ધર્મની કટ્ટરતા માણસની વિવેકશકિત હણી લે છે. ધર્મના નામે ન કરવા જેવાં કામો આપણે કરીએ છીએ. ધર્મના નામે સતીપ્રથાને બળ મળ્યું હતું. ધર્મનાં કારણે આપણે ચાર વર્ણમાં માનીએ છીએ. ધર્મનાં કારણે આપણે ગાયને પવિત્ર અને માણસને અપવિત્ર માનીએ છીએ ! ધર્મનાં કારણે 9 વર્ષની દીકરીને દીક્ષા અપાય છે !
હીરાના વેપારી ધનેશભાઈ સંઘવીની 9 વર્ષની પુત્રી દેવાંશીએ 18 જાન્યુઆરી 2023ના રોજ, સુરતમાં 35 હજાર લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા બાદ દેવાંશી પૂજ્ય સાધ્વી દીગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. તરીકે ઓળખાશે. મીડિયા કહે છે : “દેવાંશીની વરસીદાન યાત્રામાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી. દેવાંશી સંગીત, સ્કેટિંગ, ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે. દેવાંશીના પિતાની કંપનીનું વાર્ષિક 100 કરોડનું ટર્નઓવર છે. દેવાંશીએ બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7માં વર્ષે પૌષધ કર્યા છે. તેણે મોબાઇલનો / ટી.વી.નો ઉપયોગ ક્યારે ય કર્યો નથી. તેણે 367 દીક્ષાનાં દર્શન કર્યાં છે. પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેને કંઠસ્થ છે. 8 વર્ષની ઉંમર સુધીમાં દેવાંશીએ 500 કિલોમીટર ચાલી તીર્થસ્થાનોની મુસાફરી કરી હતી. સર્વ સુખનો ત્યાગ કરી, બહુ જ સમજણપૂર્વક સંસાર છોડવા દેવાંશી રાજી થઈ ગઈ હતી.”
થોડાં પ્રશ્નો :
[1] અખબારો / ટી.વી.માં દેવાંશીની દીક્ષાને મહત્ત્વ આપવામાં આવ્યું; કોઈએ આ દિક્ષાપ્રથાનો વિરોધ ન કર્યો ! બધાએ કહ્યું કે 9 વર્ષની દીકરી સંયમના માર્ગે ! ‘આટલી નાની દીકરીને સંયમ એટલે શું એની ખબર હોય? શું આ ધાર્મિક કટ્ટરતા નથી?
[2] દેવાંશીનો વાંક નથી, તેના માતા-પિતા / સમાજનો વાંક છે. જો દીકરીને સંયમના માર્ગે મોકલવી હોય તો વરસીદાન યાત્રામાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ શા માટે? ભૌતિક ભભકો શા માટે?
[3] ‘દેવાંશી 8 મહિનાની હતી ત્યારે તેણે દરરોજ ત્રિકાલ પૂજન શરૂ કર્યું. તે 1 વર્ષની થઈ ત્યારથી રોજ નવકાર મંત્રનો જાપ કરતી. 2 વર્ષ અને 1 મહિનાની ઉંમરથી તેણે ગુરુઓ પાસેથી ધાર્મિક શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું.’ આવી વાતો મીડિયા લખે છે; પરંતુ આમાં સચ્ચાઈ કેટલી? માની લઈએ કે દેવાંશીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી; તો તેનો લાભ શું?
[4] ‘સર્વ સુખનો ત્યાગ કરી, બહુ જ સમજણપૂર્વક સંસાર છોડવા દેવાંશી રાજી થઈ ગઈ હતી.’ શું દેવાંશી 9 વર્ષની ઉંમરે દીક્ષાનો નિર્ણય લઈ શકે? શું આ માતા-પિતાની ભૂલ નથી? જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજની નાસમજદારી નથી? વરસીદાન યાત્રામાં હાજર રહેલ 35 હજાર લોકોની મૂર્ખાઈ નથી? જો બાળલગ્ન ગુનો ગણાતો હોય તો બાળદીક્ષા ગંભીર ગુનો ન ગણાય?
[5] સર્વ સુખનો ત્યાગ કરી, સંસાર છોડવાનો નિર્ણય બહુ જ સમજણપૂર્વકનો કહી શકાય? શું દેવાંશી સંસારને ખરાબ માનતી હશે? જો દેવાંશીનો સંસાર છોડવાનો નિર્ણય ઉત્તમ હોય / સાચો હોય તો તેમનાં માતા-પિતા તથા વરસીદાન યાત્રામાં હાજર રહેલ 35 હજાર લોકો શા માટે સંસાર છોડતા નથી?
[6] બાળકો તો જેમ વાળો તેમ વળે. દેવાંશીને ધર્મસ્થાનોમાં મોકલવાને બદલે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં પુસ્તકો વાંચવા માટે આપ્યા હોત તો એ સાધ્વીને બદલે વૈજ્ઞાનિક બનત; સારી નાગરિક બનત. દેશને સાધ્વીઓ કરતાં વિચારશીલ નાગરિકોની વધુ જરુર છે. આ ક્યારે સમજાશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર