અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પના એક વિવાદિત કાર્ટૂન પછી આ વરસથી નીડર અને સ્વતંત્ર અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ને રાજકીય કાર્ટૂન નહીં છાપવાનો નિર્ણય કરવો પડયો છે. એ જ દિવસોમાં દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના પ્રમુખ સંવિધાન નિર્માતા. ડો. બાબાસાહેબ આંબેડકર પરના કાર્ટૂન્સની કિતાબ પ્રગટ થઈ અને તેનું સર્વત્ર સ્વાગત થયું. આ માટે ડો. આંબેડકરના ચાહકોની હિંમત અને સંયમને દાદ દેવી પડે.
લાગણી દુભામણીના કારણે થતા વિરોધથી આંબેડકરનાં કાર્ટૂન્સ પણ મુક્ત નહોતાં. ૨૦૧૨ના વરસમાં સી.બી.એસ.સી.ના ધોરણ ૧૧ના સમાજવિજ્ઞાનના પાઠયપુસ્તકમાં ડો.આંબેડકરના એક કાર્ટૂનનો વિવાદ થયો હતો અને કેન્દ્રની તત્કાલીન યુ.પી.એ. સરકારે તેને અભ્યાસક્રમમાંથી દૂર કરવું પડયું હતું. છેક ૧૯૪૯માં પ્રગટ કે. શંકર પિલ્લઈના એ કાર્ટૂનમાં બંધારણના ઘડતરની ધીમી ગતિને વાચા આપવામાં આવી હતી. આ કાર્ટૂનમાં ડો. આંબેડકરને બંધારણ રૂપી ગોકળગાય પર બેઠેલા અને તેને વડાપ્રધાન પંડિત નહેરુ ચાબુક ફ્ટકારતા ચિતરવામાં આવ્યા હતા. આંબેડકરના અનુયાયીઓને તે બાબાસાહેબનું અપમાન લાગ્યું હતું એટલે સંસદથી સડક સુધી તે કાર્ટૂનનો ભારે વિરોધ થયો હતો. આ સ્થિતિમાં ડો. આંબેડકરના કાર્ટૂનનું પુસ્તક દલિત સંશોધક અને દલિત પ્રકાશક થકી કશા વિરોધ વિના પ્રકાશિત થાય તે આનંદપ્રદ ઘટના છે.
ડો. આંબેડકરના કાર્ટૂનનો ગ્રંથ ‘નો લાફ્ગિં મેટર (ધ આંબેડકર કાર્ટૂન્સ ૧૯૩૨-૧૯૫૬)’ આંબેડકરી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ છે. ૨૦૧૨માં થયેલા આંબેડકર કાર્ટૂન વિવાદ પછી રચાયેલી તત્કાલીન યુ.જી.સી. ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિ સમક્ષ રજૂ કરવાના આશયે ઉન્નામતિ શ્યામ સુંદર નામના સંશોધકે બાબાસાહેબ આંબેડકરના કાર્ટૂનની શોધ આદરી. ચાર વરસની ભારે જહેમત અને અનેક ખાંખાખોળા પછી તેમને હાથ લાગેલા અને અંગ્રેજી મીડિયામાં છપાયેલાં ૧૨૪ કાર્ટૂન પુસ્તકમાં સંગૃહીત છે. ૯ અંગ્રેજી અખબારો – સામયિકોમાં પ્રગટ દેશના જાણીતા ૧૧ કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન આ પુસ્તકમાં છે. આ કાર્ટૂનિસ્ટો છે, કે. શંકર પિલ્લઈ, આર.કે. લક્ષ્મણ, અબુ અબ્રાહમ, અનવર અહમદ, વાસુ, ઓમેન, બિરેશ્વર, આર. બેનરજી, ઈરાન, રવીન્દ્ર અને કુટ્ટીનાં ૧૨૪ કાર્ટૂન અહીં સાત કાળખંડમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. ૧૯૩૨થી ૧૯૩૬ અને ૧૯૪૨-૪૩ના પહેલાં બે તથા ૧૯૫૩થી ૫૬ના સાતમા કાળખંડનાં ૧૧-૧૧ કાર્ટૂન છે. ૧૯૪૪થી ૪૬ના વર્ષના ૧૨, ૧૯૪૭-૪૮નાં ૧૬, ૧૯૪૯-૫૦નાં ૨૭ અને ૧૯૫૧-૫૨નાં ૩૬ કાર્ટૂન છે. ડો. આંબેડકરના રાજકીય જીવનનાં મહત્ત્વનાં વર્ષો અને ઘટનાઓ આ કાર્ટૂનમાં આલેખાયાં છે. અડધોઅડધ (૬૩) કાર્ટૂન ૧૯૪૯થી ૧૯૫૨નાં ચાર વરસોનાં છે. એ જ રીતે કુલ કાર્ટૂનના અડધા કરતાં વધુ કાર્ટૂન શંકરનાં છે. ૧૯૩૨ના કોમી ચુકાદા અગેના શંકરના ‘ટેન્સ મોમેન્ટ્સ'(તણાવની ક્ષણો)થી આરંભાતી અને ૧૯૫૬ના ધર્મપરિવર્તન અંગેના ‘ભિખ્ખુ ભીમરાવ’થી સમાપ્ત થતી આ કાર્ટૂનકિતાબ ડો. આંબેડકરની રાજકીય જીવનયાત્રા પણ આલેખે છે. વિસ્તૃત સંપાદકીય અને પ્રત્યેક કાર્ટૂન સાથે ડો. આંબેડકરના જીવનનો સમયસંદર્ભ સ્પષ્ટ કરતી સંપાદકીયનોંધ આ પુસ્તકને માતબર બનાવે છે.
પત્રકારત્વ અને કલાના મિશ્રણસમા કાર્ટૂનમાં સાંપ્રત ઘટનાઓ અંગેની આલોચના હોય છે. એ રીતે કાર્ટૂન વૈકલ્પિક ઇતિહાસનો દસ્તાવેજ બની શકે છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે તે વ્યક્તિને વ્યક્તિવિશેષને બદલે વિષયવસ્તુ કે વ્યક્તિ તરીકે વ્યક્ત કરે.
સત્તાનશીનોને જમીન અને જનમાનસનું સત્ય બતાવવાની તાકાત પણ કાર્ટૂનમાં હોય છે. આ માપદંડે ચકાસીએ તો કાર્ટૂનમાં આલેખિત ડો. આંબેડકરનું કેવું ચિત્ર એ સમયના અંગ્રેજી મીડિયાએ ઉપસાવ્યું હતું તે જાણવું રસપ્રદ છે. કાર્ટૂનિસ્ટો નેતાઓના ઠઠ્ઠાચિત્રમાં તેમના શારીરિક દેખાવની કેટલીક ખૂબીઓ (જેમ કે અડવાણીની મૂછો, રાજીવ ગાંધીનું નાક, નરસિંહરાવનો લબડતો હોઠ) ઉપસાવીને તે દ્વારા નેતાનું વ્યક્તિત્વ ઉપસાવે છે. કાર્ટૂનમાં ડો. આંબેડકરનું વ્યક્તિત્વ નાનું કે ઠીંગણું કદ દર્શાવીને ઉપસાવ્યું છે. એ સમયના મોટા ભાગના કાર્ટૂનિસ્ટોએ તેમને નકારાત્મક ભાવના સાથે વ્યક્ત કર્યાં છે. એટલે તેમના કાર્ટૂનમાં બાબાસાહેબને બેઢંગ, કાર્ટૂનફ્રેમના ખૂણામાં જમીન પર બેઠેલા, રોતલ બાળક, સાડી પહેરેલી મહિલા તરીકે એમ સરવાળે સ્વાર્થી અને આત્મમુગ્ધ દર્શાવ્યા છે. કાર્ટૂનિસ્ટોએ તેમને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નથી તેમ ભારોભાર ઉપેક્ષા પણ કરી છે. ડો. આંબેડકરનું જાહેરજીવન આરંભાયાના દોઢ બે દાયકા બાદ જ્યારે ૧૯૩૨ના પૂનાકરાર વખતે તેઓ ગાંધીજીના વિરોધી તરીકે જાણીતા થયા તે પછી જ તે કાર્ટૂનનો વિષય બન્યા હતા, તે હકીકત આંબેડકર પ્રત્યેની તત્કાલીન માધ્યમોની ઉપેક્ષા અને અનુદાર વલણ દર્શાવે છે.
૩૦મી જુલાઈ, ૧૯૩૨નું શંકરનું કાર્ટૂન અલગ મતદારમંડળ સંબંધી કોમી ચુકાદો ઝંખતા નેતાઓની તણાવની ક્ષણો વ્યક્ત કરે છે. કાર્ટૂનમાં બ્રિટિશ મંત્રી સેમ્યુઅલ હોરેને કોમ્યુનલ એવાર્ડ રૂપી મરઘી પર બેઠેલા બતાવી તેના ઇંડાની પ્રતીક્ષા કરતા આંબેડકર સહિતના મુસ્લિમ, શીખ અને અન્ય નેતાઓને ઓશિયાળા ચહેરે જમીન પર બેસાડયા છે. યેવલા પરિષદમાં ધર્મપરિવર્તનની જાહેરાત પછી પૂના કરારનો અમલ ડો. આંબેડકરના પૂનાકરાર રૂપી ફેડયા વિનાના ઇંડાથી ઓમલેટ પકવતી વ્યક્તિ તરીકેના મર્માળા કાર્ટૂનમાં વ્યક્ત થયો છે. ડો. આંબેડકરનાં ચૂંટણી જોડાણોને તકવાદ તરીકે આલેખતાં એકાધિક કાર્ટૂન અહીં છે. બાબાસાહેબને સાડી પહેરાવી પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી તરીકે દર્શાવ્યા છે તો એક અન્ય કાર્ટૂનમાં તેમને કોંગ્રેસી આખલાને ભગાડતા ચિતર્યા છે. બંધારણના ઘડતરમાં તેમના પ્રદાન સંદર્ભે ૧૯૪૯માં પ્રગટ ‘ધ મોર્ડન મનુ’ અને ‘મનુ મીટ્સ મનુ’ કાર્ટૂન માણવાલાયક છે. હિંદુ કોડ બિલ સંદર્ભે તે સમયે જાગેલા વિરોધને વ્યક્ત કરતાં કાર્ટૂનમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૯૫૧માં પ્રગટ થયેલું રવીન્દ્રનું અને ૧૯ સપ્ટેમ્બર, ૧૯૫૧નું બિરેશ્વરનું કાર્ટૂન ધ્યાનપાત્ર છે. આંબેડકરના કાર્ટૂનિસ્ટોએ માત્ર તેમને નકારાત્મક જ ચિતર્યા નથી. ૧૯૩૩ના એક કાર્ટૂનમાં શંકર વર્ણાશ્રમ પર હથોડાથી પ્રહાર કરતા આંબેડકર અને વર્ણાશ્રમની દેવીના મોં પર કાળો કુચડો ફેરવતા પેરિયારને તથા વર્ણાશ્રમને બચાવવાનો પ્રયાસ કરતા અને વર્ણાશ્રમની દેવીના મોં પરથી કાળો રંગ ભૂંસી તેને ઉજળા કરતાં મહાત્મા ગાંધીને પણ આબાદ દર્શાવે છે!!
નિર્વાણ પછી પણ બાબાસાહેબ આંબેડકર કાર્ટૂનનો વિષય બનતા રહ્યા છે. વી.પી. સિંઘ વડાપ્રધાન હોય અને દેવીલાલ નાયબ વડાપ્રધાન હોય તે સરકાર તેમને ભારતરત્નથી નવાજે તો કાર્ટૂનિસ્ટને કટાક્ષ કરવાનું સુઝે જ અને તે દેવીલાલને ‘મહાભારતરત્ન’ ગણાવે છે! કાયમ ગરીબીમાં જીવેલા આંબેડકર કેશલેસ માટે ભીમ એપ બને તો તે પણ કાર્ટૂનિસ્ટને કાર્ટૂનના વિષય તરીકે આકર્ષિત કરે જ. છઠ્ઠી ડિસેમ્બરના આગામી આંબેડકર નિર્વાણ દિને બાબાસાહેબના સૌ ચાહકો માટે આંબેડકરનાં કાર્ટૂન્સ હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં ગંભીર અભ્યાસનો વિષય બનવો જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 04 ડિસેમ્બર 2019