મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વમાં મહાત્મા ગાંધી તરીકે જાણીતા થયા, જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળની ગતિને આગળ ધપાવવા પ્રેરણા આપી હતી, ભારતીય સ્વતંત્રતા સંગ્રામના છેલ્લો તબક્કો, જેને લોકપ્રિય ચળવળમાં પરિવર્તિત કરવા માટે શરૂઆતનાં પગલાં લીધાં, કેટલાક મુસ્લિમ સ્વતંત્રતા લડવૈયાઓએ આ આહ્વાનને સમર્થન આપી તેમના વિચારો, શબ્દો અને પ્રવૃત્તિઓને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તેમના અનુયાયીઓ તરીકે નોંધપાત્ર સમર્થન આપ્યું અને તેમના જણાવ્યા મુજબના માર્ગને અનુસર્યા.
મોહનદાસ કરમચંદ ગાંધી જ્યારે લંડનથી કાયદાનો અભ્યાસ કર્યા બાદ બેરિસ્ટર તરીકે ભારત પરત ફર્યા અને પોતાને વકીલ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને ખૂબ સારી તકો મળી. તેવા ગાળામાં આઝાદી માટેનો ઐતિહાસિક પાયો નંખાયો, જેણે ‘બેરિસ્ટર એમ કે ગાંધી’ ને ‘મહાત્મા ગાંધી’ અને ‘રાષ્ટ્રપિતા’માં પરિવર્તિત કર્યા.
દાદા અબ્દુલ્લાહ એક માર્ગદર્શક તરીકે :
દાદા અબ્દુલ્લા સાથેના ગાંધીના જોડાણ અને દક્ષિણ આફ્રિકામાં તેમણે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો, તે કપરી પરિસ્થિતિઓમાં દાદા અબ્દુલ્લાએ બેરિસ્ટર એમ.કે. ગાંધીનું ધ્યાન જાહેર કાર્યો તરફ દોરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અબ્દુલ્લા દક્ષિણ આફ્રિકામાં મેસર્સ દાદા અબ્દુલ્લા એન્ડ કંપનીમાં મુખ્ય ભાગીદાર હતા. તેમનું પૂરું નામ અબ્દુલ્લા હાજી આદમ ઝવેરી હતું. તેઓ ગુજરાત રાજ્યના ગાંધીજીના વતન પોરબંદરના વતની હતા. સાઉથ આફ્રિકાની અદાલતોમાં તેમની વ્યવસાયિક પેઢીને લગતા ઘણા કાયદાકીય દાવાઓ ચાલી રહ્યા હતા. મેસર્સ દાદા અબ્દુલ્લા એન્ડ કંપનીના ભાગીદાર શેખ અબ્દુલ કરીમ ઝવેરીએ કાયદાના દાવાઓમાં તેમના વકીલોને મદદ કરવા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં આમંત્રણ આપ્યું હતું. 1892 માં જ્યારે ગાંધી આમંત્રણના જવાબમાં દક્ષિણ આફ્રિકા પહોંચ્યા, ત્યારે દાદા અબ્દુલ્લા જાતે ગાંધીને બંદર પર આવકારવા ગયા અને તેમને તેમની કંપનીના ક્વાર્ટરમાં લઈ ગયા હતા. ત્યારથી દાદા અબ્દુલ્લા દક્ષિણ આફ્રિકામાં ગાંધીના તમામ પ્રયાસોમાં માર્ગદર્શક રહ્યા. ગાંધી ત્યાંના ભારતીયોની લાચારી સમજી ગયા. તેમણે દાદા અબ્દુલ્લા અને તેમના સાથીઓ પાસેથી વધુ વિગતો એકઠી કરી. દાદા અબ્દુલ્લાએ ગાંધીને આ સંદર્ભમાં ઘણી પરિસ્થિતિઓ વિશે વાકેફ કર્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. એવા ઘણા પ્રસંગો પણ બન્યા હતા જ્યારે દાદા અબ્દુલ્લાએ ગાંધીજીને અમુક સ્થાનિક રીતો અપનાવતા અટકાવ્યા હતા કે તે રીતો દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોના સ્વાભિમાન માટે હાનિકારક હશે. ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં આનો ઉલ્લેખ કર્યો છે.
1894માં ગાંધીજીના ભારત પરત ફરવાના પ્રસંગે દાદા અબ્દુલ્લાની ઓફિસમાં યોજાયેલ વિદાય સમારંભમાં, લાંબા સમયથી દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયોના મતદાનના અધિકારોને નાબૂદ કરવા માટે કાયદાના એક ભાગ વિશે વહેતા થયેલા સમાચારની ચર્ચા કરવામાં આવી હતી.
એન.આઈ.સી. પ્રમુખ તરીકે અબ્દુલ્લા અને ગાંધી સાથે :
22મી મે 1894ના રોજ નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસની રચના કરવામાં આવી, મતાધિકારથી વંચિત રાખવાના બીલ વિરુદ્ધ લડત લડવા માટે દાદા અબ્દુલ્લાને પ્રમુખ તરીકે અને એમ.કે. ગાંધીની સચિવ તરીકે વરણીને વિદાય બેઠકમાં લેવાયેલા નિર્ણયને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. હાજી મુહંમદ હાજી દાદા, અબ્દુલ કાદિર, હાજી દાદા હાજી હબીબ, મૂસા હાજી આદમ, પી. દાવજી મુહમ્મદ, પીરાન મુહમ્મદ, હુસેન મીરાન, આદમજી મિયાંખાન, મૂસા હાજી કાસિમ, મહોમ્મદ કાસિમ જીવા, દાઉદ મહોમ્મદ, હુસેન કાસીમ આમોદ તીલી, ઉમર હાજી આબા, હાજી મુહમ્મદ (પી.એમ. બર્ગ), કમરુદ્દીન (પી.એમ. બર્ગ) વગેરે વ્યક્તિઓએ નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસના ઉપપ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો. ગુલામ હુસેન રાંદેરી, શમશુદ્દીન, જી.એ. બાસ્સા, ઇબ્રાહિમ એમ. ખત્રી, શૈખ ફરીદ, વરીંદ ઇસ્માઇલ, જુસુબ અબ્દુલ કરીમ, ઇસ્માઇલ કાદિર, ઇસબ કદુઆ, મુહમ્મદ ઇસાક, મુહમ્મદ હાફેજી, ઉસ્માન અએહમદ અને મુહમ્મદ તયૂબ કાર્યકારી સમિતિમાં હતા, જેઓ નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસના કાર્યક્રમોના અમલીકરણ માટે તૈયાર થયા હતા.
જાહેર કાર્યો કરવાની પ્રેરણા :
આ સંદર્ભને આગળ ધપાવતા, ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે કે ‘અહીં મને જાહેર કાર્યો શીખવાની તકો મળી હતી અને તેના માટે મારી ક્ષમતાને કારગર કરવા અનુભવ મેળવ્યો હતો’. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમના 21 વર્ષનાં રોકાણ દરમિયાન, મુખ્યત્વે હાજી ઈસા સમદ, અબ્દુલ ગની, મોહમ્મદ કાસીમ, કમરુદ્દીન, આદમજી મિયાં ખાન અને દાઉદ શેઠ જેવી અનેક વ્યક્તિઓનો જે સંઘર્ષ માટે તેમણે ત્યાં નેતૃત્વ કર્યું હતું તેના માટે સંપૂર્ણ સહકાર મેળવ્યો હતો.
સત્યાગ્રહ ચળવળ અને ફ્યુનિક્સ સમાધાન માટે સામગ્રી અને નૈતિક ટેકો આપવા ઉપરાંત, દાદા અબ્દુલ્લાએ તેમના વ્યવસાયિક ભાગીદારોને પણ તેમાં જોડવા અને સહકાર કરવા માટે સફળ પ્રયાસો કર્યા. આનો ઉલ્લેખ પ્રો. યોગેન્દ્ર યાદવના લેખ ‘દાદા અબ્દુલ્લા અને મહાત્મા ગાંધી’ શિર્ષક હેઠળ છપાયેલો.’ આપણે કહી શકીએ કે દાદા અબ્દુલ્લા દક્ષિણ આફ્રિકા સત્યાગ્રહ ચળવળમાં મહાત્મા ગાંધીના પ્રથમ સમર્થક હતા. તેમણે ગાંધીજીને એક પિતાની જેમ શીખવ્યું અને ટેકો આપ્યો.’
‘ઈમામ સાહેબ‘
દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ ચળવળ દરમિયાન બેરિસ્ટર ગાંધી નેતામાં પરિવર્તિત થયા પછી અને ત્યાં ભારતીયોની તરફેણમાં ચોક્કસ મૂર્ત પરિણામ પ્રાપ્ત કરીને, ગાંધીજી 1915માં ફિનિક્સ આશ્રમ અને અન્ય પ્રવૃત્તિઓ છોડીને ભારત પરત ફર્યા. ગાંધીજી સાથે ઇમામ અબ્દુલ કાદીર બવાઝીર (-1931) પણ સાથે આવ્યા, જે ફિનિક્સ આશ્રમમાં સહયોગી હતા. ગાંધીજીએ ભારતમાં સાબરમતી આશ્રમ ખાતે શરૂ કરેલ પ્રિન્ટિંગ પ્રેસની જવાબદારી તેમણે સંભાળી. અબ્દુલ કાદીરના પત્ની ઇમામ સાહેબા, તેમની પુત્રીઓ ફાતિમા બેગમ અને આમના કુરેશી (1905,1967) પણ તેમની સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતાં. ઈમામ અબ્દુલ કાદીર, જેમને ગાંધીજી પ્રેમથી ‘ઈમામ સા’બ’ કહેતા. તેમનો પરિવાર ગાંધીજીના પરિવાર સાથે સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને ગાંધીજી ભાઈની જેમ રાખતા હતા.
ફાતિમાના લગ્નનું આમંત્રણ ગાંધીજી દ્વારા :
પરિવાર પ્રત્યેના લગાવના કારણે 20 વર્ષની ફાતિમાના લગ્ન મામલે ગાંધીજીએ ખાસ કાળજી લીધી હતી. 2 એપ્રિલ 1920ના રોજ ગાંધીજીના નામે છપાયેલા લગ્નનું આમંત્રણ ભારતીય રાષ્ટ્રીય ચળવળના સાહિત્યના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. આમંત્રણ આ પ્રમાણે લખ્યું હતું, :
‘પ્રિય મિત્ર,
ફાતિમા બેગમ મારા મિત્ર અને ભાઈ ઈમામ અબ્દુલ કાદીર સાહેબની મોટી પુત્રી છે, જે દક્ષિણ આફ્રિકા અને ભારતમાં આશ્રમ અને જેલ જીવનમાં મારી સાથે હતા. ફાતિમા બીબીના લગ્ન સૈયદ હુસૈન મિયાં સાથે 26 એપ્રિલ, 1920 શનિવારે સાંજે 7:00 વાગ્યે નક્કી થયા છે. આ ખુશીના પ્રસંગે વરવધૂને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
તમારો,
મોહનદાસ કરમચંદ ગાંધી ‘
ગાંધીજીએ ‘નવજીવન’માં આ લગ્ન વિશે ખાસ ઉલ્લેખ કર્યો છે. ગાંધીજીએ વિગતવાર ઇમામ અબ્દુલ કાદીર અને તેમના પરિવાર વિશે લખ્યું. આ બધું ‘મહાત્મા ગાંધીની કલેક્ટેડ કૃતિઓ, ભારત સરકારના પ્રકાશનો’માં ઉપલબ્ધ છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં સાબરમતી આશ્રમમાં ઈમામ સાહેબના જીવન વિશે લખ્યું : ‘તેમનું સાચું નામ અબ્દુલ કાદિર બવાઝીર હતું. પરંતુ, દક્ષિણ આફ્રિકામાં ઈમામ તરીકે સેવા આપતા હોવાથી, મોટા ભાગના લોકો તેમને ઈમામ સાહેબ તરીકે ઓળખતા હતા. હું હંમેશાં તેમને આ નામથી સંબોધતો હતો. ઇમામ સાહેબના પિતા બોમ્બેની પ્રખ્યાત જુમ્મા મસ્જિદના મુએઝિન (અઝાન આપનાર) હતા અને મૃત્યુપર્યંત સેવાઓ આપી હતી. ઈમામ સાહેબના ભારત પરત ફર્યા બાદ થોડાં વર્ષો પહેલા જ તેમનું અવસાન થયું હતું. વઝૂ કરી અને તેઓ અઝાન માટે તૈયારી કરી જ રહ્યા હતા, કે તે જ સમયે તેમનું મૃત્યુ થયું. આવા મૃત્યુ માત્ર ધન્ય લોકોને જ આવે છે. ઇમામ સાહેબના પૂર્વજો આરબો હતા, વર્ષો પહેલા ભારત આવ્યા હતા અને કોંકણમાં સ્થાયી થયા હતા. આથી તે કોંકણી ભાષા પણ જાણતા હતા. તેમની માતૃભાષા ગુજરાતી હતી, તેમનું ભણતર ઓછું હતું. જો કે તે કુરાનમાં બધું સમજવા માટે સક્ષમ ન હોવા છતાં, તેઓ કુરાન શરીફને આનંદદાયક ઉચ્ચારણ સાથે વાંચી શકે તેટલી સારી અરબી જાણતા હતા. તેમણે અંગ્રેજી, ડચ અને ક્રેઓલ ફ્રેન્ચ દ્વારા વ્યવહારુ જીવનમાં સંપર્કો બનાવ્યા હતા. ઉર્દૂ, અલબત્ત, તે જાણતા હતા. તેમની પાસે ઝુલુનું કાર્યકારી જ્ઞાન પણ હતું. તેમની બુદ્ધિ એટલી તીક્ષ્ણ હતી કે, જો તેઓ નિયમિતપણે શાળામાં અભ્યાસ કરતા હોત, તો તેમણે એક વિદ્વાન તરીકે નામના મેળવી હોત. તે વકીલ ન હોવા છતાં, તે વ્યવહારુ અનુભવ દ્વારા કાયદાની સૂક્ષ્મતાને સમજવા માંગતા હતા.
ઈમામ સાહેબ વેપાર માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા અને ઘણી કમાણી કરી હતી. જ્યારે વ્યવસાય છોડી દીધો, ત્યારે કોચ રાખ્યા જે તેમણે ભાડે આપ્યા હતા અને તેનાથી સારી આવક મેળવી હતી. તેમનો અવાજ મધુર હતો, અને, તેમના પિતા મુએઝીન હોવાથી, તેઓ ક્યારેક જોહાનિસબર્ગની મસ્જિદમાં અઝાન આપતા અને ઇમામ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે તેમની આ સેવાઓ માટે ક્યારે ય કોઈ માનદ્ વેતન લીધુ ન હતું.
ઈમામ સાહેબે બે વાર લગ્ન કર્યા હતા. બંને પત્નીઓ મલાયાની હતી. તેમના પ્રથમ લગ્ન સફળ રહ્યા ન હતા. બીજા લગ્ને તેમને ઘણી ખુશીઓ આપી હતી. તેમણે અને હાજી સાહેબાએ ખૂબ જ નિષ્ઠાથી એકબીજાંની સેવા કરી. તે એક નિષ્ઠાવાન મિત્ર હતો. જ્યાં સુધી હું જાણું છું, લગ્ન વિશે ઇમામ સાહેબના મંતવ્યોમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું હતું અને તેઓ એકપત્નીત્વમાં વિશ્વાસ કરતા હતા. ઇમામ સાહેબ સાથે મારી પ્રથમ મુલાકાત 1903માં દક્ષિણ આફ્રિકામાં થઈ. તે મને કહેતા હતા કે આપણે પહેલા એક વાર મળ્યા હતા પણ મને તે મુલાકાત વિશે કંઈ યાદ ન હતું. જ્યારે મેં જોહાનિસબર્ગમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે તે ગ્રાહકો સાથે મારી ઓફિસમાં આવતા જતા હતા. દેખાવ અને શિષ્ટાચારમાં એકદમ અલગ માણસ હતા. તે પોતે અંગ્રેજી શૈલીમાં રહેતા, અને ટર્કિશ કેપ પહેરતા હતા. મેં તરત જ તેની બુદ્ધિને ઓળખી લીધી, પરંતુ તેની પ્રથમ વખતની મુલાકાતે મારા પર સારી છાપ ઊભી કરી ન હતી. મેં તેને બદલે અડગ વિચાર્યું, પરંતુ, જેમ હું તેને વધુ સારી રીતે ઓળખતો ગયો, હું તેને વધુને વધુ પસંદ કરતો ગયો.
મેં જોયું, કારણ કે મને તેની સાથે વ્યવહાર કરવાનો વધુ ને વધુ અનુભવ થયો હતો, કે મેં જે બાબતને અડચણરૂપ માન્યું હતું તે માત્ર દરેક મુદ્દાની અસરોને સંપૂર્ણ રીતે સમજવાની તેની આતુરતા રેહતી. જો તે કોઈ પણ બાબતે અભિપ્રાય રાખતા હોય, તો જ્યાં સુધી તેનું કારણ તેની ભૂલની ખાતરી ન થાય ત્યાં સુધી તે તેને છોડતા નહીં. તેઓ કાયદાકીય બાબતોમાં વકીલના શબ્દને માત્ર ગોસ્પેલ સત્ય તરીકે લેતા ન હતા કારણ કે તેઓ પોતે વકીલ ન હતા, પરંતુ આવી બાબતોમાં પણ તેમની સામે દલીલ કરતા. તેમ છતાં તેમને તેમના ચુકાદામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. તદુપરાંત, તેની પાસે આત્મસન્માનની ગૌરવપૂર્ણ ભાવના હતી. તેથી, મેં ખૂબ જ જલદી જોયું કે તેની પાસે કોઈની માથાકૂટમાં વધારે પડ્યા વગર પોતાના મંતવ્યને વળગી રહેવાની મનની પૂરતી શક્તિ છે.
શરૂઆતમાં, ઇમામ સાહેબ ક્લાયન્ટ્સ વતી મારી પાસે આવતા અને મને તેમના કેસ સમજાવતા. પરંતુ તેણે વર્તમાન બાબતોમાં રસ લીધો અને મને તેના વિશે ચર્ચામાં ખેંચ્યો. તેમણે દક્ષિણ આફ્રિકામાં આપણા દેશવાસીઓની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવા અને સભાઓમાં ભાગ લેવા વગેરેમાં ઊંડો રસ દાખવ્યો હતો, મોટાભાગના મુદ્દાઓ પર તેમણે મને ટેકો આપ્યો હતો, પરંતુ જ્યારે પણ તેમણે મારા સ્ટેન્ડને મંજૂરી ન આપી ત્યારે જાહેરમાં પણ મારો વિરોધ કરતા અચકાતા ન હતા. તેમ છતાં, ધીરે ધીરે, તે મારી તરફ ખેંચાયા અને, જ્યારે સત્યાગ્રહ શરૂ થયો, ત્યારે તેણે પોતાને એક ખડકની જેમ અડગ સાબિત કર્યો. કેટલાક પડી ગયા અને કેટલાક નબળા પડ્યા, અને કેટલાકે મારો કડવો વિરોધ કર્યો, પણ મને યાદ નથી કે ઇમામ સાહેબ કોઇ પણ સમયે વિરુદ્ધમાં હતા. જ્યારે તે પ્રથમ વખત જેલમાં હતા, ત્યારે કોઈએ ધાર્યું ન હતું કે તે છેલ્લે સુધી મજબૂત રહેશે.
તેનાથી વિપરીત, ઘણા લોકોએ મને કહ્યું, જેમાંથી કેટલાક લોકોએ તેમને ખૂબ આદરપૂર્વક રાખ્યા હતા, કે તે ફરીથી જેલમાં નહીં જાય, કે તેમનું શરીર નાજુક છે, આનંદ-પ્રેમાળ છે અને તેમની ઘણી ઇચ્છાઓ છે. આ સંપૂર્ણ રીતે સાચું હતું. જો કે, ઇમામ સાહેબ ક્યારે ય નબળા પડ્યા નથી, મેં ઘણા લોકોને જોયા છે, જેઓ તેમની આદતોમાં સરળ હોવાથી જાણીતા હતા અને સંઘર્ષમાંથી ખસી જતા હતા. ઇમામ સાહેબની આત્મ બલિદાનની ક્ષમતા ખૂબ જ મહાન હતી, અને, જો કે તેઓ નિર્ણય લેતા પહેલા લાંબા સમય સુધી વિચારતા હતા, તેમણે એકવાર લેવાયેલા નિર્ણયને વળગી રહેવાની અદ્ભુત તાકાત દર્શાવી હતી.
જ્યારે ઇમામ સાહેબ સંઘર્ષમાં ડૂબી ગયા, ત્યારે તેમને બિલકુલ વિચાર નહોતો કે તેમને પોતાનું ઘર છોડીને સંપૂર્ણ ત્યાગનું જીવન અપનાવવું પડશે. જો કે, જલદી જ, જોયું કે જો સત્યાગ્રહ આંદોલનમાં કટ્ટર રહેવાની ઈચ્છા રાખે તો તેમણે તેના ઘરનો લગાવ છોડી દેવો પડશે, તેણે લગભગ એક જ ક્ષણમાં આવું કર્યું. તેમના તરફથી આ કોઈ નાનું બલિદાન નહોતું.
આપણે યાદ રાખવું જોઈએ કે ઈમામ સાહેબે પોતાનું ઘર અંગ્રેજી શૈલીમાં ગોઠવ્યું હતું. હાજી સાહેબા તેમના જન્મથી જ તે શૈલીમાં રહેતા હતા. ફાતિમા અને આમના પણ અંગ્રેજી બાળકોની જેમ ઉછર્યાં હતાં. જે વ્યક્તિ આવી ભૌતિક શૈલીમાં જીવતી હતી, ઈમામ સાહેબ માટે તેમના ભારે ખર્ચને ઘટાડવો અને એકદમ સરળ જીવન પદ્ધતિ અપનાવવી અત્યંત મુશ્કેલ હતું. જો કે, એકવાર તે કોઈ ખાસ કામ કરવાનું મન બનાવી લેતા, ત્યારે તેમના સંકલ્પને પાર પાડવો એકદમ સરળ હતો. અને, તેથી, જ્યારે મેં જોહાનિસબર્ગ છોડવાનું અને ફિનિક્સમાં સ્થાયી થવાનું નક્કી કર્યું, ત્યારે તેણે પોતે પ્રસ્તાવ મૂક્યો કે તે પણ ત્યાં જ રહેશે. તેમ છતાં હું તેની મનની મક્કમતા જાણતો હતો, હું તેના પ્રસ્તાવના જવાબમાં શું કહેવું તે સંપૂર્ણપણે વિચારતો રહ્યો હતો. મેં તેને ફિનિક્સમાં જીવનની મુશ્કેલીઓ વર્ણવી. એક માણસ જેણે ક્યારે ય પોતાનું શરીર સહેજ પણ મુશ્કેલીમાં મૂક્યું ન હતું અને હંમેશાં આરામ અને વૈભવથી ઘેરાયેલું હતું; મને આશ્ચર્ય થયું કે આવી વ્યક્તિ મજૂરની જેમ જીવન કેવી રીતે શરૂ કરી શકે? જો તે પોતે ફિનિક્સમાં જીવનની મુશ્કેલીઓ સહન કરી શકે તો પણ હાજી સાહેબા, અને ફાતિમા અને આમના વિશે શું ? મેં પૂછ્યું. ઇમામ સાહેબનો જવાબ ટૂંકમાં હતો.
તેમણે કહ્યું: “મેં ઉપરવાળા પર મારો ભરોસો મૂક્યો છે. અને તમે હાજી સાહેબાને ઓળખતા નથી. હું જ્યાં અને જેવી રીતે રહીશ, તેણી રહેવા માટે તે હંમેશાં તૈયાર રહેશે. ફિનિક્સમાં આવવાનું અને રહેવાનું નક્કી કર્યું છે. સંઘર્ષ ક્યારે સમાપ્ત થશે તે કોઈ જાણતું નથી. મને નથી લાગતું કે હું ભાડા પર કોચ સપ્લાય કરવાના મારા જૂના વ્યવસાયને આગળ ધપાવી શકું અથવા અન્ય કોઈ વ્યવસાય કરી શકું. તમારી જેમ, મારે પણ સત્યાગ્રહીની જેમ પૈસો અને સંપત્તિનો પ્રેમ છોડી દેવો જોઈએ એવું પણ સમજાયું છે.” ઈમામ સાહેબના આ પ્રસ્તાવથી મને ખૂબ આનંદ થયો. મેં ફિનિક્સમાં મારા સહકાર્યકરોને લખ્યું. તેઓએ પણ આ પ્રસ્તાવને આવકાર્યો હતો. અને તેથી ઇમામ સાહેબ અને તેમનો પરિવાર આવ્યો.
આશ્રમના ઘણા રહેવાસીઓને કદાચ ખબર નહીં હોય કે ઈમામ સાહેબ તેમની તમામ પ્રવૃત્તિઓમાં ફિનિક્સના રહેવાસીઓ સાથે જોડાયા હતા. દરેક વ્યક્તિએ આશ્રમ પાસેનાં ઝરણાંમાંથી પોતાના ઉપયોગ પૂરતું જાતે પાણી લાવતા. જે ફિનિક્સ સેટલમેન્ટ નીચે વહેતો હતો. ફિનિક્સની ઇમારતો એક ટેકરી પર હતી અને સ્થળ સુધી પહોંચવા માટે લગભગ પચાસ ફૂટ ઊંચે ચડવું પડતું હતું. તે સમયે પણ ઈમામ સાહેબનું શરીર નાજુક હતું, પણ દરરોજ સવારે કોઈએ તેમને ખભા પર કાવડ લઈને ઝરણા તરફ જતા અને પાણીથી ભરેલી ડોલથી ધીરે ધીરે ચડતા જોયા. પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા હવે આશ્રમમાં સ્પિનિંગ વ્હીલ દ્વારા કબજે કરેલી જગ્યા ફિનિક્સમાં રાખવામાં આવી હતી. બધા રહેવાસીઓ, છોકરાઓ અને છોકરીઓ, વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ, શિક્ષિત અને અભણ, દરેકે પ્રેસના કેટલાક વિભાગમાં કામ કરવાનું હતું. અલગ અલગ પ્રકારનાં મોટાં કે નાનાં કાર્યો હતાં, કમ્પોઝ કરવું, કાગળની છાપેલ નકલો ફોલ્ડ કરવી, રેપર બનાવવું, સ્ટેમ્પ ચોંટાડવું, જ્યારે પણ મશીન બંધ થાય ત્યારે હાથથી વ્હીલ ખસેડવું વગેરે વગેરે. દરેકે થોડો સમય આપવો જરૂરી હતો અને આ કાર્યોમાં મદદ, ખાસ કરીને જે દિવસે જર્નલ પ્રકાશિત થવાનું હોય. ઇમામ સાહેબ, હાજી સાહેબા, ફાતિમા અને આમના, ચારેય આ કામમાં જોડાયાં. ઇમામ સાહેબ કંપોઝિંગ શીખ્યા હતા. તેમના સ્વભાવ, ટેવો અને આ ઉંમરના માણસ માટે, આ ખરેખર અદ્ભુત હતું. આ રીતે, ઇમામ સાહેબે ફિનિક્સના જીવન સાથે પોતાને સંપૂર્ણ રીતે ભેળવી લીધા. તે અને તેના પરિવારના અન્ય સભ્યો માંસાહારી હતા, પરંતુ મને એવો કોઈ સમય યાદ નથી કે જ્યારે તેઓએ ફિનિક્સમાં આવો ખોરાક રાંધ્યો હોય. જો કે, તેનો અર્થ એ નથી કે ઈમામ સાહેબ કોઈ પણ રીતે ઓછા શ્રદ્ધાળુ મુસ્લિમ હતા. તે ક્યારે ય નમાઝ ચૂકતા ન હતા, ન તો તે અથવા તેમનો પરિવાર ક્યારે ય રોઝાનું પાલન કરવામાં નિષ્ફળ ગયો હોય. અન્ય રહેવાસીઓની જીવનશૈલી અપનાવીને અને તેમના માટે બલિદાન આપીને, તેમણે ખરેખર ઇસ્લામિક સંસ્કૃતિની ખાનદાનીનું પ્રદર્શન કર્યું. આત્મ બલિદાન માટે ઈમામ સાહેબની ક્ષમતા હજુ પણ વધુ ગંભીર કસોટીમાં મૂકાવાની હતી. તેઓ ઘણીવાર ફરી જેલમાં ગયા, અને પોતાને એક મોડેલ કેદી સાબિત કર્યા.
જ્યારે, જો કે, વર્ષ 1914માં નક્કી કરવામાં આવ્યું હતું કે આશ્રમના મોટાભાગના રહેવાસીઓએ ભારત પાછા ફરવું જોઈએ, તેમાંથી માત્ર થોડાને ફિનિક્સમાં છોડી દેવાથી, ઈમામ સાહેબની વાસ્તવિક કસોટી થઈ. દક્ષિણ આફ્રિકા વ્યવહારિક તેમનું ઘર બની ગયું હતું. હાજી સાહેબા, ફાતિમા અને આમના ભારત માટે સંપૂર્ણ અજાણ્યાં હતાં અને તેઓ કોઈ ભારતીય ભાષા જાણતા ન હતા – થોડું અંગ્રેજી અને ડચ એ બધી ભાષા, જે તેઓ જાણતા હતાં. પરંતુ ઇમામ સાહેબે નિર્ણય પર આવવામાં સમય ન લીધો. તેમણે પોતાનું મન બનાવી લીધું હતું કે હું જ્યાં રહીશ, ત્યાં તેમનો પરિવાર પણ રહેશે. સત્યાગ્રહ અને હિન્દુ-મુસ્લિમ એકતા માટે આ તેમનું આત્મ બલિદાન હતું. સાબરમતી આશ્રમમાં દરેક વ્યક્તિ તેમની દિનચર્યા જાણતો હતો. અલ્લાહમાં ઊંડી શ્રદ્ધા ધરાવતો માણસ હોવાથી તેનું હૃદય શુદ્ધ હતું. આશ્રમના નીતિ અને નિયમો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વધુ મજબૂત થતી રહી. ’
ઇમામ અબ્દુલ કાદીર બવાઝીરના પરિવાર વિશે લખ્યા પછી, ગાંધીજીએ ફાતિમા અને આમનાના કાર્યપ્રવાહ અને હિંમતની પ્રશંસા કરી. ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેનાર ફાતિમા બેગમ અને આમના કુરેશીની હિંમત અને સાહસિક ભાવનાની પ્રશંસા કરતા ગાંધીજીએ ટિપ્પણી કરી હતી : ‘ફિનિક્સ અને સાબરમતી આશ્રમોમાં ઉછરેલી અને તાલીમ પામેલી છોકરીઓ કેવી રીતે વર્તશે?’
ચંપારણ માટે આમંત્રણ :
જ્યારે સત્યાગ્રહના હથિયારથી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડ્યા અને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી, ત્યારે ગાંધીજી 1915માં ભારત પરત ફર્યા અને અંગ્રેજો સામે સૌપ્રથમ આ જ સત્યાગ્રહનું હથિયાર અપનાવ્યું હતું. ભારત પરત ફર્યા બાદ તેમણે જે પ્રથમ અભિયાન ચલાવ્યું તે ‘ચંપારણ ખેડૂત સંઘર્ષ 1917′ જાણીતું થયું હતું. ખેડૂત નેતા શેખ ગુલાબ (1857-1920), અને પત્રકાર પીર મુહમ્મદ અન્સારી મુનીસ(1882-1949)એ ‘ચંપારણ ખેડૂત સંઘર્ષ’નો મજબૂત પાયો નાખ્યો હતો, બિહાર રાજ્યના ચંપારણમાં ગાંધીજીના આગમન પહેલા તેમને ટેકો આપ્યો હતો, જેમાં ગળીનું વાવેતર, ફેક્ટરીઓના બ્રિટિશ માલિકો અને અંગ્રેજી અધિકારીઓ સામે દાયકાથી લાંબી ઝૂંબેશ ચાલી રહી હતી.
પીર મુનીસે માત્ર આમંત્રણ આપતું પ્રતિનિધિત્વ જ તૈયાર કર્યું નહોતું, પણ રાજકુમાર શુક્લા (1875-1929) સાથે લખનૌમાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના સત્રોમાં એમ.કે. ગાંધીને રજૂઆત કરવા માટે પણ ગયા હતા. તેમણે રજૂઆતમાં ચંપારણના ખેડૂતોને જે કંગાળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે તે સમજાવ્યું. આ પ્રતિનિધિત્વએ ગાંધીજીના હૃદયને હચમચાવી દીધું અને તેમને ચંપારણની મુલાકાત કરાવી.
આ પ્રસંગે જ ગાંધીજીને ભારતમાં જાતિ ભેદભાવની તીવ્રતાનો અનુભવ કરાવ્યો હતો. ચંપારણ જતી વખતે તેઓ પટના પહોંચ્યા જ્યાં શુક્લ તેમને વકીલ બાબુ રાજેન્દ્ર પ્રસાદના ઘરે લઈ ગયા. રાજેન્દ્ર પ્રસાદ તે સમયે ઘરે ન હતા. તેમના ઘરેલુ નોકરોએ પારિવારિક જાતિ સંબંધિત પ્રતિબંધોને કારણે ગાંધીને ઘરમાં વરંડાની બહાર પ્રવેશવા દીધા ન હતા. નોકરોએ તેમને ઘરમાં શૌચાલયનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી ન હતી. જ્યારે તેઓ કૂવામાંથી પાણી કાઢતા હતા ત્યારે તેઓએ વધુ વાંધો ઉઠાવ્યો હતો. ગાંધીજીએ પોતાની આત્મકથામાં આ બધી જ વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેમના ભત્રીજા મગનલાલ ગાંધીને લખેલા પત્રમાં તેમણે ટિપ્પણી કરી, ‘તેઓએ અમારી સાથે ભિખારી જેવું વર્તન કર્યું’
તે શરમજનક પરિસ્થિતિમાં ગાંધીજીને યાદ આવ્યું કે તેમના લંડનના સહાધ્યાયી બેરિસ્ટર મૌલાના મઝહરુલ હક (1866-1930) પટનાના રહેવાસી છે. ગાંધીજીએ તેમની સ્થિતિ સમજાવતાં તેમને એક સંદેશ મોકલ્યો. હક સમસ્યા સમજી ગયા અને ગાંધીજીને મુઝફ્ફરપુર સુધી પહોંચવા માટે જરૂરી વ્યવસ્થા કરી આપી. બાદમાં મૌલાના મઝહરૂલ હક્કે માત્ર સત્યાગ્રહ ચળવળમાં સક્રિય ભાગ જ ન લીધો, પણ ભારતીય સ્વતંત્રતા આંદોલન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, જેમણે ગાંધીજીના બતાવેલ માર્ગ માટે પોતાના વૈભવી જીવનનો ત્યાગ કર્યો હતો.
મહાત્મા ગાંધી અને રાજ કુમાર શુક્લ મુઝફ્ફરપુર થઈને ચંપારણ પહોંચ્યા. ગાંધીએ પોતાની આત્મકથામાં ‘ધ સ્ટેઈન ઓફ ઈન્ડિગો’ (ગળીનો ડાઘ) મથાળા હેઠળ ચંપારણ સત્યાગ્રહ ચળવળ વિશે વિગતવાર જણાવ્યું છે. ચંપારણ પહોંચ્યાના બીજા જ દિવસથી ગાંધીજી કાર્યરત થયા, ખેડૂતોએ મોટી સંખ્યામાં તેમનો સંપર્ક કર્યો અને તેમને ગળીની ફેક્ટરીઓના બ્રિટિશ માલિકો દ્વારા તેમના પર કરવામાં આવેલા ક્રૂર અત્યાચારો વિશે વિગતવાર હિસાબો આપવાનું શરૂ કર્યું. ગાંધીજી અને તેમની વકીલોની ટીમે ચંપારણના ખેડૂતોની દર્દનાક વાતો અને બ્રિટિશ ઈન્ડિગો વાવેતરકારો દ્વારા શોષણનો ભયાનક એપિસોડ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. ઈરવિન, જે ઈન્ડિગો ફેક્ટરીઓના બ્રિટિશ માલિકોમાંથી એક હતા, તેમને ડર હતો કે ગાંધીજીની મોડસ ઓપરેન્ડી તેમની સંભાવનાઓ પર વિપરીત અસર કરશે, ગાંધીજીની પ્રવૃત્તિઓમાં અવરોધ લાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો અને તેમને મારી નાંખવાના પણ કાવતરા ઘડ્યા.
ગાંધીજીના જીવન ઉદ્ધારક :
ઇરવિને તેના કાવતરાને અંજામ આપવા માટે તેના રસોઈયા બતક મિયાં અન્સારી (1869-1957)ની પસંદગી કરી. ઇરવિને રસોઈયા અન્સારીને કહ્યું કે તેઓ ગાંધીજી અને તેમના સાથીઓને રાત્રિભોજન માટે આમંત્રણ આપી રહ્યા છે અને મહેમાનને પીરસવામાં આવતા ખોરાકમાં બતક મિયાંને ઝેર ભેળવવાની સૂચના આપી હતી. તેમને આજ્ઞાપાલન માટે સુંદર પુરસ્કારની લાલચ આપી અને સાથે આજ્ઞાભંગ કરવાના ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી. આ દુષ્ટ કૃત્યનો આશરો લેવાની અનિચ્છાએ અન્સારીએ અંગ્રેજી માણસના કાવતરાનો ખુલાસો ત્યારે કર્યો, જ્યારે ગાંધીજી અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ ઇરવિનના ઘરે રાત્રિભોજન માટે આવ્યા હતા. પરિણામે 1917માં બતક મિયાંના આ પ્રયાસથી ગાંધીજીનો જીવ બચી ગયો હતો.
બતક મિયા અંસારીનું હિંમતવાન કાર્ય ત્યારે જ વિશ્વ સમક્ષ પ્રસિદ્ધ થયું, જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. બાબુ રાજેન્દ્ર પ્રસાદે 1950માં તેનો ખુલાસો કર્યો હતો. અંસારીના પરિવારની આર્થિક સ્થિતિ વિશે માલૂમ પડતાં, એ વખતના તત્કાલીન જિલ્લા કલેક્ટરને પરિવારને જમીનનો ચોક્કસ વિસ્તાર ફાળવવાનો આદેશ આપ્યો હતો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ દ્વારા જાહેરમાં બહાર પાડવામાં આવેલ આદેશ આજ દિન સુધી માત્ર આંશિક રીતે લાગુ કરવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની ભલામણ હોવા છતાં, અખબારોમાં હેડલાઇન્સ બન્યા પછી પણ રાષ્ટ્રપતિના આદેશોના અમલીકરણની બાબતમાં સ્થિતિ હજી યથાવત છે. પરંતુ ગાંધીજીના જીવનને સમાપ્ત કરવાના કાવતરાને ઉજાગર કરવાના અન્સારીએ હિંમતભર્યું સાહસિક કામ ન થયું હોત, તો વસાહતી શાસકો અને ભારતીય સ્વતંત્રતા સંઘર્ષનો ઇતિહાસ, આપણે જે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા છીએ, તે અકલ્પનીય હોત ..!
અલી ભાઈઓનો ટેકો :
1917માં સફળતાપૂર્વક ચંપારણ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કર્યા પછી, ગાંધીજીએ સીધા ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેમને મૌલાના શોકત અલી (1873-1938), મૌલાના મુહમ્મદ અલી જૌહર(1878-1931)ના પરિવારોનો ભરપૂર ટેકો મળ્યો, જેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ‘અલી બ્રધર્સ’ તરીકે જાણીતા હતા. જો અલી ભાઈઓ ખિલાફત અને અસહકારની બંને ગતિવિધિઓ માટે ઓક્સિજન સમાન હતા, તો ગાંધીજી તેના માટે માર્ગદર્શક હતા. આ આંદોલનોમાં અલી ભાઈઓ પ્રવાસ દરમિયાન ગાંધીજી સાથે જ રહેતા. ગાંધીજી અલી ભાઈઓ સાથે એટલા ભળી ગયા હતા કે તેમણે જાહેર કર્યું કે તેઓ અલી ભાઈઓની માતા આબદી બાનો બેગમના ત્રીજા પુત્ર છે. ગાંધીજી તેમના પ્રત્યે ખૂબ આદરભાવ રાખતા હતા. ગાંધીજીએ તેમના સહયોગીઓ, અલી ભાઈઓ અને ખુદ આબદી બાનોને લખેલા પત્રો અને તેમના ‘યંગ ઈન્ડિયા’ જર્નલમાં પ્રકાશિત વિશેષ નિબંધો ગાંધીજીની આબદી બાનો બેગમ માટે સર્વોચ્ચ સન્માનની સાક્ષી આપે છે.
આબદી બાનો બેગમે આર્થિક મજબૂતી, ખિલાફત અને અસહકાર આંદોલનોના પ્રસાર માટે ભંડોળ એકત્ર કરવા માટે વ્યાપક પ્રવાસ કર્યો હતો. ગાંધીજીએ તેમને વિનંતી કરી હતી કે તેઓ મોટી સંખ્યામાં મહિલાઓને ખિલાફત-અસહકાર અને સવિનય કાનૂન ભંગ આંદોલનોમાં ભાગ લે. ગાંધીજીની વિનંતીનો જવાબ આપીને, આબદી બાનોએ આ તમામ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે કામ કર્યું. મહાત્મા ગાંધીએ જાહેર કર્યું કે એમની બ્રિટિશ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવે, તો ભારતીય રાષ્ટ્રીય ચળવળના કાર્યકર્તાઓએ અલી ભાઈઓ પાસેથી માર્ગદર્શન લેવું.
જ્યારે આબદી બાનો બેગમનું 1934માં નિધન થયું ત્યારે ગાંધીજી અલી ભાઈઓ સાથે તેણીના જનાજા પાસે જ હતા. ગાંધીજીએ કહ્યું કે જ્યારે તેણી અંતિમ શ્વાસ લઈ રહ્યાં હતાં, ત્યારે માતાની સાથે રહેવાનું તેમનું સૌભાગ્ય હતું. ગાંધીજીએ તેમના પત્રો અને જર્નલોમાં નોંધ્યું છે કે સ્વતંત્રતા, હિન્દુ-મુસ્લિમ એકતા અને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મહિલાઓને આકર્ષવા માટે તેમણે કરેલા પ્રયાસો અમૂલ્ય છે.
હિંમતવાન મહિલા :
અમજદી બાનો બેગમ, આબદી બાનો બેગમનાં પુત્રવધૂ અને મૌલાના મુહમ્મદ અલીનાં પત્નીએ તેણીનાં સાસુ સાથે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ગાંધીજીએ તેમના સહયોગીઓ અને અનુયાયીઓ માટે અને તેમના સંપાદન હેઠળ પ્રકાશિત જર્નલોમાં તેમનાં વલણ અને કાર્યપ્રવાહની પ્રશંસા કરી છે.
સપ્ટેમ્બર 1921માં જ્યારે અમજદી બાનો ગાંધીજી અને મૌલાના મુહમ્મદ અલી સાથે મદ્રાસ પ્રવાસ પર હતા. રસ્તામાં તેઓ બધા વોલ્ટેરમાં જાહેર સભા સંબોધવાના હતા. બંને નેતાઓ જેવા જ ટ્રેનમાંથી ઉતર્યા, તરત જ બ્રિટિશ પોલીસ અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. ગાંધીજીએ અલી અને અમજદી બેગમ દ્વારા દર્શાવેલ નિર્ભયતા રેલવેના ડબ્બામાંથી જ લખેલા નિબંધના રૂપમાં રેકોર્ડ કરી હતી. ગાંધીજીએ તે નિબંધમાં લખ્યું છે કે તેમને અલી સાથે કામ કરવામાં ગર્વ છે. ગાંધીજીએ તેમના પતિની ધરપકડ વખતે અમજદી બાનો બેગમ દ્વારા પ્રદર્શિત કરેલી હિંમતની પ્રશંસા કરી અને તે પછી તેણી દ્વારા સંબોધાયેલી જાહેર સભાઓ વિશે વાત કરી. (કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી, માહિતી મંત્રાલય, ભારત સરકાર, વોલ્યુમ XX1, પૃષ્ઠ 176)
ગાંધીજીએ 29 નવેમ્બર 1921ના રોજ ‘એક હિંમતવાન મહિલા’ શીર્ષક હેઠળ અમજદી બાનો બેગમની ભારતીય રાષ્ટ્રીય ચળવળ, તેમની હિંમત, નિર્ભયતા, કાર્યપ્રવાહ અને કાર્યશૈલીની ભૂમિકા સમજાવતાં ‘યંગ ઈંડિયા’માં એક વિશેષ લેખ લખ્યો હતો. લાંબા લેખમાં મૌલાના મુહમ્મદ અલીનો ઉલ્લેખ કરીને તેમણે તેણીને ‘હિંમતવાન પતિની હિંમતવાન પત્ની’ તરીકે વર્ણવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનારા આબદી બાનો બેગમના પરિવારની મહિલાઓને વર્ણવતા, માલકમ હેલી નામની બ્રિટિશ ઓફિસરે તે દિવસની વિધાનસભામાં જણાવ્યું, : ‘આ પરિવારની મહિલાઓ પણ ભંડોળ મેળવે છે અને રાજદ્રોહનો આશરો લે છે’. આખરે તેણે પરિવારના તમામ સભ્યોને ‘ખતરનાક વ્યક્તિઓ’ તરીકે જાહેર કર્યા.
ખિલાફત અને અસહકારની ચળવળ દરમિયાન અનેક પ્રખ્યાત વ્યક્તિઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા. ભારતના રાજકીય નકશા પર પોતાની ઓળખ બનાવનાર તમામ નેતાઓ ગાંધીજીના નજીકના સહયોગી બન્યા. આ નેતાઓ ભારતીય રાષ્ટ્રીય ચળવળના હેતુ માટે તેમની પાસે જે બધું હતું તે આપવા તૈયાર હતા. બોમ્બેના મુહમ્મદ ઉમર સોભાણી (1890-1926) અને ખિલાફતવાલે હાજી ઉસ્માન શેઠ (1887-1932) આવા બે ઉદ્યોગપતિઓ હતા, જેઓ તેમના ઉદાર વલણથી પ્રખ્યાત થયા. આ બંને ધનાઢ્ય બિઝનેસ નેતાઓ ‘ખિલાફત, અસહકાર ચળવળ’ દ્વારા ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા.
કાર્યક્રમોના વ્યવસ્થાપક :
ઉમર સોભાણી ભારતીય રાષ્ટ્રીય ચળવળના સંબંધમાં બોમ્બેમાં હાથ ધરવામાં આવતા કોઈ પણ કાર્યક્રમ પર થતા ખર્ચનો મોટો હિસ્સો પોતે ઉપાડતા હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળને આર્થિક સહાય આપવા ઉપરાંત તેઓ તેમની આયોજન કુશળતા માટે પણ જાણીતા હતા. તેના કારણે ગાંધીજીએ ‘સ્ટેજ મેનેજર’ તરીકે તેમની પ્રશંસા કરી હતી. ઉમર સોભાણી એટલા ઉદાર હતા કે તેમણે ગાંધીજીને એક કોરો ચેક આપ્યો અને ચેક પર જરૂરી રકમ લખવાનું કહ્યું, જ્યારે ગાંધીજી 1921માં ‘તિલક સ્વરાજ્ય નિધિ’ માટે દાન એકત્ર કરી રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ઉમર સોભાણીના અચાનક મૃત્યુ પર ગાંધીજી દ્વારા આપેલા શોક સંદેશમાં તેમની ઉદારતા શ્રેષ્ઠ રીતે પ્રગટ થઈ હતી જેમાં લખ્યું હતું કે ‘જો તેઓ ફંડફાળામાં આગળ આવ્યા ન હોત, તો તેમનું નિવૃત્ત જાહેર જીવન વધુ સારું હોત.’
ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની ‘રોકડ બેગ‘ :
હાજી ઉસ્માન શેઠ, જેઓ ‘ખિલાફતવાલે’ તરીકે જાણીતા છે, કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં વિદેશી માલસામાનનો વેપાર કરતા સમૃદ્ધ વેપારી હતા. તેઓ ગાંધીજી અને અલી ભાઈઓની વિનંતી પર ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. તેમણે સ્વદેશી ચળવળના ભાગરૂપે લાખો રૂપિયાનો વિદેશી માલ બાળી નાખ્યો. તેઓ ‘ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની રોકડ બેગ’ તરીકે ઓળખાતા હતા કારણ કે તેઓ સંગઠનને આર્થિક સહાય માટે ગાંધીજી અને અલી ભાઈઓની વિનંતીઓનો ઉદારતાથી જવાબ આપતા હતા. બ્રિટિશ સરકારના ગુસ્સાને કારણે તેમના વ્યવસાયને ભારે નુકસાન થયું. જ્યારે પણ ગાંધીજી, પંડિત નેહરુ અને અલી ભાઈઓએ તેમને સમર્થન માટે વિનંતી કરી, ત્યારે તેમણે તેમના ઘણા બંગલાઓ અને અન્ય મિલકતોનો વેચીને ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને આર્થિક સહાય ચાલુ રાખી હતી. જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમણે સોનું, કોરા ચેક અને રોકડ આપી હતી. આ પ્રવૃત્તિઓ માટે જ્યારે તેની તમામ સંપત્તિ પૂરી થઇ ગઈ, ત્યારે પણ તેણે તેમના પુત્રની હરાજી કરીને નાણાં મેળવ્યા હતા અને આ આવક ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને દાનમાં આપી હતી. તેમનું નામ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની ‘કેશ બેગ’ તરીકે રખાયું હતું. તે દર્શાવે છે કે હાજી ઉસ્માન શેઠની બલિદાનની ભાવના કેટલી મહાન હતી.
અંસારી ધર્મશાળા :
સ્વતંત્રતા આંદોલન દરમિયાન દિલ્હીમાં રાષ્ટ્રીય ચળવળની પ્રવૃત્તિઓ માટે ત્યાંના પ્રખ્યાત નેતા ડો. મુખ્તાર એહમદ અંસારી(1880-1936)ના ઘરનો ખાસ હિસ્સો ‘દાર-ઉસ-સલામ’ મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય, ભલે તે દિલ્હીમાં ગમે તેટલો મોટો હોય, ડો. અન્સારી તે કાર્યક્રમનું આયોજન કરવા અને સમગ્ર ભારતમાંથી કાર્યક્રમમાં ભાગ લેવા આવતા દરેક કાર્યકર્તા અને નેતા માટે રહેવાની વ્યવસ્થા અને જમવાની સુવિધાઓની જવાબદારી પોતાના ખભે લેતા હતા.
જ્યારે ડો. અન્સારી રાજકીય કાર્યક્રમોનાં આયોજનોમાં ગળાડૂબ સામેલ રહેતા, તેમની પત્ની બેગમ શમશુન્નીસા અંસારી કોઈને કોઈ અસુવિધા ન થાય તેની ખાતરી અને રહેવા-જમવાની વ્યવસ્થાની દેખરેખ રાખતા હતા. અંસારી દંપતીનાં બલિદાન, કાર્યપ્રવાહ અને પ્રતિબદ્ધતાના જુસ્સાને નજીકથી જોયા પછી, ગાંધીજીએ 29 માર્ચ 1931ના રોજ નવજીવનમાં ‘અન્સારી ધર્મશાળા’ શીર્ષક સાથે એક લેખ લખ્યો હતો.
લેખમાં ગાંધીજીએ બેગમ શમશુનિસા અન્સારીએ મહેમાનોની સ્નેહપૂર્વક લીધેલી કાળજી વિશે તેમ જ દયા, સહિષ્ણુતા અને કાર્યપ્રવાહ ઉપરાંત તેમનાં પ્રગતિશીલ વિચારોની પણ પ્રશંસા કરી હતી. લેખના અંતે તેમણે નોંધ્યું કે ‘મેં અન્સારી બેગમની સામે શ્રદ્ધાના અર્થમાં માથું નમાવ્યું’. જ્યારે પણ ગાંધીજી દિલ્હીની મુલાકાત લેતા ત્યારે તેઓ ડો. અન્સારીના ઘરે રોકાતા હતા. હલીદે એડીબનાં લખાણો દ્વારા જાણી શકાય છે કે ગાંધીજી બેગમ શમશુન્નીસા અન્સારી સાથે પારિવારિક બાબતો ઉપરાંત રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા. ગાંધીજીને તેણી માટે સર્વોચ્ચ સન્માન હતું અને ‘ડો. અન્સારીએ જે પણ હાંસલ કર્યું છે, તે માત્ર બેગમ શમશુન્નિસાના સહકારને કારણે છે’ એમ ગાંધીજીએ કરેલા વખાણ સાથે નોંધ્યું છે.
ત્રણ ગાંધી :
આપણે ત્યાં ત્રણ ગાંધીવાદીઓ થઈ ગયા, જેઓ તેમના નામો સાથે ‘ગાંધી’ તરીકે જાણીતા બન્યા. ખાન અબ્દુલ ગફાર ખાન (1890-1988) ‘ફ્રન્ટિયર ગાંધી’ તરીકે, જેઓ ત્રણેયમાં સૌથી વધુ પ્રખ્યાત હતા. બીજા ‘બલુચી ગાંધી’ હતા જેમનું નામ અબ્દુસ સમદ ખાન (1907-1983) અને ત્રીજા વિશાખાપટ્ટનમ્, આંધ્રપ્રદેશના ફરીદુલ જામા (1907-1973), જે ‘વિશાખા ગાંધી’ તરીકે પ્રખ્યાત થયા હતા. ખાન અબ્દુસ સમદ ખાન, જે 1920માં ગાંધીજીના અહિંસાના વિચારો તરફ આકર્ષાયા હતા, તેમણે ગાંધીજીની જેમ અંત સુધી તેમનું જીવન ગાંધીજીના અનુયાયી તરીકે જીવ્યા અને ગાંધીજીની જેમ જ તેમની હત્યા કરવામાં આવી. ફરિદુલ જામાએ અહિંસાનો તેમના હથિયાર તરીકે ઉપયોગ કરી ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો હતો. તેમને તે જ જેલમાં રાખવામાં આવ્યા હતા જ્યાં મહાત્મા ગાંધી કેદ હતા. પાછળથી તેમણે ગાંધીવાદી રીતે પુસ્તકાલય ચળવળમાં કામ કર્યું. જેમ જેમ તેમણે પોતાની તમામ સંપત્તિ પુસ્તકાલયો બનાવવા માટે ખર્ચ્યા તેમ તેમ વિશાખાપટ્ટનમ્ના રહેવાસીઓ તેમને પ્રેમથી ‘વિશાખા ગાંધી’ કહેવા લાગ્યા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ‘સરહદના ગાંધી’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફાર ખાને નાનપણથી જ વસાહતી શાસકોના વર્ચસ્વ સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે 1919માં ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેમણે 1928માં પ્રથમ વખત મહાત્મા ગાંધીને જોયા. ખાન અબ્દુલ ગફાર ખાન, એક પઠાણ નેતા જેમના માટે હથિયાર એક અનિવાર્ય આભૂષણ જેવું હતું અને જે મિત્ર ખાતર અથવા દુશ્મનનો મારી નાંખવા પોતાનો જીવ આપવા માટે એક સેકંડ પણ અચકાતા નહીં, જેઓ ગાંધીજીના અહિંસાના વિચારો તરફ આકર્ષાયા. તેમણે ગાંધીજીની અહિંસાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો અને તેમના સમુદાયના લોકોમાં તેમના કલ્યાણ અને વિકાસની દિશામાં જાગૃતિ લાવવા અને બ્રિટિશ વસાહતી શાસકો સામે અહિંસક સંઘર્ષનું નેતૃત્વ કરવા માટે ‘ખુદા-એ-ખિદમતગાર’ (ભગવાનના સેવકો) નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના પ્રયત્નો દ્વારા ભગવાનના સેવકોએ અહિંસાની કલ્પનાને આંતરિક બનાવી. સવિનય કાનૂન ભંગ આંદોલન દરમિયાન 23 એપ્રિલ 1930ના રોજ પેશાવરના ખીસાખાની બજારમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને ભગવાનના સેવકો પર બ્રિટિશ પોલીસ ગોળીબાર કરે છે, ત્યારે ભગવાનના સેવકો પથ્થરનો એક નાનો ટુકડો પણ ફેંક્યા વગર આગળ વધ્યા અને તેમના જીવનનું બલિદાન આપ્યું. જ્યારે ખીસાખાની બજાર લાશોના ઢગમાં ફેરવાઈ રહ્યું હતું, ત્યારે પણ તેઓ અહિંસાના માર્ગથી ભટક્યા ન હતા.
ખુદા-એ-ખિદમતગારના કાર્યકરોએ ‘ફ્રન્ટિયર ગાંધી’ના નેતૃત્વમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભજવેલી અનોખી ભૂમિકાને માત્ર પઠાણોએ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વએ બિરદાવી હતી. જ્યારે ગાંધીજીએ ગફાર ખાનની વિનંતી પર ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રનો પ્રવાસ કર્યો ત્યારે તેમણે ખુદા-એ-ખીદમતગારના કાર્યક્રમોનો અભ્યાસ કર્યો અને કહ્યું કે ‘ખુદા-એ-ખિદમતગારના કાર્યકરો જેવા હજારો વ્યક્તિઓ છે, જે આપણા દેશની સરહદોની બહાર ગુલામી જેવા સામાજિક રોગને દૂર કરવા માટે પૂરતા છે.’ આ પૃષ્ઠભૂમિમાં, ખાન અબ્દુલ ગફાર ખાને એક વખત ગાંધીજીને કહ્યું હતું કે, ‘મહાત્માજી, આ આંદોલન દરમિયાન ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ બની, પરંતુ પઠાણોએ કોઈ હિંસાનો આશરો કેમ ન લીધો?’ આ સવાલના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે ‘અનેક પ્રસંગોએ મેં કહ્યું હતું કે માત્ર હિંમતવાન લોકો જ અહિંસાના માર્ગમાં ઝડપથી આવે છે. પઠાણોની હિંસા છોડવી એ તેમની નબળાઈ નથી. તેમની તાકાતને કારણે જ તેઓ હિંસા છોડી શક્યા. એટલા માટે તેઓએ વિશ્વને કરી બતાવ્યું કે હિંમતવાન લોકોની અહિંસક રીત કેવી દેખાય છે.” આથી ગાંધીજીએ પઠાણોની અહિંસાની પ્રશંસા કરી.
ગુજરાતી ડાયમંડ :
મુંબઈના તૈયબજી પરિવારના સભ્યોના શરૂઆતથી જ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ સાથે અતુટ સંબંધો હતા. તૈયબજી પરિવારના જસ્ટિસ અબ્બાસ તૈયબજી(1854-1936)ને 1915થી મહાત્મા ગાંધી સાથે સીધો સંપર્ક થયો અને તે સંપર્ક તેમના જીવનનો એક વળાંક હતો. તેમણે ગાંધીજીએ કરેલા સૂચનો અનુસાર ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં સક્રિયપણે ભાગ લેવાનું નક્કી કર્યું. જસ્ટિસ અબ્બાસ તૈયબજીના નેતૃત્વમાં ‘ગુજરાત રાજકીય પરિષદે’ 1919માં કાઁગ્રેસ શરૂ કરે તે પહેલાં અસહકાર આંદોલન શરૂ કર્યું. તેમણે મહાત્મા ગાંધીની પ્રેરણાથી તમામ વૈભવી વસ્તુઓ છોડી દીધી અને સ્વદેશી ચળવળનો એક ભાગ બન્યા. તેમણે ખાદીને પ્રોત્સાહન આપવા માટે 80 વર્ષની ઉંમરે ‘સ્વદેશી કાપડ’ વેચીને ગુજરાતમાં ગામડે ગામડે બળદ ગાડીમાં મુસાફરી કરી. તેમણે 1928માં બારડોલી સત્યાગ્રહ દરમિયાન ઘણી જવાબદારીઓ ઉપાડી હતી. જ્યારે 12 માર્ચ, 1930થી 6 એપ્રિલ 1930 સુધી ચાલી રહેલી દાંડીયાત્રાની પૂર્વસંધ્યાએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે અબ્બાસે આગોતરા અપાયેલ ગાંધીજીની સૂચનાઓ મુજબ દાંડી સત્યાગ્રહની લગામ સંભાળી હતી. ત્યારબાદ બ્રિટિશ પોલીસે અબ્બાસની ધરપકડ કરી જેલમાં મોકલ્યા. પરિપક્વ વૃદ્ધાવસ્થામાં પણ તે નિર્ભય હિંમત અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે ગાંધી માર્ગ પર આગળ વધતા રહ્યા હતા. તેમના ખરાબ સ્વાસ્થ્યને લીધે તેમને છેલ્લા શ્વાસ સુધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી. ગાંધીજીએ ‘ગુજરાતી ડાયમંડ’ તરીકે તેમની પ્રશંસા કરી હતી.
ગાંધીપથ પર તૈયબજીની ત્રણ પેઢીઓ :
1885માં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારથી, 1947માં સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી બોમ્બેનાં શિક્ષિત અને તૈયબજી પરિવારનાં પુરુષો અને સ્ત્રીઓની ત્રણ પેઢીઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તૈયબજી પરિવારના સભ્યો ગાંધીજી સાથે તેમના પારિવારિક અંગત મુદ્દાઓ પર ચર્ચા કરતા એવા સંબંધો થઈ ગયા હતા. આ રીતે તૈયબજી પરિવારની મહિલાઓ તેમના પુરુષો સાથે સંપૂર્ણ રીતે ગાંધીવાદી માર્ગને અનુસરતી હતી.
ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં તૈયબજી પરિવારની મહિલાઓની ભાગીદારી અમીના તૈયબજી (1866-1942)થી શરૂ થઈ. તેણીએ ગાંધીજીના આમંત્રણ પર ભારતીય રાષ્ટ્રીય ચળવળના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ગાંધીજીએ અમીનામાં દ્રઢતા અને ગુજરાતી મહિલાઓ માટે તેમના માટે જે આદર હતો તે જોયો. અમીનાની પુત્રી રેહાના તૈયબજીને 11 એપ્રિલ 1930ના રોજ લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે, ‘હું દારૂ પર પ્રતિબંધ અને વિદેશી માલનો બહિષ્કાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા ગુજરાતની મહિલાઓની બેઠક બોલાવી રહ્યો છું. તમે અને તમારી માતાએ સભામાં હાજર રહેવું જોઈએ. ગાંધીજીના વિશેષ આમંત્રણને માન આપતાં, અમીનાએ સભામાં હાજરી આપી. એ સભામાં ગાંધીજીની હાજરીમાં અમીના તૈયબજી ગુજરાત મહિલા કાઁગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.
અમીનાના પ્રયત્નો અને કાર્યપ્રવાહને જોતા, ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’માં તેમના વિશે પ્રશંસા કરતાં લેખ લખ્યા; યોગ્ય ઠરાવ પસાર કરીને ગુજરાતની મહિલાઓએ એક મોટી જવાબદારી ઉપાડી. તમામ મહિલાઓ વતી અમીના તૈયબજી અને તેમની સમિતિએ તે બોજ ઉપાડ્યો’. રાષ્ટ્રીય સ્તરની રાજનીતિમાં અમીનાનું મહત્ત્વ ત્યારે જાહેર થયું જ્યારે ગાંધીજીએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન મહિલા પરિષદ વતી વાઇસરોયને મોકલવામાં આવેલા પત્રમાં 24 મહિલાઓ ઉપરાંત તેણીની સહી કરાવવા માંગતા હતા.
હમીદા તૈયબજી(-1911-)એ ભારતીય રાષ્ટ્રીય ચળવળના તમામ કાર્યક્રમોમાં ગાંધીપથ પર ચાલતાં ભાગ લીધો હતો. તેણીએ ગાંધીજીનાં સૂચનો અનુસાર હિંમત અને સાહસિકતા સાથે કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. 24 એપ્રિલ, 1932ના રોજ રેહાના તૈયબજીને લખેલા પત્રમાં ગાંધીજીએ હમીદાની આયોજન ક્ષમતા, હિંમત અને સાહસની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે ‘હમીદા એક હિંમતવાન વ્યક્તિ છે. ભગવાન તેને લાંબુ આયુષ્ય આપે’.
ગાંધીજીના ઉસ્તાદી સાહેબા રેહાના :
બેગમ રેહાના તૈયબજી (1900-1975) ગાંધીજીની ઉર્દૂ ઉસ્તાદી હતાં. તેણીએ ગાંધીજીને ઉર્દૂ શીખવ્યું. રેહાનાના પિતા અબ્બાસ તૈયબજી અને તેમની માતા અમીના તૈયબજીએ ગાંધીજીના નેતૃત્વમાં આયોજિત અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. બાળપણથી જ રેહાનાનો ભારતીય રાષ્ટ્રીય આંદોલન અને તેના નેતૃત્વ, ખાસ કરીને મહાત્મા ગાંધી સાથે સીધો સંપર્ક હતો. ગાંધીજીને રેહાના પ્રત્યે પિતૃ સ્નેહ હતો અને વિવિધ પ્રસંગોમાં તેમણે તેમને લખેલા અનેક પત્રોમાં તેમણે તેમને ‘પ્રિય પુત્રી, ચિરંજીવી, રેહાના બેટી, બેટી રેહાના, ઉસ્તાદબી સાહેબા અને રેહાના અને ભોલી રેહાના’ તરીકે સંબોધ્યાં હતા.
મહાત્માના સેવાગ્રામ આશ્રમમાં તેમના રોકાણ દરમિયાન રેહાનાએ ગાંધીજીને ઉર્દૂ શીખવ્યું હતું. તે પછી પણ તેણીએ તેમને વારંવાર લખ્યું અને ઉર્દૂ શીખવવામાં ઘણો રસ દાખવ્યો. ગાંધીજી કહેતા હતા કે તેણીના પત્રો મળવાથી આનંદ થાય છે. રેહાનાને લખેલા પત્રમાં ગાંધીજીએ જણાવેલ : ‘જો તમારો પત્ર ન મળે તો મને ચિંતા થાય છે’. રેહાના એક સારી કવયિત્રી હતી. તેણીએ ઘણાં પ્રાર્થના ગીતો લખ્યાં અને તેમને ગાયાં હતાં. ગાંધીજી તેમનાં ગીતોથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમના એક પત્રમાં તેમણે લખ્યું હતું કે, ‘જ્યાં સુધી હું તમારાં પ્રાર્થના ગીતો ન સાંભળું, મને સારું નથી લાગતું. તમે આવો અને મારા માટે ગાઓ’.
‘નામાંકિત પત્ની‘ ખુરશીદ ખ્વાજા:
બેગમ ખુર્શીદ ખ્વાઝા (1996-1981) એક હિંમતવાન મહિલા હતી જેમણે ગાંધીજીને પત્ર લખીને ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન તેમના પતિની ધરપકડ ન થવાની ચિંતા વ્યક્ત કરી હતી. તેણીએ લખ્યું, ‘મારા પતિના તમામ સહયોગીઓ જેલમાં ગયા છે. હું ખૂબ જ દુ:ખી છું કે મારા પતિ હજી સુધી મુક્ત છે ’. તેમની લાગણીઓનો આદર કરતાં, ગાંધીજીએ આશાવાદ વ્યક્ત કર્યો કે : ‘ખરેખર પ્રતિબદ્ધ લોકોની લાગણીઓ આ પ્રકારની જ હોય છે. જે દિવસે આઝાદી માટે જેલ ભરવા માટે બધાં પુરુષો અને સ્ત્રીઓ સ્વેચ્છાએ આગળ આવશે તે દિવસે આપણને ચોક્કસપણે આઝાદી મળશે’. (મહાત્મા ગાંધીની સંકલિત કૃતિઓ, ભારત સરકાર, નવી દિલ્હી), તેણીના પતિ ખ્વાઝા અબ્દુલ મઝીદ(1896-1961)ના ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મહાન બલિદાનને સમજાવતા, ગાંધીજીએ ‘મહાન સન્માનિત પત્ની’ નામનો લેખ લખ્યો હતો. તે લેખમાં ગાંધીજીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે તેમના પરિવારે વૈભવ છોડી અને એક સામાન્ય કામદારની જીવનશૈલી અપનાવી અને ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઉદ્દેશો પ્રત્યે તેમનો નિશ્ચય અને પ્રતિબદ્ધતા કેટલી દૃઢ અને મજબૂત હતી. ગાંધીજીએ એક લેખમાં ખુશી વ્યક્ત કરી હતી જેમાં તેમણે બેગમ ખુર્શીદ દ્વારા લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેણીએ લખ્યું હતું કે, ‘જ્યારે તમને ખબર પડે કે સરકારે મારા પતિની ધરપકડ કરી છે, ત્યારે તમારે આનંદિત થવું જોઈએ’.
જાણીતા તૈયબજી પરિવારની અન્ય એક મહિલા સકીના લુકમાની જસ્ટિસ બદરુદ્દીન તૈયબજીની પુત્રી, તેણીએ ગાંધીજીની ખાસ વિનંતીને કારણે વૃદ્ધાવસ્થામાં પણ ભારતીય રાષ્ટ્રીય ચળવળના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. જ્યારે ગુજરાતમાં બ્રિટિશ સરકારે તેણીની ધરપકડ કરી, ત્યારે આખું ગુજરાત રોષે ભરાયું હતું. ગાંધીજીએ સકીના લુકમાનીની હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે, ‘તૈયબજી પરિવારના સભ્યોએ અસાધારણ હિંમત અને સાહસ દાખવ્યું હતું.’
પ્રિય દીકરી અમ્તુસ્સલામ :
ગાંધીજી જેને ‘પ્રિય દીકરી’ કહેતા, તે બીબી અમ્તુસ્સલામ (1807-1985) અહિંસાના સિદ્ધાંત અને પ્રથાના વારસદાર બને છે. તેણી 1931માં સેવાગ્રામ આશ્રમમાં જોડાયાં અને આશ્રમના નિયત નીતિ અને નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું અને સમર્પણ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી. ગાંધીજીનાં નજીકના મદદનીશ તરીકે, તેમણે તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયોગોમાં ભાગ લીધો હતો. તેણી ગાંધીજી સાથે તેમના દેશભરના પ્રવાસોમાં સાથે રહ્યાં અને તેમની સેવા કરી હતી.
જ્યારે ઉત્તર-પશ્ચિમ સરહદ, સિંધ અને નૌઆખલી પ્રદેશોમાં કોમી હિંસા ભડકી, ત્યારે ગાંધીજીએ શાંતિ અને સંવાદિતા પુન:સ્થાપિત કરવા માટે અમ્તુસ્સલામને મોકલ્યાં હતા. 6 નવેમ્બર 1940ના રોજ તે પ્રસંગે તેમના મિત્ર આનંદ હિંગ્લોયને પત્ર લખીને ગાંધીજીએ જાણ કરી કે : ‘તેણી સિંધમાં કોમી હિંસા રોકવા માટે ત્યાં આવે છે. હિંસા રોકવા માટે તેણી પોતાનો જીવ પણ આપી શકે છે.’ તેણીએ ત્યાં 20 દિવસ સુધી સત્યાગ્રહ કર્યો અને સાબિત કરી બતાવ્યું કે તેણી ગાંધીજીનાં સાચા વારસદાર છે.
અંતિમ બલિદાન :
બેગમ જોહરા અન્સારી (-1988) ડો. મુખ્તાર એહમદ અન્સારી અને બેગમ શમશુન્નિસા અન્સારીનાં પુત્રી હતાં, જેમને ગાંધીજીએ ‘The wealthy by sacrifice’ તરીકે વખાણ્યાં હતા. તેણીએ તેણીનાં માતાપિતા કરતાં પણ વધુ બલિદાન આપ્યું અને ગાંધીજી પાસેથી આશીર્વાદ મેળવ્યા. તેઓએ ગાંધીજી સાથે આશ્રમમાં લાંબો સમય વિતાવ્યો. તે સમયે તેણી ગાંધીજીના ઉર્દૂ શિક્ષિકા બને છે. તેણીએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ માટે પોતાની તમામ વારસાગત મિલકતો ખર્ચ કરી અને જીવનના છેલ્લા પડાવમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં.
ઉર્દૂ મુસ્લિમ ભાષા નથી :
ગાંધીજી પ્રત્યેના આદરને કારણે બેગમ સુલ્તાના હયાત અંસારી ભારતીય રાષ્ટ્રીય ચળવળના કાર્યકર્તા બન્યાં હતાં, કોઈ પણ અવરોધ અથવા ખચકાટ વગર અસંમતિ વ્યક્ત કરતાં હતાં. તે સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધી સાથે રહેતાં હતાં અને તેમના પત્રો અને પુસ્તકોનો ઉર્દૂમાં અનુવાદ કરતાં હતાં.
ત્યારબાદ, વ્યક્તિગત સત્યાગ્રહને નિયમ તરીકે નહીં પરંતુ નૈતિક તરીકે અનુસરવાના પ્રસ્તાવ પર અખબારોમાં ચર્ચા થઈ. તે ચર્ચાનો ઉલ્લેખ કરીને બેગમ સુલ્તાના હયાતે ગાંધીજીને પત્ર લખ્યો. તે પત્રમાં તેણીએ તે પ્રસ્તાવ તેમના ધ્યાન પર લાવ્યો અને પ્રશ્ન કર્યો કે ‘જો વ્યક્તિગત સત્યાગ્રહને નિયમ તરીકે માનવાને બદલે નૈતિક ગણવું ગાંધીજીની જીવનશૈલી સાથે વિરોધાભાસી ન હોય તો?’ તેના પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ 27 જાન્યુઆરી 1942ના રોજ સુલતાના હયાતને એક પત્ર લખ્યો જેમાં જણાવાયું કે ‘આ મુદ્દે તમારો અભિપ્રાય સાચો છે’.
એકવાર અખબારોમાં એક સમાચાર છપાયા કે ગાંધીજીએ કહ્યું હતું કે ‘ઉર્દૂ મુસ્લિમોની ભાષા છે’. તે નિવેદન પર પ્રતિક્રિયા આપતા સુલ્તાના હયાતે કહ્યું કે ઉર્દૂ મુસ્લિમોની ભાષા નહીં, પરંતુ તે તમામ ભારતીયોની ભાષા છે. આગળ તેણીએ ગાંધીજીને પ્રશ્ન કર્યો કે તેમણે આવું કેમ કહેલ? સવાલના જવાબમાં ગાંધીજીએ કહેલું કે ‘મેં એવું નથી કહ્યું. આપણે શું કરી શકીએ છીએ? અખબારો અનેક બાબતોને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.
તે રાતે હું સૂઈ શક્યો ન હતો :
મૌલાના હસરત મોહાની(1878-1951)એ ફાયરબ્રાન્ડ વક્તા હતા, જેમના નિવેદન ગાંધીજીને પણ મૂંઝવણમાં મૂકતા, જ્યારે તેમણે કહ્યું હતું કે ‘જે જરૂરી છે તે સ્વરાજ્ય નથી પણ, ‘સંપૂર્ણ સ્વતંત્રતા’ છે, જે ગાંધીજીના અભિપ્રાયની વિરુદ્ધ હતું. તેમની પત્ની બેગમ નિશતુન્નીશાએ પણ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેમ છતાં તેણી અહિંસાના ખ્યાલ પર સહમતી રાખતા ન હતાં, છતાં પતિ-પત્ની એકબીજા પ્રત્યે ખૂબ આદર રાખતાં હતાં. તેઓ તેમના સમાચાર પત્ર ‘ઉર્દૂ-એ-મૌલ્લા’માં લાંબા સમયથી ‘સંપૂર્ણ સ્વતંત્રતા’નો પ્રસ્તાવ જાહેર ચર્ચામાં મૂકી રહ્યા હતાં. મોહાનીએ 1921માં અમદાવાદની કાઁગ્રેસ કોન્ફરન્સમાં ‘સંપૂર્ણ સ્વતંત્રતા’નો પ્રસ્તાવ મૂક્યો. સંપૂર્ણ સ્વતંત્રતાના પ્રસ્તાવની તરફેણમાં પરિષદમાં મોહાનીનું ભાષણ ગાંધીજીને પરેશાન કરે છે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં આનો ખાસ ઉલ્લેખ કર્યો છે. ‘હસરત મોહાનીના ભાષણના એટલા જોરદાર વખાણ થયા કે મને ડર હતો કે મારી વાત ઊજજ્ડ જગ્યાની જેમ કોઈ સાંભળશે નહીં’ (સત્યના પ્રયોગો, એમ.કે. ગાંધી, નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ, 2004).
1937માં મૌલાના હસરત મોહાનીની દલીલ શક્તિ વિશે તુર્કીના લેખક હાલિદે એડીબ સાથે વાત કરતી વખતે, મહાત્મા ગાંધીએ કહ્યું, ‘જ્યારે હું મોહાની સાથે વાત કરું છું, ત્યારે એ રાતે હું શાંતિથી સૂઈ શકતો નથી’. આ મોહાનીની દલીલનું સ્તર, તે ગાંધીજીને કેટલું પરેશાન કરતું અને તેમને કેટલી હદે પ્રભાવિત કરતું તે દર્શાવે છે.
મૌલાના હસરત મોહાનીની પત્ની નિશતુન્નીસા બેગમે ‘સ્વદેશી’ને પ્રોત્સાહન આપ્યું અને વિદેશી માલસામાનના બહિષ્કાર અને અન્ય મુદ્દાઓ પર વ્યાપક અભિયાન હાથ ધર્યું. કાર્યક્રમોના ભાગરૂપે તેઓએ ‘અલીઘર ખિલાફત સ્ટોર્સ’ અસહકાર આંદોલન દરમિયાન ખોલ્યું. આમ તેઓ ભારતમાં સ્વદેશી કાપડનો વ્યવસાય શરૂ કરનાર પ્રથમ બન્યાં. બેગમ નિશતુન્નિસાએ ‘સ્વદેશી’ને પ્રોત્સાહન આપવા માટે ઘણી બેઠકોનું આયોજન કર્યું અને તે દિશામાં મહિલાઓને પ્રેરિત કરી. ગાંધીજીએ 19 મે 1920ના રોજ ‘યંગ ઇન્ડિયા’માં એક ખાસ લેખ લખ્યો હતો, જેમાં ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં બેગમ નિશતુન્નીસા અને મૌલાના હસરત મોહાનીની મહત્ત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
મોટા ભાઈ અબુલ કલામ આઝાદ :
સ્વાતંત્ર્ય સેનાની મૌલાના અબુલ કલામ આઝાદ(1888-1958)ને ગાંધીજીની ખૂબ નજીક આવનારાઓમાં પ્રથમ તરીકે ગણી શકાય. અબુલ કલામ આઝાદ, જે બ્રિટિશ વસાહતી શાસકો સામે બળવો કરનારા ક્રાંતિકારી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી રહ્યા હતા, જાન્યુઆરી 1920માં પ્રથમ વખત ગાંધીજીને મળ્યા બાદ, તેમણે ક્રાંતિકારીઓનો માર્ગ છોડી દીધો અને ગાંધીવાદી અહિંસાના માર્ગને અનુસર્યો. ખિલાફત અને અસહકાર આંદોલનમાં સક્રિય ભાગ લીધો. તેઓ ભારતીય રાષ્ટ્રીય ચળવળના તમામ કાર્યક્રમોમાં ગાંધીજી સાથે ખભેથી ખભો મિલાવી ચાલતા હતા. તેમણે ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ચળવળના કાર્યકર્તા તરીકે એક દાયકાથી વધુ સમય જેલમાં વિતાવ્યો. તેમણે 1947ના જાન્યુઆરી 15ના રોજ ગાંધીજીના આગ્રહથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સ્વતંત્ર ભારતમાં શિક્ષણ પ્રધાન તરીકે તેમણે વિશિષ્ટ શૈક્ષણિક યોજનાઓ બનાવી અને તેનો અમલ કરાવ્યો હતો.
મોહિદ્દીન સાહેબ કેમ છે ?
આંધ્રપ્રદેશ રાજ્યના કૃશા જિલ્લાના વિજયવાડાના મુહમ્મદ ગુલામ મોહિદ્દીન, ખિલાફત અને અસહકાર ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીએ આપેલા આહ્વાનના જવાબમાં માનદ્દ મેજિસ્ટ્રેટ પદેથી રાજીનામું આપનાર આંધ્ર પ્રદેશના પ્રથમ વ્યક્તિ હતા. તેમના પુસ્તક ‘ના જીવિથા કથા (નવ્યાધ્રમુ)’માં આનો ઉલ્લેખ કરતાં, જાણીતા સ્વાતંત્ર્ય સેનાની આયદેવરા કાલેશ્વરા રાવે લખ્યું, ‘મારા નજીકના મિત્ર મુહમ્મદ ગુલામ મોહિદ્દીન સાહેબ પ્રથમ વર્ગના માનદ્દ મેજિસ્ટ્રેટ પદ પર હતા. તેમણે જાહેર કર્યું કે તે મારી સાથે નોકરી છોડી દેશે. તે સમયે ચક્રવર્તુલા રાજગોપાલચારી પણ અમારી સાથે હતા. મોહનદાસ કરમચંદ ગાંધીના અહિંસક અસહકાર આંદોલનને પગલે અત્યાર સુધી અમે આંધ્રમાં માત્ર બે જ ધારાશાસ્ત્રીઓઓએ પ્રથમ વર્ગના માનદ્દ મેજિસ્ટ્રેટનું પદ છોડી દીધું હતુ. ત્યાં ભેગા થયેલા હજારો લોકોની તાળીઓ વચ્ચે ગાંધીજીએ આ જાહેરાત કરી હતી. તેમણે આ વિશે તેમના સામયિક ‘યંગ ઇન્ડિયા’માં પણ લખ્યું છે.
ગુલામ મોહિદ્દીને 1921માં વિજયવાડામાં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ પરિષદના આયોજન માટે પાણીની જેમ પોતાની સંપત્તિ ખર્ચ કરી. જ્યારે આય્યદેવરાએ ગાંધીજીને રૂબરૂમાં એમ કહ્યું કે ગુલામ મોહિદ્દીને કાઁગ્રેસને ઘણી આર્થિક મદદ કરી છે, ત્યારે મોહિદ્દીને તરત જ જવાબ આપ્યો કે તેમણે તેમના પૈસા કાઁગ્રેસ માટે નહીં, પરંતુ દેશ માટે ખર્ચ્યા છે. પછી ત્યાં હાજર તમામ નેતાઓ તેમના પ્રતિભાવથી ખુશ થયા અને તેમની પ્રશંસા કરી. મહાત્મા ગાંધી મોહિદ્દીન સાહેબની ઉદારતા અને આતિથ્યને ક્યારે ય ભૂલ્યા નહીં અને વિજયવાડાની દરેક વ્યક્તિને જ્યારે મળતા ત્યારે અચૂક પૂછતા કે: ‘મોહિદ્દીન સાહેબ કેમ છે?’
e.mail : hidayat_hevard@rediffmail.com