જે રાષ્ટૃ-રાજ્યનો ખયાલ સંઘે લગભગ ઈશ્વરને સ્થાને મૂક્યો છે, તે ભારતીય નહીં, યુરોપીય પરંપરાની ભેટ છે
લાલકૃષ્ણ અડવાણી વગેરેને ક્રિમિનલ કૉન્સિપરસીના ધોરણે આરોપીના પિંજરમાં ઊભા કરવા પાછળના રાજકીય આટાપાટાની કે આ પ્રકારના ગંભીર આરોપ છતાં કલ્યાણસિંહ રાજ્યપાલપદે અને ઉમા ભારતી કેન્દ્રીય મંત્રી તરીકે ચાલુ રહેવા ઇચ્છે એમાં સમાયેલ નૈતિક પ્રશ્નોની ચર્ચામાં નહીં જતાં વસ્તુત: જે એક મુદ્દો વિશેષરૂપે ચર્ચવા જોગ છે એ માટેનો ધક્કો ઉમા ભારતીની એ પ્રતિક્રિયા પરથી લાગેલો છે કે અમે જે કર્યું તું તે ખુલ્લંખુલ્લા કર્યું હતું. એને માટે ફાંસીએ ચડવું પડે તો પણ શું, એવો વાગ્મિતાએ રસ્યો ભાવોદ્ગાર પણ એમણે આપ્યો છે. મતલબ, બાબરીધ્વંસમાં એમની સંડોવણી તે કોઈ કાયદો અને વ્યવસ્થાના અગર તો જાહેર જીવનમાં શું કરાય અને શું ન કરાય એવી રાજકીય સભ્યતાના દાયરામાં સીમિત નહોતી તે નહોતી. વિચારધારાકીય આદર્શવાદને વશ વર્તીને એમણે જે પણ કર્યું તે કર્યું. કહો કે ધર્મ્ય લાગ્યાથી કર્યું.
લાગે છે, આ વિચારધારાકીય આદર્શવાદના સળેસળ તપાસવામાં ને સમજવામાં હવે ઢીલું ન મૂકવું જોઈએ. અયોધ્યા ઘટનાનાં પચીસ વરસ છતાં જે વૈચારિક સફાઈ પૂરતી થઈ નથી તે હવે તો થઈ જ જવી જોઈએ. સંધ સ્કૂલને માટે, અચ્છા કોપી લેખક અડવાણીના ખાસા વ્યાયામ પછી અને છતાં, બાબરીધ્વંસ એ વિચારધારાકીય વિજય ઘટના છે. વિકાસવેશ અને ડિપ્લોમેટિક મૌનવશ નમો ન બોલે તો પણ એમની ‘મન કી બાત’ આથી જુદી નથી. આપણે ત્યાં એક સદ્ભાવ ચેષ્ટા લેખે કોઈક તબક્કે યાસીન દલાલ વગેરેએ હિંદુઓની તરફેણમાં વિવાદગ્રસ્ત ઢાંચો છોડી દેવાની હિમાયત કરી હતી. જો કે હાર્ડલાઇન હિંદુત્વના માહોલમાં જે વળતી મુસ્લિમ ઉદ્યુક્તિ ગઠિત થતી આવતી હતી એને એ ભાગ્યે જ સ્વીકાર્ય હોય. આવાં શક્ય સમાધાનોનું બહુ ભૂંડું અને અમાનવીય ઉદાહરણ 2002માં હિંદુબહુલ ગામો જે નાકલીટી તણાવીને મુસ્લિમોને પુન:પ્રવેશ આપવાની વાત કરતાં હતાં એમાંયે જોવા મળ્યું હતું. પણ જિકર આપણે વિવાદગ્રસ્ત ઢાંચો હિંદુઓને સોંપી દેવાના સદ્ભાવસૂચનની કરતા હતા. આવી સોંપણીને હિંદુત્વ રાજનીતિ ભાગ્યે જ કોઈ સદ્ભાવ ચેષ્ટારૂપે જોઈ શકે. એના ઝંડાબરદારો આવી સોંપણીમાં પોતાની વિજયધ્વજા જ લહેરાતી જુએ. આનું કારણ અલબત્ત ઉગ્ર વિચારધારાવાદમાં રહેલું છે.
વાત એમ છે કે હિંદુત્વ રાજનીતિ જ્યારે અયોધ્યાનો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે આખો પ્રશ્ન પૂજાસ્થાનોની પવિત્રતા, શાસકીય સભ્યતા અને સહજીવનના શીલના મર્યાદિત વર્તુળની બહાર નીકળીને એક રાષ્ટ્ર તરીકેના વિજયપ્રસ્થાપનનો બની રહે છે. ઇસ્લામ અને ખ્રિસ્ત મત સહિતના સંગઠિત ધર્મો આક્રમકતાને મુદ્દે દૂચે દોહેલ છે એમ કોણ કહી શકશે? જેને વ્યાપક હિંદુ ધર્મપરિવાર (રાધાકૃષ્ણન્ના શબ્દોમાં કૉમનવેલ્થ ઑફ રિલિજિયન્સ) કહેવાય છે. તેમાં જૈન અને બૌદ્ધ ધર્મ સ્થાનકોને ક્યારેક હિંદુ પરચો મળ્યાની ય ઇતિહાસ નોંધ છે. જૈનો અને બૌદ્ધોએ પણ વળતી હાજરી દર્જ નહીં જ કરી હોય તેમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. પણ સંપ્રદાય-સંપ્રદાય કે ધર્મ-ધર્મ વચ્ચેના ઝઘડાને રાષ્ટ્રવાદીઓ વિ. ઇતરનું રૂપ અપાય એ તો પેલા વિચારધારાવાદની જ કમાલ કહેવાશે.
અડવાણીની રથયાત્રા સાથે દેશમાં જે વિમર્શપળટો થયો કહેવાય છે એની આ રીતની ક્ષ-તપાસ ખાસી કરવા પણું છે. કૉંગ્રેસ કે ડાબેરીઓના સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ બાબતે ચર્ચાથી ચોક્કસ જ પરહેજ ના કરીએ પણ કોમવાદને પૂરા કદના રાજકીય વિચારધારાનું રૂપ આપનાર અને પડકારવાના વિકલ્પે તેમ ના કરીએ, ભાઈ! હમણાં કે. કે. મોહમ્મદ નામના પુરાતત્ત્વવિદની એ અનુભવનોંધ માધ્યમોમાં રમતી મૂકાઈ છે કે અયોધ્યાના ઉત્ખનનમાં મંદિર પર મસ્જિદ થયાની પૂરતી સાબિતી મળી છે. મોહમ્મદની અનુભવનોંધમાં રહેલી નૈતિકતા અને પ્રામાણિકતાની કદર કરીએ અને ધરમમજહબને નામે તોડફોડ બાબતે અસંદિગ્ધ ભૂમિકા લઈએ; પણ તે પછી અને છતાં એક વસ્તુ તો સમજવી જ પડે કે સંગઠિત ધર્મોની (ખાસ કરીને સેમિટિક વલણોની) આ ટીકાપાત્ર મર્યાદા રહી છે. માત્ર, એને આ કે તે પક્ષે રાષ્ટ્રવાદના વાઘા પહેરાવવાનો ઉદ્યમ એ નવા જમાનાને લાયક વાનું નથી. ઉમા ભારતીના ભાવોદ્રેકી ઉદ્ગારો કથિત ક્રુઝેડ્સની ઉધારબાજુ જેવા છે અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા ખુદ હિંદુ ધર્મને એના ઉજ્જવળ એશોથી વિપરીત સેમેટિક્રૂપ આપી શકે એની ગવાહી પૂરે છે.
ખરું જોતાં હિંદુત્વ રાજનીતિએ જે વાસ્તવ સાથે કામ પાડવાનું છે તે એ છે કે ઇતિહાસની એની સમજ કોઈક ખોટે છેડે ગંઠાઈ ગયેલી છે. હમણાં અમદાવાદમાં સંઘ સમર્થિત ભારતીય વિચાર મંચે સરસંઘચાલક મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતમાં ‘ભારતને સંસ્થાનવાદી માનસિકતાથી મુક્ત કરવા વિશે’ બે દિવસ જે બધી ચર્ચાવિચારણા કરી એની વિગતો મળશે ત્યારે વિગતે વિચારવાનું બનશે. પણ એક પાયાની વાત સંઘ શ્રેષ્ઠીઓએ અને સંઘચાહકોએ તેમ એના રાષ્ટ્રવાદના સમર્થકોએ લક્ષમાં લેવાની જરૂર છે, અને તે એ કે જે રાષ્ટ્ર-રાજ્ય (નેશન-સ્ટેટ)નો ખયાલ એમણે લગભગ ઈશ્વરના સ્થાને મૂક્યો છે તે યુરોપીય પરંપરાની ભેટ છે. યુરોપીય પરંપરાના સંપર્કે, અંગ્રેજ રાજવટ હસ્તક આપણે ત્યાં જે સાંસ્થાનિક માનસ વિકસ્યું એણે રાષ્ટ્ર-રાજ્યને એવો ને એટલો ઘોર ઉપાસ્ય બનાવી મૂકેલ છે જેવો ને જેટલો ભારતીય પરંપરામાં તે કદાપિ નહોતો.
સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત થવાના સંદર્ભમાં અમદાવાદની વિચારગોષ્ઠિ અંગેની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેનો દિશાબોધ મહાત્મા ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ના સપનાને સાકાર કરવાની રીતે સાર્વજનિક જીવનના એકાએક અંગના ભારતીયકરણનો છે. સંઘની થિંક ટૈક જરી બારીકાઈથી વિચારશે તો તેને જણાશે કે ‘હિંદ સ્વરાજ’ વસ્તુત: રાષ્ટ્રરાજ્યવાદી પરંપરાને સમાંતરપણે યુરોપ અમેરિકામાં જે વૈકલ્પિક વિચાર વિકસ્યો એની ધારામાં ગાંધીની સત્યાગ્રહી ગતિમતિથી બની આવેલ અભિગમપત્ર છે. જે રાષ્ટ્રરાજ્યવાદને સંઘ પરિવાર કુલદૈવત પેઠે ઉપાસે છે. એની સામે ટોલ્સટોય – રસ્કિન – થોરોની સમાંતર ધારામાં ગાંધી અને ‘હિંદ સ્વરાજ’ આવે છે.
દક્ષિણ આફ્રિકાથી પ્રસંગવશ લંડન ગયેલા ગાંધી અને ઇન્ડિયા હાઉસના સુપ્રતિષ્ઠ ક્રાંતિકારી સાવરકર બેઉ એકમંચ પર આવ્યા ત્યારે સાવરકરનું વક્તવ્યવસ્તુ ‘દુર્ગા દશપ્રહરણધારિણી’ની વિજીગીષુ તરજ પર હતું. જ્યારે ગાંધીનું વક્તવ્યવસ્તુ ‘મર્યાદા પુરુષોત્તમ રામ’ની મુમક્ષુ તરજ પર હતું. સૈકા ઉપર એક દાયકા જેટલી થવા જતી આ સહોપરિસ્થિતિ ‘હિંદુત્વ’ના ભાવિ વ્યાખ્યાકાર અને ‘હિંદ સ્વરાજ’ના દૃષ્ટાની હતી એમ પાછળ નજર કરતાં સમજાય છે.
આ સહોપસ્થિતિ અહીં સાભિપ્રાય સાંભરી છે; કેમ કે ગોળવેલકર કૃત ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ (મરાઠીમાં ‘આમ્હી કોણ’) એ સાવરકરની હિંદુત્વ થીસિસની ફ્રિકવન્સી પર છે અને હિટલર પરત્વે રાષ્ટ્રનિર્માતા લેખે અહોભાવથી ગ્રસ્ત છે. ‘અમેરિકા ફર્સ્ટ’ અને ‘નેશન ફર્સ્ટ’ પોતપોતાની ગતિમતિએ આવી જ ધારાઓમાંથી આવેલાં સૂત્રો છે એટલે ભારતીય વિચારમંચને જો સહસા ‘હિંદ સ્વરાજ’નો મહિમા વસ્યો હોય તો તેણે ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ બાબતે પ્રગટ પુનર્વિચારની રાહે કામ લેવાનું નૈતિક સાહસ દાખવવું રહે છે. પાકા ઘડે કાંઠા ચડશે? થોભો અને રાહ જુઓ, એમ કહી શકાય પણ હમણાં સુધીનો અનુભવ તો સરવાળે કોસ્મેટિક કુંડાળાની બહાર નીકળી નહીં શકવાનો રહ્યો છે. આજે વિકાસનો વરખ, કાલે ‘હિંદ સ્વરાજ’નો હરખ .. ને એય હિંદુત્વ હેલાળા લે!
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘ઐતિહાસિક તથ્ય’, “દિવ્ય ભાસ્કર”, 22 અૅપ્રિલ 2017