Opinion Magazine
Number of visits: 9450215
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોવિડ 19 વિષે આપણે શું કરી શકીએ

પી સાંઈનાથ [અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા]|Opinion - Opinion|5 April 2020

આ લેખ સૌ પ્રથમ ૨૬ માર્ચ ૨૦૨૦ના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કરેલા 'પેકેજ'ના થોડાક કલાકો બાદ પ્રકાશિત થયેલો છે. મૂળ લેખ માટે જુઓ https://ruralindiaonline.org/articles/what-we-should-do-about-covid-19/

કટોકટીને પહોંચી વળવા સરકાર દ્વારા જાહેર કરાયેલું 'પેકેજ' એ ઉદાસીનતા અને અજ્ઞાનતાનું મિશ્રણ છે.

કોરોના વાઇરસ વિષે પ્રધાનમંત્રીના પહેલા ભાષણે જ આપણને થાળી વાડકા ટીપી ટીપીને બધા દુષ્ટ આત્માઓને ભગાડતાં કરી મૂક્યા.

અને એમના બીજા ભાષણે આપણે બધાને ટીપી કાઢ્યા.

આવનારા દિવસોમાં જનતા, ખાસ કરીને ગરીબો કઈ રીતે ખાવા પામશે કે કેવી રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓ એમના સુધી પહોંચશે એ વિષે એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યા વગર એમણે લોકોના ટાંપીને બેઠેલા ભયને હવા આપી. મધ્યમવર્ગ દુકાનો ને બજારોમાં ઉમટી પડ્યો — જે ગરીબો માટે શક્ય નહોતું. નહોતું શક્ય શહેર છોડીને એમને ગામ જઈ રહેલા સ્થળાંતરિત લોકો માટે. નહોતું શક્ય નાના ફેરિયાઓ, કામવાળાઓ, ખેત મજૂરો માટે. નહોતું શક્ય રવિની ફસલ પૂરી ના કરી શકતા – કે ફસલ સાથે ફસાયેલા ખેડૂતો માટે. નહોતું શક્ય ભારતના હજારો લાખો છેવાડાના લોકો માટે.

નાણામંત્રીએ ગઈકાલ 26 માર્ચે જાહેર કરેલા પેકેજમાં જો કોઈ એક સારી વાત હોય તો એ છે : દરેક વ્યક્તિને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ (પી.ડી.ઍસ.) મળતા 5 કિલો અનાજ ઉપરાંત ત્રણ મહિના સુધી વધારાના 5 કિલો ઘઉં કે ચોખા મફત આપવાની વ્યવસ્થા. એમાં પણ એ સ્પષ્ટ નથી કે પહેલાની યોજના પ્રમાણે મળતા 5 કિલો પણ મફત મળશે કે પછી એના પૈસા આપવાના રહેશે. અને જો એના પૈસા આપવાના હોય તો એ નિરર્થક હશે. પેકેજમાં ઉલ્લેખાયેલા મોટા ભાગના પગલાંમાંની રકમ એ જ યોજનાઓની છે જે પહેલેથી અસ્તિત્વમાં છે. જેમ કે મનરેગાના વેતનમાં 20 રૂપિયાનો વધારો નિશ્ચિત જ હતો — અને આમાં ક્યાં ય કામના દિવસોના વધારાનો ઉલ્લેખ ક્યાં છે?  અને માનો કે તમે લાગી પણ જાઓ કામે; પણ કામ આવશે ક્યાંથી, અને એ કામના સમયે સામાજિક અંતર રાખવાનું શક્ય હશે? આ સ્તરનું કામ ઉપલબ્ધ કરવા માટે જે સમય જોઈશે એ બધા અઠવાડિયાઓમાં લોકો શું કરશે? શું તેમનું સ્વાસ્થ્ય એમનો સાથ આપશે? આપણે મનરેગાના દૈનિક વેતન દરેક મજૂર ને ખેડૂતને  જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી આપવા જ રહ્યા, પછી ભલે એમને માટે કામ હોય કે ના હોય.

2,000 રૂપિયાનો લાભ તો પી.એમ.-કિસાન હેઠળ હતો જ અને અપેક્ષિત હતો — તો એનાથી ઉમેરાયું શું?  જે લાભ ત્રણ માસના અંતે મળવાનો હતો તે હવે અગાઉથી મળવાનો થયો. મહામારી ને લૉકડાઉનની પરિસ્થિતિ સામે લેવાતાં પગલાં રૂપે જે 1.7 લાખ કરોડ ફાળવવામાં આવ્યા એનો સ્પષ્ટ વિભાજીત ખ્યાલ, કે એમાં આવરી લેવાયેલાં નવાં પગલાંનો ખ્યાલ નાણામંત્રીએ આપણને આપ્યો જ નહિ. જાહેર કરાયેલી કુલ રકમનો કેટલો હિસ્સો જૂની કે હાલમાં અસ્તિત્વમાં હોય એવી યોજનાઓમાંથી વાળીઝૂડીને ભેગા કરેલા આંકડાઓનો છે? એની ગણના તો કટોકટીનાં પગલાંમાં ભાગ્યે જ થઇ શકે. વધુમાં, સેવાનિવૃત્તો, વિધવાઓ, અને દિવ્યાંગોને એકવારની સહાયરૂપે આવનારા ત્રણ મહિના દરમ્યાન બે તબક્કામાં રૂપિયા 1,000 આપવામાં આવશે? તેમ જ જન ધન યોજનાના ખાતા ધરાવતી 20 કરોડ બહેનોને આવતા ત્રણ મહિના સુધી દર મહિને રૂપિયા 500 આપવામાં આવશે? આ તો સૂચક પણ નહિ; આ શરમજનક કહેવાય.

સ્વ-સહાય જૂથો માટે લોનની મર્યાદા વધારવાથી પરિસ્થિતિ કેમની બદલાશે જ્યારે મંજૂર થયેલી લોનની રકમ મેળવાવમાં લોકોને નવ નેજાં પાણી ઉતરે છે? અને પેલા પોતાને ઘેર, ગામ જવા મથતાં અગણિત સ્થળાંતરિત મજ઼દૂરોને, જે રસ્તામાં અધવચ્ચે ફસાયેલા છે, એમને આ 'પેકેજ' કેવી રીતે મદદ કરશે? માત્ર એમ કહેવું કે એ સ્થળાંતરિત લોકોને મદદ કરશે એ તદ્દન અપૂરતું છે. તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવાના જાહેર કરાયેલાં પગલાંઓમાં રહેલી આ ખામીઓ ચિંતાજનક છે, એમ જ આ 'પેકેજ' તૈયાર કરનારનું વલણ અત્યંત ભય ઉપજાવનારું છે. તેમાં આંખ સામે ઊભી થઇ રહેલી પરિસ્થિતિઓ વિષે સંપૂર્ણ ઉદાસીનતા જોવા મળે છે.

ફોટો : લાબાની જંગી

આ લેખ સાથેના બંને ચિત્રો એક સર્જકની આંખે નિરૂપાયેલાં દિલ્હી અને નોઇડાથી ઉત્તરપ્રદેશ ને બીજે તેમના ગામો તરફ પાછા જતા સ્થળાંતરિત કામદારોની અવળી મુસાફરીનાં દ્રશ્યો છે.  કલાકાર લાબાની જંગી એક ચિત્રકાર છે. ચિત્રકાલાનું જ્ઞાન એમણે સ્વયં સાધનાથી પ્રાપ્ત કર્યું છે. તેઓ હાલમાં સેન્ટર ફોર સોશિયલ સાયન્સીસ, કલકત્તામાં મજૂરોના સ્થળાંતરના વિષયમાં પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે.

આપણે અત્યારે જે રીતના લૉકડાઉનમાં છીએ – નબળા વર્ગોને માટે કોઈ સામાજિક સહાયતાઓ કે પૂર્વતૈયારી વગરના — તેવા લૉકડાઉન આપણને આવા અવળા સ્થળાંતરો તરફ નક્કી દોરી જઈ શકે છે, દોરી જઈ રહ્યા છે. કોઈ ચોક્કસ આંકડો મેળવવો આમાં શક્ય નથી, પરંતુ જુદા જુદા રાજ્યોમાંથી મળતા અહેવાલો પ્રમાણે લોકો જે નાનાં મોટાં શહેરોમાં કામ કરતાં હતાં એ બધા લૉકડાઉન હેઠળ આવતા મોટી સંખ્યામાં લોકો પોતાનાં ગામડાંઓ તરફ પાછા જઈ રહ્યા છે.

ઘણા એમની પાસે છે તે એક માત્ર પરિવહનનું સાધન વાપરીને જઈ રહ્યા છે — અને તે છે એમના પોતાના પગ. કોઈ સાયકલ પર જઈ રહ્યા છે. તો ઘણા અડધે રસ્તે અટવાયેલા છે કારણ ટ્રેન, બસ, વાન બધું ઠપ્પ થઇ ગયું છે. વિચારો જો પરિસ્થિતિ વધુ વિકટ થશે તો જે આભ તૂટી પડશે આપણે માટે એનો વિચાર માત્ર ડરાવી મૂકે તેવો છે. 

વિચારો, ગુજરાતથી રાજસ્થાન, હૈદરાબાદથી તેલંગાણાના અને આંધ્ર પ્રદેશના દૂરના ગામો તરફ, દિલ્હીથી ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ, મુંબઈથી કોણ જાણે કંઈ કેટલા ય રાજ્યોના કેટલાં ય ગામો તરફ મોટા જૂથમાં ઘર તરફ ચાલતાં લોકો વિષે. જો એમની વહારે કોઈ ના આવ્યું અને એમનો ઝડપથી ખાલી થતો અનાજ પાણીનો પૂરવઠો ખૂટી ગયો તો હોનારત સર્જાશે. એ સૌ ઝાડા, ઊલટી, કોલેરા, જેવા સદીઓ જૂના કંઈ કેટલા ય રોગના શિકાર બનશે.

ઉપરાંત, આર્થિક આપત્તિઓ વધતાં એવી સ્થિતિ સર્જાશે જેમાં આપણે કદાચ મોટી સંખ્યામાં કામદાર અને યુવાન લોકોને મોતનો શિકાર થતાં જોઈશું. પીપલ્સ હેલ્થ મૂવમેન્ટના વૈશ્વિક સંચાલક  ટી. સુંદરરામને PARIને જણાવ્યું કે, "તબીબી સારવારના અભાવ વચ્ચે આ આર્થિક આપત્તિને કારણે આપણે કોરોના વાયરસની જગ્યાએ બીજા અનેક રોગોથી થતાં મોત જોઈશું.

કુલ જનસંખ્યાના 8 ટકા લોકો જે 60 વર્ષ કે એથી ઉપરના છે તેમને કોરોના વાયરસથી સૌથી વધારે ખતરો છે. બીજા રોગોનો રાફડો ફાટતાં, અને આવશ્યક તબીબી સારવારની ગેરહાજરીમાં યુવાન કામદાર વર્ગની જનસંખ્યાને મોટો ફટકો પડશે.”

નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટરના ભૂતપૂર્વ કારોબારી સંચાલક, પ્રો. સુંદરરામન્‌, "અવળા સ્થળાંતરોની સમસ્યા અને આજીવિકાના નુકશાનના પ્રશ્નોની નોંધ લેવાની તેમજ એ ઉપર કામ કરવાની" જરૂર ઉપર ભાર મૂકે છે. "આમાં જો આપણે અસફળ રહ્યાં તો એ સૌ બીમારીઓ જે વર્ષોથી ગરીબોને સતાવે છે અને તેમના મોતનું કારણ બને છે તે બધી ય કોરોના વાયરસથી થતા મોતને આંબી જશે." ખાસ કરીને શહેરમાં રહેતા સ્થળાંતરિત કામદારોનું નજીવું વેતન બંધ થતા ભૂખમરાની પકડમાં આવશે અને જો અવળાં સ્થળાંતર વધશે તો સ્થિતિ વધુ વણસશે.

ફોટો. રાહુલ એમ

થાકેલા સ્થળાંતરિત કામદારો જે દર અઠવાડિયે આંધ્ર પ્રદેશમાં અનન્તપુર અને કેરાલામાં કોચીની વચમાં આવજા કરે છે.

ઘણા સ્થળાંતરિત લોકો એમના કામની જગ્યાએ જ રહે છે. એ જગ્યાઓ બંધ થતા એમને હવે ત્યાંથી જવાની સૂચના મળે છે — આ લોકો જાય ક્યાં? લાંબા લાંબા અંતરો પગપાળા કાપવા એ  દરેકના ગજાની વાત નથી. એમની પાસે રાશન કાર્ડ નથી — એમની પાસે ખાવાનું કેવી રીતે પહોંચડશો?

આર્થિક સંકટ ગતિ પકડી રહ્યું છે.

જે ઉભરીને આવે છે તે છે સ્થળાંતરિત મજૂરોનું, કામવાળાઓનું, અને ગરીબોનું મોટી હાઉસિંગ સોસાયટીઓ દ્વારા થઇ રહેલું વિમુદ્રીકરણ (ડીમોનિટાઇઝેશન), કારણ સોસાયટીઓના લોકોને ખાતરી છે કે આ લોકો સમસ્યાની જડ છે. હકીકત : કોવિડ 19ના વાહક, જેવા પહેલા સાર્સ(SARS)ના હતા,  હવામાં ઉડવાવાળા વર્ગના છે. આ સમજવાને બદલે આપણે જાણે આપણા શહેરોની ગંદકીને દૂર કરી રહ્યા હોઈએ એમ આ બધા અનિચ્છનીય તત્ત્વોને બહાર કાઢી રહ્યા છીએ. વિચાર કરો : આ ઉડતા વાહકોએ જો વાયરસ આ સ્થળાંતર કરી રહેલા લોકોમાંના એકાદને આપ્યો હોય અને એ ગામડે પહોંચે પછી એનું પરિણામ શું આવે?

થોડાઘણા સ્થળાંતરિત કારીગરો હંમેશાં પગપાળા એક ગામથી બીજે ગામ ગયા છે, ખાસ કરીને જ્યારે એ ગામો એક જ રાજ્યના કે આજુબાજુના રાજ્યોના હોય. પરંપરા એવી હતી કે જ્યારે આમ ચાલતા જતાં હોય ત્યારે રસ્તામાં આવતા ઠેલા ને ધાબાઓ પર રોકાઈ, થોડું કામ કરે અને એ બહાને એક સમયના ખાવાનાની અને રાતના સૂવાની વ્યવસ્થા થઇ જાય. પણ હવે તો એ બધાં બંધ થયા છે — શું થશે? 

ઉપલા અને મધ્યમ વર્ગના લોકોનું એમ માનવું છે કે જો આપણે ઘેર રહીશું ને આ સામાજિક અંતરનું બરાબર પાલન કરીશું તો બધું ઠીક થઇ જશે. કઈ નહિ તો આપણને વાઇરસનો ચેપ નહિ લાગે. ઘણાને મન આ સામાજિક અંતરના જુદા સંદર્ભો છે. આપણે જ લગભગ બે સહસ્રક પહેલાં આનું એક મજબૂત સ્વરૂપ શોધ્યું હતું – જ્ઞાતિ. જ્ઞાતિ અને વર્ગ એ આપણા લૉકડાઉનની રીત અને  પ્રતિભાવમાં પણ જાણે વણાઈ ગયેલા છે.

એક દેશ તરીકે આપણને એ વાત અડતી નથી કે 2.5 લાખ જેટલા ભારતીયો દર વર્ષે ટ્યુબરક્યુલોસિસની બીમારીથી મરે છે. કે પછી ઝાડાઊલટીથી મરતાં બાળકોની સંખ્યા વર્ષે 1,00,000 છે. એ આપણામાંના નથી. ભય ને આતંક ત્યારે ફેલાય છે જ્યારે રૂપાળાં લોકોને સમજાય છે કે કોઈ ઘાતક બીમારી સામે લડવા એમની પાસે કોઈ પ્રતિકારક શક્તિ નથી. SARSમાં પણ એમ હતું. 1994ના સુરતના પ્લેગમાં પણ એવું હતું.

ફોટો જ્યોતિ શિનોલી

મુંબઈના ચેમ્બુરના માહુલ ગામનાં સફાઈ કામદારો કોઈ જાતના રક્ષણાત્મક સાધનો વગર ઘણુંખરું ઝેરી કચરામાં કામ કરે છે.

આપણે અત્યારે કામે લાગવાની જરૂર છે.  આપણે માત્ર એક વાઇરસ સામે જંગ નથી લડી રહ્યા — મહામારીના પણ 'પેકેજ' હોય છે. આર્થિક સંકટ એમાંનું આપણે જાતે ઊભું કરેલું ને આપણે પોતે બગાડેલું એક પરિબળ છે જે આપણને વિપત્તિમાંથી વિનાશ તરફ લઇ જઈ રહ્યું છે.

એ ખ્યાલ કે આપણે માત્ર એક વાઇરસ સામે લડી રહ્યા છે અને એક વખત એની સામે જીતી ગયા તો બધું ઠીક થઇ જશે — એ બહુ જોખમી ખ્યાલ છે. આપણે કોવિડ 19 સામે અવશ્ય લડવું જોઈએ — "સ્પેનિશ ફલૂ"ના ખોટા નામે પ્રચલિત અને 1918માં ફેલાયેલી મહામારી પછીની આ સૌથી ખરાબ મહામારી હોઈ શકે છે. (જેમાં ભારતના 16થી 21 મિલિયન લોકોએ એમના જીવ ગુમાવ્યા હતાં અને 1921ની વસ્તીપત્રક એ એવું એમ માત્ર વસ્તીપત્રક હતું જેમાં ગ્રામીણ વસ્તીમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો હતો).

પરંતુ વિશાળ ફલકનો વિચાર કાર્ય વગર માત્ર કોવિડ-19 ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે ચકલી ચાલુ રાખી, પાણી ગળતું રાખી ને જમીન પર પોતું કરવા જેવી વાત છે.

આપણે એવા અભિગમની જરૂર છે જે જાહેર આરોગ્ય પ્રણાલીના, હક અને અધિકારોના વિચારો મજબૂત કરે

આરોગ્ય ક્ષેત્રના કેટલાક મહાન માથાંઓએ 1978માં ડેક્લેરેશન આલ્મા આટા તૈયાર કર્યું હતું — એ દિવસોની વાત છે જ્યારે પશ્ચિમની સરકારોએ કોર્પોરેટ હિતની સામે WHOને ઘૂટણ ટેકતું નહોતું કરી મૂકયું. એ નિવેદન (ડેક્લેરેશન) એ આ વાક્ય પ્રચલિત કરી મૂકેલું "હેલ્થ ફોર ઓલ બાય 2000" (2000 સુધીમાં સૌનું આયોગ્ય). એમાં એક એવી માન્યતા હતી કે આરોગ્ય એ દુનિયાના સૌ લોકો ભોગવી શકે છે "દુનિયાની પૂંજીનો વધારે અને સારો ઉપયોગ કરીને .."

અને 80થી શરૂ કરીને આરોગ્યના સામાજિક અને આર્થિક પાસાંઓને સમજવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરતું એની સાથે સાથે એક બીજો વિચાર પણ વેગ પકડી રહ્યો છે. ખૂબ ઝડપથી : ઉદારમતવાદ (નીઓ લિબરલીઝમ).

80ના દાયકાના પાછળના ભાગમાં અને 90ના દાયકાથી શરૂ કરીને આરોગ્ય, ભણતર, અને આજીવિકા એ બધાને માનવ અધિકારમાં ગણાતા જ જાણે બંધ થઇ ગયા છે.

1990માં આવ્યું બીમારીઓનું વૈશ્વિકરણ. પરતું આ ઘાતક પડકારને પહોંચી વળવા માટે વૈશ્વિક આરોગ્ય પ્રણાલીઓનું નિર્માણ કરવાને બદલે કેટલા ય રાષ્ટ્રો એ આરોગ્યના ક્ષેત્રમાં ખાનગીકરણનો રસ્તો અપનાવાયો. ભારતમાં પહેલેથી જ ખાનગી સંસ્થાઓનું વર્ચસ્વ રહ્યું છે. આપણે આરોગ્ય પર ખર્ચ કરવાની બાબતમાં વિશ્વમાં સૌથી પછાત છીએ. જી.ડી.પી.નો માત્ર 1.2 ટકા હિસ્સો આપણે આરોગ્ય સેવાઓ પાછળ ફાળવીએ છીએ. 1990થી શરૂ કરીને જે યોજનાઓ આપણે એક ઇરાદાપૂર્વક અમલમાં મૂકી એના ફળસ્વરૂપ આપણું જાહેર આરોગ્ય તંત્ર જે પહેલેથી જ કથળેલું હતું તે વધુ નબળું થયું. આપણી હાલની સરકાર હવે જિલ્લા સ્તરની હોસ્પિટલોના આયોજનનો દોર સંભાળવા પણ ખાનગી કંપનીઓને આમંત્રે છે.

સ્વાસ્થ્યને લઈને થતા ખર્ચાઓ એ આજની તારીખે ગ્રામીણ કુટુંબોમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે. 2018ના જૂન મહિનામાં સ્વાસ્થ્ય વિશેની માહિતીનું વિશ્લેષણ કરતા પબ્લિક હેલ્થ ફોઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ તારણ કાઢ્યું કે પોતાના સ્વાસ્થ્યને માટે કરવા પડતા ખરચાને કારણે 2011-12ના માત્ર એક વર્ષની અંદર 55 મિલિયન લોકો ગરીબી રેખા તળે ગયા હતા, અને એમાંના 38 મિલિયન માત્ર દવાઓના ખર્ચને કારણે ગરીબી રેખા નીચે ગયા.

ખેડૂતોએ આત્મહત્યા કરી હતી એવા હજારો ઘરો વચ્ચે જો કોઈ સામ્ય હોય તો એ હતું સ્વાથ્યને માટે કરવા પડતા અમર્યાદ ખર્ચ — અને તેને માટે કરવું પડતું શાહુકારનું દેવું  

ફોટો : એમ. પલની કુમાર

ચેન્નાઈના સફાઈ કામદારો, અને એમના પ્રતિરૂપી બીજા ઘણા ય, કોઈ જાતના રક્ષણાત્મક સાધનો વગર સફાઈનું કામ કરે છે. 

આપણી  પાસે સૌથી વધુ વસ્તી છે જે કોવિડ 19 જેવી મહામારીને સહેવા માટે બિલકુલ તૈયાર નથી. અને હવે કોઈ અત્યંત દુઃખની વાત હોય તો એ કે : બીજાં ઘણાં નામથી કોવિડ આવશે આવનારા દિવસોમાં. 1990થી લઈને આપણે SARS અને MERS (જે બંને કોરોના વાયરસથી જ આવેલા) અને બીજી અનેક બીમારીઓનો વૈશ્વિક વ્યાપ જોયો છે. ભારતમાં 1994માં સુરતમાં પ્લેગ આવેલો. જે તમામ સંકેતો છે આપણે જે પ્રકારની દુનિયા બનાવી છે તેના તેમ જ જેમાં આપણે પ્રવેશી રહ્યા છીએ એ દિવસોના.

ગ્લોબલ વીરોમ પ્રોજેક્ટના પ્રોફેસર ડેનિસ કૅરોલે હાલમાં કહ્યું એ પ્રમાણે : "આપણે સૌ પર્યાવરણની એ સૌ મેખલાઓમાં જેમાં પહેલા ક્યારે ય નહોતા વસ્યા ત્યાં બધે ખૂબ ઊંડા પહોંચી ગયા છીએ." એમનું કહેવું છે કે જે વિસ્તારોમાં પહેલા ખૂબ ઓછી માનવ વસ્તી હતી એ બધે ખોદકામ કરીને કાઢવામાં આવતા તેલ અને ખનીજ તત્ત્વો માટે આપણે ખાસ્સી મોટી રકમ ચૂકવીએ છીએ. પર્યાવરણની નાજુક મેખલાઓ પર આપણું વધતું જતું આક્રમણ માત્ર વાતાવરણને અસર નથી કરતું, પરંતુ એને કારણે વધતા જતા વન્યપ્રાણી સૃષ્ટિ અને માનવો વચ્ચેના સંપર્કથી અને તેથી ફેલાતા ચેપ અને વાયરસથી (જેના વિષે આપણે બહુ ઓછું કે કંઈ પણ જાણતા નથી) આપણે આપણાં સ્વાસ્થ્ય માટે  હોનારત નોતરીએ છીએ.

હા, નક્કી આપણે આવું બધું વધારે ને વધારે જોવાના છીએ

જ્યાં સુધી કોવિડ-19ની વાત છે, એ બે રીતે આગળ વધી શકે છે.

જો વાયરસનું પરિવર્તન થાય (આપણા ફાયદા માટે) અને એ થોડા અઠવાડિયામાં અદ્રશ્ય થઇ જાય.

એ પોતે પોતાના લાભ માટે પરિવર્તિત થાય અને તો એનું ચલણ વધારે ખરાબ થાય. જો એવું થાય તો માનો આભ તૂટી પડે.

આપણે શું કરી શકીએ? ભારતના ઉચ્ચ કક્ષાના વિચારકો, સમાજ સેવકો, અને બુદ્ધિજીવીઓ દ્વારા કરાયેલાં સૂચનોની સાથે, એના ઉપરાંત, તેમ જ એના સંદર્ભમાં, તેમ જ કેરાલાની સરકારના પગલાંઓથી પ્રેરાઈને હું આ થોડાં સૂચનો રજૂ કરું છું. (આ વિચારો દેવું, ખાનગીકરણ અને આર્થિક વ્યવસ્થાના પરાજયના વિશાળ વૈશ્વિક સંદર્ભને ધ્યાનમાં રાખીને ઉચ્ચારાયેલા છે).

• સૌથી પહેલાં જે કરવું જોઈએ : સંકટ સમયે 60 મિલિયન ટનના 'સરપ્લસ' અનાજના વિતરણની તૈયારી કરવી. આ સંકટમાં ઘેરાયેલા લાખો સ્થળાંતરિત મજૂરો ને ગરીબો સુધી તાત્કાલિક ધોરણે મદદ લઇ પહોંચવું. તમામ સામુદાયિક સ્થળો (જેવાં કે શાળાઓ, કોલેજો, સામુદાયિક હૉલ, અને મકાનો) જેમને હાલ પૂરતા બંધ કરાયાં છે તેને અટવાયેલા સ્થળાંતરિત લોકો તેમ જ ઘરબાર વિનાના લોકો માટે આશ્રયસ્થાનો જાહેર કરવા.

• બીજું, અને એટલું જ અગત્યનું, બધા ખેડૂતોને ખરીફ પાકની વાવણી માટે તૈયાર કરવા. જો હાલની પરિસ્થિતિ લાંબી ચાલશે તો ખાદ્ય પુરવઠાને લઈને એક ભયાનક સ્થિતિ આપણી ઉપર ઝળૂંબી રહી છે. ખેડૂતો આ મોસમની રોકડિયા પાકોની ફસલ વેચી શકશે નહિ. એવામાં વધુ રોકડિયા પાકો તરફ જવું ઘાતક નીવડશે. કોરોના વાયરસની રસી શોધતાં મહિનાઓ થશે. ત્યાં સુધીમાં અનાજના ભંડારો ખૂટી પડશે.

• સરકારે ખેડૂતોની ફસલ ખરીદવામાં મોટી મદદ કરવાની જરૂર છે. ઘણા સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સીન્ગ) અને લૉકડાઉનની વચમાં રવિની ફસલ પૂરી કરી શકે તેમ નથી.  જેમણે કરી છે એમને પરિવહનની ને વેચાણની કોઈ સુવિધા નથી. ખરીફના ખાદ્ય પાકોને માટે પણ ખેડૂતોને કોઈ નિવેશ, સહાય કામગીરી, વિતરણ બધામાં મદદ જોઈશે

• સરકાર દેશની તમામ ખાનગી હોસ્પિટલોનું રાષ્ટ્રીયકરણ કરવું રહ્યું. હોસ્પિટલોને માત્ર એક ખૂણો કોરોના માટે આરક્ષિત કરવાનું કહેવાથી કંઈ નહિ થાય. સ્પેઇનએ ગયા અઠવાડિયે એ વાત સમજી કે નફાની દ્રષ્ટિએ ચાલતી વ્યવસ્થા દ્વારા આ સંકટને પહોંચી વળવું અશક્ય છે અને એણે દેશની તમામ હોસ્પિટલો તેમ જ આરોગ્ય સેવા પૂરી પાડતી સંસ્થાઓનું રાષ્ટ્રીયકરણ કર્યું

• સફાઈ કામદારોને તાત્કાલિક ધોરણે સરકારના/મ્યુનિસિપાલિટીના પૂરા સમયના કામદાર તરીકે જાહેર કરી એમના માસિક વેતનમાં રૂપિયા 5,000નો વધારો કરવો, તેમ જ તેમને હંમેશાં જેનાથી વંચિત રાખ્યા છે એ તમામ આરોગ્ય સેવાઓના લાભ મળે તેની વ્યવસ્થા કરવી રહી. તેમને રક્ષણાત્મક પોશાક ને સાધનો પણ આપવા રહ્યા. છેલ્લા ત્રણ દાયકાઓથી આપણે પહેલેથી નબળા એવા લાખો સફાઈ કામદારોને જાહેર સેવાઓમાંથી બહાર કરીને, એમની નોકરીઓને ખાનગી કંપનીઓને આપીને — જે પાછળથી એ જ કામદારોને કરાર ઉપર અને પહેલાથી ઓછા વેતન અને કોઈ લાભ વગર એ જ કામમાં ફરી રોપે છે — વધુ રંજાડ્યા, ઊજડ્યા છે.

• ગરીબો માટે ત્રણ મહિનાની મફત ખાદ્ય સામગ્રી જાહેર કરવી અને પહોંચતી કરવી.

• આશા (ASHA) આંગણવાડી અને મધ્યાહન ભોજનના તમામ કાર્યકર્તાઓને જે સૌ આગળની હરોળમાં રહીને લડનારા છે તેમને તાત્કાલિક ધોરણે સરકારી કર્મચારીઓ તરીકે કાયમી કરવા. ભારતનાં બાળકોનું સ્વાસ્થ્ય અને જિંદગીઓ એમના હાથમાં છે. એમને પણ પૂરા સમયના વેતન મેળવતા પૂર્ણ સમયના કર્મચારીઓ જાહેર કરવાની તેમ જ રક્ષણાત્મક પોશાક અને સાધનો પૂરા પાડવાની જરૂર છે.

• ખેડૂતો અને મજ઼દૂરોને આ સંકટ દૂર ના થાય ત્યાં સુધી મનરેગા(MGNRGA)નું મહેનતાણું આપવું. શહેરી રોજના કારીગરોને પણ આ સમય પૂરતા 6,000 રૂપિયા મહિનાના આપવા.

આપણે આ પગલાં ભરવાની તાતી જરૂર છે. સરકારનું 'પેકેજ' ઉદાસીનતા અને અજ્ઞાનતાનું આશ્ચર્યજનક મિશ્રણ છે. આપણે માત્ર એક વાઇરસ સામે જંગ નથી લડી રહ્યા — મહામારીના પણ 'પેકેજ' હોય છે. આર્થિક સંકટ એમાનું આપણે જાતે ઊભું કરેલું ને આપણે પોતે બગાડેલું એક પરિબળ છે જે આપણને વિપત્તિમાંથી વિનાશ તરફ લઇ જઈ રહ્યું છે.

જો વાઇરસ આવનારા અઠવાડિયાઓમાં હટવાનું નામ નહિ લે તો ખેડૂતોને ખરીફની મોસમમાં ખાદ્ય પાકો ઉગાડવા સમજાવવા એ સૌથી વધુ અગત્યનું હશે.

આ સાથે શું આપણે કોવિડ-19ને, થોડી તટસ્થતાથી, ઇતિહાસની એક અદ્દભુત સાક્ષાત્કારની પળ તરીકે જોઈ શકીએ? એક એવો ચોરાહો જ્યાં ઊભા રહી આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ તરફ આગળ વધીશું. અસમાનતા અને આરોગ્ય ન્યાયની ચર્ચાઓને ફરી એક વાર જગાવવા અને સમજવા આપણેને પ્રેરતી ક્ષણ.

આ લેખની એક આવૃત્તિ પહેલાં ‘ધ વાયર’માં માર્ચ 26, 2020ના દિવસે પ્રકાશિત થઇ છે.

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવ્સ ઓફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક તંત્રી છે. તેઓ વર્ષો સુધી ગ્રામીણ પત્રકાર રહ્યા છે અને “એવરીબડી લવ્સ એ ગુડ ડ્રાઉટ”ના લેખક છે

અનુવાદક : પ્રતિષ્ઠા પંડ્યા અમદાવાદસ્થિત કવિ અને અનુવાદક છે જે અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં કામ કરે છે. તેઓ અમદાવાદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે અને ઉચ્ચતર શિક્ષણ, અંગ્રેજી સાહિત્ય અને કૉમ્યૂનિકેશન્સનના વિષયોનાં અધ્યયન અને અધ્યાપનમાં રસ ધરાવે છે.

https://ruralindiaonline.org/articles/કોવિડ-19-વિષે-આપણે-શું-કરી-શકીએ/

Loading

5 April 2020 admin
← ચલ મન મુંબઈ નગરી — 38
Covid-19 Lockdown: A Golden Opportunity to Reset →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved