એ તો તમે જાણો જ છો કે અંગ્રેજોનો ઉદ્દેશ ભારતમાં રહીને ભારતનાં થયાં વિના શક્ય એટલું શોષણ કરવાનું હતું. બને એટલો લાંબો સમય અને બને એટલું ઝડપી. તેમને બે વાતની જાણ હતી. જો પ્રચંડ માત્રામાં અને ઝડપી શોષણ કરવું હોય તો ભારતમાં વહીવટી અને ભૌતિક એમ બંને મોરચે માળખાકીય વિકાસ કરવો પડશે. કાશ્મીરનું કેસર મુંબઈ કે કરાચીના બંદરેથી લઈ જઈને યુરોપમાં વેચવું હોય અને લેંકશાયરનું કપડું મુંબઈ ઊતારીને કાશ્મીરમાં કે અન્યત્ર વેચવું હોય તો શેની જરૂર પડે એની તેમને જાણ હતી. આને માટે તેમણે દેશને જોડ્યો હતો. આને કારણે એક ભૌગોલિક-રાજકીય ભારત અસ્તિત્વમાં આવ્યું હતું. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારતના ઇતિહાસમાં પહેલી વાર.
બીજી જાણ તેમને એ વાતની હતી કે જેમ આધુનિક પાશ્ચાત્ય શિક્ષણના કારણે ભારતમાં સામાજિક-રાજકીય જાગૃતિ વિકસશે એમ જો ભારતને ભારત તરીકે વહીવટી અને ભૌતિક આકાર આપવામાં આવશે તો એક દિવસે ભારતમાં ભારતીય હોવાનું ભાન પણ વિકસશે. બીજા શબ્દોમાં ભારતીય અસ્મિતાભાન જન્મ લેશે. આ બે પરિબળોને કારણે એક દિવસ અંગ્રેજોએ ભારત છોડવું પડશે. તેમણે અત્યંત ગણતરીપૂર્વક જોખમ ઊઠાવ્યું હતું.
પણ એવો દિવસ આવે એ પહેલાં તેઓ જેટલી બને એટલી ઝડપે ભારતનું શોષણ કરવા માગતા હતા તો બીજી બાજુ એવો દિવસ શક્ય એટલો મોડો આવે એ માટે પણ પ્રયત્ન કરતા હતા. એમાં તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ભારતમાં હિંદુ, મુસલમાન અને બીજા ધર્મસમૂહો જેવા બાધા રૂપિયા જ નથી; રૂપિયાની અંદર પરચૂરણ પણ ઘણું છે. આ પરચૂરણનો રૂપિયા સામે જ ઉપયોગ કરી શકાય એમ છે. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે પરચૂરણ તો ભારતના દરેક ધર્મસમૂહમાં છે, પણ હિંદુઓમાં સૌથી વધુ છે. કહો ને કે હિંદુઓનો તો બાધો રૂપિયો જ નથી, બધું જ પરચૂરણ છે. ભારત નામની સો રૂપિયાની થેલીમાં ૭૫ રૂપિયા હિંદુઓના ખરા, પણ પરચૂરણ સ્વરૂપે. બાધો રૂપિયો એક પણ ન મળે. આખો દિવસ અને ચોવીસે કલાક પરચૂરણ ખખડ્યા જ કરે.
અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમના રૂપિયા લડાવવાની સાથે સાથે હિંદુ પરચૂરણને પણ લડાવવાનું શરૂ કર્યું. ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ, આર્ય-દ્રવિડ, સવર્ણ-અવર્ણ, હિંદુ-શીખ, બ્રાહ્મણ-બ્રાહ્મણેતર, સંસ્કૃત-પ્રાકૃત, તત્સમ-તદ્ભવ એમ અસંખ્ય દોકડા હાથવગા હતા જેને એકબીજાની સામે લડાવી શકાય એમ હતા અને અંગ્રેજોએ તેને સામ સામે ધરી દીધા હતા. અંગ્રેજોની ગણતરી સાચી ઠરી. હિંદુ દોકડા આપસમાં લડવા માટે ઉત્સુક હતા અને આશ્ચર્યની વાત એ છે કે આજે પણ લડે છે. અંગ્રેજો ભારતનો કિનારો છોડીને ગયા એને પોણી સદી થવા આવી હોવા છતાં દોકડા-લડાઈનો અંત આવ્યો નથી.
અહીં મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ. પોતાના વતનથી છ હજાર માઈલ્સ દૂર થોડાક હજાર અંગ્રેજોની હાજરી દ્વારા ભારતનું વધારેમાં વધારે પ્રમાણમાં અને વધારેમાં વધારે સમય શોષણ કઈ રીતે થઈ શકે એ વિશે અંગ્રેજો વિચારતા હતા અને ઉપાયો શોધતા હતા તો સામે પક્ષે અંગ્રેજોનું વલણ જોઇને કોઈ ભારતીયના મનમાં એવો સવાલ કેમ પેદા ન થયો કે આપણે કોઈ એવો ઉપાય શોધવો જોઈએ કે જેથી અંગ્રેજો આપણું ઓછામાં ઓછું અને ઓછામાં ઓછો સમય શોષણ કરી શકે? શા માટે આવો પ્રશ્ન કોઈના મનમાં ન જાગ્યો? આખી ૧૯મી સદી ઊપર નજર કરી જાઓ અને શોધી કાઢો કે કોણે આમ વિચાર્યું હતું અને ભારતની પ્રજાને આવી સલાહ આપી હતી? એક પણ માણસ નહીં મળે. ઓછામાં ઓછું મને તો આવો કોઈ વિચારક કે નેતા ૧૯મી સદીમાં જોવા મળ્યો નથી.
આનો અર્થ એવો નહીં કરતા કે તેમનામાં બુદ્ધિ નહોતી. આનો અર્થ એવો પણ નહીં કરતા કે તેઓ સંકુચિત માનસ ધરાવતા હતા કે ઓછા દેશપ્રેમી હતા. આનો અર્થ એવો પણ નહીં કરતા કે તેઓ અંગ્રેજોના હાથનાં રમકડાં હતાં. અંગ્રેજોએ તેમનો ઉપયોગ જરૂર કર્યો હતો, પણ એ તેમની ભૂમિકાનું આડપરિણામ હતું, એજન્ડા નહોતો. જો કે ભારતમાં કોઈ અંગ્રેજોનાં હાથનાં રમકડાં હતાં જ નહીં એવું પણ નથી. તેમનામાં એક જ ખામી હતી અથવા તો તેમણે એક જ મોટી ભૂલ કરી હતી અને તે એ કે જ્યારે તેમની ભૂમિકા સામે શંકા થવા લાગી, પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા, સામે છેડેથી પડકારો પેદા થવા લાગ્યા, વળતી ભૂમિકાઓ મંડાવા લાગી ત્યારે તેમણે તેની ઉપેક્ષા કરી હતી. તેમણે ચર્ચામાં ઊતરવું જોઈતું હતું, સંવાદ સાધવો જોઈતો એક પ્રકારનો રાષ્ટ્રીય વિમર્શ વિકસવો જોઈતો હતો; પણ એવું બન્યું નહીં. ‘આપણે’ ‘બીજા’ સાથે સંવાદ કરવો જોઈએ અને તેમની ભૂમિકા સમજવી જોઈએ એવું બન્યું જ નહીં. ૧૯મી સદીના ભારતીય પ્રતિસાદની આ મોટામાં મોટી ખામી રહી.
૧૯મી સદીમાં સર સૈયદ અહમદ ખાને મુસલમાનોમાં સુધારાનું આંદોલન શરૂ કર્યું ત્યારે સુધારક મુસલમાનો અને રૂઢિચુસ્ત મુસલમાનો વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી, પણ સર સૈયદને એમ નહોતું લાગ્યું કે વિદેશી શાસકો સાથેના સંબંધોની બાબતમાં હિંદુ દૃષ્ટિકોણ સમજી લઈએ. કોઈ હિંદુએ પણ મુસલમાની દૃષ્ટિકોણ સમજવાની અને તેમના ભયનું કારણ સમજવાની કોશિશ નહોતી કરી. હિંદુઓમાં રાજા રામમોહન રોય પછીથી સુધારાનું આંદોલન શરૂ થયું હતું અને હિંદુઓમાં ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ એ સવર્ણ હિંદુઓ (બ્રાહ્મણ કહો – ખરું જોતા બ્રાહ્મણ પુરુષો કહો) વચ્ચેની ચર્ચા હતી. આર્યસમાજી હિંદુ અને સનાતની હિંદુ વચ્ચે ચર્ચા ચાલતી હતી. સમાજસુધારાવાદી હિંદુ અને તેનો વિરોધ કરનારા સનાતની હિંદુ વચ્ચે ચર્ચા ચાલતી હતી. એ ચર્ચામાં શુદ્રોના (અને સવર્ણ સ્ત્રીઓના સુદ્ધા) અવાજને સાંભળવાની કોઈએ કોશિશ નહોતી કરી. ઉત્તર ભારતમાં કોઈએ પોતાને દ્રવિડ તરીકે ઓળખાવનારા દક્ષિણ ભારતના ગેરબ્રાહ્મણ બહુજન સમજના અવાજને સાંભળવાની કોશિશ નહોતી કરી. દક્ષિણ ભારતના બ્રાહ્મણોએ પણ આર્ય વિરુદ્ધ દ્રવિડ સૂર વહેતો થવા લાગ્યો તેનો નોંધ નહોતી લીધી. આદિવાસીઓને તો કોઈ યાદ પણ નહોતું કરતું.
ટૂંકમાં ભારતની દરેક પ્રજા પોતાના સમાજ અંતર્ગત ચર્ચા કરતી હતી, પણ એક પ્રજાએ બીજી પ્રજાને કાન નહોતો આપ્યો એ ૧૯મી સદીના ભારતીય સામાજિક-રાજકીય વિમર્શની આ મોટી મર્યાદા છે. એવું નહોતું કે અવાજો એટલા મંદ હતા કે કાને નહોતા પડતા. અવાજો બળુકા હતા અને પ્રત્યેક દાયકે એ અવાજો વધારે બળુકા બનતા જતા હતા. જેમ કે દયાનંદ સરસ્વતી આખા ભારતમાં ફરીને સનાતની બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કરતા હતા, પરંતુ એમને ક્યારે ય એવું નહોતું લાગ્યું કે તેમણે પૂનાના જ્યોતિબા ફૂલેને મળીને તેમની ભૂમિકા સમજવી જોઈએ. ખાસ કરીને ત્યારે, જ્યારે ૧૮૭૫ના અરસામાં બહુજન સમાજનો અને સ્ત્રીઓનો અવાજ ઠીક ઠીક પ્રમાણમાં બળુકો બની ચૂક્યો હતો અને દયાનંદ સરસ્વતી દેશમાં ભ્રમણ કરતા હતા. તેમને એવું કેમ નહીં લાગ્યું કે બહુજન (શબ્દ પર ધ્યાન આપો; બહુ-જન) જુદી ભાષામાં બોલી રહ્યા છે અને લગભગ તેમની ભૂમિકા સામે પ્રતિવાદ કરીને જુદી માંડણી કરી રહ્યા છે ત્યારે તેમને સાંભળવા જોઈએ? આવું કેમ? કયા ભરોસે તેઓ બહુજન સમાજની એષણા(એસ્પીરેશન્સ)ની ઉપેક્ષા કરતા હતા? સનાતની પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરવા કાશી જાય, પણ જ્યોતિબા ફુલેને સમજવા પૂના ન જાય! દયાનંદ સરસ્વતી પૂના ગયા પણ છે, પરંતુ ફુલેને મળ્યા નથી.
સ્વામી વિવેકાનંદ તો માનવીય એકતાના ઋષિ ગણાય છે. તેમણે હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરી છે. દલિતો પ્રત્યેક કરુણાની વાત કરી છે અને આદિવાસીઓને હિંદુ બાથમાં લેવા માટે તેમ જ વંચિતોની સેવા કરવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. ૧૮૯૩માં વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુ ધર્મના માનવીય ચહેરાની વાત કરીને તેમણે દુનિયામાં ડંકો વગાડ્યો હતો. વિશ્વને ઉદારમતવાદી/માનવતાવાદી હિંદુ દર્શનનો પરિચય કરાવવા જગતના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. આટલી જહેમત લેનારા સ્વામી વિવેકાનંદે ક્યારે ય જ્યોતિબા ફુલેને મળવાની/સાંભળવાની જહેમત નહોતી લીધી. એવું કેમ? ૧૯મી સદીના છેલ્લા દાયકા સુધીમાં તો તમારી કલ્પનાના હિંદુ ધર્મ સામે અને તમારી કલ્પનાના ભારત સામે બુલંદ અવાજો ઊઠવા લાગ્યા હતા. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, દેશનાં બીજા પ્રાંતોમાં પણ જ્યોતિબા ફુલેની નાનીનાની આવૃત્તિઓ પેદા થવા લાગી હતી. બંગાળમાં અવાજો સંભળાવા લગ્યા હતા, પરંતુ વિવેકાનંદે તે સાંભળ્યા હોય અને તેમની સાથે ચર્ચા કરી હોય એવું જાણમાં નથી.
આવું કેમ? તેઓ તેમના વર્તુળની અંદર ચર્ચા કરે પણ અભિપ્રાયોના અને અભિગમોનાં બીજાં વર્તુળોની ઉપેક્ષા કરે એવું કેમ? તેમનામાં બુદ્ધિ ઓછી હતી એવું નથી. તેઓ ઓછા દેશપ્રેમી હતા એવું પણ નથી. તેઓ સંકુચિત સવર્ણ માનસ ધરાવતા હતા એવું પણ દરેક કેસમાં ન કહેવાય. આ છતાં સરવાળે વસ્તુસ્થિતિ તો એ જ છે કે ભારતમાં ૧૯મી સદીમાં વિચારો અને વલણોની છાવણીઓ વચ્ચે રાષ્ટ્રીય વિમર્શ થયો નહોતો.
કઈ સમજથી? કયા ભરોસે? એની ચર્ચા હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 જૂન 2020