Opinion Magazine
Number of visits: 9449174
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતે મહામારીના દિવસોમાં પણ મહામારીના મહોત્સવ ઉજવ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|6 June 2021

૧૬મી જાન્યુઆરીએ વડા પ્રધાને ટીકા મહોત્સવ યોજ્યો ત્યારે તેમણે ગર્વ સાથે જાહેરાત કરી હતી કે કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને બતાવી આપ્યું છે. હા, આ જ શબ્દોમાં તેમણે આવી જાહેરાત કરી હતી. (હિંમતને દાદ આપવી જોઈએ) તેમણે કહ્યું હતું કે ભારતમાં ૨૦૨૧ના અંત સુધીમાં જેને કોરોનાપ્રતિકારક રસી આપવી જરૂરી છે તેને આપી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અસંવેદનશીલ સ્વાર્થી દેશ નથી, પરંતુ દુનિયાનું દર્દ સમજે છે એટલે જે દેશો કોરોનાની રસી વિકસાવી શકે એમ નથી એવા વિશ્વના ગરીબ દેશોને ભારત કોરોનાપ્રતિકારક રસી આપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત વિશ્વની ઔષધશાળા (વર્લ્ડ ફાર્મસી) છે. નાની વાત અને નાના દાવા કરવાના નહીં અને મહોત્સવ યોજવાનું ચૂકવાનું નહીં. જગતમાં એક માત્ર ભારત એવો દેશ છે મહામારીના દિવસોમાં મહામારીના મહોત્સવ ઉજવ્યા છે.

હવે ગયા લેખમાં કહ્યું હતું એમ કમસેકમ રસીની બાબતે વડા પ્રધાને જે દાવા કર્યા હતા અને જે મનોરથ સેવ્યા હતા એને સાકાર કરવામાં બહુ મુશ્કેલી નહોતી. જો ગંભીરતાપૂર્વક પ્રયાસ કર્યા હોત તો એ સિદ્ધિ મેળવવી શક્ય હતી. સવાલ એ છે કે જો એ શક્ય હતું તો એ કઈ રીતે શક્ય હતું અને બીજો સવાલ એ છે કે જો એ શક્ય હતું તો શક્ય બન્યું કેમ નહીં? એવું શું બન્યું કે શક્યને પણ વડા પ્રધાન અને તેમની સરકાર શક્ય બનાવી શક્યા નહીં?

પહેલો સવાલ પહેલા હાથ ધરીએ. ભારતની વસ્તી એક અબજ ૪૦ કરોડની છે. અત્યારે દસ વરસથી મોટી ઉંમરના બાળકોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગી રહ્યો છે એટલે મોટામોટા અંદાજ મુજબ એક અબજ ૨૦ કરોડ લોકોને કોરોના પ્રતિકારક રસી આપવી પડે એમ છે. હવે ૧૬મી જાન્યુઆરીના વડા પ્રધાનના દાવા અને મનોરથ મુજબ ૨૦૨૧ના બાકી રહેલા ૩૫૦ દિવસમાં જો દેશના એક અબજ ૨૦ કરોડ લોકોને રસીના બે ડોઝ આપવાના હોય તો બે અબજ ૪૦ કરોડ ડોઝની જરૂર પડે. આ સિવાય વડા પ્રધાન કહે છે એમ ભારત એક સંવેદનશીલ જવાબદાર દેશ છે એટલે વિશ્વના ગરીબ દેશોના વધુ નહીં તો પાંચ કરોડ ગરીબ લોકોની જવાબદારી લે તો બે ડોઝ લેખે હજુ બીજા દસ કરોડ ડોઝની જરૂર પડે. આમ ભારતે વરસના અંત સુધીમાં કોરોનાપ્રતિકારક રસીના બે અબજ ૫૦ કરોડ ડોઝની જરૂર પડે. આનો અર્થ એ થયો કે ભારતે પ્રતિદિન રસીના ૭૨ લાખ ડોઝનું ઉત્પાદન કરવું પડે. 

આ થયું જરૂરિયાતનું ગણિત.

courtesy : Sandeep Adhwaryu, "The Times of India", 04 June 2021

ગયા વર્ષના પ્રારંભમાં કોરોનાની મહામારી શરૂ થઈ એ પછી વિશ્વના અનેક દેશોની આરોગ્ય સંસ્થાઓએ અને ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કોરોનાપ્રતિકારક રસી વિકસાવવાનું શરૂ કર્યું હતું. ભારત સરકારે પણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીને રસી વિકસાવવાનું કહ્યું હતું. આ બન્ને સંસ્થાઓ સરકારની માલિકીની છે. અભ્યાસી વાચકોને જાણ હશે કે ગયા વરસના જુલાઈ-ઓગસ્ટ મહિનામાં સુધીમાં એટલું સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતે કોઈ પણ પ્રકારની વિદેશી સહાય વિના પોતાની રસી વિકસાવવામાં સફળ થઈ શકે એમ છે. વિશ્વના બીજા દેશોમાં જે પ્રયાસો ચાલતા હતા તેની વાત કરીએ તો રસી વિકસાવવામાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અગ્રેસર હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એ જ અરસામાં એસ્ટ્રાઝેનેકા નામની ફાર્મા કંપની સાથે કરાર પણ કરી લીધો હતો કે જો રસી સફળ નીવડશે તો એસ્ટ્રાઝેનેકા તેનું ઉપ્તાદન કરશે અને વિશ્વના બીજા દેશોને કે વિશ્વની બીજી ફાર્માસ્યુટિકલ કંપનીઓને ઉત્પાદનના લાયસન્સ વેચશે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટે આ રીતે ભારતમાં ઓક્સફર્ડની રસી બનાવવાનું અને વેચવાનું લાયસન્સ લીધું હતું. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ‘કોવિશીલ્ડ’ નામે રસી બનાવે છે અને વેચે છે.

હવે અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે જે દેશને વરસમાં થોડાઘણા નહીં, પણ અઢી અબજ ડોઝની જરૂર પડવાની હતી એ દેશની વેક્સીન પોલીસી કેવી હોવી જોઈએ? કોઈ જવાબદાર અને આવડતવાળા શાસકો હોય તો શું કરે? તમે હો તો શું કરો? જવાબ બહુ સરળ છે. એક તો એ કે ભારતની બે સરકારી સંસ્થાઓએ જે રસી વિકસાવી હતી તેનું ઉત્પાદન કરવાનો પરવાનો (લાયસન્સ) છૂટા હાથે આપે. ભારતમાં જેટલી ખાનગી કંપનીઓ અને સરકારી સંસ્થાઓ રસીનું ઉત્પાદન કરી શકે એમ હોય તેને ઉત્પાદન કરવાનો પરવાનો આપે. ભારતમાં મુંબઈની હાફકીન ઇન્સ્ટિટ્યૂટ જેવી અડધો ડઝન સરકારી સંસ્થાઓ એવી છે જે વેક્સીન બનાવવાનું કામ કરે છે.  આ સિવાય ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓને લાયસન્સ આપે. આ સિવાય શાસકો જો શાણા અને પ્રજાલક્ષી હોય તો ભારત સરકાર ઓક્સફર્ડની રસીનું ભારતમાં ઉત્પાદન કરવાનું લાયસન્સ ખરીદી લેત અને ભારતની ખાનગી ફાર્મા કંપનીઓને ઉત્પાદન કરવા માટેની જોગવાઈ કરી આપત. આ એક મિશન હતું અને મિશન યુદ્ધના ધોરણે હાથ ધરવાનું હોય. એમાં નફા-નુકસાનની ગણતરી માંડવાની ન હોય. હકીકત તો એ છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી રસી ઉત્પાદનના લાયસન્સ વેચીને પૈસા કમાઈ હોત અને ભારત સરકાર પણ ઓક્સફર્ડના લાયસન્સ મેળવી-વેચીને ખર્ચો કાઢી લીધો હોત. એટલી સમજ તો નાના છોકરાને પણ હોય કે કોઈ એક કે બે કંપની અઢી અબજ રસી એક વરસમાં ન બનાવી શકે. સાવ સાદી સમજનો દાખલો છે. નથી?

પણ ભારત સરકારે શું કર્યું? સરકારી સંસ્થાઓએ વિકસાવેલી રસીનું ઉત્પાદન કરવાનું લાયસન્સ એક માત્ર ભારત બાયોટેક નામની કંપનીને આપ્યું જેણે અત્યાર સુધીમાં માત્ર બે કરોડ ચાલીસ લાખ ડોઝનું ઉત્પાદન કર્યું છે. ૧૬મી જાન્યુઆરીથી આજ સુધીના ૧૪૦ દિવસમાં બે કરોડ ચાલીસ લાખ એટલે કે પ્રતિદિન એક લાખ ૭૧ હજાર ડોઝ. આપણે ઉપર ગણતરી માંડી એ મુજબ દેશની દૈનિક જરૂરિયાત કેટલી છે? ૭૨ લાખ ડોઝ પ્રતિદિન. ક્યાં ૭૨ લાખ ડોઝ અને ક્યાં પોણા બે લાખ ડોઝ. શા માટે ભારત સરકારે એક જ કંપનીને લાયસન્સ આપ્યું અને એ પણ એવી કંપનીને જેનામાં વિશાળ ઉત્પાદન કરવાની ક્ષમતા જ નથી? આની સામે સીરમ ઇન્સ્ટિટ્યૂટે અત્યાર સુધીમાં પ્રતિદિન ૧૩ લાખ ૫૭ હજાર ડોઝ લેખે ૧૯ કરોડ ડોઝ આપ્યા છે. બન્ને કંપનીએ અત્યાર સુધીમાં ઉત્પાદિત કરેલા વેક્સીન ડોઝનો સરવાળો કરો તો પ્રતિદિન ૧૫ લાખ ડોઝ માંડ થાય છે અને જરૂરિયાત છે ૭૨ લાખ ડોઝની. ૧૪૦ દિવસમાં દેશની માત્ર ૩.૩ ટકા વસ્તીને જ કોરોનાપ્રતિકારક રસીના બન્ને ડોઝ મળ્યા છે.

હવે તમે જ ગણતરી માંડો કે આ દરે જો દેશની પ્રજાને વેક્સીન આપવામાં આવશે તો દેશની સમગ્ર પ્રજાને વેક્સીન દ્વારા સુરક્ષિત કરતા કેટલાં વરસ લાગશે? બે દાયકા ઓછામાં ઓછા. તો પછી કયા ભરોસે વડા પ્રધાને એવી શેખી મારી હતી જે આ લેખના પ્રારંભમાં ટાંકવામાં આવી છે. શા માટે આગળ કહ્યું એમ જે શક્ય હતું તેને પણ વડા પ્રધાન અને તેમની સરકાર સાકાર કરી શક્યા નહીં?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 જૂન 2021

Loading

6 June 2021 admin
← પુન:કલ્પના, પુનર્નિર્માણ, પુન:સ્થાપન
કોર્ટ એમ ઈચ્છે છે કે લોકો હવે ન્યાયની આશા ન રાખે? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved