મૂળે તો આપણે દંભી પ્રજા છીએ. આધુનિક હોવાના વહેમમાં જ આપણે રોજ અપ્રમાણિકતા અને અસત્યનું આચરણ કરતાં રહીએ છીએ. આપણે લગભગ નિખાલસ નથી. રોજિંદા વહેવારોમાં આપણે એટલાં ખાનાં પાડીને જીવી છીએ કે આપણું અસલ સ્વરૂપ આપણને જ ઓળખાતું નથી. પિતા-પુત્રી, માતા-પુત્ર, ભાઈ-બહેન વચ્ચેના સંબંધોમાં બહુ મુશ્કેલીઓ નથી. જન્મથી આવી મળેલા સંબંધોમાં આપણે લગભગ પ્રમાણિક છીએ, સાચા પણ હોઈશું, પણ વિજાતીય મૈત્રી સંદર્ભે આપણે ઘણો ગૂંચવાડો ઊભો કર્યો છે. એક છોકરો ને એક છોકરી, જો ભાઈ બહેન નથી તો સમાજ અને કુટુંબ એ મામલે બહુ મૂંઝાય છે. સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એક યુવાન અને એક યુવતીનો સંબંધ મૂંઝવણો જ ઊભી કરતો આવ્યો છે. ભાઈ-બહેન ન હોય એવા યુવકને, યુવતી રાખડી બાંધી દે છે તો કુટુંબ કે સમાજને એ વાતે ખાતરી થઈ જાય છે કે એ બે વચ્ચે કૈં નથી. હવે તો કુટુંબને કે સમાજને છેતરવા યુવક રાખડી બંધાવી પણ લે છે અને વિજાતીય મૈત્રીનો લાભ પણ લેતો રહે છે. કેટલાંક ધરમના ભાઈ- ધરમની બહેન પણ બની જાય છે જેથી સમાજ એમના તરફથી નિશ્ચિંત થઈ જાય છે. આવું કેમ થાય છે? કેમ યુવક-યુવતીએ ભાઈ-બહેન હોવાનું નાટક કરવું પડે છે? કુટુંબ કે સમાજને છેતરવાની સ્થિતિ કેમ આવે છે? એ સ્થિતિ એટલે આવે છે કે આજે પણ વિજાતીય મૈત્રી, કુટુંબ કે સમાજ સ્વીકારવા ભાગ્યે જ તૈયાર થાય છે. વિજાતીય આકર્ષણ કૈં આજનું નથી. એ યુગોથી ચાલ્યું આવે છે. યુગોથી સમાજ અનુદાર છે ને યુગોથી પ્રેમીઓ મળ્યાં જ છે ને મર્યાં ય છે, છતાં એને ભાગ્યે જ સ્વીકૃતિ મળી છે.
સમાજ સુધર્યો છે, કુટુંબો ઉદાર પણ થયાં છે, યુવક-યુવતીને મળવા પર પણ પાબંદીઓ ઓછી થઈ છે, છતાં વિજાતીય મૈત્રી મોટે ભાગે આજે પણ નકારાય છે. એને માટે કોઇની જિંદગી છીનવવી પડે તો તેનો ય કોઈને બહુ વાંધો આવતો નથી. પ્રેમીઓની હત્યા કદાચ વધી છે. એક બાજુ પ્રેમ પવિત્ર છે, પ્રેમ એ જ ઈશ્વર છે, જેવું બોલાતું રહે છે ને બીજી બાજુએ પ્રેમીઓની હત્યા થવાની પણ નવાઈ રહી નથી. એ ખરું કે પ્રેમ લગ્નોની હવે છોછ નથી કે વિજાતીય મૈત્રીનો ય સ્વીકાર થાય છે, પણ એને માટે બચાવની યુક્તિઓ પણ અપનાવાઈ છે. આ સારું છે કે ખરાબ, તેમાં ન પડીએ તો પણ તે છે એ માનવું જ પડે એમ છે. છોકરા- છોકરાની મૈત્રીનો કે છોકરી-છોકરીની મૈત્રીનો કોઈને ભાગ્યે જ વાંધો હશે, પણ કોઈ છોકરી, કોઈ છોકરા સાથે વાતો કરતી દેખાય તે સાથે જ કુટુંબ ને સમાજની આંખો ચાર થવા લાગે છે. એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કેટ નામની છોકરી અને રોક નામના છોકરા વચ્ચે મૈત્રી છે, તો તે મૈત્રી અંગે હવે સમાજે ખાનાં પાડ્યાં છે. જેમ કે તેમની વચ્ચે મૈત્રી છે, તો તે બંને મિત્રો હોઈ શકે છે, પણ વાત એટલાથી અટકતી નથી. કેટ, રોકની ગર્લફ્રેન્ડ હોઈ શકે છે કે પછી રોક, કેટનો બોય ફ્રેન્ડ પણ હોઈ શકે છે. મતલબ કે મૈત્રીથી કશુંક વિશેષ હોય તો તેવી મૈત્રીને બોય ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનું લેબલ લાગી શકે છે. એમ પણ માનવામાં આવે છે કે કેટ અને રોક વચ્ચે શારીરિક છૂટછાટ પણ લેવાતી હશે કે શરીર સંબંધ થયો હોય તો પણ નવાઈ નહીં ! આ વાત કુટુંબો જાણતાં પણ હોય છે. આવાં બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ એકથી વધુ પણ હોઈ શકે છે. આમાં મૈત્રી થાય એટલી જ ઝડપથી સંબંધો તૂટે પણ છે. બ્રેક અપ એ આજનું વરદાન છે. ધારો કે મૈત્રી ચાલુ રહે છે તો તે લગ્ન સુધી પહોંચે જ એવું નક્કી હોતું નથી. લગ્ન ન કરવાં હોય તો સમય જતાં એમને લિવ ઇનમાં રહેવાની તકો પણ સાંપડી શકે છે. અહીં પણ ફાવે ત્યાં સુધી આ મિત્રો સાથે રહે છે. એમાંથી કોઈ લગ્ન સુધી પહોંચે છે અથવા તો બ્રેક અપ કરીને માર્ગ બદલી કાઢે છે. એ સિવાય પણ મિત્રો સીધાં લગ્ન કરી લે એ પણ શક્ય છે. એટલાથી પણ વાત પૂરી થતી નથી. લગ્ન અનુકૂળ ન આવે તો વાત છૂટાછેડા સુધી પણ પહોંચે છે. ધારો કે લગ્ન સફળ છે ને બંને પતિ-પત્ની ક્યાંક નોકરી પણ કરે છે, તો નોકરીને સ્થળે, સાથી કર્મચારી સાથે પણ સંબંધો વિકસી શકે છે. આ લગ્નેતર સંબંધો, લગ્ન તૂટવાનું કારણ પણ બની શકે છે. આ ઉપરાંત કોઇકનું મૃત્યુ થાય તો પતિ કે પત્નીમાંથી કોઈ પુનર્લગ્ન પણ કરી શકે છે. હવે જ્યાં કાયદાનું સમર્થન છે, ત્યાં તો સમાજ કે કુટુંબને બહુ વાંધો નથી આવતો, પણ જ્યાં સમર્થન નથી ત્યાં સમાજની આંખો લાલ જ રહે છે. આંખો લાલ રહે કે લીલી, પ્રેમીઓ મળે જ છે ને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ મળે જ છે. વિજાતીય આકર્ષણ કુદરતી છે ને તે અનેક પ્રતિબંધો વચ્ચે પણ શક્ય છે ને ટકવા ઝનૂને ચડે છે. એમાં જેટલો વિરોધ થાય છે એટલા મળવાના રસ્તા પણ શોધાતા રહે છે.
ધ્યાનથી જોઈશું તો સમજાશે કે પ્રેમને અનેક લેબલ નીચે આવરવાનો ને છાવરવાનો પ્રયત્ન થાય છે. એક સમય હતો જ્યારે સ્ત્રી-પુરુષનું મિલન કોઈ બંધનને વશ ન હતું. કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પુરુષને ચાહી શકતી. કારણ ત્યારે કોઈ સમાજ ન હતો, કોઈ જ્ઞાતિ-જાતિની સ્પષ્ટતા ન હતી. સ્ત્રી અને પુરુષ એ બે જ જાતિ અસ્તિત્વમાં હતી. પછી સમાજ અસ્તિત્વમાં આવ્યો. તે સાથે જ જ્ઞાતિ, જાતિનાં વર્ગીકરણ આવ્યાં. લગ્નો જ્ઞાતિમાં જ કરવાના આગ્રહો વધ્યા. સ્ત્રી-પુરુષનું મિલન લગ્નથી જ પ્રમાણિત થતું ગયું. એ સિવાય જાતીય સંબંધ માન્ય ન હતો. પણ વિજાતીય આકર્ષણ તો કોઈ નિયમને વશ રહે એમ જ નથી. જેટલાં દબાણ વધ્યાં એટલો વિરોધ પણ વધ્યો ને હવે તેને બોય/ગર્લ ફ્રેન્ડ, લિવ ઇન, લગ્ન, લગ્નેતર એમ જુદા જુદા ખાનાઓમાં ગોઠવીને જોવાની કોશિશો થાય છે. ખરેખર તો એ શરીર સંબંધને માન્ય કરવાની યુક્તિઓ જ છે. એ દ્વારા સંબંધની એક પ્રકારની ઓળખ ઊભી કરવામાં આવે છે. એક રીતે તો એ છટકબારીઓ પણ છે. મૈત્રીના પ્રકારોમાં લગ્નની જવાબદારી ન સ્વીકારવાની ને એકબીજાને માણીને છટકી જવાની વૃત્તિ પણ કામ કરે છે. એ એમાં સંડોવાનાર સ્ત્રી-પુરુષને માન્ય હોય તો, તો બહુ વાંધો નથી આવતો, પણ લગ્નનો વાયદો કરીને કોઈ વિશ્વાસઘાત કરે છે તો વાત બગડે છે. લગ્ન દ્વારા થતાં બાળકને જ સમાજ માન્યતા આપે છે, એ સિવાય બાળક જન્મે તો તે શરમજનક ગણાય છે. એમાં બાળકનો તો કોઈ વાંક નથી, પણ તેનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. એ જ કારણે બાળક કચરાપેટીમાં કે ગટરમાં ફેંકાય છે. હવે તો બાળક ન થાય એવી વ્યવસ્થાઓ પણ હાથવગી છે. એટલે સ્ત્રી-પુરુષ બાળક ન થાય એવી આગોતરી વ્યવસ્થાઓ કરીને જ સંબંધ બાંધે છે. પણ, જ્યાં બાળકની અપેક્ષા રખાય અને પછી છેહ દેવાય ત્યાં બાળક વધારાનું થઈ પડે છે ને તેનો નિકાલ કરવાની ફરજ પડે છે. આ સૌથી વધારે નાલેશીભર્યું હોય છે.
આ બધાંમાં વિશ્વાસનો ભંગ ઘણા જીવોને જોખમમાં મૂકે છે. ખરેખર તો સ્ત્રી-પુરુષનું મિલન વિશ્વાસની ભૂમિ પર થવું જોઈએ, પણ હવે અવિશ્વાસ અને એકબીજાનો ઉપયોગ જ સહજ થતો આવે છે. એકથી વધુ સ્ત્રી સાથે કે પુરુષ સાથે સંબંધો વિકસવાની શક્યતાઓ વધી છે ને લગ્ન તો એકથી વધુ પતિ કે પત્નીની મંજૂરી આપતું નથી, ત્યાં બીજા સંબંધો છુપાવવા સિવાય કોઈ ઈલાજ રહેતો નથી ને એમાંથી અવિશ્વાસ, છેતરપિંડી, દગો … વગેરે વિકસે છે ને ખરાબ પરિણામો સુધી વાત પહોંચે છે. એ આ સમયનું વરદાન છે કે કેવળ શુદ્ધ લાગણી અનેક ખાનાઓમાં ગોઠવી દઈને તેને ગણતરી અને અવિશ્વાસ સુધી વિકસવાઈ છે. કોઈને માટે નિર્વ્યાજ લાગણી થવી કે હોવી એ એટલી પવિત્ર બાબત છે કે એ સિવાય જગતમાં કશું જ મહત્ત્વનું નથી, પણ હવે તેના દાખલા ગણાય છે ને સામેની વ્યક્તિ, ફસાવવાનું કે છેતરવાનું જ સાધન હોય તેમ તેનો દુરુપયોગ થાય છે. અત્યારે તો છેતરવાની મોસમ બેઠી હોય તેમ વિશ્વાસઘાત, છેડતી, બળાત્કાર અને ખૂનની પરંપરા સર્જાતી આવે છે. બધી જ વાતોમાં વેપાર અને નફાનું ગણિત ઘાતક છે. હજી શ્વાસ મફત ચાલે છે. હજી સૂર્ય લાઇટ બિલ મોકલ્યા વગર જ અજવાળું આપે છે, હજી ખેતી માટે વરસાદ વરસે છે, હજી માતા બાળકને પોતાનું દૂધ પૈસો ય વસૂલ્યા વગર પાય છે, હજી કોઈને માટે હૈયું વલોવાય છે, હજી આંસુ આવે છે. આ બધું જ કશી ય આશા- અપેક્ષા વગર થાય છે. એ જો વેપાર અને નફાના દાખલા ગણવા માંડશે તો લાગે છે કે એકાદ શ્વાસ લેવાનું ય સહેલું હશે?
વિચારીએ –
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, “ગુજરાત ટુડે”, 28 ઑગસ્ટ 2022