એક લટાર
* મેં શાકભાજીવાળાને કહ્યું, “કાલે તમે આપેલા બટાકામાંના ચાર બગડેલા નીકળ્યા.” દુકાનદાર કહે, “કર્મ પ્રમાણે થાય.”
* મેં મારા મિત્રને કહ્યું કે મારાં બહેનનો સ્વર્ગવાસ થયો. તો એ કહે, “આત્મા અમર છે. એ નથી જળથી પલળતો, નથી અગ્નિથી બળતો, નથી …”
* હું પોલીસ સ્ટેશને ગયો. મેં કહ્યું, “મારું લેપટોપ ચોરાઈ ગયું છે.” તો પી.એસ.આઈ. કહે, “યદા યદા હી ધર્મસ્ય … કૃષ્ણ જન્મે પછી તમને તમારું લેપટોપ પાછું મળશે. ખાતરીપૂર્વક કહું છું.”
* એક ઓફિસના મોટા સાહેબને એક કામ વહેલું કરવા માટે મેં લાંચ આપવાનો પ્રયાસ કર્યો તો એ કહે, “અમે લાંચ નથી લેતા. એ પાપ કહેવાય. હા, દાન આપવું હોય તો મારાં પત્નીને આપો.” પછી એણે મને એના ઘરનું સરનામું આપી દીધું.
* એક શાળાના ગણિતના શિક્ષક નહોતા આવ્યા. હેડમાસ્તરે બીજા શિક્ષકને કહ્યું, “તમે જરા ક્લાસ ઍંગેજ કરશો?” તો એ કહે, “પરધર્મ ભયાવહ. એ કામ હું નહીં કરું.”
* બે જણા લડતા હતા. બાથંબાથ. હું એમને જોવા ગયો. એટલામાં ત્યાં ત્રીજો માણસ આવ્યો. મને એમ કે એ આ બન્નેને લડતાં અટકાવશે. ત્યાં જ એણે પેલા બેમાંના એકને બોલાવીને કહ્યું, “ક્લૈબ્યં મા સ્મ ગમઃ”. મને સમજણ ન પડી. હજી નથી પડતી.
* વડોદરાના અલકાપુરી ગરનાળા નીચે બેત્રણ ભિખારીઓ બેઠા હતા. મેં કહ્યું કે તમે કામ કેમ નથી કરતા? તો એ કહેઃ “ભોક્તું ભૈક્ષમપીહ લોકે” (આ લોકમાં ભીખ માગીને ખાવું સારું.)
* હું આ બાસમતી ખરીદું કે પેલા? એવી કોઈક મુંઝવણમાં હતો. ત્યાં જ દુકાનદાર બોલ્યો, “ધીર્રસ્તત્ર ન મુહ્યતિ” (ડાહ્યા માણસો થતા નથી).
* હું રસોઈ બનાવતાં દાઝી ગયો. પછી દાક્તર પાસે ગયો. તો દાક્તર કહે, “માત્રાસ્પર્શાસ્તુ બાબુ શીતોષ્ણસુખદુઃખદાઃ / આગમાપાયિનોઅનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ, કોહ્યાપુત્ર.” હું દવા કરાવ્યા વગર પાછો આવ્યો.
* એક માણસનાં માબાપ અકસ્માતમાં માર્યાં ગયાં. સરકારે એને એક શોકસંદેશો મોકલ્યોઃ સમુઃખસુખં ધીરં … (શાણા માણસો માટે સુખ અને દુઃખ બન્ને એકસમાન હોય છે).
* અમારો ભગલો એના પાડોશીને કહેવા ગયો કે તમે તમારાં માબાપને વૃદ્ધાશ્રમમાં ન મોકલતા. કેમ કે, “કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ / ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઅભિભવયુક્ત.” પાડોશીએ ભગલાને એટલો બધો માર્યો કે .. હજી એ દવાખાનામાં સારવાર હેઠળ છે.
* એક ભાઈ ઓફિસમાં મોડા ગયા. સાહેબે પૂછ્યું, “કેમ મોડા આવ્યા?” પેલા ભાઈએ જવાબ આપ્યો, “ન ત્વેવાહં ઝાતું નાસં…” સાહેબ હજી બેભાન.
* અદાલતે એક હત્યારાને પૂછ્યું, “તેં હત્યા કરીને જ ઘન્ય ગુનો કર્યો છે.” હત્યારાએ કહ્યું, “ન હન્યતે હન્યમાને શરીરે.” પછી શું થયું એ વિશે કૃષ્ણને ખબર.
બસ, હવે થાકી ગયો. હજી મારો ભગવદ્ ગીતાનો અભ્યાસ ચાલુ છે.
E-mail : basuthar@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 16