ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો હાથ ધરેલી સુનાવણી દરમિયાન સરકાર તરફથી ‘બધું બરાબર છે’ અગર તો ‘ગોઠવાઈ ગયું છે’ તરેહની રજૂઆત સામે આવી પડેલી ટિપ્પણી એ હતી કે આ રાજમાં બધું ‘ભગવાન ભરોસે’ છે. ખરું જોતાં, કેમ કે આ ભા.જ.પ.ની સરકાર છે અને એનો ખાસ ઇતિહાસ છે, ‘રામભરોસે’ જેવો સચોટ પ્રયોગ સંબંધિત સૌએ કદાચ કશાક મલાજાવશ ટાળ્યો છે.
આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે (૧૩મી એપ્રિલના સવારનાં છાપાં પ્રમાણે) છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ૬,૦૨૧ નવા કેસ નોંધાયા છે અને સાજા થવાનો દર (રિકવરી રેટ) એક તબક્કે સો ટકા નજીકનો હતો તે નેવું ટકાની નીચે ઊતરતો માલૂમ પડ્યો છે. આનો અર્થ સાફ છે, રાજ્ય સરકાર નવી લહેરના આગોતરા અંદાજ મુજબનું આયોજન કરવાની કલ્પકતા દાખવી શકી નથી.
એક વરસ કરતાં વધુ સમયથી આપણે જે અનુભવમાંથી પસાર થઈ રહ્યા છીએ તે કેવો છે? મોહન પરમારની ‘કાલપાશ’ એ નવલકથાનો ઉપાડ ટાંકીને કહું તો “રાત પડખાં ફરી રહી છે ને દિવસ ચિત્કાર પાડી રહ્યો છે. મારી અમદાવાદ નગરીનાં રૂપરંગ અદલબદલ થયાં કરે છે. કૂતરું મોટેથી ભસીને પછી ટૂંટિયું વાળી બેસી જાય તેમ અમદાવાદ શહેરનો ભભકો હોલવાઈ રહ્યો છે. અનેક મહામારી અને હાડમારીઓએ એની કેડ ભાંગી નાંખી છે, છતાં વારંવાર એ બેઠું થયું છે. પણ આવી બેહૂદી હાલત તો અમદાવાદની ક્યારે ય થઈ નહોતી.” પડખાં ફેરવતી રાત અને ચિત્કાર પાડતા દિવસોનું આ ચિત્ર અમદાવાદનું જ નહીં ગુજરાત અને દેશસમસ્તનું છે, દુનિયાભરનું છે. માત્ર, આપણે આપણી ચર્ચા ગુજરાત અને અંશતઃ ભારત પૂરતી સીમિત રાખીને ચાલીશું. રાજ્ય અને કેન્દ્રમાં એક જ પક્ષની સરકાર છે અને નેતૃત્વ પાછું ઠેઠ ગુજરાતી છે, માટે.
સુઓ મોટો સુનાવણી દરમિયાન રાજ્યના એડ્વોકેટ જનરલે બીજાં રાજ્યોનો હવાલો આપી ગુજરાતના કાર્યદેખાવને ઉજાસમાં ઉપસાવવાની કોશિશ કરી ત્યારે હાઈકોર્ટે વાજબી રીતે જ દરમિયાન થતાં ઠીક ટિપ્પણી કરી કે આપણે ગુજરાતમાં છીએ. ગુજરાતની વાત કરો. વાત પણ સાચી કે રાજ્ય સરકાર અને સંબંધિત એજન્સીએ સત્તાવાર રીતે હાથ ઊંચા કરી દીધાં ત્યારે સુરતથી પક્ષપ્રમુખ સી.આર. પટેલે હુંકારઓડકાર ખાધો હતો કે મારી પાસે ખાસાં પાંચ હજાર નંગ છે. પોતાની સરકાર પરત્વે પક્ષપ્રમુખની આ તુંથી-હું-ચડિયાતા-શાઈ (અપમેનશિપ) મુદ્રા વિશે શું કહેવું. એમના સ્રોત વિશે મીડિયાએ ગાંધીનગરને પૃચ્છા કરી તો મુખ્ય મંત્રી પાસે શો ઉત્તર હોય, સિવાય કે પૂછો પાટીલને.
શું પૂછવું પાટીલસાહેબને, એ પ્રદેશ પ્રમુખ નિયુક્ત થયા ત્યારે એમના સામૈયા ને ઉછામણીનો – સૉરી જનસંપર્કનો – જે દોર ચાલ્યો એની અને ‘દો ગજ કી દૂરી, માસ્ક જરૂરી’ એ સૂત્ર વચ્ચે છત્રીસનો સંબંધ હતો. હમણે પશ્ચિમ બંગાળમાં જે સામસામા રેલી દાખડા ચાલે છે એ જેમ બીજી સઘળી આચારસંહિતાને તેમ કોરોના કારિકાને કોરાણે મેલીને જ ચાલી રહ્યા છે ને.
ગમે તેમ પણ, ગુજરાતના સંદર્ભમાં તો કોરોનાની તવારીખ ‘નમસ્તે ટ્રમ્પ’થી શરૂ કરી હમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલાયેલ મેચ જેવા સીમાસ્થંભે સોહે છે. મરકઝ, મરકઝના મહાધ્વનિ વચ્ચે ‘નમસ્તે ટ્રમ્પ’ લોકનજરેથી ઓઝલ થઈ ગયેલી ઘટના હતી. જો કે, પછીના અદાલતી ચુકાદાઓએ કોરોના-પ્રસારમાં મરકઝની અગ્રભૂમિકાના આક્ષેપ તળેથી પાયો ખેસવી લીધો હતો પણ પ્રચાર તો જે થઈ ગયો તે થઈ ગયો. ગયે વરસે મરકઝ દિવસોમાં અર્ણબ ગોસ્વામી જે બધું બોલતા હતા એ જ આ દિવસોમાં કોઈકે હરદ્વારની કુંભ-ભીડના વીડિયોમાં એમના જ અવાજમાં વહેતું મૂક્યું છે. અલબત્ત, અર્ણબના ધન્યોદ્ગારો મરકઝ બાબતે હતા, કુંભ-ભીડ બાબતે નથી.
વાત કરતે કરતે ગુજરાત બહાર ચાલ્યા જ ગયા છીએ તો દિલ્હી હાઈકોર્ટની એક તરોતાજા ટિપ્પણી પણ સંભારી લઈએ. નિઝામુદ્દીન મરકઝમાં ઈબાદત બાબતે સંખ્યાબંધી ફરમાવવાની માગણી કરતી એક લોકહિતની અરજી ફગાવતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે જો અન્ય ધર્મમથકોએ આવી કોઈ બંધી ન ફરમાવાતી હોય તો માત્ર નિઝામુદ્દીન મરકઝ માટે જ તે કેમ હોય? જો કે, હાઈકોર્ટની આ ટિપ્પણી સંબંધિત સરકારોનાં બેવડાં ધોરણોને ઉજાગર કરી આપે છે એટલા પૂરતો એનો ઉલ્લેખ કર્યા પછી અને છતાં સ્પષ્ટ શબ્દોમાં એ એક વાત કહેવી અને વારંવાર દોહરાવવી રહે છે કે રાજકીય કે ધાર્મિક કોઈ પણ ભીડ અંગે, કોઈપણ ધર્મસંપ્રદાય કે પક્ષના ભેદભાવ વગર, સરકારે સરકારપણું દાખવી નિયમન મૂકવું અને વળાવવું રહે છે.
વાત સીધી સાદી એ છે કે સરકાર થયા તો સરકારપણું દાખવી જાણો. પાટીલ-રૂપાણી ઉદ્ગારો સરકારના સરકારપણા વિશે સવાલો પેદા કરે છે. રાજ્ય પોતાનું રાજ્ય તરીકેનું કર્તવ્યપાલન ન કરે અને પોતાને અંગેનાં ટીકાવચનોમાં તરત ‘રાજદ્રોહ’નું લાલ લૂગડું જુએ! અંગ્રેજ સરકારનું આ લક્ષણ, સ્વાતંત્ર્યોત્તરમાં તેમ હાલની સરકારો પણ જોવા મળે છે.
મહામારીના ગાળામાં વ્યક્તિગત ને પ્રજાકીય સ્તરે અપેક્ષિત શિસ્ત બાબતે બેમત નથી. માત્ર, એવું પાલન ઈચ્છતી સરકાર પાસે ધારાધોરણ અને વિવેકની અપેક્ષા છે તે છે. પંદરમી એપ્રિલે રાજ્ય સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરી પોતાની કાર્યભૂમિકા સ્પષ્ટ કરશે ત્યારે એમાં આવાં દર્શન થયા હશે?
એપ્રિલ ૧૩, ૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 01-02