Opinion Magazine
Number of visits: 9547738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસંમતિનો આટલો ભય શેને કારણે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|5 December 2021

અસંમતિ(The voice of dissent)નો આટલો મહિમા શેને કારણે? અસંમતિનો આટલો ભય શેને કારણે? અને અંતિમ વિજય અસંમતિનો જ થાય એવું શેને કારણે? આ ત્રણ પ્રશ્ન વિચારણીય છે. આના વિષે વિચારશો તો ખ્યાલ આવશે કે સંસારમાં અસંમતિ કેટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માનવઉત્થાનના પાયામાં અસંમતિ છે.

પ્રાચીન વૈદિક યુગમાં વેદોના ઋષિઓએ જ્યારે વેદોની રુચાઓ લખી ત્યારે તેઓ બ્રહ્માંડના અનંત સ્વરૂપને જોઇને અને સૃષ્ટિનાં બદલાતાં સ્વરૂપોને જોઇને એક જ સમયે વિસ્મય અને  ભયનો અનુભવ કરતા હતા. પ્રાચીન વૈદિક રુચાઓમાં આવો ભાવ જોવા મળે છે. અનેક રુચાઓ એવી છે જેમાં કુદરતની કૃપાનો મહિમા કરવામાં આવ્યો છે, આભાર માનવામાં આવ્યો છે અને અનેક રુચાઓ એવી પણ છે જેમાં અવારનવાર રૂઠતી કુદરતને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમાંથી જે પ્રાચીન વૈદિક યુગ અસ્તિત્વમાં આવ્યો એનાં કેન્દ્રમાં અનુક્રમે કૃપા અને યાચના હતાં. સતત ઈશ્વરની કૃપાનો સ્વીકાર કરવામાં આવે અને સતત સુખ અને સલામતીની યાચના કરવામાં આવે. વેદોના પ્રાચીન મંત્રો આ પ્રકારનાં છે. એમાંથી ઈશ્વર સમક્ષ કૃપાની યાચના કરનારું કર્મકાંડ વિકસ્યું.

સતત અહોભાવ, સતત યાચનાઓ અને તેને માટે આખો દિવસ વિવિધ પ્રકારના કર્મકાંડ. આ જોઇને એક દિવસ કોઈના મનમાં પ્રશ્ન થયો હશે કે આવી રીતે આખી જિંદગી માગતા જ રહેવાનું? માનવીએ કોઈ પ્રકારનો પુરુષાર્થ કરવાનો જ નહીં? ઈશ્વર આપનાર, માનવી માગનાર તેમ જ લેનાર અને કર્મકાંડ કરાવનારા બ્રાહ્મણો અપાવનાર એવો જે જીવન વિશેનો અભિગમ છે એ બરાબર નથી. કોઈ એક માણસે શંકા કરી, પ્રશ્ન કર્યો, અસંમત થયો અને પરિણામે આજે જેને આપણે હિંદુ સમાજ કહીએ છીએ એ પ્રાચીન યુગમાં એક કદમ આગળ વધ્યો. આજે જો તમે મહાન હિંદુ પરંપરા અને તેના વારસા માટે ગૌરવ લેતા હો તો તેના પાયામાં કોઈ માણસની અસંમતિ છે. જો એ માણસે અસંમતિ દર્શાવી ન હોત તો આપણે આજે પણ પ્રાચીન અવસ્થામાં જ જીવતા હોત.

અસંમત થનારો એ પહેલો માણસ કોણ હતો એ આપણે જાણતા નથી, પરંતુ તેની અસંમતિ ધીરેધીરે સ્વીકૃત થવા લાગી, જેમાંથી પુરુષાર્થકેન્દ્રી દર્શન વિકસ્યું. માણસ પોતે સ્વપ્રયત્ને પોતાનાં જીવનને સાર્થક કરી શકે છે અને એ જ મોટો પુરુષાર્થ છે. કુદરત તો એનું કામ કરશે, પણ માનવીએ માનવ તરીકે જન્મ લીધો છે તો માનવીય પુરુષાર્થ દ્વારા પોતાનાં જીવનને ધન્ય બનાવવું જોઈએ. કર્મકાંડ અને ઈશ્વરને રીઝવવા માટે આપવામાં આવતા પશુબલિની પ્રથા યોગ્ય નથી. આ સિવાય કર્મકાંડની વાત આવે તો અધિકારની વાત આપોઆપ આવે. કોણ કર્મકાંડ કરી શકે અને કોણ નહીં. કોણ કર્મકાંડ કરાવી શકે અને કોણ નહીં. આમાંથી સામાજિક ભેદ અને અસમાનતા વિકસે. એની સામેની અસંમતી વધારે વ્યાખ્યાયિત થઈ અને વધારે વિકસિત થઈ. સમાજને હજુ વધુ ફાયદો થયો. સમાજને એક ડગલું ઉપર લઈ જનારું દર્શન વિકસ્યું.

જેમ યાચનાઓએ કર્મકાંડનું સ્વરૂપ લીધું અને તેનો અતિરેક થવા માંડ્યો તેમ પુરુષાર્થે તપશ્ચર્યાનું સ્વરૂપ લીધું અને તેનો પણ અતિરેક થવા લાગ્યો. શરીરને કષ્ટ આપવું અને શરીર કોઈ ભોગ ભોગવવા યોગ્ય જ ન રહે એટલી હદે કૃશ કરી નાખવું એને જ લોકો પુરુષાર્થ સમજવા લાગ્યા. આમાંથી ઢોંગ અને દેખાડા શરૂ થયા. ફરી વળી કોઈ એક માણસના મનમાં પ્રશ્ન થયો કે આવો અતિરેક પણ બરોબર નથી. માનવશરીર ભલે વૃત્તિગ્રસ્ત છે, પણ એ જ તો આખરે પુરુષાર્થનું માધ્યમ છે એટલે એને (શરીરને) પાપનું મૂળ અને દોષોની ખાણ સમજીને દંડવું એ બરોબર નથી. પુરુષાર્થના માધ્યમને કૃશ કરી નાખવામાં આવશે તો પુરુષાર્થ કોણ કરશે? કેવળ શરીરને દંડનારી તપશ્ચર્યા એ પુરુષાર્થ નથી.

કોઈ એક માણસે અસંમતિ દર્શાવી અને હિંદુ સમાજ બીજું એક ડગલું આગળ વધ્યો. એ માણસ કોણ હતો એ આપણે જાણતા નથી, પણ એની અસંમતિ સ્વીકૃત થવા લાગી અને એમાંથી મધ્યમમાર્ગી દર્શન વિકસ્યું. આ સંસારમાં જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી ડગલેને પગલે તમારે શું સાચું અને શું ખોટું, શું શ્રેયસ્કર અને શું અશ્રેયસ્કર, કેમાં સ્વાર્થ અને કેમાં પરમાર્થ વચ્ચે વિવેક કરવો પડશે. આનાથી કોઈ માણસ બચી ન શકે અને કોઈ એક મનગમતા ગૃહિતના વિકલ્પનું પૂછડું પકડીને વિવેક કરવામાંથી બચવું પણ ન જોઈએ. ગૃહિત નહીં વિવેક. વિવેક ગતિશીલ હોય છે, જ્યારે ગૃહિત સ્થિત્યંતરોને અવરોધે છે.

અહીં મેં અનુક્રમે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનો ઉલ્લેખ ટાળ્યો છે. એનું કારણ એ છે કે એ બન્ને પરિપક્વ અસંમતિના ઉદ્ગાતા છે; પહેલી, પ્રાથમિક અને કાચી અસંમતિના ઉદ્ગાતા કોઈ બીજા હતા, જેનું નામ પણ આપણે જાણતા નથી. એવું પણ બન્યું હશે કે પહેલી અસંમતિના ઉદ્ગાતાએ તેની કિંમત પણ ચૂકવી હશે. કદાચ જાન પણ ગુમાવ્યો હશે. સ્વીકૃતિ પહેલાંની અસંમતિ દઝાડનારી હોય છે.

આ દઝાડનારી અસંમતિની આગળ વાત કરતાં પહેલાં અહીં એક વિરામ લઈને એક સપ્તાહ દરમ્યાન એ વિચારો કે અસંમતિથી આપણને ફાયદો થયો છે કે નુકસાન? અસંમતિ નિંદવાયોગ્ય છે કે મહિમાયોગ્ય છે?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ડિસેમ્બર 2021

Loading

5 December 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—122
કોરોના(હત્યા)કાંડ? →

Search by

Opinion

  • નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?
  • ‘ટ્રુ સેક્યુલર’  સરદારે અયોધ્યામાં સોમનાથવાળી કેમ ન કરી, ભાઈ?
  • જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 
  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved