૨૬ જૂન, કટોકટી દિવસ, નાગરિક અધિકારો ઘોર અંધકાર તળે છુપાઈ ગયા એ સમય ભૂલી ના શકાય એટલો બિહામણો. દમન સામે પ્રતિકારને અંતે લોકશાહીની પુનઃસ્થાપનાનો ઇતિહાસ ગૌરવવંતો છે, ૫રંતુ આજ કેવી છે?
બદલાયેલા સમય અને સંદેશાવ્યવહારનાં અદ્યતન સાધનોના દોરમાં સેન્સરશીપ લાદવી બહુ શક્ય નથી, પ્રત્યક્ષ દમન અઘરું છે ત્યારે સત્તાએ સ્વરૂપ બદલ્યું છે. ગુજરાતનો અને હવે દેશનો અનુભવ કહે છે કે, મહત્તમ શાસન પરિપત્ર થકી થાય છે. વિધાનસભા, લોકસભા જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર દરેક નિર્ણય પર મહત્તમ ચર્ચા થકી ઉત્તમ બનાવવાનો છે એને અંધારામાં રખાય છે. જરૂરી કાયદા પસાર કરવા હોય તો પણ વિરોધ પક્ષ ગેરહાજર હોય ત્યારે જ મુકાય છે જેથી ચર્ચા ટાળી શકાય. સામાન્યમાં સામાન્ય સવાલો હોય તો ય જનતાને ધરાર ના જ સાંભળવી એવો અભિગમ કાયમી વલણ બન્યો છે. ના છૂટકે રેલી, પ્રદર્શન કે ધરણાં યોજવાં હોય તો પોલિસ તંત્ર પરવાનગી આપતું નથી, જેનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે એણે પોતાની ભૂમિકા નક્કી કરી લીધી છે કે ક્યારે નાગરિકોને બોલવા દેવા, ક્યારે બહાર નીકળવા દેવા, ક્યારે એકઠા થવા દેવા! ક્યારે ડીટેઈન કરીને છોડી દેવા અને ક્યારે કેસ નોંધીને અદાલતી ચક્કરોમાં અટવાવી દેવા. એના માટે જરૂરી કાનૂની જોગવાઈઓ કટોકટી સમર્થક રાજકીય સત્તાધારીઓએ કરી લીધી છે.
ચૂંટાયેલી ત્રિસ્તરીય પંચાયત રાજ વ્યવસ્થા પૈકી જિલ્લા પંચાયતોના અધિકારો પર સફળતાપૂર્વક તરાપ મારી, કોઈએ વિરોધ ના કર્યો.
બીજી તરાપ સીધી સ્થાનિક, ગ્રામપંચાયતના સ્તરે મારી. એક પરિપત્ર થકી પંચાયતના આર્થિક વહેવારોમાં, ચેક બૂકમાં તલાટીની સહી ફરજિયાત કરી. તલાટીની સહી ફરજિયાત કરવા પાછળ આવનારાં પરિણામોની આજે કોઈ કલ્પના નથી કરી શકતું, પરંતુ એ અતિ ભયંકર હોવાની પૂરી સંભાવના છે. આજે તલાટી ચૂંટાયેલા સરપંચનો મદદનીશ હતો તે આ પરિપત્રથી સરપંચનો ‘સાહેબ’ બની ગયો. સરપંચ તલાટીની સહમતિ વગર નાનકડું સરખું કામ કરાવે તો ય એના ચૂકવણાના ચૅક પર સહી કરવા તલાટી ના પાડી શકે. એટલે, દરેક કામ કરતાં પહેલાં સરપંચે તલાટીને વિશ્વાસમાં લેવા જ પડે! ટૂંકમાં ‘તલાટીસાહેબ’ સહી કરવાની હા પાડે તો કામ કરવાનું નહિતર ગામ રઝળે. સરપંચ ગામના, ગામલોકોએ ચૂંટેલા અને તલાટી સરકારે નિયુક્ત કરેલા, મોટે ભાગે તાલુકા મથકે વસતા અને અઠવાડિયે માંડ એક-બે વાર ગામમાં આવતા હોય ત્યારે ગામના વહીવટની સ્થિતિ કેવી થાય? તાત્કાલિક કરવાના કામે ગામલોકો તો સરપંચ પાસે ઊઘરાણી કરે, સરપંચ કરી ના શકે અને તલાટી આવે નહીં, અથવા સહી કરવા ના પાડે એવા સંજોગોમાં ગામના સરપંચની સ્થિતિની કલ્પના તો કરી જુઓ! સરપંચ હોવાનો ફાયદો શો?
બીજી તરફ, કેટલાક કાયદાકીય ફેરફારો કર્યા જેમાં –
સિંચાઈ અધિનિયમ ર૦૧૩માં નહેરની આખી વ્યાખ્યા જ બદલી નાખી. નહેર પર સરકારે પોતે નહેર અધિકારી નિયુક્ત કરે અને નહેર અધિકારીને, નવા કૂવા/બોર/ટ્યૂબવેલનાં લાયસન્સ આપવા, લાયસન્સ રદ કરવા, નહેર પર પશુ ચરાવવા બદલ, ઘાસ લેવા, બળતણ લેવા, વિના પરવાનગીએ પસાર થવા જેવી બાબતે જનતાને દંડવાની ઘણી વ્યાપક સત્તાઓ આપી દીધી. ગામની તમામ જળસંપત્તિ નહેર અધિકારીને હસ્તક કરી દીધી. નહેર અધિકારી મારફતે ગ્રામીણ જનતા પર સીધું રાજ્યનું નિયંત્રણ લાદી દીધું.
અર્બન ડેવલપમેન્ટ ઍન્ડ ટાઉન પ્લાનિંગ ઍક્ટમાં
* ‘સ્થાનિક વિસ્તાર’ શબ્દ ઉમેરીને એને એક ગામ કે વિસ્તાર માટે પ્રસ્તુત કરી દીધો.
* ઑથોરિટીની સાથે ‘અથવા સરકાર નિયુક્ત અધિકારી’ શબ્દ ઉમેરીને આખી ઑથોરિટીની સત્તા માત્ર એક પસંદગીના અધિકારીના હાથમાં મૂકી દીધી, હવે અમલીકરણમાં થઈ રહેલા ફેરફારો જોઈએ …
૧. વડાપ્રધાન રાજ્યના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ કરે છે.
૨. રાજ્યના મુખ્ય સચિવ જિલ્લાના કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારીને સૂચનાઓ આપે છે.
૩. જિલ્લાના કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારીઓ તાલુકાના મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપે છે.
૪. મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી સીધા પંચાયતના તલાટીને સૂચના આપે છે.
આમ, વડાપ્રધાન સીધા તલાટી, નહેર અધિકારી કે સ્થાનિક વિસ્તાર સત્તા મંડળના અધિકારી સુધી, મુખ્યમંત્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને બાજુએ મુકીને, સીધી સૂચનાઓનો અમલ કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે!
૫. મુખ્યમંત્રી – વિધાનસભા, જિલ્લા પંચાયત અને પ્રમુખ, તાલુકા પંચાયત અને પ્રમુખ, ગ્રામ પંચાયત અને સરપંચ એમ બધા જ ચૂંટાયેલા સભ્યો માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી જાય છે … એમને પૂછે કોણ? શા માટે પૂછે ? એમના અધિકાર જ શું રહ્યા?
દેશ પ્રતિનિધિ લોકશાહી તરફથી પ્રમુખીય લોકશાહી તરફ ચૂપચાપ આગળ વધી ગયો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, લોકશાહીના પ્રહરીઓ અને જનતા ગાઢ નિંદ્રામાં છે. એક રીતે કહીએ તો દેશ સરમુખત્યારશાહી ભણી વળી ગયો.
આ ગણતરીપૂર્વક કરાઈ રહેલા ફેરફારો પ્રતિ જનતાનું ધ્યાન ના જાય એટલા માટે ગાયના મુદ્દા ચર્ચાય છે. બદલાયેલા સમયમાં મોટા પાયા પરનાં કોમી તોફાનો થાય તો દુનિયાના ચોકમાં જવાબ આપવો પડે, શરમાવું પડે એટલે જ ગણતરીપૂર્વક, જે ચોક્કસ સંદેશો ભયનો પહોંચાડવો છે એ ઠેકાણે પહોંચાડવા માટે સમયાંતરે જુદાં જુદાં રાજ્યોમાં, વિવિધ બહાને લોકો પર જીવલેણ હુમલાઓ થાય છે. આ છૂટક છૂટક થતા હુમલાઓને ટોળાંશાહીમાં ખપાવી દઈ શકાય એમ નથી. એ ચોક્કસ વિચારધારા અને ચોક્કસ ગણતરી સાથે થતા હુમલા છે જેથી બદનામીથી બચીને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકાય. વિશાળ બજારની લાહ્યમાં દુનિયાના દેશો પણ આવા છૂટક હુમલાઓને આંતરિક મામલો કહીને હાથ ખંખેરી દઈ શકે, સત્તાપક્ષ એને કાયદો અને વ્યવસ્થા ખાતે ખતવી શકે એટલું ચોકસાઈપૂર્વકનું બધું લાગે છે.
લોકોને બોલવાની, બહાર નીકળવાની, વિરોધ પ્રગટ કરવાની કોઈ રીતે પરવાનગી ના આપવી અને જરૂર પડે ત્યાં ખૂટતો રંગ રાષ્ટ્રવાદનો ઉમેરીને આખી બંધારણીય વ્યવસ્થા કોઈ પણ જાતની ચર્ચા વગર બદલાઈ રહી છે, આખું બંધારણ ફેરવવું શક્ય નથી તેથી બંધારણનું ખોખું અકબંધ રાખી અંદરથી ઉધઈની જેમ કોતરી ખોખલું કરી દેવાય છે જેથી હોબાળા વગર જ સરમુખ્યત્યારશાહીનો માર્ગ મોકળો થઈ શકે!
દેખીતી કટોકટી સામે તો વિરોધપક્ષ, જનતા અને બૌદ્ધિકો, સૌ મુખર હતાં પરંતુ નરી નજરે નહીં દેખાતી અઘોષિત કટોકટી માથે બેસી ગઈ છતાં ઘણો મોટો વર્ગ સાવ અજાણ છે. આમાં સૌથી ગંભીર બાબત હોય તો, સત્તા પક્ષની મનમાની/જોહુકમી કરતાં વિરોધ પક્ષનું મૌન વધારે ખતરનાક છે.
E-mail : sagar45rabari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ. 04-05