રોજની ટેવ પ્રમાણે એ સવારે પાંચ વાગે ઊઠી ગયા હતા. ગઈ કાલની રાત સારી નહોતી ગઈ; ખૂબ પડખાં ફર્યાં હતા. ગઈ કાલે બપોરની ટપાલમાં એક પોસ્ટકાર્ડ આવ્યું હતું અને એ વાંચી એમનું મન વ્યાકુળ થઈ ગયું હતું. સૂરજ હજુ ઊગ્યો નહોતો અને એ ધ્યાન ધરવા પલાંઠી માંડીને બેઠા.
પ્રદૂષણને કારણે હવામાં ખૂબ દુર્ગંધ હતી. આશ્રમવાસીઓ કહીકહીને થાક્યા કે હવે તો ઍર કન્ડિશન્ડ નંખાવો, પણ એમણે ઘસીને ના પાડી હતી. જ્યાં સુધી પ્રત્યેક ભારતીય નાગરિક સ્વમાનતાપૂર્વક અને નિર્ભયપણે જીવન ગુજારી ન શકે, ત્યાં સુધી એ પોતે કોઈ પ્રકારની આરામદાયક સુવિધાનો ઉપયોગ નહીં કરે. જ્યાં સુધી કોઈ એમને સમજાવી ન શકે, કે ઍર કન્ડિશન્ડને લીધે વાતાવરણને હાનિ નહીં પહોંચે, ત્યાં સુધી એ ઍર કન્ડિશનનો ઉપયોગ નહીં કરે. એમને લોકોની ચિંતા તો ખરી જ, પણ વૃક્ષ, છોડ, વગડા, લીલોતરી, પશુઓ અને પૃથ્વી પ્રત્યે ભરપૂર લાગણી, કારણ કે આપણે ભલેને વૃક્ષોની ભાષા ન સમજીએ, પણ એનો અર્થ એવો તે થોડો છે કે આપણી ભૂલચૂક કે ક્ષતિને લીધે વૃક્ષની સમસ્યાને આપણે ભૂલી જવાની? વાતાવરણને હાનિ ન થાય એ તો આપણી ફરજ છે. વૃક્ષ કાપો તો પૃથ્વીનું સમતોલન ઢચુપચુ થાય. પશુઓ કે પક્ષીઓને હાનિ થાય તો પર્યાવરણને ઘા પહોંચે. અન્ન ઉત્પન્ન કરવામાં રસાયણો વાપરીએ, તો જમીન ઓછી ફળદ્રુપ થાય.
આ બધું એ સમજે અને એટલે જ એ વાપરે ઓછું અને વારંવાર વાપરે. કોઈએ વાપરેલી વસ્તુનો ફરીથી ઉપયોગ કરવામાં શરમ ન લાગે, અને પોતે વાપરેલી વસ્તુ બીજાને આપે. કોઈએ એમને ‘રિડ્યુસ, રિયુઝ, રિસાઇકલ’ કહેવાની જરૂર નહોતી.
એમને તો એક જ ધ્યેય – કે પ્રત્યેક ભારતીય નાગરિકની આંખે ઊમટેલું આંસુ લૂછવું. એ જ એમનું કર્મ અને એ માટે એ ચાલવા તૈયાર, કોઈ એમની સાથે ન આવે તો પણ એ તો નીકળી પડે એ પથ પર – એકલો જાને રે, પાછળ બીજા બધા આવશે – કવિવર એ વાત સમજી ગયા હતા.
અન્ય લોકો જ્યારે પોતાના ફોન પર ટૅક્સીઓ બોલાવે, ત્યારે એ હોય ચાલતા, પોતે બેસે થર્ડક્લાસ ડબામાં, જ્યારે બીજા બધા બુલેટટ્રેનનાં સ્વપ્ન જુએ. સરોજિની નાયડુએ એક વાર મજાકમાં કહેલું કે એમને ગરીબ રાખવામાં ખૂબ ખર્ચો થાય છે, ત્યારથી એમણે નક્કી કરેલું કે પ્રત્યેક પગલું વિચારીને લેવું; પ્રત્યેક કાર્યનાં પરિણામ હોય છે અને એની જવાબદારી કાર્ય કરનારની હોય છે. જો સર્વ પ્રજા પાસે કોઈ એક પગલું લેવડાવવું હોય, તો પોતે એ પગલું પહેલું લેવું જરૂરી છે. કોઈ પણ પગલું લેતાં પહેલાં તમે પોતાનો દૃષ્ટિકોણ બદલો અને ભારતની સૌથી દરિદ્ર વ્યક્તિની આંખોથી દુનિયા જુઓ અને એનુ દુઃખ દૂર કરવાનાં પગલાં લો – કઈ રીતે એનું જીવન સુખી કરાય? સત્ય, પ્રેમ, અહિંસા અને કરુણા – એને જ પગલે જીવન જિવાય. એમની વિચારસરણી સરળ હતી – પોતાની અંદરનો અવાજ સાંભળો, સૌથી શક્તિહીન વ્યક્તિની દ્વિધાનો વિચાર કરો અને એનું દુઃખ ઓછું કઈ રીતે થાય, સમસ્યા કઈ રીતે હલ થાય, એ પ્રશ્ન ઉકેલો અને તમારી બધી શંકાઓ દૂર થશે.
આ સિવાય બીજો રસ્તો ક્યાંથી હોય?
*
ભારતને આઝાદ થયે સિત્તેર વર્ષ થઈ ગયાં હતાં, પણ એ હવે આ આઝાદી ઓળખી નહોતા શક્યા. પણ પ્રજા ખુશ હતી, સ્વતંત્ર હતી – થોડી સ્વાર્થી પણ હતી – જ્યારે ખેડૂતો શહેરોમાં ન્યાયની માંગ લઈને મોરચો લાવતા કે જ્યારે દલિત વિદ્યાર્થી આત્મહત્યા કરે, ત્યારે સહેલાઈથી બારી બંધ કરી અવગણના કરી શકાતી હતી. આવે વખતે એ પોતાને યાદ કરાવતા – કે ૧૯૪૭ની કુલ વસ્તી કરતાં આજે ભારતમાં વધારે લોકો ગરીબ છે. આ સમૃદ્ધિ એક માયા છે. પણ આ બધું સમજવા એમને રિપોર્ટો વાંચવા પડતા નહોતા; એમની આંખો ખુલ્લી હતી, કાન સાફ હતા.
પણ એમને સાંભળવા હવે કોઈ તૈયાર નહોતું. હવે તો એમને બધાએ વયોવૃદ્ધ વડીલ બનાવી દીધા હતા. એ એમની ઓરડીમાં બેસે, પૂજાપાઠ કરવા હોય તો કરે અને બે વખત એમને જમવાની થાળી જાય. એમની જરૂરિયાત પણ ઓછી. હા, ઘરે પાછો કોઈ પ્રસંગ હોય, તો એમને બહાર બોલાવે, કારણ કે સંબંધીઓ આવ્યા હોય અને એમને નવદંપતીઓ માટે એમના આશીર્વાદની અપેક્ષા હોય કે કોઈને કોઈ કુટુંબીજનના નિધન પછી દિલાસાની, સાંતવન જરૂર હોય અને સગાંઓ એમને પગે પડે અને પોતાનાં પાપ ધોઈ નાખે.
એમને વંદન કરવા જાતજાતના લોકો આવી પડતા. અમુકના હાથે લોહીના ડાઘા હતા – એ ધાર્મિક વિધિની જેમ નમસ્તે કરી ગંગાસ્નાન કર્યું હોય એમ માની, મંત્રો બોલી, પાછા વળતા, આશા રાખીને કે લોકો હવે ભાગલપુર, નેલી, બાજિતપુર, બેલછી, દિલ્હી, કાનપુર, બોકારો, કુનાન પોશપોરા, નરોડા પાટિયા, અમદાવાદ, વડોદરા – લિસ્ટ તો લાંબું થતું ગયું અને નકશો લોહીથી ખરડાઈ ગયો – એટલો બધો લાલ-લાલ કે અહિંસક ચળવળ યાદ કરવા એમનું નામ રામનામની જેમ ઔપચારિક રીતે લેવાવા મંડાતું.
જ્યારે પણ એમને ચલણીનોટ જોવા મળે, ત્યારે એમનું મોં બગડતું – પૈસા હાથોનો મેલ છે, એ તો એ માનતા જ, પણ એમના નામે જાહેર થતી યોજનાઓનાં નામ સાંભળી એમને દુઃખ થતું. એ તો એમનું નસીબ કે જે નેતાઓ અને સાથીઓ એમને જાણતા હતા, એ હવે આપણી વચ્ચે હયાત નહોતા અને જે હતા એ જનસેવામાં ગળાડૂબ હતા – કેટલાક આદિવાસીઓ જોડે વન્યપ્રદેશમાં, તો કેટલાક વિચરતી પ્રજા જોડે દૂરદૂર; કેટલાક મુસ્લિમ પ્રજા સાથે એમને વાડે, તો કેટલાક દલિત લોકો જોડે એમના વિસ્તારમાં. લોકોની યાદદાસ્ત ઓછી થતી ગઈ અને સમય વીતતો ગયો તેમ મકાનો, સંસ્થાઓ, રસ્તા અને પુલનાં નામ નવનવીન નેતાઓને નામે બંધાતાં ગયાં; એમને તો આખરે છુટકારો મળ્યો!
તે છતાં નેતાઓ વારતહેવારે એમનું નામ લેતા – અને એમને નામે પોતાને ગમતી પ્રવૃત્તિનો પ્રચાર કરતા. એ નેતાઓ બોલે ખૂબ પણ સાંભળે ઓછું. એ ટેલિવિઝન પર આવે, એમની મુલાકાત અભિનેતાઓ કે જાહેરખબર લખવાવાળા પ્રચારકો લે – પત્રકાર ક્યારે ય નહીં – અને એ મુલાકાતો મોગલ સલ્તનતમાં કોઈ રાજદરબારમાં હજૂરિયાઓને શરમાવે એવી ઘૃણાસ્પદ હતી. આજકાલના નેતા એમના જીવનનો સાર માત્ર ‘સ્વચ્છતા’ જેવા એકાદ શબ્દમાં સમાવી લેતા, પણ સંડાસની સફાઈ કરનાર લોકોના જીવનની ઉપેક્ષા કરતા હોય; સફાઈ-કર્મચારીના પગ ધૂએ, પણ એમના જીવનનો ઉદ્ધાર કરવા માટે એકે પગલું ન લે; એમનું કામ મશીનો આગળ કરાવી એમને નવી નોકરીની તક ન આપે; ગાય બચાવવાને નામે માણસોની હત્યા થતી જુએ પણ એ રોકવા જરા ય પ્રયત્ન ન કરે, જ્યારે એ જ ગાય રસ્તે પ્લાસ્ટિકની કોથળીઓ વાગોળ્યા કરે; શાકાહારી હોવાના બહાને માંસાહારી પ્રજાને મનાવવાને બદલે એમને મકાનોમાંથી ખાલી કરાવે; અને બીજા ધર્મના અનુયાયીઓને કૉલોનીમાંથી તડીપાર થતા જુએ, ત્યારે એક અક્ષર ન બોલે.
ક્યારેક તો એમને થતું કે ઑગસ્ટ ૧૫, ૧૯૪૭ને દિવસે શું કેટલાક ઘઉંવર્ણા લોકો રાતોરાત ધોળા થઈ ગયા? હતોને પેલો લેખક, સલમાન રશ્દી, જેણે એ વિષે એક નવલકથા લખી હતી? એ પણ હતો એ મધરાતે જન્મેલો બાળક – એ રાત પછીના પ્રભાતે જાગવું એ તો આદર્શ ક્ષણ હતી, અને જો એ વખતે તમે યુવાન હોત તો તો સ્વર્ગ પણ આનાથી રૂડું ન લાગે! જવાહરે નહોતું કહ્યું કે એ મધરાત હતી ભારતની વિધાતા સાથેના મિલનની ક્ષણ!
અને હવે? જે કાયદા હેઠળ એમની ધરપકડ થઈ હતી, જે કાળાકાયદાને કારણે એમણે વર્ષો અંગ્રેજ જેલમાં વિતાવ્યાં હતાં, એ જ કાયદાઓ આજની ભારત સરકાર વાપરવા માંડી હતી; અને માત્ર સરકાર નહીં, પણ કોઈ પણ નાગરિક જ્યારે કોઈ વ્યક્તિએ કંઈ કહ્યું-કર્યું હોય અને એને ન ગમે, તો એ જ રાજદ્રોહ કાયદાનો ઉપયોગ કરી એ વ્યક્તિ સામે મુકદ્દમો ચલાવવા માંડે, જાણે કે ભારતનું લશ્કર નબળું હોય અને એને આવા નાગરિકોની પોતાની સુરક્ષા માટે જરૂર હોય! જે ધારા હેઠળ એમને સજા થઈ હતી, આજે એ જ ધારા વપરાવા મંડાયા વિદ્યાર્થીઓ, વકીલો, પત્રકારો, કલાકારો, અને લેખકોની સામે.
અમદાવાદમાં જ્યારે અંગ્રેજ જજસાહેબે એમને સજા આપી, ત્યારે જજસાહેબની આંખમાં પાણી આવી ગયાં હતાં. એમને જજ પ્રત્યે કોઈ રંજ કે ગુસ્સો નહોતો. જજસાહેબ અને એ પોતે, બંને એકબીજાની માણસાઈ જોઈ રહ્યા હતા અને એટલે જ એમને પુષ્કળ દુઃખ થયું. જ્યારે એમણે જાણ્યું કે એક વિકલાંગ પ્રાધ્યાપક, જે વ્હીલચૅર વગર હરીફરી નથી શકતા, એમને પણ આવા કાયદા હેઠળ મુકદ્દમા વગર જેલમાં રાખ્યા છે; અને જ્યારે અસ્પતાલમાં ઑક્સિજનની અછત હતી ત્યારે બાળકોનો જાન બચાવવા એક ડોક્ટરે પોતાને હાથે એ કામ લઈ લીધું, જેથી સરકાર શરમિંદી થઈ, તેવી સરકારે એવા ડૉક્ટર સામે કાર્યવાહી શરૂ કરી હતી. અને જો તમે સરકારનો થોડો પણ વિરોધ કરો, તો સરકારના સમર્થકો, નવા દેશપ્રેમીઓ એટલા બધા ગુસ્સે થતા કે દેશરક્ષા માટે સ્વયંસેવક બની જઈ ‘દેશદ્રોહીઓ’ને પાઠ ભણાવવા તત્પર થઈ જતા – જનગણમન વાગે, ત્યારે એમને ઊભા થવાનો હુકમ કરે; બળજબરીથી એમની આગળ ‘જયશ્રી રામ’ બોલાવડાવે.
હે રામ!
એવું વર્તન જોઈ રામને શું થતું હશે? રામ, કૃષ્ણ, લક્ષ્મી, સરસ્વતી, મા કાલી – શું એ દેવદેવીઓને આવાં સંરક્ષકોની જરૂર હશે? આ દેવદેવીઓ તો આપણા હૃદયમાં રહે છે; એ તો આ દેવદેવીઓને, જિસસને, બુદ્ધને, મહાવીરને, અલ્લાહને, અહુરમઝ્દને – સૌને પ્રાર્થના કરતા. આ સૌ દેવદેવીઓ એમના દેશને આશિષ આપ્યા હતા. પણ આજકાલ તો લોકો એવું માનવા મંડ્યા કે માત્ર એમના દેવદેવી સૌથી ઊંચાં! પણ આ દેવદેવીને સાંભળવાની તકલીફ થતી હશે, નહીં તો મંદિર-મસ્જિદમાં આટલા માઇક્રોફોન શા માટે? દેવદેવીઓને હવે કદાચ દેખાતું પણ નહીં હોય, નહીં તો આટલાં લાંબાં સરઘસ શાનાં? અરે, એમણે આવા વિચાર પણ ન કરવા જોઈએ, નહીં તો ફરી પાછું કોઈ ફરિયાદ કરશે અને એમણે ફરીથી જેલયાત્રા કરવી પડશે. એમને જેલ જવાનો વાંધો નથી; જેલ તો એમનું બીજું ઘર છે, પણ એમણે હજુ ઘણાં યુદ્ધ લડવાનાં છે : એમણે તો દેશનો આત્મા પાછો મેળવવાનો છે.
કેટલાક આશ્રમવાસીઓએ એમને કહ્યું હતું કે એમણે આધારનું ફૉર્મ ભરી આવવું. પ્રત્યેક નાગરિકે આધારકાર્ડ ફરજિયાત રાખવું પડે, એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પણ એ તો ના જ પાડતા હતા. એમણે દક્ષિણ આફ્રિકામાં આંગળાં આપ્યાં અને એ વખતે ત્યાંની ભારતીય પ્રજાએ એમનો ખૂબ વિરોધ પણ કર્યો હતો. પણ એમને સરકાર પર વિશ્વાસ હતો. પણ ત્યાંની સરકારે વચનભંગ કર્યો, ત્યારથી એ ચેતતા રહ્યા અને સમજી ગયા કે દસ્તાવેજો વ્યક્તિને કામના નથી, સરકારને કામના છે, એથી સગવડ સરકારને થાય છે, પ્રજાને નહીં. આપણે સૌ સ્વતંત્ર છીએ, સરકારને આપણા પર નિયંત્રણ લાદવું હોય છે. આપણા વ્યક્તિત્વના માલિક આપણે પોતે છીએ, સરકાર નથી. પણ હવે તો સરકારને આપણને એક આંકડો આપવો છે, જેથી એ આપણને ઓળખી શકે – અને જો આપણા દસ્તાવેજો સરકારને ન ગમે, તો મોકલી દે આપણને કૅમ્પમાં – કેવા કૅમ્પ? જેવા દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોએ બોઅર પ્રજા માટે બાંધેલા, જેવા જર્મન સરકારે યહૂદીઓ માટે બનાવેલા – આસામમાં આ કૅમ્પ શું કામ બંધાય છે?
કંઈ જ હવે સમજાતું નથી.
સરકારકની ફરજ તો છે પ્રજાને સુરક્ષિત રાખવી; પણ એને પ્રજા પર કોઈ હક હોતો નથી. આધારને કારણે સરકારને બધું ખબર પડશે – કે એ કઈ ટ્રેન ટિકિટ લેશે, ક્યાં રહેશે, ક્યાં જશે, શું ખરીદશે, એમના મિત્ર કોણ, કોને એ મળશે …
આજ કારણસર એ મોબાઇલફોન કે ઇન્ટરનેટ નહોતા વાપરતા. આધારને કારણે એમણે સરકારનો આધાર લેવો પડે – પણ સરકારે નાગરિકની સેવા કરવાની હોય છે, નાગરિકે સરકારની સેવા નથી કરવાની. દેશ અને સરકારમાં ફરક છે. માટે જ એ હાથે કાગળ લખતા; ઇ-મેઇલ નહોતા વાપરતા – એ જ એમના કાગડાની પાંખો જેવા, વાંચી ન શકાય એવા ગંદા અક્ષરમાં ….
પોસ્ટકાર્ડ આવ્યું હતું કાશ્મીરથી :
પૂ. બાપુ
સાત અઠવાડિયાંથી અમારે ઘેર ફોન નથી ચાલતો. રસ્તા શાંત છે. બસ નથી ચાલતી. હું હૉસ્પિટલ નથી જઈ શકી. મને ડાયાબિટીસ છે, હૃદયની બીમારી છે. મને દવા નથી મળી. મારો દીકરો મુંબઈ કામ કરે છે, પણ હું એનો સંપર્ક નથી કરી શકી. એણે મને ફોન કરવા ઘણા પ્રયત્ન કર્યા હશે, પણ એની સાથે વાત નથી થઈ. પડોશીનો દીકરો સંદેશા લઈ આવતો, એની પાસે ઘરે પેલું ટીવી જેવું મશીન પણ હતું, પણ એ પણ નથી દેખાતો. સૈનિકો એને લઈ ગયા હતા અને કોઈને ખબર નથી કે એ ક્યાં છે કે ક્યારે પાછો આવશે.
બાપુ, બજારમાં શાકભાજી નથી મળતાં. દુકાનદારોને પણ બીક લાગે છે અને દુકાનો પર તાળાં મારી દીધાં છે. ગલીઓમાં થોડા છોકરાઓ દેખાય છે અને એ લોકો ક્રિકેટ રમે છે, અને એમની બહેનો ઘરે છાનીમાની છુપાઈને રહે છે. ઠેર ઠેર સૈનિકો ઊભા છે બંદૂક લઈને. ટીવી પર આવી ક્રિકેટમૅચો દેખાડે છે, અને તમારા ટીવીમાં કોઈ પણ વ્યક્તિ જરાક પણ અઘરા પ્રશ્ન પૂછે, તો તમારા પત્રકારો બરાડા પડી એમને ચૂપ કરી દે છે. અમારા રાજ્યમાં બધું શાંત છે, એવું દિલ્હીવાળાઓ કહે છે – બધું બરાબર રાબેતા મુજબ છે. નથી બાપુ, નથી – કશું ય રાબેતા મુજબ નથી.તમે કંઈ કરશો, બાપુ?
મહાદેવભાઈ એકીટશે એમને જોઈ રહ્યા હતા; એમણે જોયું કે એમના હોઠે સ્મિત ફરક્યું હતું.
“બાપુ, શું વિચાર છે?”
“આપણે દવાખાને જઈ મારી બહેન માટે દવાઓ લઈ આવીએ. આપણે શ્રીનગર જઈશું. આપણે ચાલતા જઈશું. મારે મારી બહેનને મળવા જવું છે.”
“અને પછી?”
“પછી લાલચોક જઈશું. ત્યાં હું બેસીશ પલાંઠી વાળીને અને ઉપવાસ કરીશ.”
“પણ શા માટે? આપને શું જોઈએ છે? ત્યાં તો ૧૪૪ કલમનો અમલ થયો છે – લશ્કરને ખાસ અધિકારો અપાયા છે. એ તો તમારી તરત જ ધરપકડ કરશે અને લોકોને કહેશે કે તમને સુરક્ષિત રાખવા નજરકેદમાં રાખવામાં આવ્યા છે.”
“કરવા દો મારી ધરપકડ! જો કોઈ પ્રજાને આપણે આપણી કહીએ, તો એ પ્રજા સાથે આપણે એ લોકો આપણા પોતાના હોય એ રીતે વર્તવું જોઈએ. મારે એમનું દુઃખ અનુભવવું છે અને આપણે કરેલાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે. આ મારી ક્ષમાયાચના છે.”
“પણ બાપુ, સરકારને વાંધો આવશે, એ લોકો ગુસ્સે થશે અને તમારી તબિયત …”
મોહનદાસે ડોકું ધુણાવ્યું અને કહ્યું : “એ લોકો માટે તો હું ઘણાં વર્ષ પહેલાં મરી ચૂક્યો છું – કોઈ ફરક નથી પડતો એમને. મારે તો ચાલવાનું છે.”
E-mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 10-12