ઉત્તર-પૂર્વમાં રંગ સૌ જાણે બદરંગ, અને કેવળ કેસરિયો! પ્રશ્ન એ નથી, આ ચૂંટણી નાની હતી કે મોટી; પ્રશ્ન એ છે કે આપણાં ત્રણ રાજ્યોની ચૂંટણી હતી – અને એ ચૂંટણી સ્તો છે જેનાં ઇંધણથી આપણી સંસદીય લોકશાહીની ગાડી ચાલે છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તાની ગાડીમાં આ ચૂંટણી થકી પૂરતું ઇંધણ ભરી લીધું છે. જેમને આ ચૂંટણીનું મહત્ત્વ બરાબર સમજાયું નહીં એમની ટાંકી ખાલી ખટાક પડી છે.
એ વાત અલબત્ત વિવાદાતીત છે કે હાલના દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કહેતાં જે સમજાય છે તે વાત ‘નશા’ની છે. મને ક્યાંથી મળ્યો હશે આ ‘નશા’નો ખયાલ? ભાઈ, વડાપ્રધાનને જે ખેલ પસંદ છે, શબ્દોનો, એમાંથી સ્તો મારો ‘નશા’ સાથે મેળાપ થયો છે : નરેન્દ્ર મોદીનો ‘ન’ અને અમિત શાહનો ‘શા’. બે મળ્યાં કે નશા હી નશા ! જો તમે આ ‘નશા’ને બાદ રાખીને વિચારો તો હાલ દેશના પૂરા કદનાં ૨૯ રાજ્યોમાંથી ૨૦માં સુવાંગ પોતાની કે મેળવણીની અને કેન્દ્રમાં પૂર્ણ બહુમતની સરકાર ચલાવતી ભારતીય જનતા પાર્ટી શૂન્ય થઈ જશે. એટલે પાર્ટી આ નશાને ઘટઘટ પીધે જાય છે. આ નશાને ઓર નશીલો બનાવી શકે તેવા જે કોઈ, જ્યાંક્યાંયથી, જે પણ રીતે અને જે પણ કિંમતે મળે તે આ પાર્ટીને મન સોનાના છે.
સંસદીય લોકશાહીના શરૂઆતી દોરથી જ એ ચલણ રહ્યું છે કે જે ચૂંટણી જિતાડી શકે તે જ સૌથી મોટો સર્વમાન્ય નેતા! નેહરુ કુટુંબ આરંભથી આ જ કરતું રહ્યું, અને સર્વમાન્ય બની રહ્યું. જેમ જેમ એનો આ જાદુ તૂટતો ગયો તેમ તેમ આ પરિવારનો દબદબો ઓસરતો ગયો. દેશના બીજા કોઈપણ પક્ષમાં બીજા કોઈ જવાહરલાલ કે નેહરુગાંધી કુટુંબ પેદા નથી થયાં. વારાફરતી કોઈક વાર આણે, કોઈક વાર તેણે ચૂંટણી જીતી કે જિતાડી, પણ એ ચમક આગિયાથી અદકી નહોતી. હાલ જે નશાની જિકર કરી તે પણ હજુ ૨૦૧૪થી જ ચઢ્યો અને ચઢતો રહ્યો છે. વચમાં એકબે ઝોલા જરૂર પડ્યા પણ એને ‘હૅંગ ઑવર’થી વધુ માનવાની જરૂર નથી. એેમાં કોઈ શક નથી કે ૨૦૧૪થી આજ સુધી એકોએક ચૂંટણી પાછળ ‘નશા’એ ‘તન-મન-ધન’ની જે ધૂમ બોલાવી છે એની જોડ જડવી મુશ્કેલ છે. ‘સત્તા મેળવવાનું બહુ આકરું હોય છે, અને એ ટકાવવાનું એથી પણ આકરું હોય છે’ એ ઉક્તિ ‘નશા’માં મૂર્તિમંત અનુભવાય છે. હજુ કેટલાંક રાજ્યો બચ્યાં છે જે ‘નશા’ગ્રસ્ત નથી. તે રાજ્યોમાં પણ ‘નશા’ની પોતીકી શૈલીની ગતિ બરાબરની છે. ચૂંટણીનિષ્ણાતો જાણે છે અને કહે છે પણ ખરા કે બાકી રાજ્યોમાં પણ નશો આમ જ ચડશે. એમનું કહેવું દુરસ્ત જ હશે, કેમ કે નશો કરનારા ને ‘નશા’ની સંગતમાં રહેનારાઓ બરાબર જાણતા ને કહેતા હોય છે.
પણ શું તમે દેશને પણ ‘નશા’ ખાતે ખતવી શકો છો? શું સંસદમાં બહુમતી મેળવવી કે રાજ્યોમાં સરકારો રચવી તે દેશનાં નિર્માણ અને ગતિપ્રગતિના પર્યાયરૂપ છે ? શું ચૂંટણીગત હારજીતનાં ઇંધણથી જ દેશ ચાલે છે ? જો દેશ પક્ષોથી અલગ કોઈ મોટો એકમ નથી તો એવું કેમ છે કે છેલ્લાં સિત્તેર વરસથી પક્ષો જીતતા રહ્યા છે ને દેશ હારતો રહ્યો છે. અને જો આપણે ઠંડા દિમાગથી વિચારીશું તો જણાશે કે છેલ્લાં સિત્તેર સિત્તેર વરસથી વિચારધારાકીય ખીચડી જેવી કૉંગ્રેસથી માંડીને ડાબેરી, જમણેરી, જાતેરી, પ્રદેશેરી તમામ કિસમના દાવેદારોને આપણે કેન્દ્રથી લઈ રાજ્યો લગી અજમાવ્યા છે … બધા એક જેવા નીકળ્યા કે એકબીજાથી બૂરા ! દેશ જે તત્ત્વોથી બને છે અને ચાલે છે એ તત્ત્વોની કસોટીએ જોઈએ તો આપણા હાથમાં, છેવટે, આવે છે શું?
નાગાલૅંન્ડની વાત કરો. દેશના સૌથી વિપન્ન રાજ્યોમાં એ ખતવાય છે, પણ અબી હાલની ચૂંટણીમાં ત્યાં ૧૯૬ ઉમેદવાર પૈકી ૧૧૪ કરોડપતિ હતા. બીજે છેડેથી એ પણ નોંધી લઈએ કે આ ૧૯૬ પૈકી કેવળ ૫ જ મહિલા ઉમેદવાર હતી. ડાબેરી વાવટો જ્યાં બે દાયકા કરતાં વધુ સમયથી લહેરાતો આવ્યો હતો ત્યાં ૨૯૭ ઉમેદવારોમાંથી ૩૫ કરોડપતિ હતા. મેઘાલયનો સમાજ માતૃસત્તાક છે, અને લગ્ન પછી ત્યાં પતિ પત્નીને ત્યાં રહેવા જાય છે તેમ જ બાળકો માતાની રાહે ઓળખાય છે. ઘરમાં સૌથી નાની દીકરી, પૈતૃક સંપત્તિની વારસ લેખાય છે. આ રીતે (નારીપ્રધાન જેવો) મેઘાલયનો સમાજ છે, પણ એની રાજનીતિ ? ૧૫૨ કરોડપતિઓ સહિતના કુલ ૩૭૨ ઉમેદવારોમાંથી મહિલા ઉમેદવારો કેવળ ૩૩ જ હતી. આ વાસ્તવિકતાને તમે આપણી નવી રાજકીય સંસ્કૃિતની ઘોષણારૂપે ઘટાવી શકો! આ બીનાની બુનિયાદ દિલ્હીમાં પડેલી છે : લોકસભાના સભ્યોની સંપત્તિગત સરેરાશ ૧૪ કરોડની છે. લોકસભાના ૫૨૫ સભ્યોમાં ૪૪૨ કરોડપતિઓ છે જે સૌ ૨૦૧૪નો અત્યાર સુધીનો સૌથી ખર્ચાળ ચૂંટણી જંગ જીતીને આવ્યા છે. હવે, એ તો આવી આપણી સંસદ અને આવાં આપણાં વિધાનગૃહો દેશ અને સમાજના વિકાસને કેવે ચશ્મે જોશે ? એક જમાનો હતો જ્યારે દેશનો સૌથી ગરીબ માણસ આપણી સામે પડકારરૂપે ઉભરતો હતો, કેમ કે ગાંધીએ એમાં જ કસોટીનું તાવીજ જોયું હતું. આજે જળ હો કે જમીન અગર જંગલ કે પછી એકંદર વાયુમંડળ એ જ સૌથી દીનહીન જણ આપણા નિશાન પર છે – સકારાત્મક કાર્યપડકારરૂપે નહીં પણ શિકારરૂપે!
વિકાસ જેનું નામ તે શોધ્યો જડતો નથી, સિવાય કે જે પણ નજરે પડ્યું એને તમે વિકાસ માની લો. વિકાસના મોટાદઈત આંકડા જરૂર મળે છે, પણ આપણે પામી ચૂક્યા છીએ કે આંકડા પોતે કરીને કોઈ સત્ય નથી. સત્તામાત્ર કને આંકડાઓનું આગવું કારખાનું હોય છે જે મરજી મુજબ સગવડિયા આંકડા બેહિચક પેદા કરતું રહે છે. જ્યારે લોકો થકી પ્રાપ્ત થતી સત્તા સરકારોને અપૂરતી લાગે છે ત્યારે તે કાયદા બનાવી પોતાના હાથમાં અસીમ સત્તા અને અધિકારો કેન્દ્રિત કરવા લાગે છે, અને (ચાલુ ચૂંટણીકારખાને) લોકશાહી ઉત્તરોત્તર નિષફળતાની દિશામાં હાંફવાદડવા લાગે છે.
કોઈ પણ સમાજ આખરે તો એકતા અને સમરસતાની પોતાની તાકાતથી ઘણીખરી મુશ્કેલીઓનો સામનો કરી લેતો હોય છે. પણ તમે જ્યારે આ એકતા અને સમરસતાને ખુદને જ નિશાન બનાવો છો ત્યારે સમાજ શ્વાસ ખોતો ચાલે છે. આપણને ગુલામ બનાવવામાં ને ગુલામીને સતત મજબૂત કરવામાં આવી જ રણનીતિ પૂર્વે પ્રયોજાઈ હતી. આજે બીજી રીતે એ જ રણનીતિ કાર્યરત છે : ન તો સપનાં બચ્યાં છે, ન તો પ્રતિબધ્ધતા ને પાયાગત પ્રામાણિકતા ! બચ્યા છે તો માત્ર એ જ ચૂંટણીઆંકડા જેના વડે સૌ ખેલી રહ્યા છે અને દેશ તૂટી રહ્યો છે.
(‘सप्रेस’ના સદ્ભાવથી)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 01-02