Opinion Magazine
Number of visits: 9446159
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંદોલનની દિશા અને દિશાની ટૂલકીટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 February 2021

દેશના રાજકારણમાં છેલ્લા અમુક સમયથી એક શબ્દ પ્રચલિત બન્યો છે; નેરેટિવ. ગુજરાતીમાં તેના માટે કોઈ ઉચિત શબ્દ નથી. નેરેટિવ માટે નજીકનો શબ્દ વાર્તા છે, પરંતુ વાર્તા તો કાલ્પનિક હોય છે, જ્યારે નેરેટિવમાં વાસ્તવિકતાનું અર્થઘટન હોય છે. શબ્દકોશના અર્થ પ્રમાણે નેરેટિવ એટલે સંબંધિત ઘટનાઓ કે અનુભવોનું વર્ણન. એ અર્થમાં નેરેટિવને અંદાજે-બયાન કહી શકાય; કોઈ ઘટનાને અમુક ચોક્કસ અંદાજથી બયાન કરવી તે.

૧૭મી તારીખે પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામોમાં ભા.જ.પ.નો સંપૂર્ણ સફાયો થયાના સમાચાર આવી રહ્યા હતા, ત્યારે દિલ્હીમાં પક્ષની કેન્દ્રીય નેતાગીરી પહેલીવાર સફાળી જાગી રહી હતી કે ૧૦૦મા દિવસ તરફ કૂચ કરી રહેલા ખેડૂત અંદોલનના કારણે તે નેરેટિવની લડાઈ હારી ગઈ છે. ૧૬મી તારીખે હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના ભા.જ.પ.ના નેતાઓ પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા. મુખ્ય મુદ્દો કહો કે ચિંતાનો વિષય કહો, મંત્રણા એ વાતને લઇને હતી કે ત્રણે રાજ્યોમાં જાટ લોકોના પ્રભુત્વવાળી ૪૦ લોકસભા બેઠકો પર અંદોલનની વિપરીત અસર પડી રહી છે, તેને કેવી રીતે ખાળવી.

ત્રણ કૃષિ કાનૂનોના વિરોધનું આ અંદોલન, જે 'મુઠ્ઠીભર ખેડૂતો'ની દિલ્હી કૂચ સાથે શરૂ થયું હતું, તે ખાલિસ્તાનીઓ, ત્રાસવાદીઓ, દેશદ્રોહીઓ, આંદોલનજીવીઓ અને આંતરરાષ્ટ્રીય કાવતરાખોરોનાં અલગ-અલગ નેરેટિવમાંથી પસાર થઈને ત્રણે રાજ્યોમાં યોજાઈ રહેલી જબરદસ્ત મહા પંચાયતોમાં જાટ ગૌરવ પર આવીને અટક્યું છે.

જે જાટ મતોથી ભા.જ.પ.ને જીત હાંસલ થઇ હતી, તે જાટ ખેડૂતો પહેલીવાર ભા.જ.પ.થી દૂર જઈ રહ્યા હોવાની ચિંતા શરૂ થઇ છે, એટલે નેતાઓની બેઠકમાં નક્કી થયું કે આ જાટ બહુમતીવાળા વિસ્તારોમાં નેરેટિવ બદલવું પડશે. નાગરિકતા કાનૂનમાં કર્યું હતું તેમ, દોઢ મહિના પહેલાં ભા.જ.પ.ના સંગઠને દેશભરમાં કૃષિ કાનૂનોના સમર્થનમાં રેલીઓનું આયોજન કર્યું હતું. નેરેટિવ બદલવાનો એ વિચાર માત્ર વિચારના સ્તરે જ રહ્યો હતો.

મોદી સરકારે બહુમતીના જોરે ત્રણ કાનૂનો પસાર કરાવી દીધા ત્યારે, અને તેના વિરોધમાં તેના સૌથી જૂના સાથી અકાલી દળે છેડો ફાડ્યો ત્યારે, તેને અંદાજ પણ નહીં હોય કે તેને આંતરરાષ્ટ્રીય પોપસ્ટાર અને પર્યાવરણવાદી છોકરીઓ સામે લડવું પડશે અને દિલ્હી પોલિસ ટૂલકીટ નામના ગૂગલ ડોક્યુમેન્ટનાં ડિજીટલ પાનાં વાંચતી હશે. કોઈ દેશની એક પ્રાઈવેટ નાગરિકની એક જ લાઈનની ટ્વીટ ('આપણે આ અંદોલનની ચર્ચા કેમ કરતા નથી?') પર બીજા દેશનું વિદેશ મંત્રાલય સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપે, એ હોંશિયારી હતી કે નાદાની તે આજ સુધી રહસ્ય છે.

ગણતંત્ર દિવસના રોજ લાલ કિલ્લા પર જે હિંસા થઇ, ત્યારે લાગતું હતું કે અંદોલન સમેટાઈ જશે. ઇન ફેક્ટ, રાકેશ ટીકૈત અને બીજા ખેડૂત નેતાઓએ બીજા દિવસે દિલ્હીની સરહદો પરથી બિસ્તરા-પોટલા સંકેલી લેવાની તૈયારી પણ કરી લીધી હતી, પરંતુ એક સાથે બે નિર્ણાયક ઘટના બની. ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રએ ખેડૂતોના વાવટાઓ ઊતારી લેવા પોલિસ ફોજ ખડકી દીધી, અને 'સ્થાનિક લોકો'એ સરહદ ખાલી કરાવવા માટે ખેડૂતોને મારવાની તૈયારી કરી.

આ જોઇને રાકેશ ટીકૈત ટેલિવિઝન કેમરાઓ સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. રાકેશ ટીકૈત એક મામૂલી ખેડૂત નેતા છે અને તેને ધમકાવીને ખદેડી મુકાય છે તેવી ગણતરી ખરાબ રીતે ઊંધી વળી ગઈ. એ જ રાતે પંજાબ અને બીજા રાજ્યોમાંથી ટ્રેકટરો ભરીને ખેડૂતો દિલ્હીની સરહદે ઊમટી પડ્યા. લાલ કિલ્લાની શરમજનક ઘટનાથી બદનામ થઇને ખતમ થઇ જવા આવેલું ખેડૂત અંદોલન ફરી જીવતું થઇ ગયું.

બસ, એ દિવસથી સરકારના હાથમાંથી નેરેટિવ નીકળી ગયું, પણ તે કોઈને સમજાય તે પહેલાં સરહદે ખીલાઓ ઠોકવામાં આવ્યા, ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું, ખેડૂતોને પાણી અને વીજળી બંધ કરવામાં આવી, અને લાલ કિલ્લાની હિંસામાં ખેડૂતોને ખાલિસ્તાની ચીતરવાનું શરૂ થયું. આ દાવ ઊંધો પડ્યો. સોશ્યલ મીડિયા મારફતે આ તસ્વીરો દુનિયાભરમાં પહોંચી ગઈ. જે આંદોલનને થોડા દિવસ પહેલાં આસામ કે લદ્દાખમાં કોઈ જાણતું ન હતું તેની ચર્ચા અમેરિકા અને સ્વીડનમાં હતી.

બીજી તરફ, ૧૫૦ ખેડૂતોના મોત સાથે આંદોલન પંજાબ અને દિલ્હીની સીમાએથી બહાર નીકળીને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાઈ ગયું હતું. ખેડૂતો આટલી લાંબી ટક્કર આપશે, તેનો સરકારમાં કોઈને અંદાજ ન હતો. ટ્વીટર પર સરકારની રીસ ઊતરી તેની પાછળ આ માઈક્રોબ્લોગીંગ સાઈટ પર કાર્યરત સ્વતંત્ર પત્રકારો અને સામાજિક કાર્યકરો હતા, જે લગાતાર ખેડૂત આંદોલનને એક એક ચીજનું રિપોર્ટીંગ કરી રહ્યા હતા. માહિતી-પ્રસારણ વિભાગે ટ્વીટરને આદેશ કર્યો હતો અમુક કે દેશ-વિરોધી એકાઉન્ટ અને ટ્વીટસ હટાવી લેવામાં આવે. ટ્વીટરે અમુક એકાઉન્ટ સસ્પેન્ડ કર્યાં, અમુકને પાછા ચાલુ કર્યા અને અમુકની સામે પગલાં ભરવાની સાફ મનાઈ કરી દીધી.

ખેડૂત આંદોલન, જે મૂળભૂત રીતે સરકારે ઘડેલા ત્રણ કાનૂનો સામેનો લોકતાન્ત્રિક વિરોધ હતો, તે કાનૂન-વ્યવસ્થાનો મુદ્દો બની ગયું હતું અને સરકાર તેનો ઉકેલ પોલિસ ફરિયાદો અને ધરપકડોમાં શોધતી હતી. તેમાં પોપસ્ટાર રિહાના અને પર્યાવરણવાદી કાર્યકર ગ્રેટા થનબર્ગની ખેડૂતોને ટેકો આપતી ટ્વીટ હાથવગી નીકળી. રિહાનાની ટ્વીટના જવાબમાં તો વિદેશ મંત્રાલય અને લતા મંગેશકર-સચિન તેંદુલકર જેવી સેલિબ્રિટી મેદાનમાં આવી (મહારાષ્ટ્ર સરકારને એવી શંકા છે કે સેલિબ્રિટીઓનું ટ્વીટર હેન્ડલ ભા.જ.પ.ના આઈ.ટી. સેલના હાથમાં છે, અને સેલિબ્રિટીઓની જાણ બહાર તેમના વતીથી એક સરખી ટ્વીટ કરવામાં આવી હતી), પણ ગ્રેટાની ટ્વીટમાં દિલ્હી પોલિસને આંદોલનના નામે હિંસા ફેલાવાનું ષડ્યંત્ર દેખાયું.

ગ્રેટા થનબર્ગ ભારત-વિરોધી કાવતરાની માસ્ટર-માઈન્ડ છે કે નહીં તે પોલિસે કહ્યું નથી, પરંતુ ભારતમાંથી ગ્રેટા સાથે સંપર્કમાં રહેલી ત્રણ વ્યક્તિઓ, બેંગલોરની પર્યાવરણવાદી કાર્યકર દિશા રવિ, મુંબઈની વકીલ નિકિતા જેકબ અને વિદર્ભમાં કાર્યરત શાંતનું મુલુક, સામે દિલ્હી પોલિસે કેસ દર્જ કર્યો છે. ગ્રેટાની તેની ટ્વીટમાં એક ટુલકીટ ટેગ કરી હતી. ટુલકીટ વિરોધ કાર્યકમની રૂપરેખા. જૂના જમાનામાં અંદોલનકારીઓ તેમના કાર્યક્રમોમાં વધુને વધુ જોડાય, તે માટે પેમ્ફલેટ બહાર પાડતા હતા. ટૂલકીટ તેનું ડિજીટલ સ્વરૂપ છે. પોલિસ કહે છે કે દિશા રવિએ એ આ ટૂલકીટ તૈયાર કરીને ગ્રેટાને આપી હતી, જેને ટ્વીટર પર જાહેર કરવામાં આવી હતી. દિશા રવિ હાલ પોલિસની કસ્ટડીમાં છે, અને પોલિસ તેની વોટ્સચેટ્સ, ઈ.મેઈલ્સ, ફોન કોલ્સ મારફતે બીજાં સગડ મેળવી રહી છે.

ખેડૂતો સાથે આંદોલન સમાપ્ત કરવાની ૧૧ મંત્રણાઓ પછી, પોલિસને તેમાં ભારત સરકારને ઉથલાવવાનું અંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર દેખાય છે, તે ચોક્કસ ચિંતાનો વિષય છે, પણ પોલિસે જે ઝડપથી ૨૧ વર્ષની દિશા રવિ પર આખા અંદોલનના કાવતરાનો ભાર નાખી દીધો, તેનાથી વિરોધ પક્ષો, કાનૂનના જાણકારો, બુદ્ધિજીવીઓ સરકાર પર એક જ આરોપ લગાવતા હતા કે કાનૂન પાછા નહીં ખેંચવાની જિદ્દ લઈને બેઠેલી સરકાર તેની સામેના જરા સરખા વિરોધને પણ પોલિસના ડંડાથી દબાવી રહી છે, અને ટૂલકીટ નામના એક સાધારણ ગૂગલ ડોકયુમેન્ટને સરકારને ઉથલાવવાનું ક્રિમીનલ ષડ્યંત્ર ગણાવીને તે અંદોલનની દિશા અને દશા બદલવા માગે છે.

ટૂલકીટ મામલે પોલિસે ફરિયાદ દર્જ કરી, ત્યારે પૂરા મામલામાં ત્રણ સ્થિતિના પ્રકાર સર્જાયાં છે; એક, ખેડૂત અંદોલન દિલ્હીની સીમાઓ અને સરકાર સાથેની મંત્રણાના દૌરમાંથી બહાર નીકળીને મહાપંચાયતોમાં રાજકીય જમાવટ કરવામાં તબદીલ થઇ ગયું છે. બે, પોલિસ હવે તેમાં ખાલિસ્તાની થિયરી શોધી રહી છે. ત્રણ, કેન્દ્ર સરકાર જાટ વોટ બચાવવા માટે મહેનત કરી રહી છે. એક વાત નક્કી છે : આંદોલન સંકેલાઈ જવાની સંભાવનાઓમાંથી દૂર જતું રહ્યું છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 ફેબ્રુઆરી 2021

Loading

24 February 2021 admin
← ગઝલ
સુરેશ જોષીના સમ્પાદનકાર્ય વિશે, સવિશેષે ‘નવોન્મેષ’ અંગે, એક નૉંધ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved