Partition-70 years on અને Dangerous borders આ બંને કાર્યક્રમો ઓગસ્ટ માસમાં BBC2 પરથી પ્રસારિત થયેલા. તેમાં ચર્ચાયેલ મુદ્દાઓ રસપ્રદ હતા.
ભારતની સ્વતંત્રતા અને પાકિસ્તાનની રચના વિષે ચર્ચા થાય છે, તે કરતાં વધુ મહત્ત્વ ભારતના ભાગલાને અપાય છે. 1947 પછી બંને પાડોશી દેશો વચ્ચે સુલેહભર્યું શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સંભવ નથી બન્યું. ક્યારેક એવો વિચાર પણ આવે કે જો કાશ્મીરની માલિકીનો પ્રશ્ન સર્જાયો જ ન હોત કે આઝાદી બાદ તરત તેનો ઉકેલ આવી ગયો હોત તો ભારત-પાકિસ્તાનના સંબંધો કેવા હોત? ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો હોત તો બંને દેશોની જગતમાં કેવી પ્રતિભા હોત?
સાંપ્રત સમયના હિન્દુ-મુસ્લિમ વચ્ચેના તનાવભર્યા સંબંધો માટે મોગલ શાસન અને ધર્મ પરિવર્તનને જવાબદાર ગણવામાં આવે છે. એ સંદર્ભે અન્ય જાતિઓની ભારત પરની ચડાઈઓ વિષે વિચારતાં ધ્યાન પર આવ્યું કે જે ભૂમિ ભાગને આપણે ભારત તરીકે જાણીએ છીએ તે ધરતી પર આર્યો આવેલા જેઓ અલગ જાતિના વંશજ હતા, જુદા રંગના હતા, જુદી ભાષા બોલનારા હતા. તેઓ મૂર્તિપૂજામાં નહોતા માનતા. તેમને ભારતના મૂળ નિવાસીઓ – દ્રાવિડિયનો સાથે થોડો સંઘર્ષ થયો, પરંતુ ત્યાર બાદ પરસ્પરની ભાષા, ખોરાક, રહેણી કરણી, દેવ-દેવીઓ અને તહેવારોની આપ-લે થઇ, એકબીજાં સાથે લગ્ન કર્યાં અને એક અલગ સમાજ અને સંસ્કૃિતનું નિર્માણ થયું. તે પછી તો શક, હૂણ, કુષાણ જેવી અનેક જાતિઓના રાજાઓ આવ્યા, લડાઈઓ થઇ અને મોટે ભાગે ભારતમાં સ્થાયી થઇ ગયા અને તેમનો ભારતીય સંસ્કૃિત અને પરંપરામાં સમન્વય થયો, ભારત વધુ સમૃદ્ધ થયું. મોગલો પણ આવ્યા, વિજયી બન્યા અને દેશમાં વ્યાપી ગયા. અહીં એક સવાલ મનમાં ઊઠે કે આક્રમણ કરનાર દરેક રાજવંશ સાથે એક નવો ધર્મ અને જીવન પ્રણાલી આવી ત્યારે ભારતના મૂળ વતનીઓ કેમ તેમનાથી એટલા વિક્ષુબ્ધ નહોતા થઇ ગયા, જેટલા મોગલો અને ઇસ્લામના આવવાથી થઇ ગયા?
જમ્મુ-કાશ્મીર ભારતનું એક પ્રાકૃતિક સૌંદર્યના શિરમોર સમાન અણમૂલ રાજ્ય બની રહેવાને બદલે ધર્મને બહાને કાયમી સમરાંગણ બની ગયું. શાને કારણે આવી સ્થિતિ થઇ? દુનિયાના મુખ્ય ધર્મો તો હજારો વર્ષથી માનવ સમાજને સંસ્કૃત કરીને માનવ તરીકેની ગરિમા આપતા આવ્યા છે, કદી વિભાજિત નહોતા કરતા, તો હવે શું થયું છે એ માનવ જાતને? જમ્મુ-કાશ્મીરની ખીણમાં બહુમતી મુસ્લિમ પ્રજા પર હિન્દુ રાજાઓએ રાજ કર્યું અને એક સૈકા સુધી શાંતિથી રહ્યા ત્યાં આજે શુક્રવારની નમાજ પૂરી થાયે ભારતીય સેના વિના કારણે મુસ્લિમો પર લાઠી ચાર્જ કરે, ટીયર ગેસ છોડે અને બદલામાં મુસ્લિમો ભાંગ ફોડ કરે એવો એક રિવાજ થઇ ગયો છે, શા માટે?
ત્યાંની આમ પ્રજા ભારતીય સૈન્યને પોતાના પ્રદેશમાંથી ચાલ્યા જવાનું કહે છે. નોર્ધર્ન આયર્લેન્ડમાં શાંતિ જાળવવા વાસ્તે જેમ બ્રિટિશ સૈન્યની હાજરી લોકોને માન્ય ન હોવાથી દસકાઓ સુધી સતત હિંસા-પ્રતિહિંસા થતી રહી તેવું જ કાશ્મીર પ્રશ્ને થઇ રહ્યું છે. એ પ્રદેશની યુવા પેઢીએ હિંસા સિવાય કંઈ જોયું નથી. હજારો નિર્દોષ નાગરિકોના ચહેરાઓ ગોળીથી વીંધાયા છે, જેમાંના ઘણા બાળકોને અંધાપો આવ્યો છે. એવું એક બાળક ગાંધીના પૂતળાને સ્પર્શી તેના પર શાંતિ શોધવા પ્રયાસ કરે છે, એ ચિત્ર ભારત અને પાકિસ્તાનની સરકારો 70 વર્ષથી કાશ્મીરનો પ્રશ્ન હલ કરવામાં કેવા નિષ્ફ્ળ થયા છે તે બતાવે છે. પણ સત્તાન્ધ નેતાઓને તો અન્યના દર્દને સ્પર્શીને અનુભવવાની ઇન્દ્રિય જ ક્યાં છે? ગાંધી તો સત્ય, અહિંસા અને પ્રેમ આપણે માટે મૂકી જ ગયા છે, આપણે એ બધું ખોઈ બેઠા, તો હવે એમની પાસે શું શોધવા જઈએ? શ્રીનગર અને દલ સરોવર પૃથ્વી પરના સ્વર્ગ સમાં, આજે વેરાન પડ્યાં, તે કોને આભારી? પ્રાકૃતિક સૌંદર્ય જ્યાં હિલ્લોળા લે છે, એ હિમાલયની ગોદ સૂની પડી, જાણે માના ખોળામાંથી અમન અને ચમન બંને બેલડાના પુત્રો ઝુંટવાઈ ગયા.
પાકિસ્તાન એક અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો તેનો પાયો ભલે ધર્મ હોય, પણ તેની અસ્મિતા અને પડોશી દેશ સાથેના સંબંધો બહુ આયામી હોવાના. કમનસીબે ત્યાંની પ્રજા હજુ અન્ય ધર્મીઓને અને તેમનાં મૂલ્યોને તેના ખરા અર્થમાં મૂલવટી નથી થઇ. હજુ આજે પણ પાકિસ્તાની જનતાને બોલીવુડની ફિલ્મો ગમે છે પણ ભારત દેશ સાથેના રાજદ્વારી સંબંધો સુધરે તે માટે કોઈ ખ્વાહિશ નથી. આથી જ તો કાશ્મીર પ્રશ્નનું બહાનું આપીને આક્રમણો થતાં રહે તેમાં નવાઈ નથી. તો સામી બાજુએ ભારતની સહિષ્ણુતા અને ધર્મ નિરપેક્ષતા પણ ભયમાં છે કેમ કે હિંદુત્વવાદને રાજસત્તાનો ટેકો છે. સાંપ્રત સમયના શાસનમાં મુસ્લિમ વિરોધી લાગણી બળવત્તર બની છે એટલે ભારત સદીઓથી જેમનું વતન છે તેવા મુસ્લિમોને ‘પાછા જાઓ’ તેમ કહેવાતા ‘દેશપ્રેમી હિંદુઓ’ કહે છે, તો એ પ્રજા ક્યાં જાય? પોતાનું વતન, ઘર-બાર, આજીવિકા વગેરે છોડીને ક્યાં ય જઇ શકે તેમ ન હોવાથી મુસ્લિમો હિંસક બનવા મજબૂર બન્યા હોય એવું શક્ય છે. આર્યો ભારત ભૂમિ પર પોતાનું ઘર બનાવીને રહ્યા ત્યારે મૂળ વતનીઓ દ્રવિડિયનોએ તેમને ‘પાછા જાઓ’ એમ કહેલું હશે? તો જે પ્રજા સદીઓથી આપણા જ દેશનો અંતરંગ ભાગ બનીને વસી રહી છે તેના પ્રત્યે આવો દુર્ભાવ અને દુર્વ્યવહાર શાને કારણે?
ચર્ચિલે ઈચ્છેલું કે એકેશ્વરવાદમાં માનનાર ધર્મ ઇસ્લામના અનુયાયીઓને પોતાને માટે અલગ દેશ મળે તો ત્યાં બ્રિટન અને પશ્ચિમના અન્ય દેશો પોતાનું થાણું નાખી શકે અને સામ્યવાદી રશિયાનો પગપેસારો યુરોપ ભણી આગળ વધતો અટકાવી શકે. પાકિસ્તાને તો આટલાં વર્ષો સુધી પશ્ચિમના દેશોને વફાદારીપૂર્વક સાથ આપ્યો, જ્યારે ભારતને ભાગે તો તેની સાથે દુશ્મનાવટ, ચાર લડાઈઓ અને ત્યાંથી નિકાસ થતા આતંકવાદનો પ્રસાદ જ મળ્યો, જેના મૂળમાં કાશ્મીરનો વણઉકલ્યો પ્રશ્ન મુખ્યત્વે કારણભૂત છે, તેમ માની શકાય. આજે હવે અમેરિકા અને બ્રિટનને આંગણે પાકિસ્તાનથી નિકાસ થયેલ આતંવાદ ઘર જમાઈ થયો, ત્યારે એ દેશ axis of evil લાગવા માંડ્યો. 70 વર્ષને અંતે બંને પાડોશી દેશો અણુશસ્ત્રો એકબીજાની સામે તાકીને બેઠા છે. સમજવાનું એ છે કે ભારતના વિભાજનની માગણી પ્રજાની નહોતી, તે વખતના રાજકારણીઓ, મુસ્લિમ લીગ, કોંગ્રેસ અને બ્રિટિશ એસ્ટાબ્લિશમેન્ટની હતી. ધર્મ અને સંસ્કૃિત માનવીની ઓળખ માટે જરૂરી છે. એ આપણને સમૃદ્ધ કરે, વિભાજિત નહીં, એ હકીકતને વિસારે પાડીને છેવટ ભાગલા પડ્યા જેના પ્રત્યાઘાતો આજ સિત્તેર વર્ષો પછી પણ બંને દેશોને અનુભવાઈ રહ્યા છે.
જરા વિચાર કરીએ તો જણાશે કે હરપ્પા અને મોંહે-જો-ડરોની સિંધુ સંસ્કૃિતને પોતાની પીઠ પર વહીને આવેલા લોકો અત્યારના પાકિસ્તાનમાં આવેલ સિંધ પ્રદેશથી માંડીને કચ્છ, રાજસ્થાન, પંજાબ અને ભારતના અન્ય પ્રાંતોમાં ફેલાવી, છેક મણિપૂર, ઇમ્ફાલ, બ્રહ્મદેશ, અરે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી વસતી જનતાએ એ સંસ્કૃિત અપનાવી. તે વખતે ભારત એક ધ્વજ નીચે ગઠિત થયેલ નહોતો તો પણ આર્થિક, સામાજિક, સાહિત્યિક અને વૈજ્ઞાનિક વિકાસ ગજબનો થયો કેમ કે ધર્મ અને રાજનીતિની સંકુચિત, સ્વાર્થી અને ઘાતક દખલગીરી નહોતી. જે ધર્મ સમાજના બદલતાં વલણો તથા પ્રવાહોને કલા-સંસ્કૃિત દ્વારા વ્યક્ત કરવામાં બાધક બને અને માત્ર ધર્મના ચીલાચાલુ પોથીમાંના ઉપદેશોનું અંધ અનુકરણ કરવા ફરજ પાડે, એ પ્રજા પાસે ઝનૂની વર્તન કરવા સિવાય બાકી શું રહે? આ હકીકત ભારત-પાકિસ્તાન બંને સારી રીતે જાણે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના સીમાંત પ્રશ્નો વિષે સમાધાનનો અભાવ, તેને પરિણામે ખેલાતા યુદ્ધો અને નાના મોટા છમકલાઓને કારણે સૈનિકોના ગુમાવવા પડતા જાન અને આમ પ્રજામાં ફેલાતી પરસ્પર અવિશ્વાસની લાગણી એ ભારતની આંતરિક શાંતિ બહુ મોટો પ્રશ્ન છે. ગુજરાતની મુલાકાત લઈએ તો એવો ભાસ થાય કે ભારતનું 1947માં થયેલું વિભાજન એ એક ઇતિહાસની ઘટના બની ચૂકી છે, ત્યારે ખેલાયેલ હિંસા આજે ધૂંધળી લાગે છે અને બધું થાળે પડ્યું લાગે છે. પરંતુ જેમ જેમ રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર તરફ જઈએ તો વિભાજન સમયની હિંસક જ્વાળાઓ હજુ ભડકતી જોવા મળે છે. ભાગલા હજુ આજે પણ પડતા હોય તેવા તાદ્રશ દ્રશ્યો જોવા મળે છે. આ બીના તત્કાલીન લાગે અને બંને કોમ વચ્ચેની કડવાશ હજુ મહેસૂસ થાય છે. હજુ આજે પણ સામાન્ય જનતા એ પીડા સહન કરે છે; 70 વર્ષ બાદ પણ!
ભારત અને પાકિસ્તાન પોતપોતાની હેસિયત પ્રમાણે અલગ અલગ ક્ષેત્રોમાં પ્રગતિ કરશે. દુનિયામાં પાંચમા પૂછશે પણ ખરા. એક વખત કાશ્મીરના કબજાના વિવાદનો ઉકેલ લાવીશું એટલે સારાયે ભારતમાં હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે સુમેળ અને શાંતિભર્યા સંબંધો કેળવાશે એવી અભિલાષા અસ્થાને નથી.
e.mail : 71abuch@gmail.com