છેલ્લાં થોડાં વર્ષોમાં લગભગ બધે જ પાત્રતા વગરના લોકો નાની મોટી જગ્યાએ ગોઠવાયેલા જોવા મળે છે. આ અગાઉ પણ હતું, પણ અત્યારે એનું પ્રમાણ અગાઉ ન હતું એટલું છે. આવું થવાના ઘણાં કારણો હોઈ શકે, પણ તેનું પ્રમુખ કારણ રાજકારણ છે. અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ અંગ્રેજી અધિકારીઓની ખુશામત કરીને નાની મોટી જગ્યાઓ પર લોકો ગોઠવાઈ જતા હતા. એ પછી ભારત સ્વતંત્ર થયું ને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કે લાલબહાદુર શાસ્ત્રી જેવા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન દેશને મળ્યા ને એમની પ્રમાણિકતા ઉદાહરણરૂપ આજે પણ રહી છે. શાસ્ત્રી જેવાની તો સ્થિતિ એ હતી કે એ વડા પ્રધાન તરીકે ગુજરી ગયા ત્યારે તેમને માથે દેવું હતું. રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધી વિષે ભલે જે કહેવાતું હોય તે, પણ એ માણસે વર્ષો સુધી પોતડીભેર જ જીવન કાઢ્યું તે એટલી હદે કે પોતાના સુપાત્ર સંતાનોની પણ કદી તરફેણ ન કરી ને એની પ્રતિક્રિયારૂપે હરિલાલને પ્રગટ થવાનું બન્યું. સરદારે પણ પોતાને માટે કે સંબંધીઓ માટે કૈં ભેગું ન કર્યું. એવાં ઉદાહરણો પછી અપવાદરૂપે જ જોવાં મળે છે. બન્યું છે એવું કે સત્તા પર પરિવાર છવાયેલો રહ્યો છે. જો કે, અત્યારે પરિવાર નહીં, પણ પરિવારવાદ વધારે છવાયેલો છે. ગાંધી પરિવારનાં સૌથી નબળાં પરિણામો અત્યારે પ્રજા રાજકારણમાં જોઈ રહી છે. એવું નથી કે પરિવારવાદ કાઁગ્રેસમાં જ હાવિ થયેલો છે, અન્ય પક્ષોમાં પણ એની અસરો જોવા મળે જ છે.
પરિવારવાદની ટીકા એટલે થાય છે કે યોગ્ય વ્યક્તિને ભોગે નબળી વ્યક્તિઓ સત્તા માટે પ્રયત્નશીલ રહે છે. ભ્રષ્ટાચાર તો કાઁગ્રેસના વખતથી જ શિષ્ટાચાર થઇ ચૂક્યો હતો, એમાં અપવાદરૂપ વડા પ્રધાન મનમોહનસિંહ આવ્યા ને એ સમયે કેટલાંક વિશિષ્ટ કાર્યો પણ થયાં, પણ એમની સ્થિતિ કાઁગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સામે હરફ કાઢવાની પણ ના રહી ને એ દરમિયાન રાજકીય ક્ષિતિજે નરેન્દ્રોદય થઈ ચૂક્યો હતો. કાઁગ્રેસ મુક્ત ભારતની સંકલ્પના નરેન્દ્ર મોદીએ આપી અને ભા.જ.પ.ની સંગઠિત શક્તિ એવી કામે લાગી કે ૨૦૧૪માં ભા.જ.પ.નું શાસન આવ્યું ને નરેન્દ્ર મોદી ભારતના વડા.પ્રધાન બન્યા. દેશને યોગ્ય નેતૃત્વ મળ્યું ને એની અસર એ પડી કે ૨૦૧૯માં ફરી મોદી સરકાર વધુ તાકાતથી સત્તામાં આવી. કાઁગ્રેસે અને અન્ય પક્ષોએ સત્તામાં આવવાના બધા પ્રયત્નો ૨૦૨૨ની પાંચ રાજ્યોની ચૂંટણીમાં કર્યા, પણ ભા.જ.પ.નો જ પ્રભાવ વધારે રહ્યો છે. સત્તા મળી જવાની લાલચે ઘણાએ એકમાંથી બીજા પક્ષમાં ઘૂસવાનું પણ કરી જોયું, પણ બધા ખાટી ગયા હોય એવું થયું નથી. પંજાબને બાદ કરતાં ભા.જ.પ.નો ડંકો બધે વાગે છે. કાઁગ્રેસનું શાસન અત્યારે તો બે રાજ્યો પૂરતું જ સીમિત થઈ ગયું હોય એમ લાગે છે. એ તો આવે કે ન આવે, તેનાં કરમ, પણ ભા.જ.પ.ના મંત્રી પણ ઈચ્છે છે કે દેશમાં મજબૂત વિપક્ષ હોય. એ હોવો જોઈએ, પણ ભા.જ.પ.ની નીતિ વિપક્ષ મુક્ત ભારતની ન હોય તો જ એ શક્ય છે.
વિપક્ષ શુદ્ધ જ હોય એવું હંમેશ બનતું નથી, પણ લોકશાહીમાં વિપક્ષનું મહત્ત્વ નકારી ન શકાય. જો કે ભા.જ.પ.ના કેટલાક નેતાઓની ઈચ્છા એવી રહી છે કે વિપક્ષ જેવું જ ના રહે તો સારું. પ્રયત્નો તો એવા જ થાય છે, પણ વિપક્ષ ન હોય તો લોકશાહીને સરમુખત્યારીમાં ફેરવાવાનું જોખમ રહે છે. એવું થાય તો જે તે પક્ષ પણ એવું ન ઈચ્છે. એવું પ્રદેશ અધ્યક્ષ પણ કબૂલતા થયા છે કે અત્યારે દેશ એક જ વ્યક્તિ પર નિર્ભર છે. એ સાચું ને સારું હોય તો પણ ઇચ્છનીય નથી. એવું થાય તો બાકીના નેતાઓ નિસ્તેજ જ પુરવાર થાય. પાંચસોથી વધુ સાંસદો લોકસભામાં હોય ને શાસન કોઈ એક જ વ્યક્તિનું અનુભવાય તો એ લોકશાહીનું લક્ષણ નથી. જો લોકશાહી લોકો વડે, લોકો માટે અને લોકોની હોય તો કોઈ એક વ્યક્તિની સરકાર કેવી રીતે હોય? ઇન્દિરા ઈઝ ઇન્ડિયા – એક કાળે કહેવાતું હતું ને એ કાળ પણ રહ્યો નથી તો હવે એવા પ્રયત્નો થાય તો એ કાળ પણ બદલાશે એ સમજી લેવાનું રહે.
કોઈ એક જ વ્યક્તિની આરતી ઊતરતી રહે ને એ વ્યક્તિ પણ આશીર્વાદની મુદ્રામાં જ સક્રિય રહે તો બે વાત બને. વ્યક્તિ આરતી ઉતરાવતી રહે ને ભક્તો આરતી ઉતારતા રહે. ખુશામત તો ઈશ્વરને ય ગમે છે તો મંત્રીઓને ન ગમે એવું તો ના બને. એમાં થાય છે એવું કે જે ભક્તિ કરે તે પ્રસાદ પામે. એ પ્રસાદ વહેંચણીનો કાળ અત્યારે ચાલે છે. જે ભગવાનની વધુ નજીક તે વહેલો અને વધુ પ્રસાદ પામે ને જે ભગવાનથી દૂર છે તે બધી બાબતે દૂર જ રહે છે અથવા તો દૂર રખાય છે.
ગુજરાતમાં અત્યારે પ્રસાદ વહેંચણીનો કાળ બેઠો છે. મોવડીને લાગ્યું કે ગુજરાતના નાથ બરાબર નથી તો તેમણે ગયા સપ્ટેમ્બરમાં જ આખા મંત્રી મંડળનાં બધાં પ્યાદાં બદલી કાઢ્યાં. એમાં પાપડી ભેગી ઈયળ પણ બફાઈ. એવા મંત્રીઓ પણ આવ્યા જે ગુજરાતની મંતરી શકે. એવા પણ આવ્યા જે ગુજરાતને મંત્ર આપે, પણ એનું પ્રમાણ કમભાગ્યે ઓછું જ છે. છેલ્લા થોડા સમયથી પાત્ર નહીં, એવી વ્યક્તિઓ રાજકારણમાં અને શિક્ષણમાં ઘૂસી ગઈ છે. આખા શિક્ષણ વિભાગમાં જે પાત્ર નથી તેવી વ્યક્તિઓ ઉચ્ચ હોદ્દાઓ પર ગોઠવાઈ ગઈ છે. થોડા દિવસ પર જ વર્તમાનપત્રોમાં એવા સમાચાર હતા કે માત્ર ગુજરાતની જ 11 યુનિવર્સિટીઓમાં કુલપતિઓ યોગ્ય લાયકાત વગરના નિયુક્ત થયા છે. કોઈની શૈક્ષણિક લાયકાત ઓછી છે તો કોઈનો અનુભવ ઓછો છે. આ નિમણૂકો સરકારે કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુ.જી.સી.એ) કુલપતિઓની લાયકાતો, અનુભવો અંગેનાં ચોક્કસ ધોરણો નક્કી કરેલાં છે. એ પ્રમાણે સરકારે કુલપતિઓને નિયુક્ત કરવાના હોય છે. એ પ્રમાણે જ સરકાર (રાજ્યપાલ) કુલપતિઓને નીમતી હશે એમ માનવામાં આવે છે. એમ પણ માનવામાં આવે છે કે સરકારે કુલપતિની નિમણૂક વખતે યુ.જી.સી.એ નક્કી કરેલી ઓછામાં ઓછી લાયકાત અને અનુભવની વિગતો જોઈ-ચકાસીને નિમણૂક આપી છે, પણ દુર્ભાગ્યે એવું થયું નથી. સરકારે ઓછી લાયકાત કે અનુભવ ધરાવતી વ્યક્તિઓને કુલપતિ પદે નિમણૂક આપી છે, તે એક બે નહીં, 11 યુનિવર્સિટીઓમાં ! માની લઈએ કે એકાદમાં સરકારની ચૂક થઈ હોય, પણ અગિયાર અગિયાર યુનિવર્સિટીઓમાં ભાંગરો વટાય તો એમ માનવાનું રહે કે આ ભાંગરો નથી, પણ પૂરી જાણકારી અને સમજથી સરકારે નિમણૂકો આપી છે. ખાનગી યુનિવર્સિટી હોય કે સરકારી, બીજી છૂટછાટો નિમણૂકમાં કદાચને અપાય તો પણ યુ.જી.સી.એ નક્કી કરેલી ઓછામાં ઓછી પાત્રતામાં કોઈ બાંધછોડ કરવાનો કોઈ સરકારને અધિકાર નથી એવું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે ને છતાં ઓછી પાત્રતાવાળી વ્યક્તિઓ કુલપતિ જેવા ઉચ્ચ હોદ્દે નીમાઈ. આવું જો સરકાર જ કરતી હોય તો બીજાની તો વાત જ શું કરવાની? કોઈ અધ્યાપક તરીકે કોઈ કોલેજમાં પણ નિમણૂક ન આપે એવી વ્યક્તિ, એક નહીં, બીજી ટર્મ માટે પણ લાયક ગણાતી હોય તો તે યુનિવર્સિટીના સ્તર વિષે શી આશા રહે? વ્યક્તિને તો ખબર હોય જ છે પોતાની પાત્રતાની ને એ તો ઈચ્છે જ કે હરામનું જે મળે તે લૂંટવું, પણ એવી વ્યક્તિ એમને એમ તો કુલપતિપદે નથી બેસી ગઈ, એને માનભેર બેસાડવામાં આવી છે. એનો શો વાંક? વાંક એ લોકોનો છે જે એવી વ્યક્તિઓને લહાણી કરે છે. કેમ થાય છે એવી લહાણી? કોણ કરે છે આ લહાણી? એ સરકાર કરે છે. સરકારના મંત્રીઓ કરે છે. એમને ગમે છે કે એમની આસપાસ ખુશામતખોરી કે ચાપલૂસી ચાલતી રહે. એવા મતલબી માણસો સરકારની આસપાસ ફર્યા કરતા હોય છે ને પ્રાર્થના કરતા રહે છે કે આ કે તે પદ મળી જાય. મંત્રીઓને જે સૌથી વધુ ખુશ રાખે તેને મંત્રી ઉચ્ચ પદોનું વરદાન આપીને અવતાર કૃત્ય બજાવતા હોય છે.
એકલાં કુલપતિપદની જ આ વાત નથી, પટાવાળાથી માંડીને ‘પરમેશ્વર’ સુધીનાં ઘણા પદો આવી ચમચાગીરી કે ચાપલૂસી કરનારા સાવ આવડત વગરના માણસોને આપી દેવાય છે. પછી એ જ જોવાનું રહે છે કે એ વ્યક્તિ કેટલું ઊંધું મારે છે? આખો દેશ આવા ચાપલૂસોથી ભરેલો પડ્યો છે. એ શક્ય બને છે એવા જ ભક્તિ પ્રેમી મંત્રીઓ અને અધિકારીઓને કારણે. એમ જ થાય, કારણ પટાવાળાની લાયકાત નક્કી છે, પણ પ્રધાનની લાયકાત નક્કી નથી. કોઈ મંત્રીના હાથ નીચેનો સ્ટાફ લાયકાતવાળો અને અનુભવી હશે, પણ એ મંત્રી અંગૂઠા છાપ હોય તો પણ, તેને પુછાતું નથી કે સાહેબ, તમે અહીં કેવી રીતે? તો એ કહેશે મને પ્રજાએ અહીં મૂક્યો છે. એટલે વાત પ્રજા પર જ આવીને અટકે છે. નબળો વિધાનસભ્ય કે સાંસદ જો પ્રજા જ ચૂંટતી હોય તો મંત્રી થયા પછી એ ઉચ્ચ પદે નબળી વ્યક્તિને નીમે તો એનો શો વાંક કાઢવો? નબળી પ્રજા સબળી સરકાર લાવે એવું તો ન બનેને !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઍપ્રિલ 2022