![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2021/09/Ramesh-Oza-87-300x183.jpg)
રમેશ ઓઝા
નવ વર્ષમાં પહેલીવાર નરેદ્ર મોદીની સરકાર અંગ્રેજી શબ્દપ્રયોગ વાપરીએ તો ટાઇટ સ્પોટમાં મૂકાઈ ગઈ છે. ડાબે કે જમણે કે આગળ કે પાછળ એક ઈંચ પણ ખસવામાં જોખમ છે. નરેંદ્ર મોદી મનોરથ સેવે છે કે તેઓ વિશ્વનાં એક મહત્ત્વના નેતાનું સ્થાન પામે. આર્થિક અને જાગતિક સિક્યુરિટીનાં સમીકરણો જોતાં એ શક્ય પણ છે, પરંતુ એ ભારતનાં કારણે. સાત દાયકા પહેલાં જે સ્થિતિ હતી એનાથી ઊલટી સ્થિતિ છે. ત્યારે વિશ્વ રાજકારણમાં જવાહરાલ નેહરુનો અંગત દબદબો હતો, ભારત તો મદદ કરવી પડે એવો ગરીબ દેશ હતો. આજે ભારતનો ખપ છે એટલે વડા પ્રધાન માટે વિશ્વ રાજકારણમાં સ્થાન મેળવવું સહેલું છે.
પણ સમસ્યા એવી જટિલ છે કે કયો રસ્તો અપનાવવો એ સમજાતું નથી. એક તો રશિયા અને ચીન વચ્ચે ધરી રચાઈ નથી રહી, રચાઈ ચૂકી છે. ભારત ચીનથી રક્ષણ મેળવવા રશિયાનો હાથ ઝાલવા માગે છે પણ રશિયાએ અમેરિકા અને નાટો દેશોથી બચવા ચીનનો હાથ ઝાલી લીધો છે. દેખીતી રીતે રશિયા ચીનની ધરીમાં ભારત સ્થાન ન પામી શકે. આ બાજુ ચીને ભારતની ભૂમિ ઉપર કબજો કર્યો છે અને સરકાર ઊંહ કે આંહ કરતી નથી. ગોદી મીડિયા લોકોનું ઘ્યાન બીજે દોરે એનો અર્થ એવો નથી કે જગતને ભારતની સંકડામણની જાણ નથી. લદાખમાં ૬૭માંથી ૨૪ થાણાં ચીને ભારત પાસેથી છીનવી લીધાં છે એની કબૂલાત સરકારે હમણાં કરવી પડી હતી. આનો અર્થ એ થયો કે ભારતીય લશ્કર ભારતનાં કબજા હેઠળની ભૂમિમાં પેટ્રોલિંગ કરી શકતું નથી. અરુણાચલ પ્રદેશમાં પણ ચીન આવીને બેઠું છે. ચીને એક પક્ષીય રીતે અરુણાચલ પ્રદેશનું અને તેનાં સ્થાનોનાં નામ બદલી નાખ્યાં છે. ભારત અને ચીન વચ્ચે ૧૮ રાઉન્ડની ચર્ચા પછી પણ કાંઈ નિષ્પન્ન થયું નથી. બે દેશના સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન વચ્ચે પણ વાટાઘાટો થઈ છે પણ ચીન ટસનું મસ થતું નથી.
ભારત પાસે વિકલ્પ બચે છે અમેરિકા અને પશ્ચિમના દેશોનો. જપાન અને ઓસ્ટ્રેલિયાનો. પણ આ બધા દેશો ભારતથી ભૌગોલિક રીતે દૂર છે. જો યુક્રેન યુરોપનો હિસ્સો હોવા છતાં અને નાટોનું સભ્ય હોવા છતાં જોઈએ એવી મદદ ન મળે તો ચીન સામે ભારતને શું મદદ મળવાની! આ સિવાય અમેરિકા ભરોસાપાત્ર નથી. અમેરિકા ચીન સામે ભારતનો ઉપયોગ કરવા માગે છે. આમ અમેરિકા અને બીજા લોકતાંત્રિક દેશોની પાંખમાં બેસવાથી ફાયદો થશે જ તેની કોઈ ખાતરી નથી.
હવે આ પાછા લોકશાહી દેશો. તેની પાંખમાં જવાથી ફાયદો થશે કે નહીં એની કોઇ ગેરંટી નહીં પણ એ દેશો ભારતના શાસકો પાસેથી લોકતાંત્રિક મર્યાદા જાળવવાનો આગ્રહ રાખે છે. વર્ગમાં તોફાન કરવાનું નથી. માનમર્યાદા જાળવીને વર્તવાનું છે. શિસ્ત જાળવી રાખવાની છે. તોફાનો કરવાનાં નથી. અને આ બધું કર્યા પછી ફાયદો શું થશે? ભગવાન જાણે.
એક તરફ ચીન અને રશિયાની ધરી, બીજી તરફ ભારતની ભૂમિ ઉપર ચીનનો કબજો અને ચીનની દાદાગીરી, ત્રીજી તરફ બિનભરોસાપાત્ર અમેરિકા અને બીજા લોકતાંત્રિક દેશો, પાંચમી તરફ એ લોકશાહી દેશોનો ભારતના શાસકો પાસેથી લોકતાંત્રિક મર્યાદા જાળવવાનો આગ્રહ.
પણ લોકતાંત્રિક માન મર્યાદા જાળવે તો ઘર આંગણે વિરોધનો સામનો કરવો પડે અને કોઈ વિરોધી જોઈતો નથી. લોકોને જવાબ આપવો પડે અને કોઇને જવાબ આપવો નથી. લોકતાંત્રિક સંસ્થાઓનું ગળું રુંધ્યા વિના તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેવી પડે અને એ પરવડે એમ નથી. આખરે વિરોધીઓને અને વિરોધપક્ષોને ખતમ કરીને એકપક્ષીય શાસન લાદવું છે. પ્રતિપક્ષોને ચૂંટણી લડવામાં એક સમાન તક (લેવલ પ્લેયિંગ ફિલ્ડ) આપવી પડે અને એ આપવી નથી. નાગરિકોના અધિકારોનો આદર કરવો પડે અને એ કરવો નથી. વખતે સત્તા ગુમાવવી પડે અને એ ગુમાવવી નથી. એમાં વળી કર્ણાટકનાં પરિણામો ધક્કાદાયક આવ્યાં. રાહુલ ગાંધીની ઈમેજ સુધરી છે, કાઁગ્રેસની તાકાત વધી રહી છે, કાઁગ્રેસમાંથી જે જવા માગતા હતા એ જતા રહ્યા છે, વિરોધ પક્ષો સામૂહિક રણનીતિ બનાવી રહ્યા છે અને ઉપરથી નાગરિક સમાજ લોકશાહી તેમ જ સહિયારા ભારતને બચાવવા મેદાનમાં ઉતર્યો છે. ટૂંકમાં સ્થિતિ એવી પ્રતિકૂળ બની રહી છે કે હજુ વધુ માથાભારે થવું પડે એમ છે.
માથાભારે થવાથી ઘર આંગણે અઢળક સત્તાકીય ફાયદાઓ છે પણ વિશ્વનેતા બનવામાં તે બાધારૂપ છે. ચીન સામે લોકશાહી દેશોનો ટેકો જોઈતો હોય તો તેમાં માથાભારેપણું બાધારૂપ છે. ચીન અને રશિયા નામના બે માથાભારે દેશોએ ધરી રચી લીધી છે એટલે ત્યાં જગ્યા નથી. જ્યાં સ્વાભાવિક જગ્યા હોવી જોઈએ ત્યાં જગ્યા નથી.
તો કરવું શું? રસ્તો જડતો નથી. આને કહેવાય ટાઇટ સ્પોટ. બી.બી.સી.ની ડોક્યુમેન્ટરી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો અને બી.બી.સી.ની ઑફિસો પર રેઇડ પાડી તો એનાં પડઘા બ્રિટનમાં સંસદમાં પડ્યા. ‘ગાર્ડિયન’ નામનાં લંડનના અખબારે નરેંદ્ર મોદીની સરખામણી પુતિન સાથે કરી. પુતિન ઇન મેકિંગ. અમેરિકાના ગૃહ મંત્રાલયે બહાર પાડેલા વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતનાં વર્તમાન શાસકો લઘુમતિ કોમના વિરોધી છે, લઘુમતિ કોમ સાથે ભેદભાવ કરે છે, સતાવે છે અને લઘુમતિ કોમના લોકોની કતલેઆમ (માસ કિલિંગ) થાય એવી શક્યતા પણ છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમમાં ભારત ૧૮૦ દેશોમાં ૧૬૧મું સ્થાન ધરાવે છે. ગામનાં ઉતાર હોવાની ખ્યાતિ ધરાવતા દેશો કરતાં પણ પાછળ. જગતભરના મીડિયા નરેંદ્ર મોદીને તાનાશાહ અથવા બની રહેલા તાનાશાહ તરીકે ઓળખાવી રહ્યા છે. એમાં આવતા સપ્ટેમ્બર મહિનામાં ભારત ‘જી ૨૦’ દેશોની શિખર પરિષદનું યજમાન બનવાનું છે. સપ્ટેમ્બર મહિનો હવે દૂર પણ નથી. નરેંદ્ર મોદી ઇચ્છે છે કે ‘જી ૨૦’માં તેમનાં ઓવારણાં લેવાય પણ ઓવારણા લેવડાવવા હોય તો મર્યાદામાં રહેવું પડે. બીજી બાજુ આ વરસમાં ત્રણ મહત્ત્વનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને આવતાં વરસે લોકસભાની. મર્યાદામાં રહેવું પોસાય એમ નથી. સભ્યતા એ લોકોને પોસાય જે પરાજય સ્વીકારવા તૈયાર હોય.
છે ને ટાઇટ સ્પોટ? માથાભારેપણું અને પ્રતિષ્ઠા બન્ને એક સાથે ન ચાલે. ઘર આંગણે કોઈ પણ સંજોગોમાં સત્તા ગુમાવવી નથી એટલે માથાભારે બનવું જરૂરી છે અને ચીન સામે વિશ્વદેશોનો ટેકો જોઈતો હોય અને જગતમાં પ્રતિષ્ઠા રળવી હોય તો માન મર્યાદા જાળવનાર ડાહ્યા બનવું પડે.
આના એક ઉપાય તરીકે કિરણ રીજીજુની પાસેથી કાયદા મંત્રાલય આંચકી લેવામાં આવ્યું કારણ કે તેઓ સર્વોચ્ચ અદાલત અને ન્યાયતંત્ર સાથે બાખડતા હતા. જગતમાં ઊહાપોહ મચ્યો કે ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્રનું કાસળ કાઢવામાં આવી રહ્યું છે. પણ આટલું પૂરતું નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 મે 2023