માત્ર કાવ્યો પર જ કેન્દ્રિત હોય એવા ઘણા કાર્યક્રમો થતા રહે છે અને એમાં ઑર્ગેનાઇઝરો ધૂમ કમાય છે; પરંતુ એ કાવ્ય, ગીત કે ગઝલ રચનારા કવિ સુધી એ કદરનો હિસ્સો પહોંચે છે?
‘અચ્છા તો તમે કવિતા લખો છો. સરસ. ખૂબ સરસ. પણ કામ શું કરો છો?’ મોટા ભાગના કવિઓ અને લેખકોએ પોતાના પરિચય સાથે આવાં વાક્યો ચિક્કાર વાર સાંભળ્યા હશે. લખવું, એમાં ય કવિતાઓ લખવી એ કંઈ કામ ન ગણાય એ વિચાર વર્ષોથી દૃઢતાપૂર્વક સમાજના માનસ પર વ્યાપેલો છે. જો કે ઓછા શબ્દોમાં અદ્ભુત રીતે ઊંડી વાતો, વિચારો, સંવેદનો અને કટાક્ષો કરવામાં કાવ્યોની તુલના થઈ જ ન શકે. કાવ્ય ભલે કોઈ પણ સ્વરૂપમાં કેમ ન હોય. ગદ્ય, પદ્ય, છંદ, સૉનેટ, ગઝલ, ગીત કે ભજન જેવા અઢળક પ્રકારોમાં વ્યાપ્ત કાવ્યોની ખૂબીઓએ એની લોકપ્રિયતા ઘટાડી નથી. ઇન ફૅક્ટ, સોશ્યલ મીડિયાને કારણે આ કાવ્યો વધુ ઉત્કટતાથી લોકભોગ્ય બની રહ્યા છે. જો કે પ્રશ્ન છે કે કાવ્યરચનાનો વધતો દબદબો એના રચનાકારને કોઈ રીતે ઉપયોગી નીવડ્યો છે? જવાબ છે, ના. ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં આ વાત સાવ સાચી છે. કલમજીવી અને ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોમાં કલમકશ લોકો ઓછા થતા જાય છે. બરકત વીરાણી કહેતા કે ‘કલમને વેચી દેવાનો ય વખત આવે છે બેફામ, બહુ કપરું છે જીવવું કરમાં કલમ લઈને.’
આજે હિન્દી, બંગાળી અને મરાઠી કવિઓને તેઓ જે સામાજિક અને આર્થિન સન્માનના હકદાર છે એ સન્માન ઘણા અંશે પ્રાપ્ત થઈ રહ્યું છે, પરંતુ ગુજરાતી કવિઓ અને રચનાકાર માટે એ બાબતમાં જોઈએ એટલી જાગૃતિ નથી. કોઈ પણ રચનાકારને જ્યારે કદર મળે છે ત્યારે સાહિત્યિક રચના માટેનો તેનો ઉમળકો બેવડાતો હોય છે, અને સાહિત્યિક સમૃદ્ધિ પણ એની સાથે જ વધતી હોય છે. આજે વિશ્વ કવિતા દિને કેટલાક જાણીતા કવિઓ સાથે થોડીક ગુફ્તગો કરી ત્યારે કાવ્યરચનાથી લઈને કવિઓની કદર વિશે જાણવા મળેલી વાતો અહીં રજૂ કરીએ છીએ.
કવિતા ગાઈ-ગાઈને ગવૈયાઓ અણુમાંથી ઘણું થઈ ગયા અને કવિઓ … ?
—: શોભિત દેસાઈ
કવિ તરીકે પેટ ભરવું શક્ય નથી, કારણ કે કવિઓ સાથે વર્ષોથી અન્યાય ચાલી રહ્યો છે. ખૂબ જ આક્રમક અને સચોટ શબ્દોમાં જાણીતા કવિ શોભિત દેસાઈ કહે છે, ‘મેં તો આજથી લગભગ બારેક વર્ષ પહેલાં રમેશ પારેખ અને મરીઝની જિંદગી પર એક નાટક લખેલું, ‘એક ખોબો ઝાકળનો’. એમાં રમેશ પારેખને વ્યથાપૂર્ણ કહેતા દેખાડેલા કે અમારી કવિતા ગાઈ-ગાઈને આજકાલના લવરમૂછિયાથી લઈને સંગીતના પુરાણા પઠ્ઠાઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા. અણુમાંથી ઘણું થઈ ગયા, પણ અમે તો એયને બેઠા રહ્યા ત્યાં ને ત્યાં અમારી ઉદાસીને પંપાળતા-પંપાળતા. એ સમયે પણ મુદ્દો ઉછાળેલો, પણ પરિણામ ન આવ્યું.
આજે દુ:ખની વાત એ છે કે કવિઓ પોતાની કિંમત નથી જાણતા. પચીસ કવિઓએ ભેગા મળીને રૉયલ્ટી ક્લબ બનાવવી જોઈએ. વેણીભાઈ પુરોહિતનું ‘તારી આંખનો અફીણી’ સાઠ વર્ષથી ગવાય છે. વિશ્વમાં ફેલાયેલા સાત કરોડ ગુજરાતીઓ રોજના સો પ્રોગ્રામ કરતા હોય તો એ દરેક પ્રોગ્રામ આંખનો અફીણી ગીત વિનાનો નથી હોતો. એવી જ રીતે રમેશ પારેખનું સાંવરિયો ગીત, રાવજી પટેલનું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્ય, બરકત વીરાણીનું નયનને બંધ રાખીને ગીત, હરીન્દ્ર દવેનાં ગીતો જેવાં ગીતો વિના એકે ય ગુજરાતી સુગમ સંગીતનો પ્રોગ્રામ પૂરો નથી થતો. લગભગ દસ ગીતો તો ફિક્સ છે.
આ પ્રોગ્રામ માટે સંગીતના પઠ્ઠાઓ ચીરી નાખે એવા પૈસા લે છે. યાદ રહે, એ ગાયકી પર પૈસા નથી મળતા. આ કંઈ ક્લાસિકલ મ્યુિઝક નથી કે સૂર અને રાગના પૈસા અપાતા હોય, પણ શબ્દો પર પૈસા મળે છે. એ શબ્દો માટે દાદ મળે છે. અહીં તો કવિ બિચારો ત્યાં ને ત્યાં જ રહે. આ લોકોની કવિતા જે તમે ગાઓ છો તેને કેમ પૈસા નથી મોકલતા? ગુજરાતીમાં કવિ એટલે બિચારો પ્રકારનો, ગરીબ પ્રકારનો જ ગણાઈ રહ્યો છે. એમાં આ સ્ટેજના ગવૈયાઓએ કવિને ભયંકર એક્સપ્લૉઇટ કર્યો છે અને કવિ તેના માટે અવાજ નથી ઉઠાવી શકતો એ તેની બદનસીબી છે. આખા વિશ્વમાં પ્રોગ્રામો થાય અને તોતિંગ પૈસા લેવાય છે તો શું એવું ન થઈ શકે કે પોતાને મળતા કુલ પૈસામાંથી માત્ર દસ ટકા રકમ આવા દસ-વીસ કવિઓને કે તેમના પરિવારજનોને પહોંચાડવામાં આવે? પર્સન્ટેજ ઓછા રાખો, પણ આપો. ધારો કે તમને એક શોના બે હજાર ડૉલર મળતા હોય તો બસો ડૉલર તમે આ કવિઓ વચ્ચે ન વહેંચી શકો? અઢારસો ડૉલર તમે રાખોને તમારી પાસે. તે ડિઝર્વ કરે છે. આ દિશામાં હવે ગુજરાતની સૂઈ ગયેલી પ્રજાએ કવિતાની બાબતમાં જાગવું પડશે અને તેમણે પણ એ જવાબ માગવો પડશે કવિઓના અધિકાર માટે. માત્ર કવિઓના હાથની વાત આ રહી નથી.’
આ સમાજનું દાયિત્વ છે, સમાજે સમજવાનું છે
—: સિતાંશુ યશશ્ચંદ્ર
કવિ એટલે નખશિખ કવિ તરીકે જેમનો વ્યવહાર છે, જેમની આભા છે અને જેમની વાચા છે એવા સિતાંશુ યશશ્ચંદ્ર માટે આ વિષય થોડોક અભ્યાસક્રમની બહારનો છે. તેમનો કવિજીવ પોતે પૈસાની વાત પર બહુ વાત કરવા રાજી નથી થતો, છતાં તેઓ એક મહત્ત્વની બાબત પર ધ્યાન દોરતાં કહે છે, ‘કવિ માટે જાત સાથે પ્રામાણિક રહેવું, ભાષા સાથેની આત્મીયતા હોવી અને સંસ્કૃિત સાથેનો સ્નેહભર્યો ઊંડો નાતો હોય એ ત્રણ બાબત હંમેશાં મહત્ત્વની હતી અને આજ સુધી રહી છે. આજે આપણે ત્યાં ભાષા સાથે ચેડાં થવા માંડ્યાં છે. એક વાત મારે ખાસ કહેવી છે કે કવિ કોઈ વેપારી નથી. કાવ્યરચના તેના માટે અથોર્પાર્જનનું સાધન નથી. જીવનનિર્વાહ માટે માણસ તરીકે તે ઘણું કરી શકે છે, પણ કવિ તરીકે કવિતાઓમાં આવું કોઈ ધ્યેય ન જ હોય, હોવું પણ ન જોઈએ. હું કવિ તરીકે જે કરું છું એ મારી શોધનો એક ભાગ છે. જાણવાની, સમજવાની અને જેમાં ખલેલ પડે ત્યાં પડકારો ફેંકવાની આ યાત્રા છે. કવિતા વેચવાની નથી. કવિ તરીકે હું પોતે કવિતાઓમાંથી અથોર્પાર્જનનો વિચાર ન કરું; પરંતુ સામે પક્ષે સમાજની એ જવાબદારી ચોક્કસ છે જેમાં તેણે કવિની ગરિમાનું, કવિના અધિકારનું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિગત રીતે કલ્ચર ઇન્ડસ્ટ્રીનો હિસ્સો નથી એટલે આનાથી વધારે આ વિષય પર કંઈ કહી ન શકું.’
પોતાની રચનાનો જ્યારે પોતાની જાણ બહાર આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ થાય એ હર્ટ કરનારી બાબત છે
—: ખલીલ ધનતેજવી
ખેડૂત, લેખક, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને ઑલ ટાઇમ ગઝલકાર એવા ૮૩ વર્ષના ખલીલ ધનતેજવી માટે આ મુદ્દો ફાઇનૅન્સ કરતાં ઇમોશનનો વધુ છે. ખલીલભાઈ કહે છે, ‘આજે ગઝલ લખનારા લોકોનો નવો ફાલ આવ્યો છે. એમાં નવા લોકો આવ્યા છે, જેમાં કેટલાક સારા લેખક છે અને કેટલાકનાં કાવ્યોમાં કોઈ દમ નથી. જો કે હું બધાને જ કહું છું જે આવી રહ્યા છે તેમનો સ્વીકાર કરો. જેમ નદીમાં પૂર આવે ત્યારે કાંપ સાથે કચરો પણ આવે. જો કે પછી ધીમે-ધીમે કચરો નીચે બેસી જાય અને પછી ઉપરનું પાણી ચોખ્ખું હોય. બીજું, સદીઓથી આ ધારો રહ્યો છે, જેમાં લખનારા ૫૦૦ હોય પણ આગળ ૧૫ જ હોય. લોકપ્રિયતા ૧૫ની જ વિશેષ હોય. નવી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે અમે આ રીતે અમારા પ્રયત્નો કરતા રહીએ છીએ, પણ સાથે જૂના કવિઓની કાવ્યરચનાના બેફામ અને બેરોકટોક ઉપયોગ બદલ સમાજનું વલણ પણ બદલાવું જોઈશે.’
સાંવરિયો ગીત ગાનારી કે ગવડાવનારી એકેય વ્યક્તિએ રમેશ પારેખના પરિવારની પરવાનગી લીધી?
—: તુષાર શુક્લ
‘પૂછીને થાય નહીં પ્રેમ’ જેવાં અઢળક રસાળ ગીતો અને કાવ્યો આપતા કવિ તુષાર શુક્લની દૃષ્ટિએ આજના સમયમાં કલમજીવી બનવા માટે તમે માત્ર કાવ્યરચનાઓ રચીને સંતોષ માનશો તો ગુજરાન નહીં ચાલે. તમારે કલમની ચાહનાના અન્ય રસ્તાઓ પર કામ કરવું પડશે. આજે ઘણા લેખકો એ દિશામાં છે જ. કવિતાઓ લખનારા કવિઓ સાથે જાહેરખબરો માટે જિંગલ લખે, ફિલ્મો માટે ગીતો લખે અને નાટકો તથા ફિલ્મોમાં પણ લખે. તુષારભાઈ કહે છે, ‘આજે આપણે ત્યાં જાવેદ અખ્તર જેવા મહાનુભવોએ લેખકો અને ગીતકારોના અધિકારો માટે તેમની રચનાને કૉપીરાઇટ અંતર્ગત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, જે કવિઓ માટે જરૂરી છે.
તમે વિચારો કે ‘સાંવરિયો રે મારો’ કેટલા ય કાર્યક્રમોમાં ગવાયું હશે અને ગવાતંર રહે છે, પણ ક્યારે કોણે જઈને રમેશ પારેખના પરિવારની સહમતી લીધી? ‘તારી આંખનો અફીણી’ ગાનારા વેણીભાઈ પુરોહિતના પરિવારને જઈને સૌજન્યના ભાગરૂપે પણ કંઈક આપી આવ્યા હોય એવું મારા ધ્યાનમાં નથી. અહીં વાત માત્ર પૈસાની નથી, પણ ગીતકારના અધિકારની છે. જો મ્યુિઝક-ડિરેક્ટર પોતાના મ્યુિઝકની રૉયલ્ટી ગણીને પૈસા કમાતો હોય તો એમાં કવિઓ ક્યાં ય નથી આવતા? આ કવિનો અધિકાર છે. મારે એટલું જ કહેવું છે કે એ જ કાવ્યરચનાના આધારે તમે બેફામ પૈસા કમાઓ છો, દર વર્ષે એ પ્રોગ્રામનો ચાર્જ વધારતા જાઓ છો; પણ કવિની કોઈ પણ રચના કમર્શિયલ પફોર્ર્મન્સમાં ગાતી વખતે તેની પરવાનગી લેવા જેટલું સૌજન્ય પણ નથી રહ્યું.’
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 21 માર્ચ 2018