વિડંબના એવી છે કે રાષ્ટ્રવાદના મૂળભૂત કે અંગભૂત પદાર્થો (જેવા કે બહુમતી પ્રજાનો ધર્મ, બહુમતી પ્રજાની ભાષા, બહુમતી પ્રજાની સંસ્કૃતિ, સામાજિક રીતિરિવાજ, શરીરિક દેખાવ, રૂપરંગ વગેરે) તળ ભૂમિમાં તેની સોળે કળાએ ખીલેલા જોવા મળે છે, પરંતુ જેમ જેમ તળ ભૂમિથી દૂર જાવ એમ એમ એ પાતળા પડવા માંડે અને ઓઝલ થવા માંડે. સરહદનો હિંદુ કે ભારતીય તમને તમારા જેવો હિંદુ કે ભારતીય નથી લાગતો. એટલે તો આપણે ઇશાન ભારતના ભારતીયને ચીના કે જપાની માની બેસીએ છીએ અને પેલાએ કહેવું પડે છે કે, ‘ભાઈ હું પણ ભારતીય છું.’ આ દુનિયા આખીની સરહદ પરની વાસ્તવિકતા છે.
સરહદ એ સાંસ્કૃતિક સંગમનો પ્રદેશ છે. જ્યાં સુધી બહુમતી પ્રજાની સંસ્કૃતિ (મુખ્યત્વે ધર્મ અને ભાષા) આધારિત સીમાબદ્ધ રાષ્ટ્રવાદ અસ્તિત્વમાં નહોતો ત્યાં સુધી આ કોઈ સમસ્યા જ નહોતી, પરંતુ જ્યારથી રાજ્યના સીમાડાઓ જે તે પ્રજાના સાંસ્કૃતિક માપદંડોના આધારે નક્કી થવા લાગ્યા ત્યારથી સરહદે સીમા નક્કી કરવાની મોકાણ પેદા થઈ છે. માત્ર ભારત અને ચીન વચ્ચે નહીં, લગભગ જગત આખામાં.
તો પછી શું કરવું? ગયા અઠવાડિયે લેખ પૂરો કરતાં પહેલાં મેં આપની સમક્ષ પાંચ સવાલો વિચારવા માટે રાખ્યા હતા. વિવેકી ડાહ્યા શાસકો શું કરે? ખૂબ દૂર સુધી જોઈ શકનારા વ્યવહારવાદી શાસકો શું કરે? ધૂર્ત ચાલાક શાસકો શું કરે? માથાભારે શાસકો શું કરે? અને આપણે શું કરવું જોઈએ? મને આશા છે કે તમે આ વિશે વિચાર કર્યો હશે.
સરહદ પરનો ભારતીય તમારા જેવો ભારતીય નથી એ એક હકીકત છે. ઈશ્વરદત્ત વાસ્તવિકતા છે એટલે એમાં તમે કાંઈ ન કરી શકો. હિમાલયમાં પીપળો અને વડલો ન ઊગે ત્યાં તમે શું કરી શકવાના? ત્યાં ચિનાર અને દેવદાર ઊગે છે. બીજી બાજુ તમે તમારા રાજ્યને ત્યાં સુધી વિસ્તારવા કે લંબાવવા માગો છો જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનાં સગડ મળતા હોય. ગયા અઠવાડિયે મેં છાંટ શબ્દ વાપર્યો હતો. જેટલે દૂર સુધી આપણી સંસ્કૃતિનાં છાટણાં મળતાં હોય ત્યાં સુધી દાવો કરવાનો. આ મોહ આજના રાષ્ટ્રવાદી યુગની રાજકીય વાસ્તવિકતા છે.
આ સ્થિતિમાં વિવેકી અને ડાહ્યા શાસકો શું કરે? હજુ વધારે યોગ્ય રીતે કહીએ તો વિવેકી અને ડાહી પ્રજા શું કરે? આ પહેલો પ્રશ્ન.
વિવેકી અને ડાહ્યા શાસકો સરહદ પરની આ વાસ્તવિકતાનો સ્વીકાર કરે. રાષ્ટ્રવાદ નામના ભૂતને દારૂ ન પાય, કારણ કે એમાં ખૂવારી થવાનો ભય છે. પાડોશી દેશ વાંધો ઉઠાવે, ઝઘડા થાય અને વખતે યુદ્ધ પણ થાય. પાછું સરહદ પરનો ભારતીય તમારી જેમ અને તમારા જેવો હજુ પૂરો ભારતીય થવાનો બાકી છે. તો વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા સરહદનો પ્રશ્ન આપસમાં આપ-લેની સમજૂતી કરીને ઉકેલે. લડાખે કાશ્મીર ઉપર શાસન કર્યું હોય કે કાશ્મીરે લડાખ ઉપર શાસન કર્યું હોય, અથવા સમયના કોઈ મુકામે કાશ્મીરે તિબેટ ઉપર શાસન કર્યું હોય કે પછી તિબેટે કાશ્મીર ઉપર શાસન કર્યું હોય એવું બન્યું છે. તિબેટે ચીન ઉપર પણ શાસન કર્યું છે એ આજે માનવામાં મુશ્કેલી પડશે, પણ ઇતિહાસની એ વાસ્તવિકતા છે. આમ સરહદનો પ્રદેશ આમતેમ જાય એ સરહદની પ્રજા માટે કોઈ નવી વાત નથી. તમે હિંદુ ચશ્માંથી લડાખીઓને જુઓ છો, પણ તેઓ તો પોતાનાં ચશ્માંથી પોતાને જુએ છે અને એ તમારાંથી જુદાં છે.
તો વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા પહેલું કામ પાડોશી દાવેદારો સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરે કે જેથી સરહદ નિશ્ચિત થઈ જાય, નિશ્ચિત થઈ જાય એટલે સુરક્ષિત થઈ જાય અને સરહદે શાંતિ હોય તો દેશના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. વિવેકી અને ડાહ્યા શાસકો અને એવી પ્રજા બીજું કામ સરહદની પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે. એ પ્રજાને સમજે, એ પ્રજાની સંસ્કૃતિને સમજે, વૈવિધ્યની કદર કરે, એના પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરે, તેમની ફરિયાદોને સાંભળે અને તેને ઉકેલે, તેમને પોતાને ત્યાં બોલાવે અને પોતે ત્યાં જાય.
શાસકોની વાત જવા દો, તમે એક ડાહ્યા દેશપ્રેમી તરીકે આવો કોઈ પ્રયાસ કર્યો છે? તમને ખબર છે કે ઇશાન ભારતમાં કેટલાં રાજ્યો આવેલાં છે? ત્યાં જવાની વાત તો દૂર રહી. ગૂગલની સહાય વિના માત્ર ગણી આપો. મૂછે તાવ દેવાથી કે સાથળ થપથપાવવાથી રાષ્ટ્રો નથી બનતાં, એવા ઘેલા તો સરહદની પેલે પાર પણ મોટી સંખ્યામાં છે. જ્યાં રાષ્ટ્રનાં ઘટકતત્ત્વો પાતળાં છે, જ્યાં રાષ્ટ્રની વિભાવના પહોંચી નથી, જ્યાં તમારું રાષ્ટ્ર નાજુક અવસ્થામાં છે એ પ્રદેશને જો ભારતીય રાષ્ટ્રનો હિસ્સો બનાવી રાખવા માગતા હો તો બે જરૂરિયાત છે એ નોંધી લો. પહેલી જરૂરિયાત છે, એ પ્રજાને અને તેના પ્રદેશને આપણી સાથે ટકાવી રાખવાની અને બીજી જરૂરિયાત છે વિસ્તારવાદી પાડોશીથી તેને બચાવવાની. પહેલી ફરજ પ્રજાની અને શાસકોની છે અને બીજી ફરજ લશ્કરની છે. ટકાવી રાખવાનો ધર્મ આપણો છે, બચાવી રાખવાનો ધર્મ લશ્કરનો છે.
તમે ક્યારે ય વિચાર્યું છે કે આપણે લશ્કરી જવાનોને આટલો બધો પ્રેમ અને આદર શા માટે આપીએ છીએ? જવાનો દેશની રક્ષા કરે છે માટે એવો તમે જવાબ આપશો જે સાચો જવાબ નથી. આપણે લશ્કરી જવાનોના ઓવારણા એટલા માટે લઈએ છીએ કે સરહદની પ્રજાને અને ત્યાંના પ્રદેશને આપણી સાથે ટકાવી રાખવાની જે નાગરિક ફરજ છે તેનાથી ભાગવાના પાપને છૂપાવવા માટે. હું ટકાવી રાખવા માટે કાંઈ જ નહીં કરું, મને તો એ પણ ખબર નથી કે ઇશાન ભારતમાં કેટલાં રાજ્યો છે; પણ તું તો જવાંમર્દ છે, તું અમારો હીરો છે એટલે બચાવ એ પ્રદેશને.
તમે શું એમ માનો છો કે તમારી નકલી લાગણી લશ્કરી જવાનો નથી જાણતા? નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ સેંકડોની સંખ્યામાં પુસ્તકો લખ્યાં છે અને અખબારો-સામયિકોમાં તેઓ લખે છે એના પર નજર કરશો તો આની ખાતરી થઈ જશે. શાસકો અને પ્રજા ટકાવી રાખવાની ફરજ નિભાવે અને રચનાત્મક પ્રયાસ કરે તો બચાવી રાખવાનું લશ્કરનું કામ આસાન થઈ જાય એમ તેઓ વારંવાર કહે છે. બને છે એનાથી ઊલટું. મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવી હોય તો કાશ્મીરમાં ઊંબાડિયું કરવાનું અને પછી લશ્કરનાં ગુણગાન ગાઈને કહેવાનું કે ભૂમિને બચાવવાની જવાબદારી તારી.
આ સારા વિવેકી શાસકો અને પ્રજાનાં લક્ષણો નથી. રહી વાત ધૂર્ત અને માથાભારે શાસકોની તો એમાં નૈતિકતાની વાત જવા દો તો પણ વ્યવહારની વાત તો છે જ. ધૂર્તતા અને માથાભારેપણું પરવડે એવું છે કે નહીં એનું તો ધ્યાન રાખવું જોઈએ. નહીં તો લેને કે દેને પડ જાય એવું બને. ચીનનો ધૂર્તતા અને માથાભરેલો વ્યવહાર કેટલો વ્યવહારુ છે અને કેટલો પરવડે એવો છે એની વાત આવતા અઠવાડિયે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 સપ્ટેમ્બર 2020