બાબાસાહેબના જીવનકાર્ય માટેની નિસ્બત અને ચાળીસ વર્ષનાં આકરા સંશોધનનું ફળ
બાર ભાગમાં લખાયેલા મહાગ્રંથના પ્રકાશનનું અધુરું કામ ચાંગદેવનાણ પત્ની દ્વારકાતાઈએ પાર પાડ્યું
ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેએ મરાઠીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર બાર ભાગમાં લખ્યું છે. સાડા ચાર હજાર જેટલાં પાનાંનું આ ચરિત્ર પુનાના સુગાવા પ્રકાશને 1982 થી 2012 દરમિયાન પ્રસિદ્ધ કર્યું છે. આ અભૂતપૂર્વ મૌલિક ગ્રંથશ્રેણીના પહેલા બે ભાગનો વિમલકીર્તિએ કરેલો હિંદી અનુવાદ દિલ્હીના સમ્યક પ્રકાશને 2009-2010માં બહાર પાડ્યો છે.
ખૈરમોડે (1904-1971) બાબાસાહેબના અંતેવાસી હતા અને મુંબઈમાં બ્રિટિશ સરકારના સચિવાલયના વહીવટી કર્મચારી હતા. ચાળીસ વર્ષની મહેનતથી લખાયેલા આકરગ્રંથના ફક્ત પહેલા પાંચ ભાગનું પ્રકાશન અને આર્થિક નુકસાન જ તે જીવન દરમિયાન જોઈ શક્યા હતા. તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેનાં થોડાંક વર્ષ પછી બાકીના સાત ભાગના સંપાદન-પ્રકાશનની કપરી કામગીરી તેમનાં પત્ની દ્વારકાતાઈએ પાર પાડી. પતિએ એકઠી કરેલી સામગ્રીનું સંકલન કરી તેમણે ઉચિત નિવેદનો તથા અભ્યાપૂર્ણ પ્રસ્તાવનાઓ સાથે ગ્રંથોનું પ્રકાશન, અને સતત માગ મુજબ પુનર્મુદ્રણ કરાવ્યું. તેમાં મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય આણિ સંસ્કૃિત મંડળની તેમ જ કેટલાક અભ્યાસીઓની બહુમૂલ્ય મદદ મળી.
જો કે 1952માં બહાર પડેલો પહેલો ભાગ તો ખુદ બાબાસાહેબે વાંચ્યો હતો. એ અંગે બીજા ભાગની પ્રસ્તાવનામાં ખૈરમોડેએ નોંધ્યું છે કે કેટલાક યુવાનોએ એ પુસ્તક વિશે બાબાસાહેબનો અભિપ્રાય માગ્યો ત્યારે તેમણે કહ્યું હતું : ‘આના કરતા તો વધારે હું શું લખી શક્યો હોત ? લેખકે મારા જીવનની પંચોતેર ટકા મહિતી આ ગ્રંથમાં આપી છે. જે જાણકારી બાકી રહી છે તે મારા અંગત જીવનની છે. એ માહિતી એ બિચારાને શી રીતે આપી શકાય ? એ તો હું જ લખીશ.’ લેખક એ પણ જણાવે છે કે ‘બાબાસાહેબ પોતાનું જીવનચરિત્ર પોતે અંગ્રેજીમાં લખવા માગે છે. એમાં અત્યાર સુધીની અજાણી વિગતો આવશે. ત્યાં સુધી મારી જાણકારીનો સ્વીકાર કરવા વાચકોને વિનંતી.’ ખૈરમોડે અભ્યાસીઓને ડૉ. આંબેડકરનાં અનેક રૂપ તપાસવાનું જણાવે છે. તે રૂપ છે : ‘પોતાનાં પરિવાર અને સુખદુ:ખ પર તુલસીપત્ર મૂકીને સતત વિદ્યાભ્યાસ-સંશોધન-મનન-લેખન કરનાર વિશાળ બુદ્ધિના પ્રબુદ્ધ વ્યક્તિ’, ‘સામાજિક ક્રાન્તિના તત્વવેત્તા અને ઉદ્ગાતા’, ‘પદદલિતોનાં અંત:કરણામાં માણસાઈનો ધગધગતો લાવારસ પેદા કરનાર કિમિયાગર નેતા’ અને ‘સામાજિક ક્રાન્તિ દ્વારા રાષ્ટ્રવ્યાપી શાંતિનું નિર્માણ કરનાર ધાર્મિક દ્રષ્ટા’.
આટલાં બધાં રૂપોમાં બાબાસાહેબને અભ્યાસનારા ખૈરમોડે પોતાના વિદ્યાર્થીકાળથી તેમના સંપર્કમાં આવ્યા હતા. તે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના પાચવડ ગામમાં 1904 માં જન્મ્યા હતા. એ દિવસોમાં બાબાસાહેબને આદર્શ ગણીને ગામડાંના કેટલાક દલિત વિદ્યાર્થીઓની જેમ એ પણ ભણવા માટે મુંબઈ આવ્યા. ઉત્તમ ગણાતી એલફિન્સ્ટન્સ શાળામાં અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં દાખલ થયા. તેમની વાંચવાની અને રાત્રે સૂવાની વ્યવસ્થા પરળ વિસ્તારના પોયબાવાડીમાં લેબરર્સ કૉમ્પેન્સેશન બ્યૂરોની કચેરીમાં થઈ. અહીં બાબાસાહેબ ‘બહિષ્કૃત ભારત’ની કચેરી પણ ચલાવતા. અભ્યાસમાં તેજસ્વી અને કવિતા લખવામાં ઇનામ મેળવનાર ચાંગદેવ બાબાસાહેબનાં વ્યક્તિત્વ, વિચારસરણી અને કામની પૅશનથી પ્રભાવિત ન થાય તો જ નવાઈ. એમણે 1920ના અરસામાં આંબેડકરને એમના કામમાં મદદ કરવાની શરૂઆત કરી. થોડાક સમયમાં તેમણે બાબાસાહેબનું જીવનચરિત્ર લખવાનું પણ નક્કી કર્યું. દ્વારકાતાઈ નોંધે છે કે જાણીતા અંગ્રેજી સાહિત્યકાર-શબ્દકોશકાર ડૉ. સૅમ્યુએલ જૉન્સનનું તેમના સાથી જેમ્સ બૉઝવેલે વીસ ભાગમાં 1791માં લખેલું ચરિત્ર ખૈરમોડેને નમૂનારૂપ લાગતું. તેમણે આંબેડકરનાં ભાષણોની નોંધો, તેને લગતાં અખબારી અહેવાલોનાં કતરણો, લખાણોનાં અંશો, પત્રવ્યવહાર, સંસ્થાઓના અહેવાલો જેવી સામગ્રી એકઠી કરવાની શરૂઆત કરી. આંબેડકર ચાંગદેવને વખતોવખત પોતાના જીવનની વાતો કરતા અને ‘તું મારું સરખું ચરિત્ર લખીશ’ કહીને પ્રોત્સાહન આપતા એવું પણ દ્વારકાતાઈને સાંભરે છે. ચાંગદેવજીએ 1929માં બી.એ. થઈને સેક્રેટરિયેટમાં નોકરી મેળવી, જે એ સમયના દલિત માટેની મોટી સિદ્ધિ હતી. તેમણે આંબેડકરના ‘હૂ વેર દ શૂદ્ર’ પુસ્તકનો અને ‘ધ રાઇઝ અૅણ્ડ ફૉલ ઑફ ધ હિન્દુ વુમન’ દીર્ઘ નિબંધનો અનુવાદ પણ કર્યો છે.
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ખૈરમોડેના ચરિત્રનો પટ અતિ વિશાળ છે. લેખકે તો ‘હું બાબાસાહેબનું જીવનચરિત્ર ત્રણ ખંડોમાં લખી રહ્યો છું’, એમ પહેલાં ખંડમાં જણાવ્યું. પછીના પુસ્તકમાં પાંચ ભાગનું કહ્યું અને અંતે થયું એક તપ ! બાર ખંડોમાં વર્ષોને સરખા ભાગે વહેંચવામાં આવ્યાં નથી. બલ્કે જરૂરિયાત મુજબનું વિભાજન છે. જેમ કે, પહેલો ખંડ 1891 થી 1920 સુધીના ગાળાને આવરે છે, પછીના દસ વર્ષ બીજા ખંડમાં છે; દસમો ખંડ આઝાદીથી પાંચ વર્ષ સુધીનો છે, અગિયારમો તે પછીના બે વર્ષનો અને છેલ્લો ખંડ 1955થી મહાનિર્વાણ સુધીનો છે.
ખૈરમોડેનો મહાગ્રંથ બહુ આધારભૂત એવા આંબેડકર સર્વસંગ્રહની ગરજ સારે છે. એક દાખલો જોઈએ. અમ્બાવડેકર એવી મૂળ અટક આંબેડકર કેવી રીતે થઈ તેના માટે ચરિત્રકાર આંબેડકર જ્યાં ભણ્યા તે બે શાળા અને એક કૉલેજના સાત દસ્તાવેજોનો આધાર આપે છે. તેમણે આવી અપાર સામગ્રી દેશ અને દુનિયાના ખૂણેખૂણામાંથી ભેગી કરી છે તે પાદટીપો અને ગ્રંથસૂચિ ઉપરાંત ઋણનિર્દેશમાં પણ જોવા મળે છે. આ સામગ્રી માટેની સલામત જગ્યા માટે લેખકની કોશિશો ચાલી તે દરમિયાન તેમાંથી કેટલાક કાગળ ઉધઈ અને ઉંદરોનો ભોગ બન્યા. પછી મુંબઈ યુનિવર્સિટીએ આ સામગ્રી માટે જગ્યા ફાળવી, જેનો ઉપયોગ પશ્ચિમને આંબેડકરનો પરિચય કરવનાર વિદુષી એલિનોર ઝેલિયટે કર્યો. તદુપરાંત તેનો આધાર લઈને સ્વિટઝર્લૅન્ડના પીટર હેસે ધર્માન્તરની ચળવળનો અને ન્યુયૉર્કના એડેલ ફિસ્કેએ બુદ્ધના સંદર્ભે આંબેડકર પરનો અભ્યાસ કર્યો. આવાં નામોની યાદી પુષ્કળ લાંબી થઈ શકે જે તેમના કામની મહત્તા બતાવે.
અલબત્ત, આ મહત્તા સમજતા સમાજને વાર લાગી છે. પહેલાં પાંચ ખંડોના પ્રકાશકો અલગ અલગ હતા. તેની નવી આવૃત્તિ માટે મુશ્કેલી પડી. લેખકના અવસાન પછી આખા ચૌદ વર્ષે 1985 માં છઠ્ઠો ખંડ બહાર પડ્યો અને શ્રેણી એકવીસ વર્ષે 1992માં સાહિત્ય અને સંસ્કૃિત મંડળના ઉપક્રમે પૂરી થઈ. હયાતીમાં બહાર પડેલા ભાગ વિશે લેખક નોંધે છે : ‘આ ખંડોના પ્રકાશકો પાસેથી પુરસ્કાર તરીકે મને એક પૈસો ય મળ્યો નથી.’ દ્વારકાતાઈ નોંધે છે: ‘ત્રણસો-સાડીત્રણસો પાનાંનું સમગ્ર ચરિત્ર લખીને આપશો તો તમે માગશો એ રકમ આપશું એવી માગણી કેટલાક પ્રકાશકોએ કરી હતી. પણ ‘દુનિયાની સામે સામાજિક ચળવળનો સત્ય ઇતિહાસ મૂકવાનો છું, પૈસા માટે હું આ કામ કરતો નથી એમ કહીને તેમણે ટૂંકું ચરિત્ર લખવાનો સાફ ઇનકાર કર્યો હતો.’
આવી નિ:સ્વાર્થ નિષ્ઠા, પહેલો ખંડ વાંચ્યા પછીના બાબાસાહેબે કરેલા ઉદ્ગારોને સાર્થક ઠેરવે છે : ‘ મારા આત્મચરિત્રમાં મૂકી શકાય તેવું બધું જ આ ખંડમાં આવી ગયું છે.’
++++++
13 એપ્રિલ 2017
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 14 અૅપ્રિલ 2017