હા, માણસને જિંદગી એક જ વાર મળે છે. એ સારો હોય કે ખરાબ, જિંદગી એક જ વાર મળે છે. એમાં કમાલ એ છે કે એક જિંદગી ખોટી જીવાઈ ગઈ હોય તો તે સુધારીને જીવવા માટે બીજી જિંદગી મળતી નથી. બધું મળીને જિંદગી એક જ છે. તે સુધારો, બગાડો કે ઉત્તમ કરો, એ એક જ જિંદગીમાં શક્ય છે, તે પૂરી થાય પછી, બજારમાંથી નવી લવાશે, એવા ભરોસે રહેનારાને છેતરાવાનું જ થાય છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું સરેરાશ ગણીએ તે પછી પણ, તે પૂરું તો જ થાય છે, તે રિપ્લેસ કરી શકાતું નથી અથવા તો તેમાં એક્સટેન્શન મળતું નથી. કોઈ બાળક જન્મીને તરત મૃત્યુ પામે તો તેને સો વર્ષની સરેરાશ પૂરી કરવા બાકીનાં વર્ષો કોઈ આપતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈશ્વરને પણ બીજી જિંદગી મળતી નથી, તો સાધારણ માણસની તો વાત જ શું કરવાની? એક જણને જિંદગી એક જ વાર મળે છે. એવું કહેવાય કે મનાય છે ખરું કે ફલાણો તો નવા અવતારે ઊઠ્યો કે ઢીકણાનો તો પુનર્જન્મ થયો, પણ એવું હકીકતે બનતું નથી. મૃત્યુ પછીની જિંદગીની વાતો થાય છે ખરી, પણ તેને વિજ્ઞાનનો આધાર નથી ને અંધશ્રદ્ધાને તો ક્યારે કોઈ પુરાવાની જરૂર જ પડી છે ! ટૂંકમાં, એક જણને જિંદગી એક જ વાર મળે છે.
જો આ સાચું હોય તો હવે એ વિચારવાનું રહે કે આપણે જિંદગીને કેટલી લાઇટલી લઇએ છીએ અથવા તો એને કેટલી ગંભીરતાથી લઇએ છીએ. આપણે લાઇટલી લઇએ કે સિરિયસલી, જિંદગી કોઈ કન્સેશન કે એક્સટેન્શન આપતી નથી. એનો જે વ્યાપ છે એમાં કોઈ ફરક પડતો નથી. એ નિશ્ચિત જ રહે છે. કોઈ જિંદગીને લંબાવી શકતું નથી, પણ તેને ટુંકાવી તો શકે છે. ટુંકાવવામાં કોઈ સફળ થાય કે નિષ્ફળ જાય, તે દરેક વખતે નક્કી નથી હોતું. કોઈ ટુંકાવવામાં સફળ જાય તો પણ તેને પાછળથી જિંદગી મજરે મળતી નથી. જ્યાંથી તે અટકે ત્યાંથી તે અટકે જ ! એમાં સુધારા વધારાને કોઈ અવકાશ નથી. એક વાત સ્પષ્ટ છે કે જન્મેલો માણસ ફરી જન્મ લેતો નથી ને મરેલો ફરી જીવતો થતો નથી. આ સ્થિતિ હોય તો આપણને જિંદગીનું મહત્વ હૈયે વસવું જોઈએ. પણ એવું ઓછું જ જોવા મળે છે.
સુરતના કઠોદરાની પ્રાથમિક શાળાના 11 વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે ધોરણ નવના વર્ગો શરૂ નહીં થાય તો તેઓ અગ્નિસ્નાન કરશે. આઠ ધોરણ પૂરું થયા પછી નવમાં ધોરણમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓને, સરકારે મંજૂરી આપી દીધી હોય છતાં, નવમાં ધોરણના વર્ગો શરૂ થતા નથી એટલે ત્રાસીને વિદ્યાર્થીઓએ અગ્નિસ્નાનની ચીમકી ઉચ્ચારી છે. એ વાતનો આનંદ થાય કે વિદ્યાર્થીઓ હજી ભણવા ઉત્સુક છે. આપણે ઈચ્છીએ કે સરકાર 11 વિદ્યાર્થીઓને અગ્નિસ્નાન સુધી નહીં જ જવા દે, પણ વિદ્યાર્થીઓએ આવી ચીમકી ઉચ્ચારીને જિંદગીને સસ્તી બનાવી દેવી જોઈએ. દુર્ભાગ્યે એમાંથી એકાદ પણ અગ્નિસ્નાન કરે તો તેને કોઈ જિંદગી પાછી આપી શકવાનું છે? જો જિંદગી આપણા હાથની વાત ન હોય તો તેને હાથથી જવા પણ ન દેવાય. પણ, આજકાલ જિંદગીને બહુ સસ્તી બનાવી દેવાય છે. એ સારું નથી. રાજસ્થાનની એક ઘટના ગાયનેક ડોક્ટરની આત્મહત્યાની છે. એક લેડી ડૉક્ટરને હાથે એક પ્રસૂતાનું મૃત્યુ થઈ ગયું ને એ પ્રસૂતાના સંબંધીઓએ ડૉક્ટરને જવાબદાર ઠેરવી 302ની કલમ લગાવી હત્યાનો આરોપ મૂક્યો. ડૉક્ટરને લાગી આવ્યું ને તેણે આત્મહત્યા કરી લીધી.
એ ખરું કે કોઈ દરદીનું ડોક્ટરની બેદરકારીને લીધે મોત થાય તો ડોક્ટર જવાબદાર ગણાય. જે દરદી મૃત્યુ પામે તેનાં સંબંધીઓ વ્યક્તિને ગુમાવે છે એ ઉપરાંત તેનાં પર આધારિત કુટુંબના સભ્યોને જનાર વ્યક્તિની બહુ મોટી ખોટ વેઠવાની આવે છે. એવે વખતે તેના મોત માટે ડૉક્ટર જવાબદાર હોય તો તેની સામે કાનૂની રાહે પગલાં ભરાવાં જ જોઈએ, પણ કુટુંબ તો ડૉક્ટરને પણ હોય છે. રાજસ્થાનની ઘટનામાં ડૉક્ટરને જવાબદાર ઠેરવી દેવાનું યોગ્ય તો જ ગણાય જો તેની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયું હોય. બને કે ડોક્ટરના બધા પ્રમાણિક પ્રયત્નો છતાં મહિલા દરદીને બચાવી ના શકાઈ હોય. આવામાં કોઈ પણ સંજોગોમાં ડૉક્ટરને 302ની કલમ તો ન જ લગાવી શકાય, કારણ ડૉક્ટરને દરદીને મારી નાખવાનું કોઈ કારણ જ ન હતું. તે દરદીની દુ:શ્મન ન જ હતી. એવું કોઈ વર્તન ડોક્ટરનું જણાતું નથી જે તેને હત્યાની આરોપી ઠેરવે. તો તેનાં પર હત્યાની કલમ કઇ રીતે લાગે? પ્રસ્તુત ઘટનામાં ડોક્ટરે આત્મહત્યા કરીને બે સ્થિતિ ઊભી કરી. એક, તેણે પોતાની નિર્દોષતા પુરવાર કરવા આત્મહત્યા કરવી પડી. બે, તેણે સ્વીકારી લીધું કે તે જવાબદાર હતી ને ગુનાહિત ભાવ એટલો તીવ્ર હતો કે આત્મહત્યા જ તેને એક ઉપાય લાગ્યો. 302ની કલમ લાગે ને આરોપ પુરવાર થાય તો જનમટીપ કે વધુમાં વધુ ફાંસી થાય, પણ આ તો ફાંસી થાય તે પહેલાં જ ડોક્ટરે જિંદગી ટૂંકાવી દીધી અને પોતાનાં જ કુટુંબને નોધારું કરી મૂક્યું. ખરેખર તો ડોક્ટરે જવાબદાર હતી તો પણ કે નિર્દોષ હતી તો પણ, તેણે જગતનો સામી છાતીએ સામનો કરવો જોઈતો હતો, પણ કમનસીબે એમ ના થયું. ડૉક્ટર જેવી વ્યક્તિ આમ જિંદગીથી હારી જાય એ ઠીક નથી.
ઘણા લોકો નાની કે મોટી ઉંમરે આવેશમાં આવીને આત્મહત્યા કરી લે છે, પણ તે ઈલાજ નથી, આત્મહત્યા કરીને વ્યક્તિ તો છૂટી જાય છે, પણ તેની પાછળ રહી જનારાઓ વ્યક્તિ તો ગુમાવે જ છે, સાથે જ અસહ્ય યાતનાનો ભોગ પણ થઈ પડે છે. ગમે એટલું વાજબી કારણ જ કેમ ન હોય, પણ આત્મહત્યા જગત પર ખોટો દાખલો જ બેસાડે છે. જેમણે અનેક તકલીફો વેઠીને મુશ્કેલીમાંથી માર્ગ કાઢ્યો છે એવાઓને દુનિયા યાદ કરે છે, ન કે આત્મહત્યા કરનારને ! કોઈ પણ આત્મહત્યા કરનારી વ્યક્તિ અમર થઈ હોય એવા કિસ્સા માંડ હશે. એની સામે મહેનત કરનાર, પ્રમાણિક અને મુશ્કેલીમાંથી માર્ગ કાઢનાર જગતમાં વધુ ઓળખ પામ્યા છે.
આજકાલ આત્મહત્યા કરવાની જાણે ફેશન થઈ પડી છે. તેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ હોવાનું લાગે છે. તે વધુ વેઠે છે એ વાત પણ કદાચ ભાગ ભજવતી હોય એમ બને. એમાં પણ નાની ઉંમરની છોકરીઓ કદાચ વધુ આત્મહત્યા કરે છે. પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે, પરીક્ષાનું રિઝલ્ટ સારું ન આવવાની ભીતિને કારણે, પ્રેમમાં નિષ્ફળતા મળતાં, લગ્ન ન થતાં, લગ્ન થવાને લીધે, નોકરી ન મળતાં, પતિનો અન્ય સ્ત્રી સાથેનો સંબંધ હોવાને કારણે, પોતાનો અફેર જાહેર થઈ જવાના ભયે, કોઈએ ઠપકો આપતાં, ભયંકર નિરાશા ઘેરી વળતાં, ઘણી સ્ત્રીઓ કે બાળાઓ આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા સ્ત્રીઓ જ કરે છે એવું નથી. પુરુષો પણ અનેક કારણોસર આત્મહત્યા કરતા હોય છે. ઘણી વાર તો સાવ ક્ષુલ્લક કારણોસર લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. બીજો વિચાર આવે ત્યાં સુધી જો આત્મહત્યા કરનાર રોકાઈ જાય તો તેને ખ્યાલ આવે છે કે કેવી મુર્ખાઈ કરવા પોતે જઈ રહી હતી અથવા જઈ રહ્યો હતો. સામૂહિક આત્મહત્યાના બનાવો ઓછા જ હશે, પણ વ્યક્તિ, ઘણી વ્યક્તિઓ હાજર હોય ત્યારે આત્મહત્યા કરતી નથી. વ્યક્તિ એકલી હોય ત્યારે જ આત્મહત્યા કરતી હોય છે. એટલે જ જેને આત્મહત્યાના વિચારો વધારે આવતા હોય તેવી વ્યક્તિઓએ બને ત્યાં સુધી એકલાં ન રહેવું જોઈએ.
આત્મહત્યાનો ગુનો જ એવો ગુનો છે જેમાં નિષ્ફળ જાવ તો સજા થાય છે, બાકીના ગુનાઓમાં સફળ જાવ તો સજા થાય છે. એ જે હોય તે, પણ આત્મહત્યા એ કોઈ પણ રીતે વખાણી શકાય કે ન્યાયી ઠેરવી શકાય એમ નથી. આપણને જિંદગી કુદરતે આપી છે, એને પાછી લેવાનો અધિકાર કેવળ કુદરતને છે. તે સિવાય જીવન અટકાવવાનો કોઈને અધિકાર નથી. આત્મહત્યા દ્વારા વ્યક્તિ પોતાનું જીવન અટકાવે છે. આમ અટકી જવાનું સહેલું નથી. મૃત્યુનો ભય તમામને છે. આત્મહત્યા કરનારને પણ ભય તો લાગે જ છે. તેને સફળ જવાનો ને નિષ્ફળ જવાનો, એમ બેવડો ભય લાગે છે. આ ભય કેમ લાગે છે? તે એટલે લાગે છે કારણ, મૃત્યુ આવનારાં ભવિષ્ય પર જ ચોકડી મારે છે. ભવિષ્યમાં જીવન હોત ને જે તે વ્યક્તિએ જે કર્યું હોત અથવા ન કર્યું હોત તેને મૃત્યુ કાયમને માટે અટકાવે છે. બધું રહે છે, માત્ર ભવિષ્ય જ રહેતું નથી. આત્મહત્યા કરનાર ભવિષ્યમાં જે કરી શક્યો હોત તે આત્મહત્યાને લીધે કદી થઈ શકતું નથી. વારુ, મૃત્યુ જ્યાં જીવન અટકાવે છે, પછી તે મૃત્યુમાંથી જીવનમાં કદી પાછા ફરી શકાતું નથી. આત્મહત્યા જો ભૂલ હોય તો પણ તેને સુધારવાની બીજી તક મળતી નથી. એ પરથી ખ્યાલ આવશે કે એક જ વાર જીવન મળતું હોય તેને આત્મહત્યા દ્વારા અટકાવવાનું કોઈ રીતે યોગ્ય નથી એટલું જ નહીં, આત્મહત્યા એ કોઈ પણ પ્રકારે અધિકાર તો નથી જ !
જે જીવન એક જ વાર મળે છે તેને આત્મહત્યા દ્વારા અટકાવવામાં તો મુર્ખાઈ જ છે એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com