વરસો પહેલાંની વાત છે. એક દિવસે મારા પર સ્વામીનારાયણ સંપ્રદાયના એક સાધુનો સંદેશો આવ્યો. એમાં લખ્યું હતું : મારે તમારી સાથે ગુજરાતી ભાષાના શિક્ષણ વિશે ચર્ચા કરવી છે તો હું તમને ક્યારે મળવા આવું?
એ સંદેશો વાંચતાં જ સૌ પહેલાં તો મને એમની ઉદારતા ગમી ગઈ. બાકી બીજા સાધુઓ આદેશ આપીને આપણને એમની પાસે બોલાવે. મેં પણ એમને વળતા જવાબમાં ઉદારતા બતાવી ને લખ્યું કે તમે મારા ઘેર આવો તો મને ગમે જ. પણ, એના કરતાં હું તમને મળવા આવું તો કેવું?
એ સાધુ સાધુ બન્યા એ પહેલાં હાર્વર્ડમાં ભણતા હતા. અને ત્યારે હું યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાં ભણાવતો હતો. હાર્વર્ડ અને યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા બન્ને આઈ.વી. લીગ. બન્ને અમેરિકાના પૂર્વકાંઠે અને બન્ને વચ્ચે ગુણવત્તાની સ્પર્ધા. આખરે હું એમને મળવા જાઉં એવું નક્કી કર્યું. પણ, મેં એક શરત મૂકી. મેં કહ્યું : આપણે કેવળ ગુજરાતી ભાષાની જ વાત કરીશું. ધર્મની વાત નહીં કરીએ. એ પણ સંમત થયા.
પછી હું એમને મળવા ગયો. લંચનો સમય હતો. એમણે મને કહ્યું, “હું અમારા સંપ્રદાયના નિયમ પ્રમાણે નીચે બેસીને જમીશ. પણ તમારા માટે અમે અલગ વ્યવસ્થા કરી છે. મેં કહ્યું કે ના, હું પણ તમારા સંપ્રદાયના નિયમ પ્રમાણે જમીશ. Your roof, your rules. મને એમાં કોઈ વાંધો ન હતો.
જમ્યા પછી ગુજરાતી ભાષાની અને એના વ્યાકરણની ચર્ચાઓ શરૂ થઈ. મેં એમનાં પાઠ્યપુસ્તકો જોઈને એક દલીલ કરી. કહ્યું “તમે આ બધા લેસનોમાંથી સાંપ્રદાયિકતા કાઢી ન શકો?” એમણે ના પાડી. એમણે કહ્યું “ના, એ જ તો અમારો ઉદ્દેશ છે.” મને એમની પ્રામાણિક ગમી ગઈ.
આખરે, “મારા લાયક કંઈ કામકાજ હોય તો મને જણાવજો” જેવી ઔપચારિકતા સાથે એ ચર્ચા પૂરી થઈ.
કોઈ સંપ્રદાય શૈક્ષણિક સંસ્થા શરૂ કરે અને એમાં જે તે સંપ્રદાયનું શિક્ષણ આપે તો એ એમની સ્વતંત્રતા છે. આપણે એની ટીકા ન કરી શકીએ, પણ કોઈ બહુમત એમ કહે કે અમે બહુમતીમાં છીએ એટલે અમારા ધર્મના પાઠ બધાંએ શીખવા જોઈએ તો મને એ યોગ્ય નથી લાગતું. હા, બહુમતી પોતે અલગ શાળાઓ ઊભી કરી એમાં પોતાના ધર્મના પાઠ ભણાવે તો એની સામે કોઈ ફરિયાદ ન કરાય.
સવાલ એ છે કે અત્યારે આપણા વિદ્યાર્થીઓને કયા પ્રકારના જ્ઞાનની જરૂર છે? આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય : આપણા સમાજને / દેશને કયા પ્રકારના વિદ્યાર્થીઓની જરૂર છે? દાખલા તરીકે, બારમા ધોરણ સુધીમાં દરેક વિદ્યાર્થીએ First aid અને CPRના ફરજિયાત કોર્સ લેવા જોઈએ એવું નક્કી કરવામાં આવે તો? તો કદાચ યુવાનો ઘણા બધા લોકોના જીવ બચાવી શકે. ભારતમાં અત્યારે યુવાનોની સંખ્યા વધારે છે. એ લોકો પણ વૃદ્ધ બનશે. એ પરિસ્થિતિમાં જો બારમા ધોરણ સુધીમાં એકાદ કોર્સ Gerontology પર આપવામાં આવે તો?
મેં વૃદ્ધો સાથે કામ કર્યું છે અને હું વૃદ્ધોના અધિકાર માટે ઘણી વાર ઝગડ્યો પણ છું. એક વાર એક વિશ્વવિખ્યાત હોસ્પિટલના દાક્તરે મને કહ્યું કે વૃદ્ધો બાળકો જેવા હોય છે ત્યારે મેં કહેલું કે ના, વૃદ્ધો વૃદ્ધો જેવા જ હોય છે. એમને બાળક જેવા ગણીને એમનું અપમાન ન કરો. ઘણી વાર દાક્તરો નેવું વર્ષની ઉપરના વડીલોની સારવાર કરતી વખતે એવું બોલી જતા હોય છે કે હવે નેવું થયાં … ત્યારે હું એમને કહેતો હોઉં છું કે એમને પણ તમને છે એટલો જ જીવવાનો અધિકાર છે.
જે કામ માનવકલ્યાણ માટે કરવાનું છે એ કામ બાજુ પર મૂકીને સરકાર અમુક પ્રકારનાં ગતકડાં કરે ત્યારે સમજવું કે એને માનવકલ્યાણની કંઈ પડી નથી. એને તો મતબૅંક ઊભી કરવી છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો આપણા વિદ્યાર્થીઓ ગીતાને બરાબર સમજે તો ભા.જ.પ.ને મત નહીં આપે. હા, પછી ભા.જ.પ. સરકાર ગીતાનો અભ્યાસ કેવળ શ્લોકો ગોખવા પૂરતા મર્યાદિત કરી નાખે તો એ એક અલગ વાત છે.
E-mail : basuthar@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 06