જનતાની નાડીના ધબકાર પકડવામાં ઉસ્તાદ કોઈ વ્યક્તિ અઠવાડિયામાં જ તે પકડ કેવી રીતે ગુમાવી શકે? પરંતુ એકવીસ દિવસના પ્રથમ લૉક ડાઉનની ઘોષણાના પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ જ કર્યું. સંકટસમયે બે પ્રકારના ભાષણો આપવામાં આવે છે. એક, વિન્સ્ટન્ટ ચર્ચિલનાં યુદ્ધકાલીન ભાષણોની જેમ લોકોનું મનોબળ વધારનારાં અને બીજાં, સૈનિકોએ વાસ્તવમાં કરવાનું શું છે તેનું માર્ગદર્શન કરનારાં.
પહેલું ભાષણ ગૂઢ હોય છે, તો બીજું સટીક અને વિસ્તૃત. કોરોનાસંકટ સમયે સામાન્ય નાગરિક પાસે સૈનિકો જેવા વ્યવહારની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે આપણને મનોબળ વધારવાની અને વિસ્તૃત માર્ગદર્શનની — એમ બંનેની જરૂરિયાત છે. અને આ જ બાબતમાં મોદીનું ભાષણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું. એક દિવસની એકતા કે જનતા કરફ્યૂવાળું મોદીનું પહેલું ભાષણ મનોબળ વધારવાને લઈને હતું. પરંતુ એકવીસ દિવસના અખિલ ભારતીય લૉક ડાઉનની ઘોષણાવાળું એમનું બીજું ભાષણ, એક રીતે સૈન્ય અભિયાનની શ્રેણીનું હતું. મોદીનું આ ભાષણ દિલ્હી રમખાણો અંગેનાં તેમનાં વલણ સાથે સંકળાયેલું હતું. તે કુશાસન, આળસ કે ઘમંડ આ ત્રણમાંથી એક સૂચવતી નિયમિત પેટર્નને ઉજાગર કરી આપે છે.
ગુજરાતની વર્ષ ૨૦૦૨ની કોમી હિંસાની આ પેટર્ન છે : મૅસેજિંગ, કાયદો – વ્યવસ્થા તથા અંધાધૂંધી. બધા જ મામલાઓમાં પહેલાંની ભૂલો ફરી ફરીને કરવામાં આવતી જોવા મળે છે. તેનાથી એક ચિંતાજનક નિષ્કર્ષ એ નીકળે છે કે આ કંઈ ભૂલો નથી, પરંતુ સભાનપણે આમ કરવામાં આવી રહ્યું છે. આપણને સતત એમ કહેવામાં આવી રહ્યું છે કે મોદી મૅસેજિંગના માસ્ટર છે. અર્થાત્ જનતાને પોતાનો સંદેશ પહોંચાડવામાં નિષ્ણાત છે. લોકસભા ચૂંટણીમાં ભા.જ.પ.ને ૩૦૩ બેઠકો અપાવી, તે બાબત તેનું જીવતં ઉદાહરણ છે કે તે પોતાની વાતોના પૈકિજિંગમાં સિદ્ધહસ્ત છે. તો પણ આપણે જોઈએ છીએ કે તેમનું આ મૅસેજિંગ માત્ર બહુ થોડા અપેક્ષિત માપદંડોમાં જ ખરું ઊતરે છે.
મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાળમાં ગોધરાકાંડ પછીની કોમી હિંસામાં બે પ્રકારના સંદેશ સામે આવ્યા. વિદેશી અને સ્થાનિક મીડિયા માટે તે રમખાણો સરકારની સહભાગિતાનાં હતા, તો પ્રેસને વિશ્વસનીય નહીં માનનારા લોકો (બાળપણમાં જાતિવાદી તનાવના કેન્દ્ર સાઉથ અર્કોટનાં રમખાણોના સાક્ષી તરીકે હું પણ તેમાં આવું) માટે આ કથાનક એક એવી વ્યક્તિનું હતું, જેને સચ્ચાઈ અને વાસ્તવિકતાથી દૂર એવા મીડિયા દ્વારા અપમાનિત અને હેરાનપરેશાન કરવામાં આવી રહ્યો છે. આ અધૂરું કથાનક મોદીને ખૂબ કામમાં આવ્યું, જેણે તેમને પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
આ જ બાબત વર્ષ ૨૦૨૦નાં પૂર્વોત્તર દિલ્હીના રમખાણો વખતે ફરી દોહરાવવામાં આવી. ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોને કારણે ભારત, ગુજરાત અને ખુદ મોદીની પ્રતિષ્ઠા ખરડાવા છતાં દિલ્હીનાં કોમી રમખાણોને ડામવાની મોદી શૈલી પહેલાનાં (૨૦૦૨ના) જેવી જ હતી. સુરક્ષાદળોના ઉપયોગમાં એ જ પ્રકારનો વિલંબ, પહેલાંની જેમ પોલીસનું ખુલ્લેઆમ પક્ષપાતી વલણ અને સમુદાય વિશેષની કત્લેઆમના એ જ પુરાણા આરોપ.
આ પેટર્ન તરફ ધ્યાન ગયું તમારું? નવાઈની વાત તો એ છે કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના બેઉ સમયગાળામાં કોમી રમખાણોમાં નેતૃત્વ સંભાળતા હોવા છતાં મોદીએ ન કોઈ પ્રકારના પોલીસસુધારા માટે કે આવા સંજોગોમાં આદર્શ રીતે શું થવું જોઈએ એવી પ્રક્રિયા ઊભી કરવા માટે પહેલ કરી છે. કાયદો – વ્યવસ્થા સાથે જોડાયેલા કોઈ પણ અધિકારી કહેશે કે ભીડનિયંત્રણનો મૂળ મંત્ર છે : ભીડને એકઠી જ થવા ન દેવી. એક વાર લોકો ભેગા થઈ જાય, પછી મામલો કાબૂ બહાર થઈ જાય છે. તેમ છતાં આપણને ગુપ્તચર વ્યવસ્થા કે નિરીક્ષણ વ્યવસ્થામાં કોઈ સુધારો જોવા મળતો નથી.
મોદી કોઈનું સાંભળતા નથી કે પછી કોઈની પરવા કરતા નથી કે પછી વધુ ચિંતાજનક નિષ્કર્ષ એ છે કે તે આવું જ ઈચ્છે છે. સચ્ચાઈ એ છે કે દિલ્હીમાં જે કંઈ બન્યું તે અંગે આપણી પાસે સરકારનું કોઈ અધિકૃત બયાન આવ્યું નથી. તેનાથી એવા પણ સંકેત મળે છે કે દિલ્હી રમખાણોમાં એક ચોક્કસ સમુદાયની કત્લેઆમને લગતું કથાનક (જે સ્પષ્ટપણે સાચું નથી) બની રહે તેનાથી તેઓ સંતુષ્ટ છે. સંભવ છે કે એનાથી તેમને ઘણો લાભ થાય પરંતુ તેનાથી ભારતને નુકસાન થશે.
આ પણ એ જ પેટર્ન છે, જે વડાપ્રધાનનું પ્રથમ લૉક ડાઉનનું ભાષણ પૂરું થયું કે તરત જ દેશમાં ગભરાટને લીધે થયેલી ખરીદીમાં જોવા મળી. પોતાના નેતૃત્વમાં ૨૦૧૬ની નોટબંધી અને તેની વ્યાપક ખરાબ અસરોને જોતાં, સૌથી પહેલાં તો વડાપ્રધાનને એ વાતની ખબર હોવી જોઈએ બલકે તે જાણવાની તેમની ફરજ હતી કે તેમની લૉક ડાઉનની જાહેરાતથી કેવા પ્રકારનો ગભરાટ ફેલાઈ શકે છે. એમના ભાષણને લાઈવ ટ્વીટ કરતાં મને સુરક્ષા અને ભીડનિયંત્રણની મારી સીમિત તાલિમ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે લોકોમાં ડર અને ચિંતાને લઈને અંધાધૂધી મચશે. તો પછી સુરક્ષા અને સામાજિક વિશેષજ્ઞોના લશ્કરથી ઘેરાયેલી એક વ્યક્તિને આ વાતની ગંધ સુદ્ધાં કેમ ન આવી? એટલે એક વાર ફરી કહેવું પડશે કે કાં તો વડાપ્રધાન કોઈનું સાંભળતા નથી, કોઈની પરવા કરતા નથી કે પછી તેઓ આ જ ઈચ્છે છે.
એકેડેમિક દૃષ્ટિએ કોઈ પેટર્નને સાબિત કરવા મટે ત્રણ ઉદાહરણોની આવશ્યકતા હોય છે. હવે તો આપણી પાસે ચાર છે : ગોધરા, નોટબંધી, દિલ્હી રમખાણો અને હવે કોરોના વાઇરસ લૉક ડાઉન. અહીં મામલાની ગંભીરતા ઓછી કરવા માટે એક કારણ એ પણ હોઈ શકે છે કે આપણી પાસે ઉગ્ર પ્રતિક્રિયાત્મક નીતિઓની પણ એક પેટર્ન છે, જે “પહેલા દિવસે જોરદાર ઝટકો આપવાની” માનસિકતાને અનુરૂપ છે. તેમાં બીજા અને ત્રીજા ક્રમે અધિક મહત્ત્વપૂર્ણ પ્રભાવને નજરઅંદાજ કરવામાં આવે છે. આપણે આ બાબત વારંવાર જોઈ છે. જેમ કે જી.એસ.ટી., બાલાકોટ, અનુચ્છેદ ૩૭૦ વગેરે બાબતો.
ટૂંકમાં આ બધા ઉદાહરણો પરથી તમે દુર્ભાવનાપૂર્ણ મોદીનું ચિત્રણ કરી શકો છે. પરંતુ તમામ તથ્યોને એક સાથે રાખતાં આપણને એક બિનકાર્યક્ષમ મોદીની તસવીર જોવા મળે છે. એમ લાગે છે કે નહેરુની જેમ મોદી ચૂંટણી તો જીતી શકે છે, પણ એથી વિશેષ કશું જ નહીં.
અનુવાદઃ ચંદુ મહેરિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 મે 2020