અમે બધા અલગ અલગ છતાં દેશ માટે એકસરખી ચિંતા ધરાવતાં નાગરિકો છીએ. બહુઆયામી અને લોકશાહી રાજ્યતંત્રની જે ભાવના બંધારણમાં રજૂ થઈ છે, તેમાં અમે વિશ્વાસ ધરાવીએ છીએ. દેશનું લોકતંત્ર અત્યારે અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે. અમે એ બધા પડકારોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. દેશના બંધારણને સલામત રાખવા માટે શું કરવું જોઈએ તેનો જવાબ મેળવવો એ આ અભ્યાસ પાછળનો મૂળ ઉદ્દેશ્ય છે. બંધારણ, રાષ્ટ્રહિત અને લોકશાહી સાથે થતી છેડછાડ અટકાવવાની એક તક અમને આવી રહેલી લોકસભા ચૂંટણીમાં દેખાઈ રહી છે.
આજે સ્થિતિ એવી છે કે બંધારણીય સંસ્થાઓ, કાયદો, નીતિ, વ્યવસ્થા વગેરેમાં વહેલી તકે સુધારા કરવા પડે એમ છે. એ માટે સૌથી પહેલું કામ તો વર્તમાન સત્તાનશીન પક્ષ દ્વારા થઈ રહેલું નુકસાન અટકાવવાનું છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દેશમાં બરાબર કામ કરે, ન્યાયતંત્રમાં કોઈ દખલ ન થાય, વહીવટીતંત્ર દબાણ વગર કામ કરી શકે અને મીડિયા પણ સ્વતંત્ર રીતે પોતાની ભૂમિકા ભજવી શકે એ પ્રકારનું વાતાવરણ ઊભું થવું જોઈએ. પરંતુ એ કામ સહેલું નથી, કેમ કે દેશનાં આ બધાં ક્ષેત્રોને વ્યાપક નુકસાન થઈ ચુક્યું છે. કેટલીક સમસ્યાનાં મૂળ તો ઘણા ઊંડાં ઊતરી ગયાં છે. એ સંજોગોમાં હવે એવી રીતે સમસ્યાનો હલ શોધવો પડે, જેથી ભવિષ્યમાં પણ લોકશાહી પર આ પ્રકારના નુકસાન ટાળી શકાય. બંધારણે આપેલા મૂળ સિદ્ધાંત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના પુનઃ જગાવ્યા વગર લોકશાહીના સંરક્ષણના આ ભગીરથ કાર્યમાં દેશવાસીઓનો સાથ મેળવી શકાશે નહીં.
એ માટે હવે શું કરવું જોઈએ તેના અમારી પાસે ૧૯ મુદ્દા છે, જે અમે ‘રિક્લેઈમિંગ ધ રિપબ્લિક’ નામે દેશવાસીઓ સમક્ષ રજૂ કરીએ છીએ. રાજકીય પક્ષોએ આ મુદ્દાઓને મૅનિફેસ્ટોમાં સમાવવા જોઈએ.
લોકશાહીની સ્વતંત્રતા
૧. રાજદ્રોહ (ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૪-એ), ગુનાઇત બદનક્ષી (કલમ ૪૯૯), ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં રોકતો કાયદો (અનલૉફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ), નૅશનલ સિક્યોરિટી ઍક્ટ, આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ, ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ, ઈશનિંદા, કોર્ટની અવમાનના વગેરેના કાયદા અથવા તેની અમુક જોગવાઈ પર પુનઃવિચારણાની જરૂર છે. કેમ કે તેનો બહુ સરળતાથી સત્તા દ્વારા દુરુપયોગ થઈ શકે છે. રાજકીય હેતુઓ સંતોષવા માટે આવા કાયદાઓ દ્વારા વ્યક્તિગત સ્વતંત્રતા પર વારંવાર તરાપ મારવામાં આવે છે એ પ્રવૃત્તિ અટકાવવી.
૨. ચૂંટણી જીતવા માટે નાણાંનો બેફામ ઉપયોગ થતો હોય છે. ચૂંટણી પ્રક્રિયા એ રીતે ગોઠવવી જોઈએ કે તેમાંથી નાણાનું મહત્ત્વ સાવ બાદ ન થાય તો પણ ઘણું ઘટી જાય. ઈલેક્ટોરલ બોન્ડ, ચૂંટણી ફંડ .. વગેરેમાં ધરમૂળથી ફેરફાર કરવો. ચૂંટણીના ખર્ચની દેખરેખ માટે જ નશનલ ઈલેક્શન ફંડ નામે માળખું તૈયાર કરવું.
૩. મીડિયા-સમાચાર-સમૂહ માધ્યમોને વધુ સ્વતંત્રતા મળવી જોઈએ. સાથે સાથે મીડિયા-માધ્યમો પર દેખરેખ રાખી શકે એવી સ્વતંત્ર ગોઠવણ કરવી, જે સરકાર કે કોઈ પણ પક્ષકારના દબાણ વગર કામ કરી શકે. અમેરિકાએ બહુ પહેલાં જ માધ્યમોની સ્વાયત્તતા માટે ‘મીડિયા ફ્રીડમ બિલ’ પાસ કર્યું છે. તેમાં મીડિયા પર પ્રતિબંધ, સમાચાર રજૂ કરતા અટકાવવા, ઇન્ટરનેટ બંધ કરવું વગેરે પ્રવૃત્તિ પર રોક લગાવી દેવાઈ છે. એ માટે સ્વતંત્ર સંસ્થા ઊભી કરવી, જે સમગ્ર મીડિયાનું માળખું જાળવે. પ્રસાર ભારતી જેવી સરકાર હસ્તકની સંસ્થાઓને ખરા અર્થમાં સરકારી કાબૂમાંથી મુક્ત કરવી.
કલ્યાણ રાજ્ય
૪. દરેક નાગરિકને આરોગ્ય, શિક્ષણ, ખોરાક-પાણી, જાહેર વિતરણ વ્યવસ્થા, ખાસ કરીને ગ્રામવિસ્તારમાં પોષણક્ષમ સીધું-સામાન .. વગેરે મળે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી. દેશના દરેક નાગરિકને કેટલીક લઘુુતમ સેવાઓ મળે એ ઇચ્છનીય છે. જેમની પાસે કંઈ નથી એવા વયસ્ક નાગરિકો માટે સમાન પેન્શન સિસ્ટમ હોવી જોઈએ. શારીરિક કે માનસિક ખોડખાંપણથી પીડાતા દેશબંધુઓને નોકરીમાં અગ્રતા મળે, આજીવિકા મળી રહે એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવી.
૫. ખેડૂતોને પાકની ચોક્કસ લઘુતમ આવક તો મળે જ અને ખેડૂતોએ ખેતી માટે દેવું ન કરવું પડે એ પ્રકારે અર્થતંત્રમાં સુધારા કરવા જોઈએ. ખેતઉત્પાદન પાછળ થયેલા ખર્ચનું પૂરતું વળતર મળે, લોન લેનારા ખેડૂતોને જરૂર પડ્યેે લોનમાંથી મુક્તિ મળે, કુદરતી આફત વખતે ખેડૂતો સુધી સહાય તુરંત પહોંચે. એ પ્રકારનું માળખું તૈયાર થવું જોઈએ. માલ-ઢોરની લે-વેચ પર રહેલા ખોટા પ્રતિબંધો હટાવી દેવા જોઈએ. ખેડૂતો, ખેતમજૂરો, ભાગિયું રાખનારા, મહિલા ખેડૂતો, આદિવાસી, માલધારી સહિતના કૃષિ સાથે સંકળાયેલા સમુદાયો સુધી આ લાભ પહોંચવા જોઈએ.
૬. દેશમાં અત્યારે ‘રાઇટ ટુ એજ્યુકેશન (શિક્ષણનો અધિકાર)’ અમલમાં છે જ. પરંતુ દેશની સરકારી શાળાઓ વધારે સક્ષમ બને એ પ્રકારે શિક્ષણતંત્ર ગોઠવવું જોઈએ. સાથે સાથે દરેક શાળાને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવરી લેવી. શિક્ષકોની અછત જણાય તો તુરંત ભરતી કરી એ પૂરી કરવી.
૭. ઉચ્ચ શિક્ષણની સ્થિતિ સુધારવા અત્યારે જે રકમ ફાળવાય છે, તેમાં વૃદ્ધિ કરવી. વર્તમાન બજેટ ઉપરાંત ઓછામાં ઓછા જી.ડી.પી.ના એક ટકા રકમને કેન્દ્ર-રાજ્ય સરકાર હસ્તકની યુનિવર્સિટીઓ માટે ફાળવવી રહી. આર્થિક અને સામાજિક પછાત વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિમાં દસ ગણો વધારો થવો જોઈએ.
૮. જાહેર આરોગ્ય સિસ્ટમ એ રીતે વિકસાવવી કે જેથી દરેક વ્યક્તિને વાજબી ભાવે સ્વાસ્થ્ય સવલતો મળી રહે. આરોગ્ય પાછળ થતો સરકારી ખર્ચ વધારીને જી.ડી.પી.ના ત્રણ ટકા સુધી પહોંચાડવો. આરોગ્ય કેન્દ્રોથી માંડીને રોગચાળો અટકાવવા માટેનાં પગલાં ભરવાં. આરોગ્ય સેવામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો તથા મેડિકલ કાલેજની સ્થિતિ સુધારવી.
૯. અત્યારે ચાલી રહેલી ‘મનરેગા’ યોજના આગળ ધપાવવી તથા તેનો વિસ્તાર કરવો. પુખ્ત વયની વ્યક્તિને વર્ષના ઓછામાં ઓછા ૧૫૦ દિવસ રોજગારી મળે તેવું આયોજન કરવું. ૧૫૦ દિવસ દરમિયાન જે-તે રાજ્યમાં નક્કી થયેલું લઘુતમ વેતન ચુકવવું.
૧૦. આરોગ્ય, શિક્ષણ તથા બીજી તમામ જરૂરી જાહેર સેવાઓમાં ખાલી રહેલી જગ્યાઓ ભરવી. આ બધાં ક્ષેત્રોમાં કામ કરતાં લોકોને કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવો. અત્યારે જે કામચલાઉ કે સહાયક તરીકે કામ કરે છે, એ લોકોની સ્થિતિ સુધારી વધુ સારી રીતે કામ કરી શકે એવું વાતાવરણ પૂરું પાડવું.
૧૧. દેશની આવક વધે એ માટે કર-માળખું સુધારવું. જેમને ૧૦ કરોડ રૂપિયા કે તેનાથી વધુ રકમની સંપત્તિ વારસામાં મળી હોય તેમના પર ૨૦ ટકા ટેક્સ નાખવો જોઈએ. કોર્પોરેટ સોશિયલ ટેક્સની ગણતરી નફા પર નહીં પરંતુ ટર્ન-ઓવર પર કરવી. પ્રદૂષણ ઘટાડવા માટે ગ્રીન ટેક્સ, પ્રદૂષણ કર વગેરે દાખલ કરવા. એ બધાં મળીને જી.ડી.પી.ના ત્રણથી પાંચ ટકા જેટલી રકમ દેશને અપાવી શકે છે.
૧૨. પર્યાવરણ સંરક્ષણ માટે સક્ષમ અને સ્વતંત્ર પાંખની રચના કરવી. દેશની નદીઓનું જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ … વગેરે પર નિયંત્રણ રાખી કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું. પુનઃપ્રાપ્ય ઊર્જાનો વધુ ઉપયોગ થાય એ રીતે સરકારી નીતિઓમાં ફેરફાર કરવા, જાહેર પરિવહન સેવા મજબૂત બનાવવી. દેશના કુદરતી વાયુ અને ખનીજતેલના ભંડારો પર સરકારની પકડ વધારવી. તેમના સંચાલકો માત્ર ટ્રસ્ટી તરીકે જ કામ કરે એવું માળખું તૈયાર કરવું. આગામી ૫૦ વર્ષને ધ્યાનમાં રાખીને પર્યાવરણ સંરક્ષણ નીતિ તૈયાર કરવી.
સામાજિક ન્યાય
૧૩. સંસદનાં બન્ને ગૃહ, ન્યાયતંત્ર, નીતિ ઘડતર કરતી સંસ્થાઓમાં ઓછામાં ઓછી ૩૩ ટકા મહિલાઓ હોવી જોઈએ. એ માટે બંધારણમાં જરૂરી સુધારો કરવો. મહિલા અનામત અને મહિલા સંરક્ષણની માત્ર વાતો ન કરતાં, તેનો વાસ્તવમાં અમલ કરવો.
૧૪. બંધારણ દેશના નાગરિકોને સમાનતા આપે છે, પરંતુ વાસ્તવમાં દેશના સૌ નાગરિકો સમાનતાનો અનુભવ કરી શકતા નથી. ચોક્કસ જૂથ, સમુદાય, જ્ઞાતિ-જાતિ વિરુદ્ધ ગુનાખોરીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ અટકે એ માટે કડક કાયદા બનાવવા, તેનો સખ્તાઈપૂર્વક અમલ કરવો. આદિવાસીઓને તેમની જમીન પરત આપવી અને ભવિષ્યમાં છીનવી ન શકાય એ પ્રકારે કાયદાકીય જોગવાઈ કરવી.
૧૫. ગટરમાં ઊતરીને સફાઈ કરવી કે પછી હાથ વડે મેલું ઉપાડવા પર પ્રતિબંધ મૂકતો કાયદો ૨૦૧૩થી અમલમાં છે, તેનો પૂર્ણપણે અમલ કરવો. એ ક્ષેત્રના કામદારોના પુનઃવસનનું કાર્ય માથે લઈ એ પરિવારને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, રહેણાક વગેરેની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. વિમુક્ત જાતિ, વિચરતી જાતિ .. વગેરેને પણ આ બધી સુવિધાઓ આપવી. સરકારની વિવિધ સુવિધા-સવલતમાં અસમર્થ-દિવ્યાંગ લોકો માટે કેવી સગવડતા છે, તેનું ફરજિયાત ઓડિટ કરવું. જ્યાં ખોટ જણાય ત્યાં સુધારા કરી દિવ્યાંગ પ્રજાજનો માટે સવલતો ઊભી કરવી.
પારદર્શી અને જવાબદાર સરકાર
૧૬. ભ્રષ્ટાચાર રોકનારા કાયદા વધારે મજબૂત બનાવવા, જ્યાં કંઈ સુધારા જરૂરી હોય એ કરવા. લોકપાલ પારદર્શી રીતે કામ કરી શકે એ રીતે સમયસર નિમણૂક કરવી. વ્હીસલ બ્લોઅરને પ્રોટેક્શન આપતો કાયદો અમલી બનાવવો.
૧૭. સી.બી.આઈ., સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સી.વી.સી.), કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સી.એ.જી.) વગેરે જેવી સંસ્થાઓને વધુ મજબૂત બનાવવી. તેમની વિગતો જાહેર માહિતીમાં આવરી લેવાય એ મુજબના ફેરફારો કરવા. આ બધી જ સંસ્થાઓનું જાહેર ઓડિટ ફરજિયાત બનાવવું.
૧૮. ન્યાયાધીશોની નિમણૂક માટે સ્વતંત્ર કમિશન રચવું. એ જ રીતે ન્યાયતંત્ર અંગેની ફરિયાદો માટે પણ સ્વતંત્ર વ્યવસ્થા ઊભી કરવી. દેશભરના ન્યાયાલયોનું પ્રોફેશનલ ધોરણે મનેજમેન્ટ કરવું તથા કોર્ટ કાર્યવાહીનું વીડિયો રેર્કોડિંગ થાય એવી વ્યવસ્થા ઊભી કરવી.
૧૯. પ્રકાશસિંહના કેસ વખતે સુપ્રીમ કોર્ટે દેશની પોલીસ માટે સાત મુદ્દાનું માર્ગદર્શન આપ્યું હતુ. એ માર્ગદર્શન પ્રમાણે દેશના પોલીસતંત્રમાં સુધાર કરવો. પોલીસ અને રાજનેતાઓ વચ્ચેના સંબંધો પર લગામ મૂકવી. ધ મોડેલ પોલીસ બિલ ૨૦૦૬નો અમલ કરવો.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 21-23