Opinion Magazine
Number of visits: 9446160
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીની આઝાદી માત્ર અંગ્રેજોથી આઝાદી નહોતી !

રમેશ ઓઝા|Opinion - Opinion|17 January 2021

ગાંધીજીએ એકલાએ ભારતને આઝાદી અપાવી, સરદાર પટેલે એકલાએ ભારતનું એકીકરણ કર્યું અને ડૉ. બી. આર. આંબેડકરે એકલાએ ભારતનું બંધારણ ઘડ્યું એ ત્રણેય કથન લગભગ અસત્યની કક્ષાનાં અતિશયોક્તિવાળાં છે. ગાંધીજી ન હોત તો પણ ભારતને આઝાદી મળી હોત, સરદાર ન હોત તો પણ ભારતનું એકીકરણ થયું હોત અને ડૉ. આંબેડકર ન હોત તો પણ ભારતનું બંધારણ એ જ સ્વરૂપનું ઘડાયું હોત જે સ્વરૂપનું આજે છે. આપણે જ્યારે આવાં માત્ર આપણને ગમે અથવા માફક આવે એવાં અતિશયોક્તિભર્યાં નિવેદનો કરીએ છીએ ત્યારે આપણે બીજાને અન્યાય કરીએ છીએ એનું ભાન નથી રહેતું. એકને મોટા બનાવવા માટે બીજાની ઉપેક્ષા કરવી કે નાના ચીતરવા અથવા બદનામ કરવા એ અપરાધ છે.

પણ આપણે આમ કરીએ છીએ અને અજાણતા નહીં, જાણીબૂજીને આમ કરીએ છીએ. ગાંધીજીની પંક્તિમાં બેસાડી શકાય એવો દલિતોને એનો ગાંધી જોઈએ છે, હિન્દુત્વવાદીઓને એનો ગાંધી જોઈએ છે, મરાઠાઓને એનો ગાંધી જોઈએ છે, દરેક સમાજવિશેષને એનો ગાંધી જોઈએ છે અને પાછો ગાંધી તો કોઈનો હતો જ નહીં. એ તો સકળ માનવીય સમાજનો હતો, કોઈ ખંડિત સમાજવિશેષનો નહોતો. ગાંધીજીને નકારવા માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવતા હોવા છતાં તેને નકારી શકાતો નથી એનું કારણ તેની અંદર રહેલી સમગ્રતા છે. સમગ્રતા સામે ખંડિતતા પરાજીત થઈ રહી છે.

ગાંધીજીની સમગ્રતામાં ભારતને સ્થૂળ રાજકીય આઝાદી અપાવવી એ ગૌણ કાર્ય હતું. ફરક એ હતો કે ગાંધીજી જે કામ કરતા એ એટલી પરિણામલક્ષી ચીવટથી કરતા કે લોકોને એમ લાગતું કે ગાંધીજી જે કરી રહ્યા છે એ કામ સારુ જ તેમણે જન્મ લીધો છે. ગાંધીજી આઝાદી માટેની લડતોનું આયોજન એ રીતે કરે કે કોઈને લાગે કે ભારતને આઝાદી અપાવવી એ જ તેમનો એક માત્ર ઉદ્દેશ છે. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણનો પ્રશ્ન એવી રીતે હાથ ધરે કે લોકોને એમ લાગે કે ગાંધીજીએ એને સારુ જન્મ લીધો છે. આવું જ બીજાં કામોની બાબતમાં.

મારી વાચકોને ભલામણ છે કે તેમણે સુભાષચંદ્ર બોઝ દ્વારા લિખિત ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ-૧૯૨૦-૧૯૪૨’ નામનું પુસ્તક વાંચવું જોઈએ. એ પુસ્તક તેમણે એ દિવસોમાં લખ્યું છે જ્યારે આઝાદીની લડતો ચાલતી હતી અને વિરમતી હતી. ગાંધીજી લડતમાં ઢીલ છોડે અને સુભાષબાબુ અકળાઈ જાય. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ, ચરખો, ખેતી, દારુની દુકાનો સામે મહિલાઓના પીકેટીંગ, ખેતીના પ્રયોગ, ખોરાકના પ્રયોગ, કુદરતી ઉપચારના પ્રયોગ, અહિંસાચિંતન, અહિંસક સમાજની રચના માટે આશ્રમજીવનના પ્રયોગો, એકાદશવ્રતના પ્રયોગો વગેરે ભાતભાતનાં ‘અવાંતર’ કામ કરે એ જોઇને સુભાષબાબુ અધીરા થઈ જાય. પાછાં આવાં ‘અવાંતર’ કામ તેઓ એટલી જ તીવ્રતાથી અને ચીવટથી કરે જેટલી ચીવટથી મીઠાનો સત્યાગ્રહ કરે. સુભાષબાબુને વારંવાર એવું લાગે કે આવો વેવલો માણસ ભારતને શું આઝાદી અપાવવાનો હતો અને જ્યારે નમક સત્યાગ્રહનો પ્રભાવ જુએ ત્યારે અભિભૂત થઈ જાય અને  ફરિયાદ કરવા લાગે કે આ માણસ સઘળાં અવાંતર કામ છોડીને રાજકીય લડત પર ધ્યાન કેમ નથી આપતો?

આવી જ મનોદશા ડૉ. આંબેડકરની પણ હતી. તેમને પણ ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણ માટેની પ્રામાણિકતા અને તીવ્રતા જોઇને એમ લાગતું કે ગાંધીજીએ સઘળાં કામ પડતાં મુકીને દલીતોદ્ધારનું કામ હાથ ધરવું જોઈએ. તેમણે ગાંધીજીને એકથી વધુ વખત કહ્યું પણ હતું કે, ‘મહાત્માજી ભારતને આઝાદી આજ નહીં તો કાલે મળી જ જશે, પણ દલિતોને ન્યાય અપાવવાનું કામ તમારા સિવાય કોણ કરી શકશે? તમારો હિંદુઓ ઉપર પ્રભાવ છે.’ આમ સુભાષચન્દ્ર બોઝ માટે રાજકીય આઝાદી સિવાયનાં બીજાં કામ ‘અવાંતર’ હતાં અને ડૉ. આંબેડકર માટે અસ્પૃશ્યતાનિવારણ સિવાયનાં બીજાં કામ અવાંતર હતાં.

પણ ગાંધીજી માટે કોઈ કામ અવાંતર નહોતું. તેમનો આઝાદીનો અર્થ વ્યાપક હતો. એમાં સ્ત્રીઓની આઝાદી, દલિતની આઝાદી, શ્રમિકની આઝાદી, ખેડૂતની આઝાદી, ભૂખથી આઝાદી, શોષણથી આઝાદી, ભયથી આઝાદી, સુવાળી સુવિધાપરસ્તીથી આઝાદી, હાથમાંથી કામ છીનવી લેતા મશીનથી આઝાદી, આધુનિક સુધારાઓથી આઝાદી અને અન્યાય કરનારી પરંપરાથી આઝાદી એમ તેમને દરેક પ્રકારની આઝાદીમાં રસ હતો અને કોઈ આઝાદી ઓછી મહત્ત્વની નહોતી. તેઓ એમ માનતા હતા કે માનવ માનવ વચ્ચે શોષણનો અને સત્તાનો અર્થાત્ આધિપત્યનો સંબંધ હશે ત્યાં સુધી અહિંસક સમાજની રચના થવાની નથી. આ ત્યારે જ બને જ્યારે ખરા અર્થમાં સ્વ-રાજ હોય. પોતાના ઉપર પોતાનું રાજ.

તો વાત એમ છે કે ભારતને સ્થૂળ રાજકીય આઝાદી મળે એ ગાંધીજીનો એક માત્ર ઉદ્દેશ નહોતો. રાજકીય આઝાદી તેમની પ્રવૃત્તિના કેન્દ્રમાં સર્વોચ્ચ સ્થાને હતી એમ પણ ન કહી શકાય. જો એમ હોત તો ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધરાતે ગાંધીજી કલકત્તાની જગ્યાએ દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર હોત. ગાંધીજીએ રાજકીય આઝાદીની લડાઈ એટલા માટે હાથ ધરી હતી કે સંપૂર્ણ આઝાદી માટે રાજકીય આઝાદી એક નાનકડો પડાવ હતો અને જરૂરી પડાવ હતો. આ દૃષ્ટિએ પણ ગાંધીજીએ એકલાએ ભારતને આઝાદી અપાવી એવો દાવો ન કરી શકાય.

ભારતને રાજકીય આઝાદી અપાવવામાં અનેક પરિબળોએ, વ્યક્તિઓએ અને સમૂહોએ ભાગ ભજવ્યો છે. ભારતને રાજકીય આઝાદી ન મળે અને અંગ્રેજ શાસન ટકી રહે એવું ઇચ્છનારાઓ અને એ માટે પ્રયત્નો કરનારાઓ પણ કાંઈ ઓછા નહોતા. ભારતને જો રાજકીય આઝાદી મળવાની જ હોય તો એ કેવળ અમને જ મળે અથવા અમારી શરતે મળે એવું કહેનારાઓ પણ મોટી સંખ્યામાં હતા. ભારતને આઝાદી મળે તો એ માત્ર સત્તાંતર (ટ્રાન્સફર ઓફ પાવર) પ્રકારની જ હોય (એટલે કે શાસકો આપણા પણ શાશનનો ઢાંચો અંગ્રેજ) એવો આગ્રહ રાખનારાઓ પણ મોટી સંખ્યામાં હતા. આને કારણે તેઓ અંગ્રેજ શાસકો સાથે વાટાઘાટો કરીને ક્રમશ: સત્તા મેળવવાનો આગ્રહ રાખતા હતા અને રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરવાનો તેઓ વિરોધ કરતા હતા. જો રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરવું હોય તો સામાન્ય માણસને સપનાં જોતો કરવો પડે અને એ જો સપનાં જોતો થાય તો તેની કલ્પનાના ભારતને સાકાર કરવાની ફરજ પડે, એટલું જ નહીં તેને સત્તામાં ભાગીદારી આપવી પડે. માટે વાટાઘાટો કરીને સત્તા મેળવો, લડીને નહીં. લડવામાં જોખમ છે. લડનારાને સત્તામાં ભાગીદાર બનાવવો પડે અને એવું પણ બને કે એક દિવસ લડનારો લડ્યો છે માટે સત્તા ઉપર ઈજારાશાહી ભોગવે અને આપણે હાંસિયામાં ધકેલાઈ જઈએ.

તો કડવી પણ સત્ય હકીકત એ છે કે ભારતને આઝાદી ન મળે અને મળે તો અમારી શરતે જ મળે એવું ઈચ્છનારાઓની સંખ્યા ભારતને આઝાદી મળે એવું ઈચ્છનારાઓ કરતાં ઘણી વધારે હતી. ૧૯૧૫ પછી ગાંધીજીએ સામાન્ય પ્રજાને આઝાદીનાં સપનાં જોતી કરી દીધી. આને કારણે બન્યું એવું કે આઝાદી ન મળે એવું ઈચ્છનારાઓ, આમારી શરતે મળે એવું ઈચ્છનારાઓ અને આઝાદીનું સ્વરૂપ માત્ર સત્તાંતર પૂરતું સીમિત હોવું જોઈએ એવું ઈચ્છનારાઓ બાજુએ હડસેલાઈ ગયા. ભારતને આઝાદી અપાવવામાં જો ગાંધીજીનું સૌથી મોટું યોગદાન હોય તો એ આ છે. સામાન્ય માનવીને આઝાદીના અને તેમની કલ્પનાના આઝાદ ભારતનાં સપનાં જોતો કરી દીધો. બાકી રાજકીય આઝાદી ભારતને અનેક પરિબળો, વ્યક્તિઓ અને સમૂહો થકી મળી છે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 જાન્યુઆરી 2021

Loading

17 January 2021 admin
← ચલ મન મુંબઈ નગરી —79
કોઈ ભા.જ.પ.નું ન હોય એટલે માણસ પણ ન હોય એવું નથી … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved