અત્યારે આપણે આર્થિક સૂઝ અને સ્થિરતાથી જોજનો દૂર છીએ. આત્મનિર્ભર ભારતનાં સ્તંભોમાં અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વહીવટ, લોકશાહી અને માંગની વાત થઇ પણ કમનસીબે શિક્ષણનો ઉલ્લેખ ન થયો. શિક્ષણ વ્યવસ્થામાં જો ધરમૂળથી હકારાત્મક બદલાવ નહીં લવાય તો પછી આત્મનિર્ભરતાની શક્યતા બહુ મર્યાદિત છે એ નક્કી છે.
કોરોના વાઇરસનાં આ સમયે આપણને ઘણું બધું આપ્યું, એમાં ય ખાસ કરીને નવા શબ્દો આપ્યા અથવા તો આપણે એવા શબ્દોનો ઉપયોગ કરતાં થયા જે પહેલાં હતા તો ખરા પણ આપણે તેનો ઉપયોગ નહોતા કરતા. જેમ કે લૉકડાઉન, સંક્રમણ, આઉટબ્રેક વગેરે અને આત્મનિર્ભર અભિયાન અને સાથે વૉકલ ફોર લોકલનાં પ્રાસનું છોગું પણ. હવે આત્મનિર્ભરતાની વાત કરીએ તો આ જે શોરબકોરથી તેનાં ગાણાં ગવાઇ રહ્યાં છે પણ શું ખરેખર આત્મનિર્ભર ભારત અભિયાન વાસ્તવિકતામાં ફેરવાઇ શકશે ખરું? જો હા તો ક્યાં સુધીમાં? અને બસ અહીં બીજો જે સવાલ છે એનો જવાબ આપવામાં કોઇ આત્મનિર્ભરતા અને નિર્ભયતા પણ કામ નથી લાગતી. આ અભિયાનની જાહેરાત સાથે જે પેકેજ એનાઉન્સ કરાયું તે આપણી આખી અર્થવ્યવસ્થા માટે સરકારનાં પોતાના કોષમાંથી બહુ જ ઓછી રકમ અપાવાની છે એ સમજી લેવું બહુ જરૂરી છે.
દેશને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવાનો હોય તો સૌથી અગત્યનું છે કે આપણો દેશ, આપણું રાજકારણ માત્ર શબ્દોમાં નહીં પણ વિચારોમાં, ધરમૂળથી આત્મનિર્ભર બને. આત્મનિર્ભર બનવાની વાતનું મૂળ છે કોરોના વારઇસની ગર્ભનાળ ચીન સાથે જોડાયેલી હોવી અને માટે જ ચાઇનિઝ વસ્તુઓના બહિષ્કાર અને આત્મનિર્ભરતાનો અવાજ એક સાથે ઊઠી રહ્યો છે. બીજા દેશોની વાત તો પછી પણ આપણે ચીન હવે વાસ્તવિકતા પર નજર કરીએ તો ચીનમાંથી સૌથી વધુ કન્ઝ્યુમર ગુડ્ઝ કોઇ દેશમાં આયાત કરાતા હોય તો તે ભારત છે. ભારત જેટલી નિકાસ કરે છે તેના કરતાં સાત ગણી વધારે આયાત ચીનમાંથી કરે છે. 2018-19ની વાત કરીએ તો ભારતે ચીનમાં 16.7 બિલિયન ડૉલર્સની નિકાસ કરી હતી તો આયાત 70.3 બિલિયન ડૉલર્સની કરી હતી જેને પગલે 53.6 બિલિયન ડૉલર્સની ટ્રેડ ડેફિસીટ સર્જાઇ હતી.
હવે આ આંકડા વાંચીને જો તમારી આંખો પહોળી થઇ ગઇ હોય અને ચાઇનિઝ વસ્તુઓનો બૉયકોટ કરવાનું તમે વિચારતા હો તો હજી એક આંકડો વાંચો. ચીનની ટોટલ નિકાસ, એટલે કે એક્સપોર્ટનો આ તો માત્ર 2 ટકા હિસ્સો જ છે, અને માટે જ આપણે ચાઇનીઝ વસ્તુઓ વાપરવાનું સદંતર બંધ કરી દઇએ તો ચીનને એટલો બધો ફેર તો નથી જ પડવાનો. વળી જે રીતે વ્યાપર નીતિઓ છે, તે બધી ચીનની તરફેણમાં છે અને ચીન સાથેના ટ્રેડ વૉરથી ભારતને કોઇ મોટો ફાયદો થવાની શક્યતા નથી. વળી ભારત ચીનથી અધધધ વસ્તુઓની આયાત કરે છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન્સ, ઉદ્યોગિક ચીજો, વાહનો, સોલાર સેલ્સ તથા ટી.બી.થી માંડીને લેપ્રસી સુધીનાં શારીરિક દરદીની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ અને એન્ટિબાયોટિક્સ પણ આપણે ત્યાંથી જ મંગાવીએ છીએ.
2017-18માં ભારતને જેટલી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ચીજોની જરૂર હતી તેમાંથી 60 ટકા તો ચીને જ પૂરી પાડી હતી. ભારતમાં જે સ્માર્ટફોન્સ સૌથી વધારે વેચાય છે, ઝાઓમી, વીવો, રિયલમી અને ઓપ્પો – એ ચારેચાર ચાઇનીઝ બ્રાન્ડ્ઝ છે, જે ભારતનાં સેલફોન માર્કેટનો સાંઇઠ ટકા હિસ્સો છે. બીજી તરફ ભારતની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનાં 30 ટકા કોમ્પોનન્ટ્સ ચીન પૂરા પાડે છે તો દેશનું 90 ટકા રમકડાં માર્કેટ ચાઇનીઝ ઉત્પાદનોની ચાવી પર જ ચાલે છે. વળી ભારતની ટેક સ્પેસમાં ચીનનું રોકાણ પણ કંઇ ઓછું નથી. વળી બીગ બાસ્કેટ, ઝોમેટો, પેટીએમ, સ્નેપડીલ, પેટીએમ મૉલ વગેરેમાં એક માત્ર ચાઇનીઝ કંપની અલીબાબાનું જ અધધધ રોકાણ છે. આ તમામ રોકાણમાં કોઇ 200 મિલિયન ડૉલર્સનું છે તો કોઇ 700 મિલિયન ડૉલર્સનું છે. આ તો એક ઝલક છે, જેને માટે હિમશીલાની ટોચ છે એવો વાક્યપ્રયોગ કરવો પડે. પણ જે હાઇડ્રોક્લોરોક્વિનની માંગ વધી છે તેને માટે જે કાચો માલ વપરાય છે તેનું ઉત્પાદન કરવામાં પણ ચીન મોખરે છે.
આત્મનિર્ભર થવા માટે આ બધાનો બહિષ્કાર કરીએ ખરાં પણ એ પહેલાં વિચારવું પડે કે શું આપણા દેશની ક્ષમતાની ધાર જેટલો ઝડપથી બહિષ્કારનો ઘોંઘાટ કરી શકાય છે એટલી ઝડપથી કાઢી શકાશે ખરી? પ્રેક્ટિકલ બ્લુ પ્રિન્ટની, મૌલિક વિચારધારાની અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પૂરતાં રોકાણોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકાય તો ય બહુ છે, અને આ ભારતને આત્મનિર્ભર થતાં નડે તેવા કેટલાક શરૂઆતી પડકારો છે.
ભક્તોને કદાચ ન ગમે પણ હકીકત એ છે કે પચાસના દાયકામાં આત્મનિર્ભરતાના વિચાર પર કામ થઇ ચુક્યું છે. એ સમયે શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ દેશ તરફ આકર્ષાયા હતા અને જે પ્રયાસ થઇ રહ્યો હતો તેને સમજવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. અત્યારે આપણે આર્થિક સૂઝ અને સ્થિરતાથી જોજનો દૂર છીએ. આત્મનિર્ભર ભારતનાં સ્તંભોમાં અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર,વહીવટ, લોકશાહી અને માંગની વાત થઇ પણ કમનસીબે શિક્ષણનો ઉલ્લેખ ન થયો. શિક્ષણ વ્યવસ્થામાં જો ધરમૂળથી હકારાત્મક બદલાવ નહીં લવાય તો પછી આત્મનિર્ભરતાની શક્યતા બહુ મર્યાદિત છે એ નક્કી છે.
બાય ધી વેઃ
જિંગોઇઝમ કે અતિ-રાષ્ટ્રવાદ ક્યારે ય કોઇ સમસ્યાનો ઉકેલ ન હોઇ શકે, ખાસ કરીને એવી સમસ્યાનો તો નહીં જ જે માથે ચડી હોય અને તેનો તાગ મેળવવો જરૂરી હોય. છાતી ઠોકીને બોલાતા સ્લોગન્સથી લોકોનાં પેટ નહીં ભરાય. કેપિટાલિઝમ એટલે કે મૂડીવાદનાં ઇતિહાસનું એક સત્ય એ પણ છે કે તેનાં મૂળમાં સરકારો અને મોટી કંપનીઓ વચ્ચેની કડીઓ રહેલી છે. પ્રાદેશિક કંકાસ દૂર કરવા માટે સંવાદ સાધવો જરૂરી છે, પછી એ ભલે ચીન સાથે કરવો પડે તો પણ. હા મુત્સદ્દી થવાની કોઇ ના નથી પાડતું પણ આત્મનિર્ભરતા એક એવી દંતકથા છે અથવા તો ચમત્કારિક શબ્દ છે જેને સાકાર થતો જોવા આપણે ઘણું ઉંજણ પૂરવું પડશે અને તે રાતોરાત નહીં જ થઇ શકે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જૂન 2020