Opinion Magazine
Number of visits: 9449227
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસંત-રજબ શહાદત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 July 2021

આ વખતે પહેલી જુલાઈનો વસંત-રજબ શહાદત દિવસ, ‘ગુજરાત ટુડે’ના આગોતરા અહેવાલને પગલે એક સરસ સમાચાર લઈને આવ્યો કે ચારતોડા કબ્રસ્તાન(ગોમતીપર)માં ઉપેક્ષિત શી પડેલી ને વળી દબાણ’નો ભોગ બનેલી રજબઅલીની મજાર હવે નવાં રૂપરંગ સાથે આપણ સૌની સમક્ષ કોમી સૌહાર્દની મશાલ અને મિસાલ રૂપે આવશે. અખબારી અહેવાલને પગલે ધારાસભ્ય ખેડાવાલા તેમ જ કૉર્પોરેટરો ઇકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે મજારને એનું નૂર ફેર અપાવવા જે કોશિશ શરૂ કરી છે, તે પ્રજાકીય કૃતજ્ઞતાની દૃષ્ટિએ ભલે મોડું પણ રૂડું પગલું લેખાશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાને પગલે ગાંધી-માર્ક્સ એમ સઘળે છેડેથી કર્મશીલ બૌદ્ધિકોને જાગૃત નાગરિકો એકત્ર આવ્યા અને એમણે અમદાવાદમાં રાજ્યસ્તરના વિશાળ અધિવેશન વાટે મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રસી(એમએસડી : સેક્યુલર લોકશાહી આંદોલન)નો સૂત્રપાત કર્યો તે પછી તરતનાં વર્ષોમાં સૂઝી રહેલો એક વિગતમુદ્દો એ હતો કે વસંત-રજબની શહાદત જેવી ઇતિહાસ ઘટનાઓની સ્મૃતિ તાજી રાખવી જોઈએ. ત્યારથી પ્રતિવર્ષ જમાલપુર ખાંડની શેરીએ પહેલી જુલાઈએ એકત્ર મળવાનું શરૂ થયું. અલબત્ત, અમે કંઈ પહેલા હતા એમ તો નહોતું. વસંતરાવ અને રજબઅલી બેઉ આઝાદીપૂર્વે કૉઁગ્રેસ સેવાદળના સમર્પિત સૈનિકો હતા, એ કર્તવ્યનો સાદ સુણી એમણે જીવનની આહુતિ આપી જાણી હતી. એટલે સેવાદળે ખાંડની શેરીએ પ્રતિવર્ષની માનવંદના મુલાકાતનો એક સિલસિલો જરૂર ચાલુ રાખ્યો હતો, અને એ માટે એને સલામ ઘટે છે. માત્ર, વર્ષો વીતતાં ગયા તેમ સેવાદળનું બળ સહજક્રમે ઓસરતું ગયું અને ધીરે-ધીરે રસમ ચાલુ રહી પણ ફરતેનું ભામંડળ જાણે કે ઓજપાઈ ગયું. દરમિયાન, સેક્યુલર લોકશાહી આંદોલનના પ્રવેશ સાથે સેવાદળને ય સોબતી અને સધિયારો મળ્યો અને ખાંડની શેરીનું આ સંગમતીર્થ એકદમ જાગતું ને ગાજતું થઈ ગયું. કૉર્પોરેશન પણ સફાળું જાગ્યું અને સ્મારકવત્‌ કશુંક ખડું પણ થઈ ગયું.

વસંતરાવનાં બહેન હેમલતા હેગિષ્ટે જે પછીથી, જાહેરજીવનમાં, જ્યોતિસંઘના અગ્રણી લેખે ઝળક્યાં હતાં, એમણે નોંધ્યું છે કે ખાંડની શેરીએથી બેઉ બંધુઓનાં મૃતદેહ ખસેડાઈ રહ્યાં હતાં ત્યારે જ એક ગણગણાટ સહેજ ઊઠ્યો ન ઊઠ્યો ને શમી ગયો હતો કે બંનેના અંતિમ સંસ્કાર સાથે જ કરવા જોઈએ. અલબત્ત, સહજ હતું તેમ એ શક્ય ન બન્યું અને એકને સારુ સ્મશાન તો બીજાને સારુ કબ્રસ્તાન એ રૂઢિગત નિયતિ બની રહી. શહાદતને સ્થળે સ્મારક બન્યું ખરું, પણ રજબઅલીની મજાર બિલકુલ વિસ્મૃતવત્‌ બની ગઈ. રજબઅલીના પરિવારના મોટા ભાગના સભ્યો ઉત્તરોત્તર વકરતા કોમવાદ વચ્ચે આશંકિત ને આતંકિત શા બની રહ્યા, અને એમણે લગભગ ખૂણો પાળ્યો. નવી ઓળખમાં એમણે સલામતી શોધી, એ આપણા સામાજિક વાસ્તવની એક દુર્દૈવ સાહેદી છે.

જેટલું આપણે વસંતરાવના જીવન વિશે જાણીએ છીએ, એના પ્રમાણમાં રજબઅલી વિશે આપણી જાણકારી ખરે જ ઓછી છે. મહારાષ્ટ્રથી અહીં વસી ગયેલા હેગિષ્ટે પરિવારને સારુ અમદાવાદ એ પેઢાનપેઢી વતન જ બની રહ્યું હતું. એથી ઊલટું, રજબઅલી શહાદતનાં છેલ્લાં થોડાં સમય પર જ અમદાવાદ આવી વસ્યા હતા. હેગિષ્ટે પરિવાર જેવાં મૂળિયાં ને વ્યાપ એમનાં નહોતા .. બંનેની અભિન્ન મિત્રતા બલકે કર્મબાંધવી એક મિસાલરૂપ હતી એ જુદી વાત છે.

રજબઅલી સૌરાષ્ટ્રના. લીંબડીનું કુટુંબ. ભાવનગરમાં અને કરાચીમાં ભણતર. – રવિશંકર મહારાજની પરંપરામાં આવેલા ગ્રામસેવક બબલભાઈએ લખ્યું છે કે એમને યુવા રજબનો પ્રથમ પરિચય કરાંચીમાં થયો હતો. દાંડીકૂચ પછી જેલમાંથી બહાર આવ્યા બાદ બબલભાઈ કોઈ ગામડું શોધી એમાં રચનાકાર્યમાં ખૂંપી જવાનું વિચારતા હતા, તે પૂર્વે કરાંચીમાં પરિવારને મળી લેવું જોઈએ એ ખ્યાલે તે કરાંચી ગયા ત્યારે ત્યાંની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શિક્ષણસંસ્થા શારદામંદિરમાં જનજાગૃતિ માટેના એક પ્રદર્શનમાં એ હાથ બટાવવા ગયા, તે વખતે હજુ છાત્ર એવા રજબનો, એની હોંશીલી ભાવનામૂર્તિનો હૃદ્ય પરિચય થયાનું એમણે નોંધ્યું છે.

ભાવનગર દિવસોમાં પ્રિ. શહાણીએ, વલ્લભભાઈની કૉલેજ-મુલાકાત વખતે રજબઅલીને એક હોનહાર વિદ્યાર્થી તરીકે ઓળખાવ્યા હતા. વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી, જયાબહેન શાહ એ સૌ તરુણ કાર્યકરો તેમ પછીથી ‘સમય’ થકી પત્રકાર તરીકે ઝળકેલા સહપાઠી ભાનુભાઈ શુકલ વગેરે સાથેનો રજબનો કાર્યપરિચય ત્યારે જામ્યો. ધીમેધીમે, કેન્દ્ર અમદાવાદ ખસેડવું એવું એમને થયું અને રજબઅલીની પ્રતિભા જોતાં સાથીઓને તો એમ પણ લાગતું કે જે રીતે કૉંગ્રેસપ્રમુખ જવાહરલાલ નહેરુએ જયપ્રકાશ અને લોહિયા જેવા યુવાનોને સ્વરાજલડતની કેન્દ્રીય કચેરીમાં જોતર્યા હતા, એ જ રીતે રજબ જેવા પણ આગળ જતાં ઝળકી ઊઠશે.

ખેર, અહીં આખી દાસ્તાંમાં જવાનો ખ્યાલ નથી. ૨૦૦૬માં ૧૯૪૬ની વસંત-રજબ શહાદતને સાઠ વરસ થયાં, ત્યારે પરિચય પુસ્તિકામાં મેં વસંતરાવની જોડાજોડ રજબઅલીનીયે કંઈક જીવનરેખા આલેખી હતી. ઓણ, પહેલી જુલાઈએ એમની શહાદતને પંચોતેરમું વરસ બેઠું. હવે એ પુસ્તિકાનું સંવર્ધિત સંસ્કરણ, ૨૦૨૨ના જુલાઈમાં પંચોતેર વરસ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે આવે એવો મનસૂબો છે. દરમિયાન જો કે જયંતી દલાલ ને ઇન્દ્રવદન ઠાકોર આદિ વસંત-રજબ સમકાલીનોની આરંભિક પહેલ બાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ શરૂનાં વર્ષોમાં બહાર પાડેલ સ્મૃતિગ્રંથ અલભ્ય હતો, તે રિઝવાન કાદરીની કોશિશથી પુનઃપ્રાપ્ય બન્યો છે, એ અહીં સાનંદ સંભારવું જોઈએ.

પ્રશ્ન એ પડને જાગતું રાખવાનો છે, જેમાં સંચિત મૂલ્યો સારુ આ મિત્રોએ સર્વોચ્ચ કુરબાની આપી. આપણે એમને કોમી એકતાના બલિદાની વીરો તરીકે બિરદાવીએ છીએ અને એ વાત ખોટી અલબત્ત નથી, પણ જે સમજવાનું છે તે એ કે એમની કુરબાની કોઈ ક્ષણાવેશનો મામલો નહોતી. કોમી એકતા એમના સ્વરાજદર્શનનો અંગભૂત હિસ્સો હતી એ સાચું; પણ જેમાં સ્વતંત્રતા અને સમાનતા એકબીજાને શોધિત-વર્ધિત કરતાં રહે એવું સંપોષિત સ્વરાજદર્શન એમનું હતું. વિકાસની જે તરાહ આપણે પકડી છે, એમાં એ ક્યાં છે? રાષ્ટ્રની જે વ્યાખ્યા સત્તાપક્ષ દ્વારા કરાઈ રહી છે, એમાં એ ક્યાં છે? સ્વરાજનું પંચોતેરમું વરસ, વસંત-રજબની શહાદતને પંચોતેરમે વરસે જાગતા આ સવાલોનો જવાબ માગે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 05

Loading

15 July 2021 admin
← તન અથવા મન કે તનમન બંને ?
વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની ભલાઈ પર અને શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓની મલાઈ પર નભે છે … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved