દિલ્હીમાં હાલમાં થયેલી બે દિવસની નેશનલ સિક્યૂરિટીઝ સ્ટ્રેટજિસ્ટ કોન્ફરન્સમાં ગૃહ મંત્રી અમિત શાહે ‘નેશનલ ઓટોમેટેડ ફિંગર પ્રિન્ટ આઇડેન્ટિફીકેશન સિસ્ટમ’(એન.એ.એફ.આઇ.એસ.)ના અત્યાધુનિક ટેક્નોલોજીનું અનાવરણ કર્યું. જે સિસ્ટમનું અનાવરણ થયું તેના નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ રાષ્ટ્રિય સ્તરે હાથની આંગળીઓને ઓળખવાનું કાર્ય કરે છે. તે લાગુ કરવાનું મુખ્ય કારણ ગુનાઓ સંબંધિત છે; કારણ કે ગુનાઓની તપાસ-ઉકેલમાં ફિંગરપ્રિન્ટ અગત્યનો ભાગ ભજવે છે. અત્યાર સુધી રાષ્ટ્રિય સ્તરે આવી કોઈ વ્યવસ્થા નહોતી, પણ હવે તેનો ટેડાબેઝ વધુ આયોજનબદ્ધ રીતે સંગ્રહિત થશે. ‘એન.એ.એફ.આઇ.એસ.’ની વ્યવસ્થાને વિકસાવવાનું કાર્ય ‘નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો’ દ્વારા થયું છે. ‘એન.એ.એફ.આઇ.એસ.’નો પ્રયોગરૂપે અમલ સૌ પ્રથમ એપ્રિલથી મધ્ય પ્રદેશમાં થવા માંડ્યો હતો.
ટેકનોલોજી જેમ ગુનાખોરી માટે અનેક રસ્તાઓ ખોલી આપ્યા છે, તેમ તેના ઉકેલ-તપાસ અર્થે પણ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ફિંગર પ્રિન્ટ પરથી ગુનાઓ ઉકેલવાનું બેએક સદીથી થતું આવ્યું છે. હાલના યુગમાં ય ગુના સ્થળે નિયમિત રીતે ફોરેન્સિક સાયન્સ ફિંગર પ્રિન્ટ લે છે. ફિંગર પ્રિન્ટનું આટલું મહત્ત્વ એ માટે પણ છે કારણ કે તેની વિગત સરળતાથી લઈ શકાય છે અને દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ વેગળી હોય છે. તેમાં છેડછાડનો અવકાશ નહિવત્ છે અને સાથે લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિની ફિંગર પ્રિન્ટ બદલાતી નથી. એ રીતે વર્ષો સુધી ફિંગર પ્રિન્ટ વ્યક્તિની ઓળખ બની રહે છે, જેના કારણે ગુનાઓમાં જે-તે વ્યક્તિની સામેલગીરી છે કે નહીં તેને સ્થાપિત કરવાનું સરળ બને છે. ફિંગર પ્રિન્ટની જમા બાજુની દલીલ મહદંશે જેઓ ગુનો ઉકેલતા હોય છે તેમના તરફથી થાય છે; બાકી હજુ ય ન્યાયાધીશો અને ઘણી વખત ન્યૂઝ મીડિયા ફિંગર પ્રિન્ટ પર પ્રશ્ન ઉઠાવતાં આવ્યા છે. ફિંગર પ્રિન્ટની ભૂલના કારણે કેટલીક વખત નિર્દોષ લોકોની ગુનાઓમાં સંડોવણી પુરવાર થાય છે તેવું તેમનું કહેવું છે.
ફિંગર પ્રિન્ટ બાબતે આ રીતે થતી ભૂલચૂકને દૂર કરવા માટે જ હવે ‘એન.એ.એફ.આઇ.એસ.’ને લાગુ કરવામાં આવી છે. તેમાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુના સંબંધિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા સૌની ફિંગર પ્રિન્ટને સાચવવામાં આવશે. આ ડેટા સર્ચેબલ હશે અને તપાસ એજન્સીઓ અહીં તમામ ડેટાને 24 બાય 7 અપલોડ અને ટ્રેસ કરી શકશે. ફિંગર પ્રિન્ટની મેથડ ગુના ઉકેલવા કેટલી ઉપયોગી થાય તે ગત વર્ષના બેંગ્લુરુમાં થયેલાં પ્રયોગ દ્વારા જ સમજી શકાય. જેમ કે, ગત વર્ષે બેંગલુરુમાં ગુના ઉકેલવામાં ફિંગર પ્રિન્ટના મદદથી 80 ટકા વધુ ગુના ઉકેલી શકાયા. બેંગલુરુ પોલિસ પાસે અત્યારે ગુનાખોરી કરનારાં 28,691 લોકોના ફિંગર પ્રિન્ટનો ડેટાબેઝ છે. આ ડેટાનો બુદ્ધિપૂર્વકના ઉપયોગથી માત્ર બેંગલુરુ શહેરમાં ગુના ઉકેલવાનું પ્રમાણ આટલે સુધી લઈ જવાયું. હાલમાં દરેક રાજ્ય પોતાની રીતે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવનારાંઓનો ફિંગર પ્રિન્ટ ડેટાબેઝ રાખે છે. તમામ રાજ્યોની સિસ્ટમ અલગ-અલગ છે અને તે ડેટા છૂટોછવાયો પણ છે, તેથી નેશનલ લેવલના એક પ્લેટફોર્મની જરૂર હતી, જ્યાં બધા જ ક્રિમિનલ્સના ફિંગર પ્રિન્ટ રહે. હાલમાં ક્રિમિનલ્સનો સૌથી વધુ ડેટા ધરાવનારું રાજ્ય પંજાબ છે અને ત્યાંની પોલિસ પાસે અંદાજે 3.8 લાખ લોકોની ફિંગર પ્રિન્ટ છે. જો કે છેલ્લા 2019 અને 2020માં ફિંગર પ્રિન્ટ દ્વારા ઉકેલનારા કેસોની સંખ્યામાં ટોપ કરનારા રાજ્યોમાં કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રહ્યા છે.
કેરળનો ચકચારી ઉથરા મર્ડર કેસ પણ ફિંગર પ્રિન્ટથી ઉકેલાયો હતો. આ પૂરા કેસની વિગત એમ છે કે, 2020માં ઉથરા નામની યુવાન મહિલાનું સાપના ડંખથી મૃત્યુ થયું હતું. આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ પોલીસને શંકા ગઈ કે ઉથરાનું સાપ કરડવાથી મૃત્યુ જરૂર થયું છે પણ તે કુદરતી ક્રમમાં થયું હોય એમ જણાતું નથી. સાપ ઉથરા પર છોડવામાં આવ્યો હતો, અને તેવું કરનાર તેનો પતિ સૂરજ હતો. પોલીસે આ કેસમાં ખૂબ મહેનત કરી અને એવાં 29 સાંયોગિક પુરાવા એકઠા કર્યા જેનાથી એવું સાબિત થયું કે ઉથરાની હત્યા સૂરજે કરી છે, તેમાં એક મજબૂત પુરાવો ફિંગર પ્રિન્ટનો ય હતો. આવાં તો અનેક જાણીતાં-અજાણ્યા કેસો છે જેમાં ફિંગર પ્રિન્ટના કારણે ગુનાખોર સુધી પહોંચી શકાયું હોય. અથવા તો કેસમાં મજબૂત પુરાવા તરીકે ફિંગર પ્રિન્ટને રજૂ કરવામાં આવી હોય.
2018માં આ રીતે જ ફિંગર પ્રિન્ટથી દિલ્હી પોલીસે બાર વર્ષ જૂના એક કેસની ભાળ મેળવી હતી. થયું એમ કે 2006માં સબિર મલિક નામની એક વ્યક્તિએ તેના સાથીદારો સાથે મળીને દિલ્હીના લલિત બત્રા નામના ઉદ્યોગપતિના ઘરે ચોરી કરી. લલિત બત્રાના ઘરે તે વખતે 30,000ની જ્વેલરી અને અન્ય કેટલીક મોંઘી ચીજવસ્તુઓ ચોરાઈ હતી. તેની ફરિયાદેય થઈ પણ આ કેસ ઉકેલાયો નહીં અને પછી તો ફરિયાદીએ સુધ્ધા તેની આશા છોડી દીધી હતી. 2018માં જ્યારે સબિર મલિકને ગેરકાયદેસ શસ્ત્ર રાખવાના આરોપસર પકડવામાં આવ્યો અને તેની પૂછપરછ થઈ ત્યારે દિલ્હી પોલીસને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ હંમેશાંથી ગુનાઓ કરતો આવ્યો છે. તેના ફિંગર પ્રિન્ટ ક્રાઇમ રેકોર્ડ ઓફિસમાં મોકલી આપવામાં આવ્યા. સબિર મલિકની ફિંગર પ્રિન્ટ દિલ્હીના કેટલાક અનસોલ્વડ કેસમાં પણ મેચ થયા, તેમાં એક કેસ ઉદ્યોગપતિ લલતિ બત્રાનો પણ હતો. સ્વાભાવિક છે કે ચોરી થયેલો સામાન ચોર પાસેથી આટલાં વર્ષે જપ્ત ન કરી શકાય, પણ કેસ ઉકેલાયો અને આવી ગુનાખોરીને અટકાવવાનું કાર્ય તે દ્વારા થશે, કારણ કે સબિર મલિક કાલુ-બિલ્લા ગેંગ માટે કાર્યરત હતો અને આ ગેંગે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં અનેક આવી ચોરીઓ કરી છે.
આ ઉદાહરણ પરથી ખ્યાલ આવી શકે કે ગુનાઓ ઉકેલવા અર્થે ફિંગર પ્રિન્ટ કેટલી આવશ્યક બાબત છે. ‘એન.એ.એફ.આઇ.એસ.’ દ્વારા હવે દરેક ગુના સાથે સંબંધિત વ્યક્તિના ફિંગર પ્રિન્ટને દસ ડિજિટનો એક યુનિક નંબર મળશે, જેને ‘નેશનલ ફિંગર પ્રિન્ટ નંબર’થી ઓળખવામાં આવશે. દેશભરમાં કોઈ પણ વ્યક્તિની ગુના માટે ધરપકડ થાય તો તેની ફિંગર પ્રિન્ટને તેમાં લઈ લેવામાં આવશે. આ યુનિક આઇ.ડી. નંબરમાં પ્રથમ બે ક્રમાંક રાજ્યોનો કોડ દર્શાવશે અને તે પછીના ક્રમ એ રીતે તબક્કાવાર જે-તે ક્ષેત્રની ઓળખ આપશે, જેથી ટ્રેસિંગ ઝડપથી થઈ શકે. નેશનલ સ્તરે આ રેકોર્ડ રાખવાની ભલામણ વર્ષોથી થતી હતી, પરંતુ અત્યારે તેનો યોગ બન્યો છે. સૌ પ્રથમ 1986માં ‘નેશનલ પોલીસ કમિશને’ રાષ્ટ્રીય સ્તરે આવી વ્યવસ્થા હોવાની ભલામણ કરી હતી, પરંતુ તે વખતે મેન્યૂઅલી જ ફિંગર પ્રિન્ટ રાખવાનું શક્ય હતું. ત્યાર બાદ આ મેન્યૂઅલ રેકોર્ડને ડિજિટલ કરવાનું કાર્ય 1992ના અરસામાં શરૂ થયું, તેમ છતાં તે વખતે ટેક્નોલોજીની મર્યાદા ઘણી હતી તેથી તેનો વ્યાપક ઉપયોગ થતો નહોતો. સમયાંતરે આ સિસ્ટમ સતત અપગ્રેડ થતી રહી અને હવે અત્યાધુનિક ટેકનોલોજી સાથે ફિંગર પ્રિન્ટનો ડેટાને સુરક્ષિત કરવામાં આવશે.
આશ્ચર્યની વાત તો એ છે કે ફિંગર પ્રિન્ટનો પહેલોવહેલો પ્રયોગ અંગ્રેજો દ્વારા ભારતમાં જ થયો હતો. તે વખતે તેનો ઉપયોગ વહીવટી કાર્ય માટે થયો, ન કે ગુનાખોરીના તપાસના ઉદ્દેશ્યથી. તે પછી ઇ.સ. 1800ના અરસામાં બંગાળના હુગલી જિલ્લાના ચીફ એડમિનિસ્ટ્રેટર વિલિયમ હર્ષલે યોગ્ય વ્યક્તિને સરકારી પેન્શન મળે છે કે નહીં અને જમીનની ફેરબદલી વખતે છેતરપિંડી અટકે તે માટે ફિંગર પ્રિન્ટનો ઉપયોગ શરૂ કર્યો. 19મી સદીની શરૂઆતમાં ગુનાખોરી અટકાવવા માટે ફિંગર પ્રિન્ટનો આધાર લેવાતો થયો. ફિંગર પ્રિન્ટ વ્યક્તિની ઓળખની એક અલાયદી પદ્ધતિ છે તે શોધી કાઢવાનું કાર્ય મૂળે જર્મનીના એનાટોમિસ્ટ જોહન મેયરે 1788માં કર્યું હતું. જોહન મેયરના આ કાર્યને મેડિકલી યોગ્ય પુરવાર કરવાનું કામ સ્કોટીશ ડોક્ટર હેન્રી ફોલ્ડે કર્યું. આ રીતે ફિંગર પ્રિન્ટ ઉપયોગમાં લેવાતી થઈ અને કલકત્તામાં 1897માં પ્રથમ ફિંગર પ્રિન્ટ બ્યૂરો સ્થાપવામાં આવ્યું. શરૂઆતમાં તેનો થોડો વ્યાપક ઉપયોગ કરવામાં મૂળે ભારતના બે સબ-ઇન્સ્પેક્ટર, જેઓ બંગાળમાં ડ્યૂટી પર હતા તે અઝિઝ ઉલ હક અને એચ.સી. બોઝનો પણ મહત્ત્વનો ફાળો છે.
e.mail : kirankapure@gmail.com