વિચિત્ર લાગે એવું છે, પણ ઘણાં અનિષ્ટોનું મૂળ ચૂંટણી છે. હવે લોકશાહીમાં તો ચૂંટણી અનિવાર્ય ગણાય, ત્યાં અનિષ્ટ કેવી રીતે એ પ્રશ્ન થાય. ચૂંટણી પોતે અનિવાર્ય, પણ એને નામે જે ચાલે છે એમાં સાધનશુદ્ધિના પ્રશ્નો છે. દરેક પક્ષ પાસે પોતાનું ભંડોળ છે, દરેક ઉમેદવાર પોતાની આવક ઉમેદવારી કરતી વખતે જણાવે છે, ચૂંટણી કમિશનરની નિમણૂક થાય છે, આચારસંહિતા લાગુ થાય છે, છતાં ચૂંટણી શુદ્ધ અને સાત્ત્વિક રીતે થતી નથી તે હકીકત છે. ચૂંટણી પ્રચારમાં, એક પક્ષમાંથી બીજા પક્ષમાં ખેંચવા માટે જે રીતે કરોડો રૂપિયા ખર્ચાય છે, એક ઉમેદવાર એકથી વધુ જગ્યા પરથી ચૂંટણી લડી પેટા ચૂંટણીની જે તકો ઊભી કરે છે ને એવી તો એટલી કરામતોમાં કરોડો ખર્ચાય છે કે એ કોઈ સાધારણ પક્ષ કે સભ્યના હાથની વાત જ ન રહે, છતાં એક યા બીજાં કામો માટે રાજકીય તત્ત્વોને અબજો રૂપિયા આવી જ મળે છે. કોઈ સત્તાધીશને નાણાંની ખોટ ક્યારે ય પડી નથી. ક્યાંથી આવે છે આ પૈસા? કોણ આપે છે? કઈ શરતે આપે છે? બદલામાં શું આશા રાખે છે આવા મદદનીશો?
બીજી બધી રીતે મદદ આવે જ છે, પણ મોટાં ફંડ રાજકારણીઓ માટે ઉદ્યોગપતિઓ ફાળવે છે. એ મદદ ન મળે તો દેશની ચૂંટણી સસ્તી થઈ જાય. સૌથી વધુ સંપત્તિ ઉદ્યોગપતિઓ ધરાવે છે ને એ લોકો સત્તાધીશોને કામમાં આવીને પોતાનું કામ યુક્તિથી કઢાવતા હોય છે. ગુજરાતમાં તેલિયા રાજાઓ એ રીતે “રાજા” થયા હતા, પણ એને બચ્ચું કહેવડાવે એવા વિરાટ ઉદ્યોગપતિઓ અત્યારે દેશમાં છે ને એમના જોરે રાજકારણીઓ કૂદે છે. અત્યારે ઉદ્યોગપતિઓ અનેક ક્ષેત્રોમાં ભારે વર્ચસ્વ ધરાવે છે. આ વર્ચસ્વ રાજકારણીઓને લીધે શક્ય બને છે. મોંઘવારી ઘણે અંશે આ ઉદ્યોગપતિઓને આભારી છે. અનેક કોન્ટ્રાક્ટો મેળવીને, ચીજ વસ્તુઓના ભાવો વધારતા જઈને ઉદ્યોગપતિઓ મનમાની કરતા આવ્યા છે. આવી તકો ખરેખર તો રાજકીય સત્તાધીશો પૂરી પાડે છે. એ પૂરી પાડે જ, કારણ એમના જીવ પર તો ચૂંટણી જેવા મોટા કાર્યક્રમો પાર પડતા હોય છે.
શોપિંગ મોલ્સનો જમાનો ઉદ્યોગપતિઓ દ્વારા આ દેશમાં આવ્યો. એમાં સસ્તું તો બહુ ન થયું, પણ એણે નાના વેપારીઓને ખતમ કરવાનું કામ તો કર્યું જ ! શોપિંગ મોલ્સમાં અનાજ ને શાકભાજીઓ આવી ને તેણે સીધું ખેડૂતો પાસેથી મેળવવાનું શરૂ કર્યું. એનો લાભ થોડા વખત પૂરતો ગ્રાહકોને થયો, પછી એને ય વાસી અને મોંઘું જ મળવા માંડયું. એમાં તકલીફો ઉત્પાદકોને થઈ. કોર્પોરેટ્સે ઉત્પાદકો પાસેથી સસ્તામાં પડાવીને ગ્રાહકોને મોંઘું વેચવાનું ને મોટો નફો રળવાનું શરૂ કર્યું. એમાં જ્યાં વચેટિયાઓ હતા એમણે વધારે શોષણ મૂળ ઉત્પાદકોનું કર્યું, પણ નફો તો ઉદ્યોગપતિઓએ કર્યો જ !
આ ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ વધારવા જ કદાચ સરકારે ગયા સપ્ટેમ્બરમાં ત્રણ કૃષિ કાનૂનો અમલમાં મૂક્યા હોવાનું ખેડૂતોનું માનવું છે, ને એ જ મુદ્દે ખેડૂતો દિલ્હી પહોંચીને સરકારનો પંદરેક દિવસથી ઠંડીમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ ભારત બંધનું એલાન આઠમી ડિસેમ્બરે આપ્યું, પણ એની જોઈએ એવી અસર ન પડી. છ, છ મીટિંગો થવા છતાં નવમી તારીખની મીટિંગમાં પણ સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થયું નથી. ખેડૂતોએ આંદોલનને વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવાની ધમકી આપી છે, તો સરકારે પણ કાયદાઓ નાબૂદ નહીં જ થાય એવો હુંકાર ભર્યો છે. સરકારે સાતેક મુદ્દે સુધારાઓ કરવાની ખાતરી આપી છે, પણ ખેડૂતોને એટલાથી સંતોષ નથી. તેમણે તો આ કાયદાઓ જ રદ્દ કરવાની માંગણી ચાલુ રાખી છે. આમાં થશે એવું કે સરકાર મચક નહીં આપે. તે ખેડૂતોને થકવશે ને છેલ્લે વાત સમાધાન પર આવીને અટકશે.
સરકાર ગાઈ વગાડીને કહે છે કે ત્રણે કાયદાઓ ખેડૂતોનું હિત વિચારીને કરવામાં આવ્યા છે. માની લઈએ કે સરકાર સાચી છે. એને એટલું જ પૂછવાનું થાય કે જેને માટે કાયદા કરવામાં આવ્યા એમને વિશ્વાસમાં લેવામાં કયું અહિત થતું હતું? જો આ કાયદા શુદ્ધ બુદ્ધિથી જ ઘડવામાં આવ્યા હતા તો તેને સંસદમાં ને રાજ્યસભામાં ચર્ચા વગર પસાર કરાવી દેવાની ઉતાવળ કેમ આવી? કયાં દબાણ હેઠળ સરકારે આ ઉતાવળ કરી?
ખેડૂતોને મુખ્ય ભય બે છે. એક તો એ કે સરકાર મંડી – એ.પી.એમ.સી. ખતમ કરીને કોર્પોરેટ્સનું વર્ચસ્વ વધારી રહી છે ને બીજો ભય કોન્ટ્રાક્ટ ખેતીના કાયદામાં પોતે માલિક મટીને મજૂર થઈ રહે એ છે. સરકાર કહે છે કે મંડી ખતમ નહીં થાય. ખેડૂત મંડીમાં કે ખુલ્લાં બજારમાં જ્યાં પણ ખેતીનું ઉત્પન્ન વેચવા માંગે છે ત્યાં તે વેચી શકશે. સરકાર કહે છે કે ખેડૂત કોઈ પણ રાજ્યમાં પોતાની પેદાશ વેચી શકશે. આ બકવાસ છે. ખેડૂતો નજીકના વિસ્તારમાં પેદાશ વેચતા જ ખપી જતો હોય ત્યાં આસામવાળો અમદાવાદ ઉત્પન્ન વેચવા લાંબો થવાનો હતો ? આ વાત વ્યવહારુ નથી.
એ.પી.એમ.સી.માં ટેકાના ભાવ મળતા રકમ વધારે મળતી હતી, પણ તે રોકડમાં મળતી ન હતી. જ્યારે બહાર વેચવામાં ભાવ ઓછા મળતા હતા, પણ રોકડ હાથમાં આવતી હતી. એને કારણે નાનો ખેડૂત તો બહાર વેચીને જ રોકડી કરી ખોટ ખાઈ લેતો હતો. એક વાત સ્પષ્ટ છે કે એ.પી.એમ.સી.માં ટેકાના ભાવ મળતા હતા ને ભાવોનું રક્ષણ થતું હતું, એ શક્યતા બહાર ઉત્પન્ન વેચવા જતાં રહેતી ન હતી, એટલે બહાર તો વધારે ભાવ મળે એ શક્યતા નહિવત હતી. આ સ્થિતિમાં બહાર ઉત્પન્ન વેચવાનું ખેડૂતને રોકડ મળવા સિવાય કયું આકર્ષણ રહે એ સમજાતું નથી. એ ખરું કે મંડીમાં પણ ખેડૂતનું તો શોષણ જ થતું હતું ને જે ભાવ પડે એટલામાં ખેડૂતે મન મારીને રહેવાનુ હતું. એ શોષણ બહાર વેચવામાં ન હતું, પણ અહીં તેને ઓછો ભાવ મળે એ શક્યતા વધારે હતી. ખરેખર તો સરકારે મંડીની વ્યવસ્થા ને નીતિરીતિમાં સુધાર કરવાની જરૂર છે. સરકાર એટલું તો કરી જ શકે કે મંડીના ભાવ કરતાં ઓછી કિંમતે, બહાર, ખેડૂતનું ઉત્પન્ન નહીં જ ખરીદી શકાય. એટલું થશે તો પણ બહાર ખેડૂતોનું શોષણ થતું અટકશે.
સરકારે ખરી સગવડ તો સંગ્રહખોરીને ઉત્તેજન આપવાની કરી છે. સંગ્રહખોરીની કોઈ મર્યાદા ન હોવાને લીધે કોર્પોરેટ્સ બહારથી ગમે તે ભાવે ઉત્પન્ન ખરીદે ને કૃત્રિમ અછત ઊભી કરી, પછી મોંઘાભાવે એ જ વસ્તુ વેચીને વધુ નફો કરી શકે. આ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. આમ થાય તો ખેડૂતને તો નુકસાન છે જ, પણ મોંઘા ભાવે વસ્તુ ખરીદવી પડતી હોવાને કારણે ગ્રાહકને પણ છે.
એ તપાસ કરવા જેવી છે કે સ્ટોરેજ ને શીતાગારો માટેની જમીન કોણે ખરીદી છે ને તેનો કયા હેતુ માટે ઉપયોગ થાય છે? કોર્પોરેટ્સ આ જ કામ કરે છે. તે સસ્તા ભાવે અનાજ ખરીદે છે ને અમર્યાદ સંગ્રહખોરી દ્વારા મોંઘા ભાવે વસ્તુ બજારોમાં મૂકે છે. એક ઉદ્યોગપતિએ દેશના જુદા જુદા ગામોમાં હજાર હજાર એકરમાં ફેલાયેલ નવેક હજાર સ્ટોરેજ ઊભા કરવાનું પ્લાનિંગ કર્યું છે ને એવા તો બીજા પણ હશે. આ બધું પહેલાં થાય છે ને કૃષિ કાનૂન પછી આવે છે. આ સ્ટોરેજ દાંડિયારાસ રમવા તો પ્લાન ન જ થાય ને ખૂબી જુઓ કે આ વ્યવસ્થાનો સરકાર પણ ખુશી ખુશી હાથો બને છે. તે બને જ, કારણ તેણે આ લોકોને પૈસે ભ્રષ્ટ કારભારો ચાલુ રાખીને સત્તામાં રહેવાનું છે. આમાં કોઈ એક પક્ષ કે સરકારને દોષ દેવાથી ચાલે એમ નથી, કારણ, તક મળી ત્યારે કોઈ જ આમાંથી બાકાત રહ્યું નથી. સીધી વાત તો એ છે કે ખેડૂતોને નામે કાયદા થયા છે ને એટલી કાળજી રખાઈ છે કે લાભ ઉદ્યોગપતિઓને થાય. ઉદ્યોગપતિઓ ફંડ આપે છે તે કૈં દયાદાન કે દક્ષિણામાં આપતા નથી. એ પણ વખત આવ્યે પોતાની શરતે, અનેકગણું વસૂલીને ધંધો કરે જ છે ને એ હકીકત છે કે સરકારને ખટાવનાર કોઈ ઉદ્યોગપતિએ આજ સુધી માથે હાથ દેવાનો વારો આવ્યો નથી.
માથે હાથ દેવા તો જનતા જનાર્દન છે જ ને !
ખરેખર તો વાત ખેડૂતોને સરકાર વચ્ચેની છે. એમાં વિપક્ષો ખેડૂતોને પક્ષે ઊભા રહી જાય છે ને તેમનું ભલું કરવાને નામે પોતાનો પ્રચાર પણ ચાલુ કરી દે છે. વિપક્ષમાં એટલી તાકાત જ નથી કે તે પોતાનું પણ ભલું કરી શકે. એટલી તાકાત હોત તો એ સરકારમાં હોત ! નબળા વિપક્ષોને કારણે આંદોલન નિષ્ફળ જાય તેનો અર્થ સરકાર એવો કરે છે કે જનતા ખેડૂતની સાથે નથી. આ બરાબર નથી. જનતા વિપક્ષની સાથે નથી એનો અર્થ એવો ન થાય કે તે ખેડૂતની સાથે પણ નથી. જો આંદોલન રાજકીય પક્ષોનો હાથો ન હોય તો જનતા ખેડૂતની સાથે મોડી વહેલી પણ જોડાઈ શકે અને ત્યારે સરકારની મુશ્કેલીઓ વધે એમ બને. અત્યારે સરકાર એમ માનીને ચાલે છે કે ખેડૂતોનું આંદોલન એક બે રાજ્યોના ખેડૂતનું જ આંદોલન છે. એવું નથી. આમાં થોડા ખેડૂતોનો જ વિરોધ છે એવું નથી. મોંઘવારી ને સંગ્રહખોરી સામાન્ય માણસને પણ પીડે છે એ અર્થમાં એ સામાન્ય જનતાનો પ્રશ્ન પણ છે જ ! સરકાર સામાન્ય માણસ સંદર્ભે પણ ખેડૂતોના વિરોધને જુએ ને ખેડૂતો પણ રાજકીય પક્ષોના હાથા બન્યા વગર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની રીતે સરકાર સાથે વાટાઘાટ કરે એ જરૂરી છે. કોઈ પણ પક્ષે કોઈ પણ સમસ્યાને અહમ્નો પ્રશ્ન બનાવવાનો આ સમય નથી. આ દેશ કોરોનાને કારણે ઘણા જીવ ખોઈ ચૂક્યો છે એ સ્થિતિમાં એ જરા ય ઇચ્છનીય નથી કે ખેડૂત આંદોલન સંપત્તિ કે મનુષ્યોનો ભોગ લે-
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 11 ડિસેમ્બર 2020