વડા પ્રધાનશ્રી, આમ ન બોલાય!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઝુંબેશ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભાષણમાં કરેલી બહુ જાડી અને મુખર વક્રોક્તિઓએ બંધારણ તરફની તેમની વફાદારીને તેમ જ તેમના પદની ગરિમાને ફટકો પહોંચાડ્યો છે. ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થઈ ગયા પછીના દિવસે એટલે કે દસમી ડિસેમ્બરે મોદીએ એમ કહ્યું કે પાકિસ્તાનના એક નિવૃત્ત લશ્કરી અધિકારી ગુજરાતની ચૂંટણીમાં બિનજરૂરી રસ દાખવીને અહેમદ પટેલને મુખ્યમંત્રીપદ માટે ટેકો આપી રહ્યા છે. તદુપરાંત, તેમણે ગુજરાતની ચૂંટણીઓના ગાળામાં જ કૉન્ગ્રેસી નેતા મણિશંકર ઐયરના ઘરે પાકિસ્તાની રાજદૂતના સાથેના એક પ્રતિનિધિ મંડળ સાથે થયેલી ગુપ્ત બેઠકની પણ વાત કરી. તેમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્ર પ્રમુખ હમીદ અન્સારી અને પૂર્વ લશ્કરી વડા વચ્ચે મસલતો ચાલી હતી.
વડા પ્રધાનના આ વિધાનનું મહત્ત્વ અચૂક અને ડરામણું હતું. તેમણે એક જ શ્વાસે કૉન્ગ્રેસ, પાકિસ્તાન અને મુખ્યમંત્રી પદ માટેના મુસ્લિમ દાવેદારની વાત કરીને સૂચવ્યું કે આ ત્રણે ય એક નાપાક જ નહીં પણ રાષ્ટ્રવિરોધી કાવતરાના ભાગીદાર છે. એક જ ઝાટકે તેમણે રાજકીય વિરોધીઓ પર દેશભક્તિ વિનાના હોવાનો થપ્પો લગાવી દીધો. વળી આ ખુદ વડા પ્રધાને કહ્યું. એટલે બધા જ ભારતીય મુસ્લિમોને પાકિસ્તાન તરફી અને ગુનાઈત શખ્સોના બીબાંમાં ઢાળવાનું જે શરમજનક રાજકારણ છે તેને હોદ્દાધારી પાસેથી વજૂદ મળ્યું. ભા.જ.પ. ચૂંટણી જીતે કે હારે, વડા પ્રધાનના બનાસકાંઠાના આ ભાષણ પર ઠરીને વિચાર કરવો રહ્યો.
વડા પ્રધાનનું જોરશોરવાળું ભાષણ કદાચ તેમને મતો લણી આપે. પણ તેનાથી તેમના પદનું ગૌરવ ખરાબ થાય છે, અને દેશનાં રાજકારણમાં ઝેર ફેલાય છે. પરિપક્વ બંધારણીય લોકશાહીમાં રાજકારણની રમતના વણલખ્યા નિયમો હોય છે. તેમાં ખેલાડીઓએ ખુદનું અને હરિફનું ગૌરવ સ્વીકારવું તેમ જ જાળવવું એવો પરસ્પર કરાર હોય છે. આ ધોરણોથી વિચારીએ તો દસમી ડિસેમ્બર અસ્વસ્થ કરનારો દિવસ હતો.
મોદી શાસનનાં ગયાં ત્રણેક વર્ષ દરમિયાન મુસ્લિમોને પરાયા, રાષ્ટ્રવિરોધી અને દુશ્મન ઠેરવતાં પાકાં ધર્મઝનૂની, અણછાજતાં વિધાનો થતાં રહ્યાં ત્યારે તેની ઝાળ વડા પ્રધાનના પદના ગૌરવને લાગી જ હતી. છતાં તેમાં, ભલે અલ્પમાત્ર પણ અંતર અને અસ્વીકૃતિનો સૂર જળવાયાં હતાં. એ વિધાનો પક્ષે પોતે નહીં પણ ‘ફ્રિન્જ’ એટલે કે પક્ષ બહારનાં અને બિનમહત્ત્વનાં જૂથો તરફથી આવ્યાં હતાં એવું કહી શકાયું હતું. વળી, એ અતિરેકના છૂટાછવાયા કિસ્સા હતા, જેને ભા.જ.પ. જેવો ફેલોયેલો પક્ષ કદાચ કાબૂમાં રાખી ન શકે.
મોદી ૨૦૧૪ની ચૂંટણીમાં જ્યારે વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર હતા ત્યારે તેમણે ઊંચા સ્તરની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુસ્લિમો અને હિંદુઓએ એકબીજા વિરુદ્ધ નહીં પણ ગરીબાઈ વિરુદ્ધ લડવાનું છે. આ વાત તેમણે બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે દોહરાવી હતી. એ વખતે પક્ષાધ્યક્ષ અમીત શાહે એવું ભડકાઉ વિધાન કર્યું હતું કે ભા.જ.પ. હારે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે. એ પછી પણ લોકોએ મોદી અને અને બાકીના પક્ષ વચ્ચે ભેદ પાડ્યો હતો. મોદીને આવા વિધાનો કરનારાઓથી અલગ ગણ્યા હતા. મોદીના બનાસકાંઠાનાં વિધાનોથી તેમની અને બીજા વચ્ચેનો તફાવત જોખમાયો છે. મણિશંકર ઐયરને ત્યાં યોજાયેલા ભોજનનું જે અર્થઘટન મોદીએ કર્યું તેનો ભોજનમાં હાજર એવા પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત અનેક લોકોએ ઇન્કાર કર્યો છે. પણ નુકસાન તો થઈ જ ચૂક્યું છે. તેની અસર ઊંડે સુધી અને દૂર સુધી પડવાની છે. હવે ફરીથી જ્યારે ‘હેટ ક્રાઇમ’ થશે, ફરીથી જ્યારે શંભુલાલ રેગર રાજ્યની પનાહ હેઠળ સજાથી પર હોવાના જોરમાં હશે ત્યારે વડા પ્રધાનના મૌનની સામે વધુ મોટેથી સવાલ ઊઠાવી શકાશે, ઊઠાવવો જોઈશે.
(‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ના પહેલા તંત્રીલેખનો અનુવાદ)
*
‘એક પણ રૂપિયો નહીં’
વડોદરામાં બાવીસમી ઑક્ટોબરના રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને ચેતવણી આપી કે જેઓ ‘વિકાસના વિરોધી’ છે તેમને કેન્દ્રની એન.ડી.એ. સરકાર પાસેથી ‘એક પણ રૂપિયો’ મળશે નહીં. આ વિધાન બહુ જ ખૂંચે એવું હતું. પહેલી વાત તો ભાષાની આવે છે. આ ભાષા રાજકીય ધ્રૂવીકરણ થયેલી ચૂંટણીની મોસમમાં સરકાર અને વિરોધ પક્ષો વચ્ચેની ભેદરેખા જ્યારે વધુ ધારદાર બની ચૂકી હોય ત્યારે વપરાઈ છે. આવા માહોલમાં વડા પ્રધાનની ચેતવણીનું અર્થઘટન ભા.જ.પ. સિવાયનાં પક્ષો દ્વારા શાસિત રાજ્યો માટેની ધમકી તરીકે થઈ શકે.
બીજી વાત એ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંસાધનોની વહેંચણી બંધારણીય ધોરણ મુજબ નક્કી થાય છે, વડા પ્રધાનની તરંગ કે પરોપકારિતા અથવા તેના અભાવ મુજબ નહીં. વળી, વૈવિધ્યપૂર્ણ અને બહુસ્તરીય સમાવાય નીતિમાં ‘વિકાસ’ શબ્દ એ ‘જાહેર હિત’ શબ્દની ચર્ચાસ્પદ શબ્દ છે. જો કેન્દ્રીય આર્થિક નિધિ રાજ્યોને આપવા માટેનાં આ ધોરણો નક્કી થવાનાં હોય તો વાજબી સવાલ એ હશે કે : નિધિની ફાળવણી કોણ નક્કી કરે કેન્દ્ર કે રાજ્યોની ચૂંટાયેલી સરકારો? ભા.જ.પ.ના નેજા હેઠળની એન.ડી.એ. સરકાર અને ખુદ વડા પ્રધાને જે ‘કોઑપરેટીવ ફેડરેલિઝમ’ના શપથ લીધાં છે. આ વિભાવનાની સમજ વિરોધ પક્ષો સહિત તમામ પક્ષોની ચૂંટાયેલી સરકારોના નિર્ણય કરવાના અધિકારને માન આપવા પ્રેરનારી હોવી જોઈએ. કેન્દ્રમાં ભા.જ.પ. ૨૦૧૪માં ધડાકભેર સત્તા પર આવ્યો ત્યારે એણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંતુલનને, રાજ્યો તરફ વધુ નિસબત સાથે, નવેસરથી રચવાનું વચન આપ્યું હતું. આ બાબત કૉન્ગ્રેસે કરેલી ભૂલોને સુધારવાની ભા.જ.પ.ની યોજનાને અનુરૂપ પણ હતી. ગુજરાતમાં ત્રણ વારના મુખ્યમંત્રીપદથી વડા પ્રદાન પદ સુધીના મોદીના ખુદના પ્રવાસમાંથી પણ કેન્દ્ર-રાજ્ય સંબંધોના સંતુલનની આ વાત આવી હતી. ‘કોઑપરેટીવ ફેડરલિઝમ’ અને ‘કૉમ્પિટિટીવ ફેડરલિઝમ’ એ સૂત્રોનાં પાયામાં કેન્દ્રની સાથોસાથ રાજ્યને પણ વધુ સ્વાયત્તતા માટેની લોકશાહીવાદી માન્યતા રહેલી છે. પાછળ નજર કરતાં ધ્યાનમાં આવે છે કે આ પ્રકારના ફેડરલિઝમની ભા.જ.પ.ની બડાશને પૂરી કરવા માટે એન.ડી.એ. સરકારે પહેલું કામ કર્યું તે આયોજન પંચની, અને તેની જગ્યાએ ઓછાં કેન્દ્રીકરણવાળી પ્રક્રિયા જેમાં હોય તે નીતિ આયોગની રચના. વળી તેણે કેન્દ્રના વહેંચી શકાય તેવા કરવેરા રાશિ (ડિવિઝિબલ પૂલ ઑફ ટૅક્સિસ)માંથી જે હિસ્સો રાજ્યોને આપ્યો તેનું પ્રમાણ અભૂતપૂર્વ હતું. જો કે ટૂંક સમયમાં જ્યારે અમલ અને વ્યવહારની વાત આવી ત્યારે ભા.જ.પ.ની સત્તા ગજાવવાની ઇચ્છા તેની સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની ઇચ્છાની આડે આવી રહી છે એવા સંદેહ ઊભા થવા લાગ્યા. આ શક અને ડર બીજી કેટલીક બાબતોમાં તો ડોકાતા હતા જ. પણ કેન્દ્રએ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું ત્યારે તે બિલકુલ સ્પષ્ટ થઈ ગયા.
એવું ય બને કે વડા પ્રધાનનું ‘એક-રૂપિયો-પણ-નહીં’વાળું વડોદરાનું ભાષણ એ ચૂંટણી ઝુંબેશના દેકારા-પડકારા હોય. એમાં ભા.જ.પ.ના ફેડરલ પ્રૉમિસમાંથી વધુ પીછેહઠનો ઇશારો ન હોય એવી આપણે આશા રાખીએ. કારણ કે કેન્દ્રમાં રહેલી ભા.જ.પ.ની સરકાર એની બહુમતીનો ઉપયોગ મનમાની કરવા માટે કરી રહ્યો છે એવા આરોપો અનેક બાજુએથી થઈ રહ્યા છે.
(‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના ૨૪ ઑક્ટોબર ૨૦૧૭ના બીજા તંત્રીલેખનો અનુવાદ)