૨૫ જૂન, ૨૦૧૭. સ્થળ : શ્રીનગર, કાશ્મીર. ઘડિયાળના કાંટા (સાંજના) સાડા પાંચનો સમય દર્શાવતા હતા. દાલસરોવરની પાળે એ ઊભી હતી. હું – અમે રસ્તો પાર કરીને સામે પારની ફૂટપાથ પર પહોંચ્યાં. રિમ્મીએ કહ્યું આ છે રાફિયા … પહેલી નજરે જ મનમાં વસી જાય એવી દીકરી. એ વકીલાતનું ભણી ઊઠી છે, એવું સાંભળીને મારી આંખો સમક્ષ મારી દીકરી ખડી થઈ ગઈ. એ ય વકીલ છે. કંઈક સંદર્ભ રચાઈ જાય છે. થોડીવાર સરોવરની પાળે બેસીએ છીએ. પછી ખરીદી કરવા એની સંગાથે નીકળીએ છીએ. મારે સૃષ્ટિ-ખુશી (મારી દીકરીઓ) માટે પોન્ચાની ખરીદી કરવાની છે. એક દુકાનમાં પહોંચીએ છીએ. કાશ્મીરી પરંપરાના એ વસ્ત્ર પોન્ચાનાં રંગ, કલાકારી, માપ નક્કી કરવામાં એણે મને મદદ કરી. ‘જુઓ આ રંગ, આ ભાત, તમારી દીકરીઓને શોભાવી દેશે’, એવો એનો આંખનો પલકારો ઊંડાણવાળો, ખાતરીપૂર્વકનો લાગ્યો. એમાં એવું પણ આશ્વસાન હતું કે દુકાન પરિચિતની છે. વધારે ભાવ નહીં લે. ખરીદી પૂરી કરીને અમે એના ઘરે જવા આગળ વધીએ છીએ. વાંકીચૂંકી ગલીઓમાં લગભગ બધું શાંત છે. એ આગળ, અમે પાછળ … એ વચ્ચે-વચ્ચે પાછું વળીને જોઈ લે છે, ‘આમ આગળ આવો’ એવું સૂચવવા જ તો. પાંચ-સાત મિનિટમાં અમે તેના ઘરે પહોંચી જઈએ છીએ. એનાં મા આવે છે, પરસ્પર પરિચયનો દોર ચાલે છે. મહેમાનનવાજી, પરોણાગત થયાં, બીજી વાતો થઈ …
અરે હા … યાદ આવ્યું. મેં કહ્યું જ નહીં કે હું – અમે શ્રીનગરમાં કેમ ગયાં હતાં? વાત આમ હતી. તા. ૨૨થી ૨૬ જૂન દરમિયાન, જમ્મુ-કાશ્મીર ટૂરિઝમના આમંત્રણથી ત્યાં ગયાં હતાં. સાથમાં પ્રકાશભાઈ (ન. શાહ) રમેશભાઈ ઓઝા, પ્રા. સંજય ભાવે અને અડધી કાશ્મીરી બની ગયેલી રિમ્મી વાઘેલા. હેતુ સ્પષ્ટ હતો. એક, કાશ્મીર વેલીમાં બનતી ઘટનાઓને ખાનગી ન્યૂઝચૅનલો ૨૪ ટુ ૭ દર્શાવીને સમાચારોનો જે ઓવરડોઝ આપે રાખતી હતી તે ચિત્ર આખા રાજ્યનું નહોતું અને બીજી વાત એ કે આવા કથિત ઓવરડોઝથી ત્યાંનું મહત્ત્વપૂર્ણ પ્રવાસન-અર્થતંત્ર રીતસરનું ભાંગી પડ્યું હતું. આ બંને સ્થિતિને, સમાજના એક હિસ્સા તરીકે જોવી, જાતતપાસ કરીને મૂલવવી. શક્ય હોય તો, એને પ્રજા સમક્ષ મૂકવી એમ જાણીતા આર.ટી.આઈ. ઍક્ટિવિસ્ટ અને ટ્રાવેલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ફારૂક કૂથુએ સૂચવ્યું હતું. કૂથુ આ પ્રવાસના એક ઇજનકર્તા પણ હતા.
૨૨મીએ અમદાવાદથી નીકળ્યાં, ઢળતી બપોરે શ્રીનગર પહોંચ્યાં, ૨૬મીએ ખરે બપોરે શ્રીનગરથી પરત થયાં તે દરમિયાન શ્રીનગર, કારગીલ, દ્વાસ, સુરુવેલી, ગુલમર્ગ, ટન્ગમર્ગમાં લાંબુ-ટૂંકું રોકાણ, નિશાતબાગ – ચશ્મેશાહી, દાલસરોવર, નયનરમ્ય કારગીલના વાતાવરણને અનુભવ્યું. તો મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીથી માંડીને જમ્મુ-કાશ્મીર વિધાનપરિષદના અધ્યક્ષ એનાયતઅલી, ફારૂક કૂથુ ઇબ્રાહીમ શેખ, પરવેઝખાન, અન્ય ધંધાર્થીઓ, ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથેની વાતચીત, માહિતીનું આદાન-પ્રદાન થયું. ત્યાં રોકાયા તે બધા દિવસ તંગદિલીવાળી – જાન લેનારી ઘટનાઓ પણ બની. અલબત્ત, શ્રીનગરના એકાદ ખૂણે બનેલી કમનસીબ ઘટનાઓનો એવો ભયાવહ ઓછાયો દાલસરોવરની પાળે કે અન્ય બજારોમાં વર્તાયો નહીં. હા, અમદાવાદથી ફોન આવે અને ચિંતાજનક સ્થિતિનું વર્ણન થાય એવું બનતું. કેમ કે અમદાવાદમાં બેઠેલાં પરિવારજનોનો મદાર ટીવી ચૅનલો પર હતો.
ખેર, ત્યાં ગયો તો સમજાયું કે મામલો પેચીદો છે. રાજકીય, લશ્કરી ઉકેલો, એમાં નફા-નુકસાન પણ છે. ૧૯૪૭માં જે વાત ભૌગોલિક વિભાજનની હતી, તે ૨૦૧૭માં વકરીને કોમી (કૉમ્યુનલ) પણ બની ગઈ છે, કદાચ વધુ ઘેરી બની છે. એને આતંકવાદનો પાસ લાગ્યો છે. કાશ્મીર મુદ્દે અમુક વાત કરો તો રાષ્ટ્રપ્રેમી અન્યથા દેશદ્રોહી, એવાં લેબલ-સ્ટીકર લાગવાં સહજ બન્યાં છે. આવા દિવસોમાં બહોળા પ્રમાણમાં ખુલ્લા દિલ-દિમાગથી, પૂર્વગ્રહ-આગ્રહ, હઠાગ્રહ છોડીને શાંતિને, વિશ્વાસને કાયમ કરવાનાં છે, એવું લાગ્યું. અલબત્ત, કાશ્મીર વિષયને સમજવા માટે તો મારે ઘણું જાણવું-સમજવું પડે તેમ છે.
મને લાગ્યું તે એ કે સૌથી મોટો અભાવ વિશ્વાસનો છે. આજે કોઈ વિશ્વાસ મૂકતાં પહેલાં સામેવાળાનો – એનો ધર્મ જાણવા મથે છે. હિન્દુ-મુસ્લિમ એ જ ઓળખની ફૂટપટ્ટી. એના આધારે જ શિવરામ શબ્બીરને મૂલવવાનો. સરકાર નિષ્ફળ છે, સમાજ સ્પષ્ટ રીતે બહાર નથી આવતો, મુઠ્ઠીભર અરાજકતાવાદીઓ પરિસ્થિતિનો કબજો લઈ બેઠા છે. છતાં ય મહેબૂબા મુફ્તીની એક વાત મનને સ્પર્શે છે – ઇન્વેસ્ટમેન્ટ ઇન પીસ. શાંતિમાં મૂડીરોકાણ સાવ કાઢી નાખવા જેવી વાત નથી.
ન્યૂઝ ચૅનલોના પ્રચારથી સૌથી મોટી આડઅસર પ્રવાસન તંત્રને થઈ છે. પ્રવાસીઓ, ખાસ કરીન ગુજરાતમાંથી જતા પ્રવાસીઓમાં એંસી ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ટૂરિઝમ સાથે સંકળાયેલા અધિકારીઓ, ધંધાર્થીઓ કહેતા હતા કે બેસ્ટ ટ્રાવેલર્સ એવા ગુજરાતીઓએ અમારાથી મોં ફેરવી લીધું, એ અમારા માટેની દુઃખદ ઘટના છે. એમનું કહેવું હતું કે અહીં આવો ને જુઓ કે પરિસ્થિતિ મીડિયામાં રજૂ થાય છે, તેવી વિકટ નથી. અમારી શાખ છે કે ક્યારે ય કોઈ ટૂરિસ્ટ સાથે દુર્વ્યવહાર થયો નથી. કમનસીબ ઘટનાઓ બની છે, બને છે, એ પણ સાચું પણ તે ચોક્કસ વિસ્તારો પૂરતી સીમિત છે. પથ્થરબાજો માઇનોરિટીમાં છે પણ પબ્લિસિટી મેક્સિમમ થાય છે. સેંકડો-લાખો યુવાનો, બાળકો રમે છે, ભણે છે, નવું કરે છે એની વાત ભાગ્યે જ થાય છે. સ્થાપિત હિતો નથી ચાહતા કે પ્રશ્નનો ઉકેલ આવે.
હા, ચાલો પેલી મૂળ વાત પર આવું – રાફિયાની જ તો. એના પિતા વ્યવસાયે વકીલ હતા. માનવ-અધિકાર બાબતે લડતા રહેતા. કાશ્મીરમાં એક જ દહાડે છ વકીલોની હત્યા થઈ, એમાંના એક તેઓ પણ હતા. કોણે કરી એમની હત્યા? આજ દિન સુધી ખબર પડી નથી. વીંખાયેલા પરિવારની દીકરી રાફિયા કંઈક મજબૂતાઈથી અંતે પિતાના પગલે આગળ વધી છે. લક્ષ્ય માનવઅધિકારનું છે.
ઇફ્તારીનો સમય ઢૂંકડો આવતો હતો, એટલે અમે રાફિયાને કહ્યું, ચાલો નીકળીએ. ઊભાં થયા ત્યાં એનાં પ્રેમાળ મા તાસક ભરીને બદામ-ચૉકલેટ લઈ આવ્યાં. અમે એ સ્વીકારી. એનું ઘર છોડીને હોટલે જવા નીકળતાં મેં ગજવામાંથી રૂપિયા ૧૦૧ કાઢ્યા, પણ મનમાં થયું કે શું કહીને એ આપીશ? જો કે રાફિયાના હાથમાં એ મૂકતા વેંત જ મારાથી સહજ રીતે એટલું જ બોલાયું ‘આ ઈદી છે … ઇદ મુબારક!’ એના મુખ પર સ્મિત ધસી આવ્યું, આંખો હસી ઊઠી.
આવજો કહીને અમે ચાલી નીકળ્યાં. એને છેલ્લીવારનું આવજો કહી શેરીમાં આગળ વધ્યો, ત્યારે મનોમન કહેવાઈ ગયું ‘રાફિયા, આ મારું મૂડીરોકાણ છે, વિશ્વાસમાં રૂપિયા ૧૦૦ની નોટ પર અંકિત ગાંધીછબી અને રાજમુદ્રા લેખ ‘સત્યમેવ જયતે’ની સાક્ષીએ.’
હોટલ પર પહોંચ્યો, ત્યારે અમદાવાદથી – ઘરેથી દીકરીનો ફોન આવ્યો. તેણે પૂછ્યું કે આજે બીજ જોઈ? એ દિવસે અષાઢી બીજ હતી, અમદાવાદમાં રથયાત્રાનું પર્વ હતું. એનું મનોમન સ્મરણ કરતાં સ્મૃિતઓની બારસાખ પર મેં વિશ્વાસ, પ્રેમ, લાગણી, શાંતિની ઝંખનાના થાપા લગાડવાનો પ્રયાસ કર્યો.
એનું પ્રથમ ચરણ એ રાફિયાને આપેલી ઈદી છે!
અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2018; પૃ. 04-05