Opinion Magazine
Number of visits: 9446507
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયમૂર્તિ આરોપીને કહે છે કે અમારા અન્યાયને તું ન્યાય તરીકે સ્વીકારી લે. વાહ રે, ભારતીય ન્યાયતંત્ર!

રમેશ ઓઝા|Opinion - Opinion|6 September 2020

સર્વોચ્ચ અદાલતે સર્વોચ્ચ અદાલતના વરિષ્ટ વકીલ પ્રશાંત ભૂષણને એક રૂપિયાના દંડની  સજા કરી છે, જે પ્રશાંત ભૂષણે રિવ્યુ પિટિશન કરવા દેવાની શરતે માન્ય રાખી છે. આનો અર્થ એ થયો કે પ્રશાંત ભૂષણ હવે પછી સર્વોચ્ચ અદાલતમાં તેમની સામે અદાલતની અવમાનના કરવા માટે ચલાવવામાં આવેલા ખટલા વિશે, તેમને કરવામાં આવેલી સજા વિશે અને અદાલતની ટીકા કરવાનામાં આવે તો તેને અદાલતની અવમાનના ગણવાની અને તેમ જ તેને ગુનો ઠરાવતી જોગવાઈ વિશે પુનર્વિચાર કરવાની માંગણી કરશે. અદાલતે પ્રશાંત ભૂષણની માગણી સ્વીકારી લીધી હતી અને કુંડાળામાં પડી ગયેલા પગને માંડ માંડ બહાર કાઢ્યો હતો.

કોણ આને માટે જવાબદાર હતું? પ્રશાંત ભૂષણ કે અદાલત પોતે?

૧૯૪૨માં વિશ્વયુદ્ધ ચાલતું હતું અને ભારતમાં કૉન્ગ્રેસે અંગ્રેજ સરકારને સહકાર આપવાની જગ્યાએ અંગ્રેજોને ભારત છોડી જતા રહેવાનું કહ્યું, ત્યારે અંગ્રેજ સરકારે મુક્ત અવાજ ઉપર કોરડો વીંઝ્યો હતો. અખબારો ઉપર અનેક પ્રકારના અંકુશો લાદવામાં આવ્યા હતા અને અદાલતના અંગ્રેજ જજો સરકારની તરફેણમાં ચુકાદાઓ કે આદેશો આપતા હતા. જો કોઈ દેશપ્રેમી હિંમતબાજ તંત્રી (એ અસ્સલ દેશપ્રેમીઓનો જમાનો હતો જેમાં જીગર અંતરાત્માની પેદાશ હતી, ટોળાંની પેદાશ નહોતી.) અદાલતના આદેશોની અવગણના કરીને પ્રજાને સત્યની જાણ કરે તો અદાલતના જજો તેમની સામે અદાલતની અવમાનનાનો ખટલો ચલાવતા હતા. આવી ઘટના એકલદોકલ નહોતી બનતી, આખા દેશમાં બની રહી હતી અને જેમ જેમ ૧૯૪૨નો ઓગસ્ટ મહિનો નજીક આવવા લાગ્યો ત્યારે તેનું પ્રમાણ વધ્યું હતું.

સુજ્ઞ વાચકને એટલું તો સમજાઈ જ ગયું હશે કે એ સમયે અંગ્રેજ જજો અંગ્રેજ સરકારને તેની સંકટની ઘડીમાં મદદ કરતા હતા. એ સમયે પરિસ્થિતિ એવી હતી કે કદાચ યુદ્ધમાં બ્રિટનનો પરાજય પણ થાય. એ સ્થિતિમાં જો ભારત સ્વતંત્ર થાય અને અંગ્રેજોએ ઉચાળા ભરવા પડે તો અંગ્રેજ જજો અને વકીલોએ પણ ઉચાળા ભરવા પડે. તેમને જાણ હતી કે તેમનો સ્વાર્થ ભારતમાં બને એટલા લાંબા સમય માટે અંગ્રેજ શાસન ટકી રહે એમાં છે. માટે તેઓ કાયદાઓને અને અંતરાત્માને કોરે મૂકીને મુક્ત અવાજોની વિરુદ્ધ આદેશો આપતા હતા અને તેની અવમાનના કરે તેની સામે અદાલતના તિરસ્કારનો ખટલો ચલાવીને સજા કરતા હતા.

જ્યારે આ ત્રાસ અસહ્ય થવા લાગ્યો ત્યારે ‘ફ્રી પ્રેસ જર્નલ’ના ડાયરેક્ટર શ્રીનિવાસને અને ‘જન્મભૂમિ’ અખબારોના ટ્રસ્ટી અમૃતલાલ શેઠે આપણા સાહિત્યકાર અને મેધાવી વકીલ કનૈયાલાલ મુનશીને પત્ર લખ્યો હતો કે આ અદાલતના તિરસ્કારની વકરતી જતી બીમારીથી કેમ બચવું એનો કોઈ રસ્તો બતાવો. આ અદાલતની પ્રતિષ્ઠા માટેની ઢાલ નથી, મુક્ત અવાજને ગુંગળાવવા માટેનું શસ્ત્ર છે. એ સમયે કરોડરજ્જુ ધરાવનારા કૉન્ગ્રેસના નેતાઓએ અદાલતની અવમાનનાના ગુનાનો સહારો લઈને સરકારને મદદ કરનારા જજોની આકરી નિંદા કરી હતી. મુનશીએ અને કૉન્ગ્રેસે અખબારોના માલિકો અને તંત્રીઓને કહ્યું હતું કે સ્વરાજ મળવા દો, એ પછી એવી જોગવાઈ કરવામાં આવશે કે કોઈ તમારા અવાજને રૂંધી નહીં શકે. આ બાજુ એવા લોકો પણ હતા જેને આનાથી કોઈ ફરક નહોતો પડતો અને તેમણે સરકારને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ કૉન્ગ્રેસની ભારત છોડવાની માગણીનો વિરોધ કરે છે. તેમના વિચાર-વંશજો આજે સત્તામાં છે.

ખેર, એ સમયે અંગ્રેજ જજો કોને મદદ કરતા હતા અને શું કામ અદાલતની અવમાનનાનું શસ્ત્ર ઉગામતા હતા એની આખા જગતને જાણ હતી. પણ અત્યારે? અત્યારે સર્વોચ્ચ અદાલતના જજો કોને મદદ કરવા અને શું કામ અદાલતની અવમાનનાનું શસ્ત્ર વાપરી રહ્યા છે? શું સર્વોચ્ચ અદાલતના જજો એટલી સાદી સમજ નથી ધરાવતા કે પ્રતિષ્ઠા રળવાની ચીજ છે, માગીને મેળવવાની ચીજ નથી. નાનું છોકરું પણ આ જાણે છે કે જો તે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે તો જ વડીલો શાબાશી આપશે, અને ભૂલ કરશે તો કદાચ લાફો પણ ખાશે. છોકરું પણ સિદ્ધિ મેળવ્યા વિના શાબાશી માગતું નથી, માગવાની ચેષ્ટા કરતું નથી, મેળવવાની અપેક્ષા પણ  રાખતું નથી, ન મળે તો નારાજ થતું નથી અને વઢ પડે તો બાળ-અવમાનનાનો આરોપ કરતું નથી. આમ પ્રતિષ્ઠા રળવાની ચીજ છે, માગીને મેળવવાની ચીજ નથી એ નાનું છોકરું જાણતું હોય અને સર્વોચ્ચ અદાલતના જજો ન જાણતા હોય એવું બને?

તો પછી જજો કોને મદદ કરી રહ્યા છે અને શું કામ મદદ કરી રહ્યા છે, એ પહેલો મૂળભૂત સવાલ છે અને તેનો જવાબ તમે જાણો છો. હમણાં જ એક જજસાહેબે અંતરાત્મા વેચીને રાજ્યસભાની સીટ મેળવી લીધી છે. ભય અને લાલચ અંતરાત્માના વેચાણ પાછળનાં કારણો છે. આ સત્ય બીજા વિશ્વયુદ્ધ વખતે આપણા વડવાઓ જાણતા હતા અને આજે આપણે જાણીએ છીએ. આ ઉઘાડું સત્ય છે, પણ અદાલતના જજો ઈચ્છે છે કે એને જાહેરમાં વાચા આપવામાં ન આવે અને જો કોઈ વાચા આપશે તો અમારી પાસે (એટલે કે નામદાર જજો પાસે) અદાલતની અવમાનના કરવાનું શસ્ત્ર છે. મૂળમાં છે તો ઢાલ જેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવશે. ન્યાયતંત્રની સ્થિતિ ગમે તેવી હોય અને જજો કાંઈ પણ કરે, તમારે ચૂપ રહેવાનું નહીં તો અમને ઢાલને શસ્ત્ર તરીકે વાપરતા આવડે છે.

સર્વોચ્ચ અદાલતના ત્રણ જજો બિચારા ગાફેલ રહ્યા કે પ્રશાંત ભૂષણને આરોપી ઠરાવીશું એટલે એ ડરીને માફી માગી લેશે. એવું બન્યું નહીં ત્યારે જજો થોથવાઈ ગયા. સોરી કહેવડાવવા માટે કાકલૂદી કરતા હતા, ભીખ માગતા હતા, લાડ લડાવતા હતા. બીજા વકીલોની મદદ માગતા હતા કે જરા, પ્રશાંત ભૂષણને સમજાવોને. સાવ ખોટી રીતે ગાંધીજીને વચ્ચે લઈ આવ્યા હતા. કારણ તેમને જાણ હતી કે ભારતીય લોકતંત્રના અને ન્યાયતંત્રના રચાઈ રહેલા કાળા ઇતિહાસના કુખ્યાત અમર પાત્રો તરીકે તેઓ ઇતિહાસજમા થવાના છે. ખબર નહીં, કેટલા યુગો સુધી આ ખટલાને યાદ કરવામાં આવશે જે રીતે એ.ડી.એમ. જબલપુરના ખટલાને યાદ કરવામાં આવે છે.

અમારા અન્યાયને પ્રશાંત ભૂષણ ન્યાય તરીકે સ્વીકારી લે. સ્ત્રીહઠ અને બાળહઠ વિશે આપણે જાણીએ છીએ, જજહઠ પહેલીવાર જોવા મળી. ન્યાયમૂર્તિ આરોપીને કહે છે કે અમારા અન્યાયને તું ન્યાય તરીકે સ્વીકારી લે. વાહ રે, ભારતીય ન્યાયતંત્ર!

જજો ભય અને લાલચ ધરાવે છે અને તેના તરફ કોઈ આંગળી ચીંધે તો અદાલતનું માન જાળવવાની ઢાલ તેઓ શસ્ત્ર તરીકે વાપરે છે એ તો આપણે જોયું, પણ બીજો સવાલ એ છે કે આઝાદી પછી પણ એ જોગવાઈ ટકી કેમ રહી? ૧૯૪૨ના અરસામાં કનૈયાલાલ મુનશીએ મદદ માગનારા તંત્રીઓને કહ્યું હતું કે આ ગળું ટૂંપનારા કાળા કાયદા વિષે અત્યારે કાંઈ થઈ શકે એમ નથી, સ્વરાજ મળ્યા પછી તેને હટાવી શકાય. કૉન્ગ્રેસે પણ વચન આપ્યું હતું કે જેનો દુરુપયોગ થઈ રહ્યો છે એવા વિશેષાધિકારો રદ્દ કરવામાં આવશે. તો પછી એ રદ્દ કેમ નહીં થયા? શા માટે ટકી રહ્યા? કનૈયાલાલ મુનશી સહિત અનેક મેધાવી લોકો બંધારણસભામાં બિરાજમાન હતા અને તેમને સુપેરે જાણ હતી કે વિશેષાધિકાર નામની ઢાલનો શસ્ત્ર તરીકે દુરુપયોગ કરવામાં આવે છે. તેમાંના કેટલાકે તો તેની કિંમત પણ ચૂકવી હતી.

આ જોગવાઈ ટકાવી કેમ રાખવામાં આવી એ બીજો મહત્ત્વનો સવાલ છે અને ત્રીજો મહત્ત્વનો સવાલ એ છે કે ભારતીય ન્યાયતંત્રની આવી હાલત થઈ શેના કારણે? કોણે કરી? શા માટે કરી? આ બે પ્રશ્નોની ચર્ચા હવે પછી. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 સપ્ટેમ્બર 2020

Loading

6 September 2020 admin
← સમજણની ગોળી
શશાંક ત્રિવેદી, તમે રેશનલ છો. ધર્મ તરફ તમારી આસ્થા નહિવત છે. →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved