આપણા દેશમાં ‘રાષ્ટ્રવાદ’ નામનો એક નવો જ પદાર્થ આવ્યો છે અને તે પણ ખૂબ જ ધૂમધામથી આવ્યો છે. એક નારો હતો કે ‘આપણા દેશમાં દેશાભિમાન નહોતું’ જેની અહીં ખૂબ જ જરૂરિયાત છે.
ભારત એક આંતરરાષ્ટ્રીય દેશ છે. જે આ દેશની સંસ્કૃિતનું પરિણામ છે. એવું નથી કે અહીં પહેલાં ભેદભાવ નહોતાં. અહીં અનેક ભેદભાવ હતાં, રીતિરિવાજોમાં પણ વિવિધતા હતી. છતાં પણ બધાં જ લોકોએ આ દેશને એક માન્યો અને એક આંતરરાષ્ટ્રીય દેશ બનાવ્યો.
રાષ્ટ્રવાદ એ અણુયુગનો વિરોધી છે. વર્તમાન યુગનો પ્રવાહ એકતાનો છે, વિશ્વ-રાજ્યનો છે. જે રીતે એક રાષ્ટ્રનાં દરેક પ્રાંત પોતપોતાની થોડી આઝાદી કેન્દ્રને સમર્પિત કરે છે, તે રીતે દરેક દેશને પોતાની થોડી-થોડી આઝાદી વિશ્વને સમર્પિત કરવી પડશે.
રાષ્ટ્રવાદ શું કરે છે? દુનિયાનાં ટુકડાં કરે છે. એક તરફ આપણું રાષ્ટ્ર અને બીજી બાજું તમામ રાષ્ટ્ર! આ સ્વકીય છે અને બાકી તમામ પરકીય!! દુનિયાનાં અન્ય તમામ રાષ્ટ્રને પરકીય માનવા એ ક્યાં સુધી યોગ્ય છે? જાતિવાદ, કુટુંબવાદ, રાષ્ટ્રવાદ વગેરે તમામ ટુકડાં કરે છે. એકમાં આપણે અને બાકી રહેલામાં તમામ!
ભારતની સંસ્કૃિત ‘વૈશ્વાનર’ સંસ્કૃિત છે. એટલે કે, દુનિયામાં જેટલી વિવિધતા છે, તેટલી ભારતમાં છે. ભારત એક નાનાં પરિમાણનું વિશ્વ જ છે. એટલે અહીંનો જે રાષ્ટ્રવાદ છે, તેને આંતરરાષ્ટ્રીયવાદનું સ્વરૂપ આપવામાં આવશે તો જ આપણે ટકીશું, તેવી ઈશ્વરની યોજના છે. વિચારમાં રાષ્ટ્રવાદી રહેશો, તો તમે પાછળ રહી જશો.
જે રીતે જાતિવાદથી આગ લાગે છે, તે રીતે વિજ્ઞાનયુગમાં રાષ્ટ્રવાદથી પણ આગ લાગે છે. હવે આ ટકી નહિ શકે. માટે જ મેં ‘જય જગત’નો નારો આપ્યો છે. સમગ્ર વિશ્વનું ભલું ભારતનાં ભલાંમાં જ છુપાયેલું છે. રાષ્ટ્રવાદનો સિદ્ધાંત જૂનો થઇ ગયો છે. આપણે વિશ્વવાદનો સિદ્ધાંત કાયમ કરવો પડશે.
લોકો પોતપોતાનાં દેશનું અભિમાન કરે છે. ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ – આપણો દેશ સારો કેમ છે? આ દેશ આપણો છે એટલાં માટે? જો આપણે અફઘાનિસ્તાનમાં હોત તો શું કહ્યું હોત? આ ઓબ્જેક્ટિવ કથન નથી, સંકુચિત છે. વિશ્વમાનવ આ રીતે નહિ બોલે. તે પોતાની જાતને કોઈ દેશનો નિવાસી નહિ સમજે. આપણા મનમાં એવી ભાષા હોવી જોઈએ કે આપણે વિશ્વમાનવ છીએ.
વિશ્વથી નાની કોઈ વસ્તુ નથી. આપણી બુનિયાદ ગ્રામ-પરિવાર હશે અને તેનું શિખર હશે વિશ્વ-પરિવાર! ‘વ્યાપક ચિંતન અને વિશિષ્ટ સેવા’ એટલે ચિંતનમાં વિશ્વ, કાર્યમાં ગ્રામસ્વરાજ્ય. ગ્રામનીતિ અને વિશ્વનીતિ બંને ચાલશે. આપણો મંત્ર હશે જય જગત અને તંત્ર હશે ગ્રામસ્વરાજ્ય. સેવા માટે નાનું ક્ષેત્ર જોઈએ, ચિંતન માટે વિશાળતા જોઈએ. જો આપણે સેવાને વ્યાપક બનાવવાના પ્રયત્ન કરીશું, તો આપણા હાથ વડે સેવા નહિ થાય. ચિંતન નાનું થઇ ગયું, તો આપણે સંકુચિત થઇ જઈશું અને જો સેવા વ્યાપક બની જશે, તો નિષ્ફળ થઇ જઈશું.
[અનુવાદ – નિલય ભાવસાર]
nbhavsarsafri@gmail.com