓથી બચવા ગાંધીપરિવારની મદદ લેવી પડે છે. કાઁગ્રેસ કાર્યસમિતિમાં રાજસ્થાનના અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનોએ રાહુલ ગાંધીને ફરી કાઁગ્રેસ પ્રમુખ બનાવવામાં આવે એવી માગણી કરી હતી. આ સત્તામાં ટકી રહેવા માટેની તેમની મજબૂરી છે.

ચોથું કારણ એ છે કે કાઁગ્રેસ પક્ષ કાર્યકર્તા વિનાનો પક્ષ છે. જમીની સ્તરે ચોવીસ કલાક પ્રતિબદ્ધતા સાથે પક્ષ માટે કામ કરતો હોય એવા કાર્યકર્તા જ પક્ષ પાસે બચ્યા નથી. આનો અર્થ એ થયો કે કાઁગ્રેસ પક્ષ ખરા અર્થમાં રાજકીય પક્ષ રહ્યો જ નથી, જેનો શક્તિસ્રોત નીચે કેડરના રૂપમાં હોય અને શક્તિ નીચેથી ઉપર ટ્રાન્સમીટ થતી હોય. વિચાર અને નેરેટિવ ઉપરથી નીચે જાય અને એ કાર્યકર્તાઓ દ્વારા શક્તિમાં રૂપાંતરિત થઈને નીચેથી ઉપર જાય ત્યારે રાજકીય પક્ષ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. કાઁગ્રેસમાં આનો અંત દાયકાઓ પહેલાં આવી ચુક્યો છે. ધીરે ધીરે કાઁગ્રેસ પક્ષનું રૂપાંતર ચૂંટણી લડનાર અને સત્તા ભોગવનાર એક પ્રકારની વ્યવસ્થા કે યંત્રણામાં થઈ ગયું હતું. ડૉ રજની કોઠારીએ આને કાઁગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવી હતી.

તો આનો અર્થ એ થયો કે કાઁગ્રેસને ચેતનવંતો કરવો એ આજની ઘડીએ અઘરું કામ છે. કપરાં ચઢાણ છે. પક્ષના નેતાઓ આ જાણે છે અને માટે ચર્ચા ટાળે છે. ઈલાજથી બચવા નિદાન ટાળવામાં આવે છે. અને તમને આશ્ચર્ય થશે, પણ હકીકત એ છે કે આમાં ગાંધીપરિવારનો દરેક નિષ્ફળતા વખતે જવાબદારીથી બચવા માટે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો સફળતા મળે તો સત્તા ભોગવવાની અને જો નિષ્ફળતા મળે તો નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવવા માટે પરિવાર હાથવગો છે. વિડંબના તો જુઓ! જે પરિવારનો એક સમયે વિજય માટે બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો એ પરિવારનો અત્યારે પરાજય વખતે ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પક્ષના નેતાઓ માટે પરિવાર બલિનો બકરો છે.

કહ્યું છે ને, સમય બડા બલવાન!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 માર્ચ 2022

Loading

20 March 2022 admin
← મંડળી મળવાથી થતા લાભ
માબાપ જોઈતા નથી, પણ તેમની મિલકત તો જોઈએ જ છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved