Opinion Magazine
Number of visits: 9447116
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન (ક્રૅડિટ) ચોર બની થનગાટ કરે

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|18 September 2021

મેઘાણીની સરકારી ઉજવણી

ઑગસ્ટ ૨૮, ૨૦૨૧ના રોજ ઝવેરચંદ મેઘાણીના જન્મની સવા શતાબ્દીની સરકારી રાહે ઉજવણી કરવામાં આવી. ‘સરકારી રાહે’ એટલા માટે કે તેના નિમંત્રણકાર્ડમાં મેઘાણીની તસવીરો હતી, પણ નિમંત્રણકાર્ડના કવર પર વડા પ્રધાન સહિત પાંચ મંત્રીઓના જ ફોટા હતા – ઝવેરચંદ મેઘાણીનો ફોટો કે ચિત્ર ત્યાં ન હતાં. સોશિયલ મીડિયા પર ટીકા થઈ, એટલે બેશરમ ભક્તસમુદાય વળતી દલીલ કરવા લાગ્યો કે ‘મેઘાણીના ફોટા કાર્ડમાં છે તો ખરા.’

તો શું સરકારે એવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે કે જેમના વિશેનો કાર્યક્રમ હોય, તેમના ફોટા ફક્ત કાર્ડમાં જ છાપવા અને કવર પર માનનીય ફલાણાશ્રી ને માનનીય ઢીકણાશ્રીઓનાં થોબડાં જ ઝીંકવાં? કાર્યક્રમ મેઘાણીનો છે, તો કાર્ડમાં ને કવર પર, બધે તેમનો જ ફોટો મુખ્ય હોય ને! આટલી સાદી સમજ પણ જેમણે વેચી ખાધી હોય, એ જ પ્રજાતિ સ્વાધીનતાના કવિ મેઘાણીની સવા શતાબ્દી ઉજવવાના અને સાહિત્ય અકાદમીના ભવનને મેઘાણીનું નામ આપીને તેમને સન્માનવાના દાવા કરે.

કાર્ડ પર મેઘાણીનો ફોટો ન હોવાની સરકારી બેશરમીનો આંચકો શમે, તે પહેલાં જિલ્લા સ્તરે યોજાયેલા મેઘાણી-ઉજવણીના કેટલાક સરકારી કાર્યક્રમોની તસવીરો જોવા મળી. તેમાં ચોટીલાના કાર્યક્રમ સહિત અન્ય કેટલેક ઠેકાણે મંચ પરના બૅનરમાં મેઘાણીનો ફોટો ન હતો. ફક્ત નેતાઓના જ ફોટા હતા. લાજ મૂક્યા પછી એક વાર મૂકો કે સો વાર, શો ફરક પડે છે?

બિનસરકારી રાહે થયેલા મેઘાણી-સ્મરણમાં પણ ઝવેરચંદ મેઘાણીના વ્યાપક, બહુરંગી અને સામાજિક-રાજકીય પરિસ્થિતિ સંદર્ભે વર્તમાનમાં પણ પ્રસ્તુત એવાં સર્જનો ઓછાં યાદ કરાયાં ને તેમનું લોકસાહિત્ય-લોકકથાઓ – ‘રાષ્ટ્રીય શાયર’વાળું વધારે ચાલ્યું. કેમ કે એ મેઘાણીનું સૌથી ‘નિર્દોષ’ સ્વરૂપ છે. તેમાં વાંચનાર ઇચ્છે, તો વિચારવાની તસ્દી લીધા વિના અથવા ફક્ત આનંદ માણવા ખાતર ‘મેઘાણી-સાહિત્ય’નો આનંદ માણી શકે છે. ઉપરાંત, મેઘાણીને યાદ કર્યાનો – તેમને અંજલિ આપ્યાનો સંતોષ પણ લઈ શકે છે.

બે-ત્રણ દિવસ માટે ચોતરફ મેઘાણી-મેઘાણી થઈ જવા છતાં, ચર્ચામાંથી મોટે ભાગે બાકાત રહેલા કેટલાક મુદ્દા :

•  ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતાસેનાની … આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે.

•  ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં, પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રીય શાયર’નો કોઈ ઉલ્લેખ નથી. અલબત્ત, મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રીય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. તેમને આ બિરુદ ગાંધીજીએ આપ્યું હોય કે ન આપ્યું હોય, તેનાથી મેઘાણીની પ્રતિભામાં કશો ફરક પડતો નથી.

આ સંદર્ભે અશોક મેઘાણીએ ફેસબુક પર તેમના પિતા ઝવેરચંદ મેઘાણીને ટાંકીને લખ્યું હતું, 'મને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયું છે! એ આપનારા મારા સુહૃદો ન હોત, તો હું એમ જ માનત કે કોઈએ મારી દિલસોજ ઠેકડી કરી છે. મિત્રોના હાથથી મળેલા એ પદવીદાનમાં પરિહાસ નહિ પણ પક્ષપાત મહેકે છે. વસ્તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. બાકી તો ક્યાં શાયરી ને ક્યાં હું!’ પછી અશોકભાઈએ ઉમેર્યું હતું, ‘ગાંધીજીને પોતાના મિત્રવર્તુળમાં એમણે ન જ ગણ્યા હોય.’ અશોકભાઈના જણાવ્યા પ્રમાણે, 'દર્શક’ સિવાય કોઈ જાણકારે ગાંધીજીએ આપેલા બિરુદની વાત લખી હોય એવું તેમની જાણમાં નથી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં પણ એવો કોઈ ઉલ્લેખ નથી.

• ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’ – એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા’માં મેઘાણીએ આત્મસાત્‌ કરેલી મહી કાંઠાની ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની ૧૯૪૭થી ૧૯૬૭ સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.

• મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા – એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજના છેવાડાના ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.

• મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય.

• મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.

• નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની – સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.

મેઘાણી સવા શતાબ્દી નિમિત્તે મુખ્ય મંત્રીએ ચોટીલામાં મેઘાણીના સ્મારક માટે રૂ. પાંચ કરોડ ફાળવ્યા છે, પરંતુ વર્તમાન સરકારની કોઈને યાદ કરવાની પદ્ધતિ એવી ખતરનાક છે કે આવી જાહેરાતોથી આનંદ થાય એના કરતાં વધારે ફાળ પડે છે. મેઘાણીને તેમના અસલી સ્વરૂપે મળવા ઇચ્છતાં રસિકજનો અશોક મેઘાણીએ સાતેક વર્ષ પહેલાં તૈયાર કરેલી વેબસાઇટ meghani.com, પિનાકી મેઘાણીએ તૈયાર કરેલી વેબસાઇટ jhaverchandmeghani.org, અપૂર્વ આશરની e- shabda.com અને ગુજરાત સરકાર તરફથી સવાસોમી જન્મ જયંતી નિમિત્તે તૈયાર કરાવાયેલી વેબસાઇટ meghani125.comની મુલાકાત લઈને તેમનું પ્રચલિત સિવાય સાહિત્યનું પણ વાંચી શકે છે. આ રીતે મેઘાણીનાં વિવિધ સ્વરૂપો જાણવાના પરિણામે ભાવક તરીકે મનમાં મેઘાણીનું જે સ્મારક ઊભું થાય, તે સાચું.

E-mail : uakothari@gmail.com 


સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 01-02

Loading

18 September 2021 admin
← પાડ માનો ડેલ્ટા વેરિયન્ટનો
ધર્મનો રાજકીય ઉપયોગ કરવો જરૂરી હોય તો શું કરવું જોઈએ ? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved