રવીન્દ્રનાથ (૧૮૬૧-૧૯૪૧)ની પહેલી રચના ૧૮૭૮માં શાહીબાગ, અમદાવાદ, ગુજરાતમાં અને રવીન્દ્રનાથની ગુજરાતી ભાષામાં ઉતરેલી પહેલી રચના ૧૯૧૮માં મણિભાઈ હરિભાઈ દેસાઈ દ્વારા ‘ગીતાંજલિ’ આમ લાગલગાટ એક સો વરસથી રવીન્દ્રનાથ ગુજરાતીમાં ઊતરતા રહ્યા છે. રવીન્દ્રનાથે ચોથી વિદેશયાત્રા મે ૧૯૧૬થી માર્ચ ૨૦૧૭ સુધીના કુલ અગિયાર મહિનાની કરી તેમાં ત્રણ વ્યાખ્યાનો આપ્યાં, જે Nationalism નામથી ૧૯૧૭માં પ્રસિદ્ધ થયાં, આજે બરાબર એક સો વર્ષ બાદ ભાઈ ત્રિદીપ સુહૃદ દ્વારા ‘રાષ્ટ્રવાદ’ નામથી તે ગુજરાતીમાં ઉતરે છે. ત્રિદીપને અને નવજીવન પ્રકાશનને ધન્યવાદ.
અહીં પ્રશ્ન થાય છે કે ‘રાષ્ટ્રવાદ’ વિશેના આ ત્રણ વ્યાખ્યાનો અદ્યાપિ ગુજરાતીમાં કેમ ન ઉતર્યાં? ત્રિદીપ નોંધે છે : ‘અનુવાદ કરવો તે સાંસ્કૃિતક વિકલ્પ છે, તેમ અનુવાદ ન કરવો તે પણ એક સાંસ્કૃિતક પસંદ છે.’ પછી લખે છે કે ‘રાષ્ટ્ર પૂજાધર્મ’ તરીકે (આ શબ્દ મૂળના ત્રણ વ્યાખ્યાનોમાં બે વખત મળે છે.) આ વ્યાખ્યાનોનો થોડો પરિચય મહાદેવભાઈએ કરાવ્યો છે. ત્રિદીપ આ પુસ્તક મહાદેવ દેસાઈને અર્પણ કરે છે. ત્યાં પણ મહાદેવભાઈ તરફ અહોભાવ છે કે મહાદેવભાઈનો કાન પકડે છે -અર્થાત્ ‘સાંસ્કૃિતક પસંદ’ પાછળ કયો મુદ્દો કામ કરી ગયો છે તે પ્રશ્ન રહે છે!
ખેર, હાલ તો ‘રાષ્ટ્રવાદ’માંથી પસાર થતાં જે અડચણો અનુભવી તેની વાત કરવા માંગુ છું. પ્રથમ તો એ કે આ ત્રણ વ્યાખ્યાનો કયા સ્થળે અને કયા સમયે (તારીખે) અપાયા તેની સ્પષ્ટતા નથી. નગીનદાસ પારેખ ‘યેલ યુનિવર્સિટીમાં’ ‘રવીન્દ્ર પૂર્વચરિત’માં નોંધે છે. પહેલું વ્યાખ્યાન ‘જાપાનમાં રાષ્ટ્રવાદ’ છે અને તે જાપાનમાં જ સમજાય છે. બીજું ‘પશ્ચિમમાં રાષ્ટ્રવાદ’ છે પણ પશ્ચિમમાં ક્યાં તે સ્પષ્ટ નથી અને ત્રીજું ‘હિંદમાં રાષ્ટ્રવાદ’ તો ગુંચવણમાં મૂકી દે છે.
આ ઉપરાંત વાક્યરચના ‘સલીલનો સાગર’ (પૃ. ૮) એટલે? ‘હું એક ક્ષણ પણ એવું કહેવા નથી માગતો કે -’ (પૃ. ૨૩) (અહીં એક ‘સહેજ પણ’ એવું અભિપ્રેત લાગે છે.) ‘જેણે દેશભક્તિનું નામ આપી આપ્યું છે.’ (પૃ. ૩૨) ‘કિલબત્વવાળું’ ‘કંજુસની જેમ બંધ મુઠ્ઠી દાન કરી રહ્યું છે.’ (૪૪) ‘બુશિ ડૉ’, જેવા શબ્દોની સ્પષ્ટતા જરૂરી હતી.
રવીન્દ્રનાથના ચીન વિશેના વિધાનો અને આપણી આજની સ્થિતિ – ‘રાષ્ટ્રવાદ’ની નજરે પુનઃચર્ચા માગે છે.
પોરબંદર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2017; પૃ. 09