Opinion Magazine
Number of visits: 9448792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકેડેમિક દુનિયાના માણસ પ્રતાપ ભાનુ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 March 2021

મને ખાતરી છે કે મારી આ કોલમના ૯૦ ટકા વાચકોએ પ્રતાપ ભાનુ મહેતાનું નામ નહીં સાંભળ્યું હોય. તેઓ ભારતના અવ્વલ દરજ્જાના રાજકીય વિચારક છે અને જગતમાં એ રીતની પ્રતિષ્ઠા ધરાવે છે એ છતાં ય. આનું કારણ એ છે કે તેઓ અંગ્રેજીમાં લખે છે અને એ પણ સામાન્ય વાચક માટે થોડું અઘરું પડે એ રીતનું લખે છે. પ્રતાપ ભાનુ મહેતા ટી.વી.ની રીડિયારમણ કરનારી ડિબેટોમાં ભાગ લેવા નથી જતા એટલે કેટલાક વાચકોને તો તેમનું નામ સાંભળીને તેમનો ચહેરો પણ નજર સમક્ષ નહીં આવતો હોય. પ્રતાપ ભાનુ મહેતા અરુણ શૌરી કે યોગેન્દ્ર યાદવની માફક વિદ્વાન હોવા છતાં જાહેરજીવનમાં સક્રિય પણ નથી. તેઓ પુસ્તકો, યુનિવર્સિટીના કેમ્પસ અને વિદ્યાર્થીઓની વચ્ચે જીવનારા માણસ છે. ટૂંકમાં તેઓ એકેડેમિક દુનિયાના માણસ છે.

આ માણસને પહેલા તો દેશની કદાચ સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ખાનગી યુનિવર્સિટી અશોકા યુનિવર્સિટીના ઉપ-કુલપતિપદેથી હટાવવામાં આવ્યા. દેશમાં થોડીઘણી ચર્ચા થઈ અને વાત ભુલાઈ ગઈ. હમણાં કહ્યું એમ તેઓ રઘુરામ રાજન કે અમર્ત્ય સેન જેવા જાણીતા માણસ તો છે નહીં કે બહુ મોટો ઊહાપોહ થાય! બીજું ઊહાપોહ કરનારાઓ પણ કેટલા ઓછા છે! દેશમાં જે થોડાક ઉદારમતવાદી સેક્યુલર પત્રકારો બચ્યા છે, એમણે ઊહાપોહ કર્યો હતો જે લોકો સુધી પહોંચ્યો પણ નહોતો. ત્રીજું ઊહાપોહને લોકો સુધી પહોંચાડવા માટે તેમની પાસે સાધન પણ ક્યાં છે? મોટા ભાગના મીડિયા વેચાઈ ગયેલા છે અથવા ડરેલા છે. એટલે ઊહાપોહ કરનારાઓનો ઊહાપોહ પણ લોકો સુધી પહોંચતો નથી. આને કારણે સમાજવિજ્ઞાનના વિશ્વપ્રસિદ્ધ વિચારકને પ્રતિષ્ઠિત અશોકા યુનિવર્સિટીના ઉપ-કુલપતિપદેથી હટાવવામાં આવ્યા એ ઘટના લોકો સુધી પહોંચી પણ નથી.

ખુલ્લા સમાજ ઉપર કુઠારાઘાત કરનારી ઘટના હતી તો બહુ મોટી, પણ દેશમાં ઘોંઘાટ પેદા કરીને અવાજોને લોકોના કાને નહીં પડવા દેવાની વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે દેશમાં પાંદડું પણ હાલ્યું નહીં અને પ્રતાપ ભાનુ મહેતાને તગેડી મુકવાની ઘટના ઘોંઘાટમાં ખોવાઈ ગઈ. હવે પ્રતાપ ભાનુ મહેતાને અશોકા યુનીવર્સીટીના પ્રાધ્યાપકના પદેથી પણ હટાવવામાં આવ્યા છે. તેઓ યુનિવર્સિટીનું નેતૃત્વ તો નહીં કરે, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવી પણ નહીં શકે. શા માટે તેમને હટાવવામાં આવ્યા?

પહેલી ઘટના કરતાં આ બીજી ઘટના વધારે મોટી છે. પ્રતાપ ભાનુ મહેતા અને લિબરલ સોસાયટી માટે નહીં, પણ જેઓ અવાજોને દબાવી દઈને હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે તેમને માટે આ મોટી ઘટના છે. જેને કોઈ ઓળખતું નથી, જે સામાન્ય નાગરિકની ભાષામાં અને સામાન્ય નાગરિક સમજી શકે એવી ભાષામાં લખતો નથી, જેની પીપૂડી લોકો સુધી પહોંચતી નથી, જેની પાછળ સમર્થકોનાં ટોળાં નથી એનો એવો તે કેવો ડર કે એ વિદ્યાર્થીઓને ભણાવી પણ ન શકે!

જરૂર એ ઋજુ અવાજમાં એવું કશુંક છે જેને સમર્થકોનાં ટોળાંઓ અને ઘોંઘાટો ઢબૂરી શકવાના નથી, ઢબૂરી શકતા નથી. શું છે એ? એ છે સત્ય. પ્રતાપ ભાનુ મહેતા અને તેમના જેવા બીજાઓ નિરક્ષીર વિવેક કરી આપે છે. તમે જેને ખીર સમજો છો એ હકીકતમાં પાણી છે એ તર્ક શુદ્ધ દલીલો સાથે સમજાવે છે. શાસકોને આ વાતનો ડર લાગે છે. પ્રચંડ શક્તિશાળીઓ શક્તિશાળી હોવાનો દેખાવ અને દાવો કરતા હોવા છતાં એક પ્રોફેસરથી ડરે છે. નહીં તો કોણ છે પ્રતાપ ભાનુ મહેતા? કોણ ઓળખે છે એમને? સત્યના એ સાત્ત્વિક ઋજુ અવાજની પોતાની એક તાકાત છે જે શાસકોને સતાવે છે. માટે મેં કહ્યું છે કે આ ઘટના બહુ મોટી છે. લિબરલ સોસાયટી માટે નહીં પણ જેઓ હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માંગે છે તેમને માટે આ મોટી ઘટના છે. સાત્ત્વિક સત્ય તેમને સતાવે છે. શક્તિશાળીઓને સતાવે છે.

ગ્રીસમાં સોક્રેટિસે પોતાને ઢોરને વળગતી બગાઈ સાથે સરખાવ્યો હતો. બગાઈ ઢોરને પરેશાન કરી મૂકે પણ છોડે નહીં એમ સોક્રેટિસે એથેન્સના શાસકોને કહ્યું હતું કે તે સવાલ કરતો રહેવાનો છે. લોકો વિચારે, શંકા કરે, સવાલ પૂછે અને પોતાની બુદ્ધિથી વિવેક કરે એ હું શીખવાડવાનો છું. એથેન્સના શાસકોએ સોક્રેટિસને ઝેર આપીને મારી નાખ્યો હતો, પણ દુનિયા ત્યારથી લઈને આજ સુધી સોક્રેટિસ વિનાની થઈ નથી. થતી જ નથી. દરેક યુગમાં અને દરેક સમાજમાં સોક્રેટિસ પેદા થઈ જ રહ્યા છે. અનેક અવાજોની હત્યા કરાઈ, ઘોંઘાટ દ્વારા ઢબૂરી દેવાના પ્રયાસ થયા પણ સાત્ત્વિક ઋજુ અવાજ કાન સુધી પહોંચી જ જાય છે.

કદાચ શાસકો શાપિત હોવા જોઈએ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 માર્ચ 2021

Loading

28 March 2021 admin
← ન આવે કવિતા કોઇ
બંગાળની ચૂંટણી અને ટાગોરના રાષ્ટ્રવાદનો ખ્યાલ … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved