courtesy : "The Times of India", 12 January 2019
courtesy : "The Times of India", 12 January 2019
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર અસરકર્તા મુદ્દાઓમાં એક મુદ્દો અનામતનો પણ હતો. છત્તીસગઢમાં અનુસૂચિત જાતિને તેની વસ્તીના પ્રમણમાં અનામતવધારો મળતો નથી તેનો રોષ હતો તો તેલંગણામાં સત્તાધારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ મુસ્લિમોને અનામત આપી ખુશ રાખ્યા હતા. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. આ રાજ્યનો બળુકો મરાઠા સમુદાય લાંબા સમયથી અનામતની માંગણી કરી રહ્યો છે. એટલે મહારાષ્ટ્રમાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં ૧૬ % અનામત આપતો કાયદો સર્વાનુમતે પસાર થયો છે. મહારાષ્ટ્રમાં હાલ ૫૨ % અનામત અમલમાં છે. નવી ૧૬ % સાથે અનામતનું પ્રમાણ ૬૮% થયું છે. ૪૯ % કરતાં વધુ અનામત આપી શકાય નહીં તે અને અન્ય બાબતોને લઈને આ અનામતને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અદાલતે જો કે કોઈ મનાઈહુકમ નથી આપ્યો પણ જ્યારે આ મેટર સબજ્યુડિસ છે ત્યારે નવી મરાઠા અનામત પ્રમાણે સરકારી ભરતીની જાહેરાત અંગે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે અઢીએક વરસ પહેલાં, ૧૬મી જુલાઈ ૨૦૧૬ના રોજ, મરાઠા કિશોરી પર કેટલાક દલિતોએ સામૂહિક બળાત્કાર કરી તેને મારી નાંખી હતી. આ બનાવથી આક્રોશિત મરાઠાઓએ દોષિતોને ફાંસીની સજા અને દલિત આદિવાસી અત્યાચાર પ્રતિબંધક કાયદાની નાબૂદીનું આંદોલન ઉપાડ્યું હતું. સ્વયંભૂ, સામૂહિક નેતૃત્વ ધરાવતું, બિનરાજકીય, ખાસ્સું અહિંસક અને ભારે લોકસમર્થન ધરાવતું “મરાઠા ક્રાંતિ મોરચા”નું આંદોલન કોપર્ડીકાંડથી હઠીને મરાઠા અનામત આંદોલન બની ગયું. ૫૦ કરતાં વધુ મૂકમોરચા અને લાખોની મેદનીએ તમામ રાજકીય પક્ષોને મરાઠા અનામતની તરફેણમાં મૂકી દીધા.
૧૩ કરોડની મહારાષ્ટ્રની વસ્તીમાં મરાઠાઓ ૩૦% હોવાનું મનાય છે. વિધાનસભાની સો કરતાં વધુ બેઠકો પર મરાઠા વોટ નિર્ણાયક છે. રાજ્યના મોટાભાગના મુખ્યમંત્રીઓ મરાઠા હતા. સુગર ફેકટરીઓ સહિતના સહકારી ક્ષેત્ર, ખાનગી, સ્વનિર્ભર શિક્ષણ સંસ્થાઓ મરાઠાઓના હાથમાં છે. જો કે તેને કારણે રાજ્યનો સઘળો મરાઠા સમુદાય સાધન સંપન્ન નથી. એક નાનકડો વર્ગ જરૂર સુખી અને સંપન્ન છે પણ મોટો ગ્રામીણ સમાજ પછાત અને ગરીબ છે.
૨૦૧૪માં રચાયેલી નારાયણ રાણે સમિતિ અને તે પૂર્વેના બાપટ આયોગ અને સર્રાફ આયોગે તેના અહેવાલોમાં મરાઠાઓની વિકટ સ્થિતિ દર્શાવી હતી. વર્તમાન અનામત આંદોલન પછી રાજ્ય પછાત વર્ગ પંચે ૨ લાખ રજૂઆતો, ૨૦ લોકસુનાવણીઓ અને ૩૬ જિલ્લાઓનો સર્વે કરીને મરાઠાઓ પછાત હોવાનું તારણ કાઢી, ૧૬% અનામતની ભલામણ કરી છે. સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિશનના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના ગામડાંઓમાં મોટા ખેડૂત મરાઠાઓ અલ્પ છે જ્યારે નાના સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોનો વિશાળ વર્ગ છે. શહેરોમાં તે કૂલી અને માથોડી કામદાર તરીકે પણ જીવે છે. ૭૦% મરાઠા કાચા ઘરોમાં રહે છે, ૭૮.૮૬% ખેતી અને ખેતમજૂરી પર નભે છે. ૫૨% દેવાદાર છે. ૩૭.૨૮% ગરીબીની રેખા હેઠળ જીવે છે. ૧ લાખ રૂપિયા કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા મરાઠા ૯૩ % છે. માત્ર ૪.૩૦% જ ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને સરકારી નોકરીઓમાં તેમની ટકાવારી ૬.૯૨ % જ છે.
ગુજરાતના પાટીદાર, રાજસ્થાનના ગુર્જર, હરિયાણાના જાટ, આંધ્રના કાપૂ અને મહારાષ્ટ્રના મરાઠા લાંબા સમયથી અનામતની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશોની સરકારો પૂરતા બંધરણીય અને કાયદાકીય અભ્યાસ વિના, જાણે કે થોડા સમય માટે મુદ્દાને થાળે પાડવા જ, અનામત આપી દે છે. અદાલતો તેને ગેરબંધારણીય ઠેરવે છે. તેથી દોષનો ટોપલો કોર્ટો પર ઢોળી પોતે તો પછાતોના હામી છે પણ અદાલતો અંતરાય છે તેવી છાપ ઊભી કરે છે. ૨૦૧૪માં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકારે અને ૨૦૧૫માં વર્તમાન બી.જે.પી.-શિવસેના સરકારે મરાઠાઓને અનામત આપી હતી. પણ તે અદાલતમાં ટકી નહોતી. હાલની ૧૬% અનામત પણ અદાલતમાં ટકશે કે કેમ તે સવાલ છે જ. મહારાષ્ટ્ર સરકારે બચાવ તો કરી જ દીધો છે કે “તેણે મરાઠાઓની માંગણી માટે ઈમાનદાર અને ઉત્તમ પ્રયાસ કર્યો છે.”
ભારતના બંધારણના આર્ટિકલ ૧૬માં રાજ્યની નોકરીઓમાં નાગરિકને ભેદભાવ વિના સમાન તકની જોગવાઈ છે. તેમાં “જે વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ના હોય તેવા વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવાની” અને તેથી “સમાન તકનો ભંગ થશે નહીં” તેમ જણાવી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતો માટે અનામતની જોગવાઈ કરી છે. અનુસૂચિત જાતિ, જન જાતિને બંધારણના અમલ સાથે જ અનામત આપવામાં આવી છે જ્યારે અન્ય પછાત વર્ગો માટેની અનામતો ઘણી મોડી અમલી બની હતી. રાષ્ટ્રીય કક્ષાએ વી.પી. સિંઘના પ્રધાનમંત્રીત્વ કાળમાં મંડલ કમિશનના સ્વીકાર પછી ૨૭ % ઓ.બી.સી. અનામત આવી છે.
અનામતનો માપદંડ સામાજિક શૈક્ષણિક પછાતપણું અને વહીવટ તથા રાજકારણમાં અપૂરતા પ્રતિનિધિત્વનો છે. ભારતના બંધારણમાં હાલમાં ગરીબો માટે એટલે આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ નથી. નરસિંહરાવની કૉન્ગ્રેસી સરકારે ગરીબો માટે ૧૦% અનામતની જોગવાઈ કરી હતી. તેને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય જાહેર કરી હતી. અદાલતે અનામતની મહત્તમ મર્યાદા ૪૯ % ઠરાવી હતી. તે પછી જુલાઈ ૨૦૧૦માં ચોક્કસ કારણો અને હકીકતોના આધારે તે મર્યાદામાં થોડી છૂટ આપી હતી. દેશના કેટલાક રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, અનામતનું પ્રમાણ ૪૯% કરતાં વધારે છે.
મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિની ૧૩%, જનજાતિ ૭%, ઓ.બી.સી. ૧૯%, વિચરતી અને વિમુક્ત જાતિ સહિતની ખાસ જાતિઓની ૧૩ % મળી કુલ ૫૨% અનામતો અમલી છે. હવે નવી ૧૬% મરાઠા અનામત ઉમેરતાં કુલ પ્રમાણ ૬૮% થયું છે. રાજ્ય સરકાર મરાઠા અનામતને વાજબી ઠેરવવા ઓ.બી.સી. કમિશનનો આધાર લે છે. પરંતુ દેશમાં અને રાજ્યોમાં ઓ.બી.સી. અનામત એક જથ્થે અને વધુમાં વધુ ૨૭% જ રાખી શકાતી હોય ત્યારે મરાઠા અનામત રાજ્યની હાલની ૧૩% ઓ.બી.સી. અનામત ઉપરાંત માત્ર મરાઠાઓ માટે જ રાખવી કાયદાકીય રીતે ન સમજાય તેવી બાબત છે. વળી ૪૯% કરતાં વધુ પ્રમાણ માટે રાજ્ય ઓ.બી.સી. પંચનો રિપોર્ટ જ પર્યાપ્ત નથી. તમિલનાડુ સરકારની જેમ મરાઠા અનામતને અદાલતી સમીક્ષાથી પર રાખવા, તેને બંધારણની નવમી અનુસૂચિમાં મુકવાનો બંધારણ સુધારાનો માર્ગ પણ સરકારે લીધો નથી. એટલે સરકાર જેને ઈમાનદાર પ્રયાસ ગણાવે છે તે લોલીપોપ પણ બની જાય તેમ છે.
e.mail : maheriyachandu@gmail.com
શું કહીશું, આને : ઘડિયાં લગન, કે એક ઓર જુમલો – બલકે, સામી ચૂંટણીએ તો કદાચ ધ જુમલો. વર્ણસગાઈની વહેવારુ સગવડને ધોરણે તમે એને મોદીનો માસ્ટર સ્ટ્રોક પણ ચાહો તો કહી શકો. અહીં ઇશારો અલબત્ત નવા આરક્ષણને અંગે છે. એક રીતે, જે સંચિત મિજાજ પાટીદાર અનામતની હાર્દિક જેહાદ વાટે પ્રગટ થયો છે, એને વિશે મુજરાનો નહીં તોપણ દાણા નાખવાનો મનોવૈજ્ઞાનિક ઉપચાર આ ખસૂસ છે.
સદીઓનાં સંચિત અન્યાય અને શોષણની નાબૂદી તો શું પણ યથાસંભવ દોષદુરસ્તી માટે ય અનુસૂચિત જાતિ-જનજાતિ સારુ અનામતની જોગવાઈનું એક લૉજિક હતું અને છે. ગાંધીનાં અનશન અને પુણે કરાર સહિતના સ્વરાજસંગ્રામના ઘટનાક્રમમાં આગળના પડાવ રૂપે આ દિશામાં કદમ ભરવાનું થયું એ વીતેલી સદીના છેલ્લા દાયકાઓની તવારીખ છે. વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલશાસ્ત્રનો પણ હવે એક ગાળો પસાર થયો છે. મુદ્દો એ છે કે આ બધાને છેડે આર્થિક-સામાજિક વિકાસ અને સમતાની કસોટીએ આપણે ક્યાં ઊભા છીએ. વિકાસનો ઢોળ ચડાવેલું હિંદુત્વ ૨૦૧૪માં દિલ્હી દરબારમાં બેઠું ન બેઠું અને પરવાનો તાજો કરવાનું ટાણું આવતે આવતે અપેક્ષિત દુબારા-દુબારાના ફુગ્ગામાં, કેમ કે ‘વિકાસ ગાંડો થયો છે’, એકદમ જ કાણું પડતું લાગ્યું એના વારણની લાયમાં આ નવા આરક્ષણની આર્થિક રીતે નબળા હોવાને ધોરણે આરક્ષણની વાત આવી પડી છે.
પોતપોતાને છેડેથી ઊભરેલાં યુવા વ્યક્તિત્વ, હાર્દિક અને જિજ્ઞેશ, હમણેના ગાળામાં ચાલુ સત્તા-પ્રતિષ્ઠાન સામે પડકારનાં પ્રતીક તરીકે ઊભર્યાં એનો આ ફૉલ આઉટ છે. તમે દેખીતી રીતે જ એની એક સંમિશ્ર પ્રતિક્રિયા કે પ્રતિભાવ રૂપે ભા.જ.પ.ના શીર્ષ નેતૃત્વની આ નવ્ય અનામત ચેષ્ટાને ઘટાવી શકો. સંમિશ્ર એટલા માટે કે અનામત જોગવાઈના મૂળ લૉજિકને પડકારનારા અને સ્વીકારનારા એમ બેઉ છેડા અહીં જોડાઈ જતા માલૂમ પડે છે.
ભા.જ.પ.ના આ છેવટ ઘડીના ગુગલી જુમલા અને હુમલા સામે વિપક્ષ કને પણ પ્રોસીજરલ આડીતેડી જેવા નકો નકો વિરોધવ્યૂહ સાથે સરવાળે સંમત થઈ જવા સિવાયનો વિકલ્પ નથી એ સમજી શકાય એવું છે. આપણાં પ્રતિનિધિગૃહો માટે અનામત બેઠકોની જોગવાઈ દર નિયત મુદતે વધારવામાં એ સૌ સાથે જ હોય છે ને. જેમ કિસાનોની દેવાનાબૂદી, લોનમાફી વગેરેમાં પણ તમે જોશો કે ઘટતા વિરોધ અવાજો પછી અને છતાં દરેક સત્તાપક્ષ એ પંથના પથિક છેવટે તો બની રહે છે.
તો, વાત તો જાણે કે સાફ છે કે આપણા સામાજિક હાડમાં પચી ગયેલ ગેરબરાબરી અને નાતજાતગત અન્યાય બાબતે નિવારણ વિના સ્વરાજ બેમતલબ છે. આ દૃષ્ટિએ અનામતથી માંડી દેવામાફી સહિતની જોગવાઈઓની એક ભૂમિકા ખસૂસ છે.
પણ, કાશ, આટલેથી જ વાર્તા પૂરી થઈ શકતી હોત! જ્યાં સુધી ખેડૂતોને ઋણરાહત પ્રકારના પ્રશ્નો છે, મૂળમાં જઈ નીતિ વિષયક પરિવર્તન વિનાની થાગડથીગડ કારાવાઈઓથી તત્કાળ રાહત મળતી હશે, નિયતિ તો એ જરીપુરાણી અને જરીપુરાણી જ રહે છે. પણ હમણાં આપણે એ ચર્ચામાં નહીં જતા અનામત જોગવાઈ પર લક્ષ કેન્દ્રિત કરીએ તો આ જોગવાઈ છતાં જાહેર નોકરીઓ ને કામગીરીઓમાં ફાળવાયેલા ટકાવારી વણભરાયેલી રહે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે. ખાનગી ક્ષેત્રે સવાલ ઊભો રહે એ તો જાણે કે સમજ્યા, પણ જાહેર ક્ષેત્રમાં જો આ સ્થિતિ હોય તો એમાં જે પણ કારણો હોય એક અર્થ નક્કી છે કે તંત્રોમાં જે માનસિકતા કામ કરે છે તેમાં એમની બાદબાકીનું ધોરણ સ્થપાયેલું છે. જાહેર ક્ષેત્રમાં આ સ્થિતિ હોય તો ખાનગી ક્ષેત્રમાં શું હશે અને કેમ હશે એ ચર્ચા જ અસ્થાને છે. આખી બાબત નકરી ચર્ચાના દાયરામાંથી નીકળી જઈ એક પ્રજા તરીકે આપણને ચિંતા અને સક્રિય નિસબતના ઇલાકામાં લઈ જાય છે.
હવે સૂચિત નવી અનામતની વાત. સવાલ આ છે : બીજાઓને આપી દીધું, અને અમે રહી ગયા એવી ખરીખોટી ફરિયાદના જવાબ તરીકે એક મનોવૈજ્ઞાનિક પાસાથી વધુ એનો કોઈ માયનો છે ખરો? આપણે જેને નવી આર્થિક નીતિ તરીકે ઓળખીએ છીએ એનું વલણ જાહેર ને સરકારી ક્ષેત્રના ઉત્તરોત્તર સંકોચનનું છે. તેથી જે ઘટતી નોકરીઓ છે એની સામે વધુ ઉમેદવારોને સમાવવાનો તકાજો છે. બીજું, ખાનગી ક્ષેત્ર તો હાલની અનામતની જોગવાઈઓ બાબતે અમથું પણ બંધ છે.
જે યુવા નેતૃત્વે (અને વાસ્તવિક લોક અંજપાએ) સત્તાપક્ષને આ નવા જુમલા વાસ્તે પ્રેર્યો તેણે હવે હરખની હેડકીએ કે ઊલટ પક્ષે આ ચેષ્ટાની લોલીપોપ તાસીર બોલી બતાવવાએ અટકવાપણું નથી. છૂટાછવાયા ઉદ્ગારો કે તત્કાળ ટિપ્પણીઓ અને બાઈટની બડઘટાડી કે તેજતર્રાર ટિ્વટમારીથી હટીને અને ઊંચે ઊઠીને આમૂલ નીતિપરિવર્તનનો આગલો મોરચો ખોલવો ઘટે છે. અનામત વિચારની ચોક્કસ ભૂમિકા સ્વીકાર્યા પછી અને છતાં સમજવું રહે છે કે (૧) સમાજસુધારાની સઘન ચળવળ અને માનસિકતા પરિવર્તન વિના મજલ કપાવાની નથી; (૨) આખો સમાજ કંઈ નોકરિયાતોનો સમાજ હોઈ શકવાનો નથી. નાનીમોટી સ્વયં રોજગાર સંભાવનાઓનું વિતરણ જરૂરી હોવાનું છે. ચંદ્રભાણ પ્રસાદ દલિત કૅપિટલિઝમમાં જે ઉગાર શોધે છે તે આજની વ્યવસ્થા એટલે કે અનવસ્થામાં સમજી શકાય એવો છે. માત્ર, કોર્પોરેટવાદમાં નહીં સરી પડતાં આ દિશામાં વિચારવું રહે છે.
આજના કોર્પોરેટવાદમાં અંતર્નિહિત નવ્ય સવર્ણવાદ સામે વ્યાપક લડાઈની તાકીદ સામી ભીંતે બેનર હેડલાઈન પેઠે લખાયેલી છે; એ ન વાંચવી હોય તો જ ન વંચાય એટલી દૈત્યકાળ છે. ૧૯૯૧ની નરસિંહરાવ મનમોહનસિંહની નવી આર્થિક નીતના વડા લાભાર્થીઓ અને અણ્ણા આંદોલનના વડા લાભાર્થીઓના બરની વાત આ નથી. જરી વધુ સમજપૂર્વક આર્થિક-સામાજિક નીતિનિર્ધારણ અને કાર્યાન્વયનો પ્રશ્ન આ છે. સંસદની મેરેથોન ટોકેથોનમાં એનાં ઈંગિતો છેક જ નથી ને નહોતાં એવું કહેવાનો આશય નથી. પરંતુ ઘડિયાં લગન અને જુમલાશાઇ અફરાતફરીમાં આવાં ઇંગતો હોય તો પણ નથી પકડાતાં તે નથી પકડાતાં.
દરમ્યાન, પાપપુણ્યની બારીમાંથી પસાર થવા જેવા આ પ્રજાસૂય પડકારની પળે સમજી લઈએ કે હિંદુત્વ વત્તા વિકાસના ચૂંટણીવ્યૂહ અને કૉંગ્રેસ વત્તા ગાયની શાસનશૈલી, હવે રોકડો જવાબ અને સીધો પડકાર માગે છે. ધારો કે ભા.જ.પ.નો પરાજય થયો તો પણ સામે પક્ષે એના જેવી જુમલે સે જુમલે શૈલીએ અગર તો જવાબી જુમલા માત્રથી જનસાધારણનો જયવારો થવાનો નથી. કબૂલ કે મે ૨૦૧૯ આડે થોડા મહિના (અને ચૂંટણી જાહેરાત આડે થોડાં અઠવાડિયાં) માંડ રહ્યા હોય ત્યારે વ્યૂહાત્મક અભિગમ અગ્રતા માગે છે, તેમ છતાં –
જાન્યુઆરી ૧૦, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 03