બુદ્ધ અને મહાવીર પછીનો લગભગ એક હજાર વરસનો કાલખંડ કોયડારૂપ છે. કોયડારૂપ એ રીતે કે શ્રમણોએ વૈદિક પરંપરા સામે પ્રચંડ વિદ્રોહ કર્યો હોવા છતાં સનાતન ધર્મમાં જોઈએ એટલું પરિવર્તન કેમ ન થયું? તેમણે વેદોને અંતિમ પ્રમાણ તરીકે નકાર્યા હતા, કર્મકાંડોને નકાર્યા હતા, યજ્ઞો અને પશુહિંસાને નકારી હતી, કોઈની કૃપાને નકારી હતી, અધિકારભેદ નકાર્યો હતો અને એ રીતે સામાજિક ભેદભાવને નકાર્યા હતા, સંસ્કૃતભાષા પરની બ્રાહ્મણોની ઈજારાશાહી નકારી હતી, એમ નકાર સાર્વત્રિક હતો અને તેમનો નકાર માનવીય ઉત્થાન માટે અનિવાર્ય પણ હતો.
બ્રાહ્મણ પરંપરાએ પ્રારંભમાં પ્રતિકાર કર્યા પછી શ્રમણ પરંપરાને પચાવવાનું અને અપનાવવાનું શરૂ કર્યું હતું. અહીં સુધી તો જાણે ઠીક છે; લાખ રૂપિયાનો સવાલ એ છે કે જો શ્રમણ-સિદ્ધાંતોને બ્રાહ્મણ પરંપરાએ અપનાવ્યા હતા, પચાવ્યા હતા તો તેનો પ્રભાવ ક્યાં? આજે પણ પાખંડી કર્મકાંડો, કૃપા મેળવી આપવાની લાલચો, બ્રાહ્મણોની સર્વોપરિતા, અધિકાર-ભેદ અને સામાજિક અસમાનતા એવી ને એવી જ છે, બલકે વધારે વકરેલી છે. એવું શું બન્યું કે શ્રમણોએ કરેલા સુધારાઓ લગભગ એળે ગયા?
એનાં બે કારણો નજરે પડે છે. જૈનોની વાત કરીએ તો આમ પણ મહાવીર સ્વામીએ જીવનશોધન માટે ખૂબ આકરી તપશ્ચર્યાનો માર્ગ બતાવ્યો હતો જે સામાન્ય માણસ માટે અઘરો માર્ગ હતો. એ પછીથી વર્ષાનુંવર્ષ જૈનો અનેકાંતવાદને ભૂલતા ગયા અને તપશ્ચર્યાને જ જીવનનો ઉદ્દેશ સમજવા લાગ્યા. જે સાધન છે એને જૈનો સાધ્ય સમજી બેઠા. અહિંસાની બાબતમાં પણ આવું જ બન્યું છે. કરુણામૂલક અહિંસા કરુણારહિત કોરી અહિંસા બનીને રહી ગઈ. આ બે કારણે જૈન ધર્મ લોકસુલભ નહીં રહ્યો અને ફેલાઈ નહીં શક્યો. જૈન ધર્મ તપસ્વીઓનો ધર્મ બનીને રહી ગયો અને આજે તો તપશ્ચર્યા પણ કર્મકાંડ બની ગઈ છે.
બૌદ્ધ ધર્મ અત્યંત લોકસુલભ હતો એટલે સ્વાભાવિકપણે વધુને વધુ લોકસુલભ બનતો ગયો. સુલભીકરણનું છીંડુ વધુને વધુ પહોળું થતું ગયું. એક દિવસ બૌદ્ધો સામે સવાલ થયો કે, બૌદ્ધં શરણમ્ ગચ્છામિ, ધમ્મં શરણમ્ ગચ્છામિ અને સંઘં શરણમ્ ગચ્છામિ વચ્ચે સમન્વય કેમ સાધવો? જો સંઘ મોટો રચવામાં આવે તો બુદ્ધ અને તેનો ધર્મ પાતળો પડે અને જો બુદ્ધ અને બુદ્ધે ચિંધેલા ધર્મને વફાદાર રહેવામાં આવે તો સંઘ વિસ્તરી ન શકે. માણસ જાતને સંખ્યાનું બહુ આકર્ષણ છે અને એમાં બૌદ્ધ ધર્મ તો પાછો અતિરેકો વિનાનો માધ્યમમાર્ગી સુલભ હતો. જતે દિવસે સંઘે બુદ્ધને અને બુદ્ધના ધર્મને પાછળ રાખી દીધા.
આવું સતત બનતું રહેતું હતું જે બુદ્ધના મૂળભૂત તત્ત્વોનો આગ્રહ રાખનારાઓને ગમતું નહોતું. ખૂબ વાદવિવાદ પછી બૌદ્ધ ધર્મમાં વિભાજન થયું જે હીનયાન અને મહાયાન તરીકે ઓળખાય છે. યાન એટલે નૌકા. મહાયાન એટલે મોટી નૌકા અને હીનયાન એટલે નાની નૌકા. અહીં તમે જોઈ શક્યા હશો કે હીનયાન એ તિરસ્કારવાચક શબ્દ છે. હીનયાનીઓ પોતાને સ્થવીરવાદીઓ કે થેરાવાદીઓ તરીકે ઓળખાવે છે. સ્થવીર એટલે વડીલ, રુઢિચુસ્ત, સમાધાનો નહીં કરનારા, પોતાના માર્ગને વળગી રહેનારા.
ખરું પૂછો તો બૌદ્ધ ધર્મનો મહાયાન સંપ્રદાય બૌદ્ધ ઓછો છે, હિંદુ વધારે છે. વધને વધુ સંખ્યામાં લોકોને સંઘમાં આકર્ષવા માટે તેઓ સમાધાન કરતા ગયા જેમાં બૌદ્ધ ધર્મે તેની વિશેષતા ગુમાવી દીધી. તેમણે બુદ્ધને જ ભગવાન બનાવી દીધા અને બુદ્ધના ૨૪ જન્મોની વાર્તાઓ પણ રચાવા લાગી જે જાતક કથા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત બીજા દેવી દેવતાઓ પેદા કર્યા. તેમણે પુરુષાર્થની જગ્યાએ બુદ્ધની અને ભિક્ષુઓની કૃપાયાચના કરવા લાગ્યા. અંધશ્રદ્ધામાં વધારો જ થતો ગયો અને મહાયાનમાંથી ફાંટો ફૂટીને નીકળેલો વજ્રયાન તો અંધશ્રદ્ધાની ચરમસીમા છે. મહાયાનીન વિદ્વાનોએ પાલી ભાષા છોડીને સંસ્કૃત ભાષામાં ગ્રંથો લખવાનું શરૂ કર્યું, કારણ કે લોકભાષાઓમાં લખનારાઓને બ્રાહ્મણો વિદ્વાન તરીકેની માન્યતા નહોતા આપતા અને બ્રાહ્મણોના સર્ટિફિકેટની કિંમત હતી.
બુદ્ધે કહ્યું હતું કે મોક્ષના અધિકારી બનવા માટે સન્યાસ જરૂરી છે. આને કારણે ગૃહસ્થો સવાલ કરતા હતા કે તમારો ધર્મ જો મોક્ષ ન અપાવતો હોય તો તમારા ધર્મમાં શા માટે જોડાવું જોઈએ? ગૃહસ્થોને બૌદ્ધ બનાવવા માટે તેમણે સંસારીઓ પણ મોક્ષના અધિકારી છે એવું નવું તત્ત્વ દાખલ કર્યું હતું. આ રીતે તેમણે ધર્મની નૌકામાં બેસીને ભવસાગર તરનારાઓની સંખ્યામાં વધારો કર્યો હતો એટલે તેને મહાયાન નામ આપવામાં આવ્યું છે.
બુદ્ધે તો તેમના શિષ્ય આનંદને એમ પણ કહ્યું હોવાનું કહેવાય છે કે તેમનો ધર્મ પાંચસો વર્ષ ટકશે. પાંચસો વર્ષ પછી તેમના ધર્મનો અંત આવશે. આ વાત સાચી છે કે ખોટી એ આપણે જાણતા નથી, પરંતુ મહાયાનીઓએ મહાયાન માર્ગે બૌદ્ધ ધર્મનું હિંદુકરણ કર્યું હતું અને એ રીતે ભારતમાં બૌદ્ધ ધર્મનો અંત આવ્યો હતો. બુદ્ધની ક્રાંતિ સનાતન ધર્મમાં ઓગળી ગઈ હતી. બીજી ભાષામાં કહીએ તો ભારતમાં બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મમાં વિલીન થઈ ગયો હતો. બુદ્ધે શીખવેલી સમ્યક વિવેકની ચેતના જો કોઈએ ગુમાવી છે તો એ બૌદ્ધોએ ગુમાવી છે. બ્રાહ્મણો લબાડી કરીને બૌદ્ધ ધર્મને ભરખી ગયા એમ કહેવું એ ખોટું છે. એમ કહેવું એ સનાતન ધર્મના નિંદકોની અસહિષ્ણુતા છે. અનુદારતા છે.
તો બુદ્ધ અને મહાવીર પછીના લગભગ હજાર વરસ દરમ્યાન બંને ધર્મોમાં વિભાજન થયાં. જૈન ધર્મ સીમિત થઈ ગયો અને બૌદ્ધ ધર્મ ભારતમાં હિંદુ ધર્મમાં વિલીન થઈ ગયો. બુદ્ધનો વારસો લગભગ ઓગળી ગયો. તમે કદાચ શંકરદિગ્વિજય નામના ગ્રંથનું નામ સાંભળ્યું હશે અને જો નહીં સાંભળ્યું હોય તો એટલું તો તમારે કાને પડ્યું જ હશે કે આદિ શંકરચાર્યે તેમની પ્રચંડ તર્કશક્તિ દ્વારા બૌદ્ધ ધર્મને ભારતમાંથી તગેડી મુક્યો હતો અને સનાતન ધર્મની પુનર્સ્થાપના કરી હતી. આ એક જુઠાણું છે. બૌદ્ધ ધર્મ સનાતન ધર્મ સામે પરાસ્ત નથી થયો, ભારતના દુર્ભાગ્યે તેમાં વિલીન થઈ ગયો છે એટલે ઉપર કહ્યાં એ સનાતન ધર્મના લગભગ બધાં જ લક્ષણો એમને એમ રહ્યાં.
દરેક મસીહાના દુ:શ્મન તેના અનુયાયીઓ જ હોય છે એમ જે કહેવાય છે એ ખોટું નથી. બુદ્ધને મહયાની બૌદ્ધોએ પરાસ્ત કર્યા. આમ છતાં જૈન-બૌદ્ધ શ્રમણોનો અહિંસાનો વારસો ટકી રહ્યો છે. બૌદ્ધોનો કરુણા અને મૈત્રીનો વારસો ટકી રહ્યો છે.
અહીં હજુ એક વાત નોંધવી જોઈએ. જેમ બૌદ્ધ વિદ્વાનો લોકભાષા છોડીને સંસ્કૃતમાં લખવા માંડ્યા એમ જૈન આચાર્યોએ પણ સંસ્કૃત ભાષાને અપનાવી લીધી. નોંધવા જેવી વાત એ છે કે બુદ્ધ અને શંકરાચાર્ય (હજુ પાછળ જવું હોય ઓ ગૌડપાદાચાર્ય) વચ્ચેના લગભગ હજાર વરસના સમય ખંડમાં જે દાર્શનિક વિમર્શ થયો છે એમાં મુખ્ય ફાળો બૌદ્ધ અને જૈનોનો છે. એ સમયગાળામાં નોંધ લેવી પડે એવો એક પણ દાર્શનિક ગ્રંથ સનાતની વિચારકોનો મળતો નથી. શ્રમણ અને બ્રાહ્મણ સહિતનો ભારતનો તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ પણ હરીભદ્ર સૂરિ નામના જૈન આચાર્યે છઠ્ઠી સદીમાં લખ્યો છે અને એવો એ પહેલો ગ્રંથ છે. એ હજાર વરસના સમયખંડમાં એકથી એક ચડિયાતા શ્રમણ વિદ્વાનો થયા હતા.
આમ પરસ્પર સમન્વય થયો, પણ થવો જોઈએ એવો તો ન જ થયો!
31 જુલાઈ 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 ઑગસ્ટ 2019