Opinion Magazine
Number of visits: 9448697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|21 January 2022

૧ : સાહિત્યકાર રૂપે  —  મારા ૭૫મા વર્ષે થયેલી ઉજવણી વિશે :

= = જીવનને વિશેની સમજને કારણે મને હમેશાં લાગ્યું છે કે હું એકલો છું. તમે જાણો છો કે સાહિત્ય-કલાને વરેલા સર્જકનો એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. = =

= = જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે = =

મારા ૭૫-મા વર્ષે ‘અ-મૃતપર્વ’ ઉજવણી રૂપે મારાં વિદ્યાર્થી-અધ્યાપકો, વિદ્યાર્થી-આચાર્યો, વાર્તાકારમિત્રો અને સાહિત્યકારમિત્રોના સહયોગમાં રાજેન્દ્ર પટેલ, જયેશ ભોગાયતા અને પારુલ કંદર્પ દેસાઇએ તારીખ ૨૩ માર્ચ ૨૦૧૪ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે ‘સુમન શાહ –સર્જકપ્રતિભાવિશેષ’ શીર્ષકથી એક પરિસંવાદનું આયોજન કર્યું હતું.

સવારના ૯.૩૦થી સાંજના ૬.૧૫ સુધી ચાલેલા આ પરિસંવાદમાં જેઓ હતા તે સૌ મિત્રો, પ્રિયજનો અને સ્નેહીઓને નામ દઈને યાદ કરતાં, ૮૩-એ પ્હૉંચેલા મને બહુ સારું લાગે છે :

(સદ્ગત) ચિનુ મોદી, ભાગ્યેશ જ્હા, રતિલાલ બોરીસાગર ઉપસ્થિત હતા. અજય ઓઝા, ગંભીરસિંહ ગોહીલ, ઉષા ઉપાધ્યાય, લતા હિરાણી મિત્રોએ શુભેચ્છાસંદેશ મોકલેલા. સંજોગવશાત્ વક્તાઓ હસિત મહેતા, દક્ષેશ ઠાકર અને દીપક રાવલ નહીં આવી શકેલા.

અમદાવાદ ઉપરાન્ત વડોદરા, રાજકોટ, સૂરતથી મિત્રો આવ્યા હતા. માય ડીયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર, વિપુલ વ્યાસ, અભિમન્યુ આચાર્ય, હસમુખ રાવલ, દીવાન ઠાકોર, સંજય ચૌહાણ, સંજય ચૌધરી કે જયશ્રી જોષી સહિત ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના વાર્તાકારમિત્રો આવ્યા હતા.

કિરીટ દૂધાત, કનુભાઇ આચાર્ય, સલીમ, કિશોરી ચંદારાણા, દીનાબહેન, અજિત મકવાણા, હરીશ ધોબી, નરેશ વાઘેલા, પ્રેમજી, કનુ ખડદિયા, સંજય મકવાણા, વિપુલ પુરોહિત, હિમ્મત ભાલોડિયા, ભાવેશ જેઠવા કે લાભુ આવ્યા હતા પણ જેમને ચહેરેથી ઓળખું પણ નામથી ન જાણું એવા અનેક સાહિત્યરસિકો પણ આવ્યા હતા.

વક્તાઓ રાજેન્દ્ર પટેલ, વિનોદ જોશી, અજય રાવલ, જયેશ ભોગાયતા, પારુલ કંદર્પ દેસાઇ, જગદીશ ગુર્જર, નરેશ શુક્લ, મણિલાલ હ. પટેલ, બળવંત જાની, કિશોર વ્યાસ, (સદ્ગત) જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને જિતેન્દ્ર મૅકવાને મારા સાહિત્યમાંથી જુદા જુદા મુદ્દા લઈ વ્યાખ્યાનો કરેલાં.

દરેક વક્તાએ તેમજ પી.જે. પટેલ, દીપક પણ્ડ્યા, ભરત મહેતા અને ઉમા ચૌધરીએ મારી સાથેનાં સંસ્મરણો રજૂ કરેલાં.

જિતેન્દ્ર મૅક્વાન, નિસર્ગ આહીર, ભરત સોલંકી, અજય રાવલ અને જયેશ ભોગાયતાએ બેઠકોનું સંચાલન કર્યું હતું.

મારી સાથેના ‘સંવાદ’ની બેઠકમાં મણિલાલ પટેલ, અજય રાવલ, અજયસિંહ ચૌહાણ, દલપત ચૌહાણ, રામ મોરી, નરેશ શુક્લ, કપડવણજથી આવેલા ભાઈ (નામ યાદ નથી રહ્યું ), ભરત સોલંકી, માય ડીયર જયુ, જયેશ ભોગાયતા અને ભાષા-સાહિત્ય ભવનનાં મારાં સાથી મિત્ર રંજના હરીશ – સૌએ મને પ્રશ્નો પૂછીને મારી સાથે સંવાદ કરેલો.

મોડેથી પણ સંભારીને આવેલા મિત્ર રઘુવીર ચૌધરીએ શુભેચ્છા-વક્તવ્ય કર્યું હતું.

મારી ‘સોમપ્રસાદ, મંગળપ્રસાદ, બુદ્ધિપ્રસાદ’ વાર્તાનું નિસર્ગ આહીર, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, સાગર શાહ અને છાયા ત્રિવેદીએ ‘વાચિકમ્’ કર્યું હતું.

‘ગુર્જરી ગિરાતીર્થ’ શીર્ષકથી નિસર્ગ આહીરે મારી સમગ્ર કારકિર્દીના અનુલક્ષમાં લેખ કરેલો, એણે મારા જાહેર અને પારિવારિક અનેક ફોટોગ્રાફ્સની દૃશ્યાવલિ રજૂ કરેલી. 

પાર્શ્વ પ્રકાશનના માલિક, મારા આજીવન પ્રકાશક અને ભાઈ સમા બાબુભાઈ શાહે મારાં પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું.

આ સૌ મિત્રો પ્રત્યે મને અહેસાન અને આભારની લાગણી થયેલી. એ હૃદયભાવ આજે પણ અકબંધ છે.

પ્રતિભાવમાં મેં મારી મનોભાવના વ્યક્ત કરી હતી. એ અહીં મૂકી છે. આશા છે એમાંથી ઉપયોગી સાહિત્યતત્ત્વ તારવી શકાશે.

: ૭૫-મે મારી મનોભાવના :

નમસ્કાર. મિત્રો, મારી તમારી સાથે અને તમારી મારી સાથે પહેલવહેલી ઓળખાણ જે થયેલી તે શબ્દથી થયેલી. રાજુ, જયેશ, પારુલ કે વિનોદથી માંડીને આ સભામાં બેઠેલાં ઘણાં સાથેનો એ પહેલો પ્રસંગ મને બરોબર યાદ છે. એમને પણ યાદ આવશે. એ દરેક પ્રસંગ વિશે કહેવા બેસું તો બહુ સમય જાય. કોઈની સાથેનો રહી પણ જાય – એ ઠીક નહીં.

પણ કહું કે આપણી ઓળખાણ કરાવનારો એ શબ્દ મારો હતો, તમારો હતો, બોલાયેલો હતો, લિખિત કે પ્રકાશિત હતો, પણ સાહિત્યવિષયક હતો, સાહિત્યપરક હતો, સાહિત્યિક હતો.

મોટી વાત એ છે કે એવા શબ્દથી થયેલી આપણી ઓળખાણ વર્ષોથી ટકી છે, વિકસી છે. એથી ઊભો થયેલો આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે. એમાં કશું ઇદમ્ તૃતીયમ્ નથી ઘૂસી શક્યું. એવાં આપણે મારા-તમારા શબ્દ સાથે જોડાવાને આજે ભેગાં મળ્યાં છીએ એ વાતનો મને અનેરો આનન્દ છે.

હું ૫૫ (હવે ૫૭) વર્ષથી લખું છું. ૨૦ વર્ષની ઉમ્મરથી. મને ૭૫ પૂરાં થવામાં છે. ૭૫-થી વધુ (હવે ૮૦ જેટલાં) પુસ્તકો થઇ ગયાં છે. પણ જેને “છેલ્લું નોંધપાત્ર” પુસ્તક કહી શકાય એ હજી નથી થયું. એ નહીં થાય. કેમ કે હું છેલ્લે લગી લખતો રહેવાનો છું.

જુઓ, આ લખવાની કે વાંચવાની વાતને અન્ત નથી. ન હોવો જોઇએ. પણ જે લખાય તેમાંથી એક સમજ જરૂર ઊભી થાય છે. જે વંચાય તેમાંથી પણ એક સમજ હમેશાં ઊભી થાય છે. ધ્યાનથી જોઇશું તો દેખાશે કે આ સમજને તો એક અન્ત જરૂર છે ! વળી, આદિ ને મધ્ય પણ છે ! અ સૉર્ટ ઑવ કમ્પ્લીટનેસ !

વધારે ધ્યાનથી જોઇશું તો જણાશે કે આ સમજથી માંહ્યલાને, કહો કે સમગ્ર અસ્તિત્વને, સારું લાગતું હોય છે. કહેવાનો મતલબ, જો લેખન અને વાચન કીમતી વસ્તુઓ છે, તો એમાંથી ઊભી થયેલી સમજો પણ એટલી જ કીમતી છે. એટલે, જો આપણે આપણી સમજોની આપ-લે કરીએ, આપણી સમજોનાં સહભાગી થઈએ, તો મને લાગે છે, સાહિત્યની આખી વાતને ઘણી જ ઘણી દમદાર અને અર્થપૂર્ણ બનાવી શકીએ.

તો એ માટે શું કરવું જોઈએ? આપણે એકબીજાંની નજીક આવવું જોઇએ — જેમ આજે આવ્યાં છીએ ! હું મારી સમજ લઈને આવું, તમે તમારી સમજ લઈને આવો. બન્ને વચ્ચે આપણે સામંજસ્ય ઊભું કરીએ. એવું સામંજસ્ય જેથી આપણી વચ્ચે સહભાગીતા નામનો એક સેતુ રચાય. એવો સેતુ જેનો વારંવાર ઉપયોગ કરવાથી નિરન્તરની સહભાગીતાની સંરચના કરી શકીએ. ગુજરાતી સાહિત્યક્ષેત્રે સર્વસામાન્ય સ્વરૂપની સહભાગીતા નથી એમ નથી. પણ એને મારે નિમિત્તે વિધિવત્ પ્રગટાવવાને આજે આપણે એકત્ર થયાં છીએ.

જુઓ, મને સૌથી વધુ આનન્દ આવ્યો છે જ્યારે તમે કે કોઈએ પણ મારી સાથે મારા કોઈ લેખન અંગે વાત કરી છે – ભલે વખાણ કે ટીકા. પણ ત્યારે તે વ્યક્તિની સમજ વ્યક્ત થઈ હોય. સામે મેં જે કંઈ કહ્યું હોય તેથી મારી સમજ વ્યક્ત થઈ હોય. એ વ્યક્તિ અને મારી વચ્ચે એક સંવાદ ચાલુ થઇ ગયો હોય. એવી સહભાગીતાથી એક સંભાષા પ્રગટી હોય – એક ઇન્ટરઍક્શન. આ મને બહુ ગમ્યું છે.

કેમ કે એથી મને અને એને – બન્નેને – સુધારાવધારાની ખબરો પડવા લાગે છે. એમ કે એને એનું અને મારે મારું શું બદલવા જેવું છે, શું નવું દાખલ કરવાજોગ છે. આજે હું ‘અવરશુકેલુબ’ — કાળનો વાર્તાકાર નથી રહ્યો. પાંચમા સંગ્રહ લગીમાં -‘નો આઇડીઆ? ગેટ આઇડીઆ’ લગીમાં – હું ઘણો જ ઘણો બદલાયો છું. (હવે, છઠ્ઠા સંગ્રહ ‘ઢીસૂમ્ ઢીસૂમ’ લગીમાં) મારાં વિવેચનો સરળથી સરળ બનવા માંડ્યાં છે – બીજાઓને પણ એમ ભલે લાગે છે. મારાં વ્યાખ્યાનો વધારે આસ્વાદ્ય બન્યાં છે.

આ તમામ પરિવર્તનોનાં અનેક કારણોમાંનું એક કારણ આ જાતની સહભાગીતા છે. જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે.

બાકી જીવનને વિશેની સમજને કારણે મને હમેશાં લાગ્યું છે કે હું એકલો છું. તમે જાણો છો કે સાહિત્ય-કલાને વરેલા સર્જકનો એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. મારો અનુભવ તો એમ કહે છે કે એકલતાને વધારે સારી રીતે ઓળખી શકાય છે. એવી ઓળખથી મને નવું લખવાનું – નવું એટલે કે સુધરેલું લખવાનું – વધારાનું બળ મળે છે. એકલતા અને સહભાગીતાનો આ ખેલ, અંદરનો છે. મેં એને જીવનભર પ્રામાણિકતાથી ખેલવાની કોશિશ કરી છે. એટલે આજે તમે મારે વિશે જે કંઈ કહ્યું તેને હું એવા સહભાગ રૂપે વધાવી લઈશ.

મેં કહ્યું કે આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે, એ વાતનો મને આનન્દ છે. કોઇ વી.સી. હતા, છો કે હશો. એનો આનન્દ ઑર છે. મોટા ભાગનાં, મારાં વિદ્યાર્થીઓ હતાં. આજે અધ્યાપક, આચાર્ય કે ડિરેક્ટર છો એનો આનન્દ એથીયે ઑર છે.

હું ગુરુ-શિષ્ય પરમ્પરામાં જરૂર માનું છું. પણ એ સમ્બન્ધને આ રીતે ઘટાવું છું : હું ચેલા ન મૂંડું. પાલખી ઊંચકવા કે ધજા ફરકાવવા ન કહું. મારો વિદ્યાર્થી કાયમ મારી આંગળી પકડીને ચાલે એ મને બિલકુલ ગમ્યું નથી. કોઈ ખભે ચડીને ગાજે એ જરૂર ગમે. પણ કોઈ માથે ચડી વાગે એ ન ગમે. એવો એ જો બે વાત પૂછતો આવે તો એની સાથે જ્ઞાનવારતા જરૂર કરું, હેતથી કરું. મેં તો હમેશાં કહ્યું છે, મારામાં તમને તમારા-જોગું જે કંઈ દેખાતું હોય, તો, તેને લૂંટી લો. એવું પણ ખરું કે હું શિષ્યને સમોવડિયો ગણું છું બલકે ગુરુ ગણું છું. એની પાસેથી પણ શીખવાની હૉંશ રાખું છું. ઘણા પાસેથી કંઈ ને કંઈ શીખ્યો પણ છું. ટૂંકમાં, મારી સમજમાં જો હું એક વ્યક્તિ છું તો મારો વિદ્યાર્થી પણ વ્યક્તિ છે. ગુરુ-શિષ્ય — સમ્બન્ધની ભૂમિકા, મારી નજરમાં, જેટલી આદરની નથી એટલી પરસ્પરના સ્વીકાર અને પ્રેમની છે.

વિદ્યાર્થી સિવાયનાં જે મિત્રો છે તેમની પાસે પણ મેં જેટલો આદર નથી માગ્યો એટલો પ્રેમ માગ્યો છે. ક્યારે ય મેં કોઈ ગ્રૂપ નથી બનાવ્યું કેમ કે હું પોતે કોઈના ગ્રૂપમાં નથી. ક્યારે ય મેં મુખિયા બનીને વડપણ નથી દાખવ્યું કેમ કે એવું વડપણ, હું બહુ પહેલેથી માનું છું કે સાહિત્યના વિકાસમાં બાધા બને છે. મારા વિચારો કે મન્તવ્યો બાબતે હું મારી જાત સાથે ભારે આગ્રહી છું પણ ક્યારે ય મેં એને બીજાંઓ પર થોપ્યાં નથી. ક્યારે ય મેં કોઇને મારું પુસ્તક વાંચવા કે એ વિશે બે શબ્દ લખવા કહ્યું નથી.

હું માનું છું કે આપણે સૌ આજે પણ એ સ્વસ્થ સમ્બન્ધની ભૂમિકાએ ઊભેલાં છીએ. એ સ્વસ્થતાએ જ તમને આ પ્રેમપ્રસંગ રચવાને પ્રેર્યાં છે. આ કોઈ સંસ્થાકીય કાર્યક્રમ નથી. આ તો તમારા સૌના અન્તરમાં સ્વયં સ્ફુરેલી પ્રેરણાનું પરિણામ છે. એ હકીકતનું મારે મન ભારે મૂલ્ય છે અને બીજાં બધાંને પણ હોવું ઘટે છે.

જાણ્યું ત્યારથી લાગ્યા કર્યું છે કે આ મારે વિશેનો નહીં પણ સુમન શાહ નામના કોઈ શખ્સને વિશેનો ખટલો છે, ટ્રાયલ, અને હું એમાં વિટનેસ કે ઑબ્ઝર્વર છું, સાક્ષી છું. મને પૂછવામાં આવે ત્યારે મારે હકીકતો કહેવાની છે. જુબાની રૂપે જે બોલાય એ બોલવાનું છે. હું ખૂબ ખૂબ ખુશ છું. થૅન્ક્યૂ વૅરિ મચ. આભાર.

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

21 January 2022 admin
← સાથી ન કારવાં હૈ, યે તેરા ઇમ્તિહાં હૈ …
વૃક્ષોની તદ્દન અવિચારી છટણી : ગુજરાતી સાહિત્ય પરિષદમાં … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved