જાણીતા પત્રકાર અને એન.ડી.ટી.વી.ના પ્રાઇમ ટાઇમ શૉના ઍન્કર રવીશકુમારને પ્રથમ કુલદીપ નૈયર પત્રકારિતા સન્માનથી નવાજવામાં આવ્યા, તે સમારંભમાં તેમણે આપેલું વક્તવ્ય
•
ઉંમર થઈ ગઈ છે તો વિચાર્યું કે થોડું લખીને લઈ જઈએ, બાકી મૂડ અને મોકો કંઈક એવો જ હતો કે વાંચ્યા વિના જ બોલી શકાય. ખાસ કરીને એવા સમયમાં જ્યારે રાજકારણ તમામ મર્યાદાઓને ધ્વસ્ત કરી રહ્યું છે, અપમાનના નવા-નવા શબ્દપ્રયોગો ઘડાઈ રહ્યા છે.
એક એવા સમયમાં જ્યારે આપણી સહનશક્તિને કચડવામાં આવી રહી છે, બરાબર એવા જ સમયે ખુદને સન્માનિત થતા જોવું, એ જાણે દીવાલ પર ટિંગાડેલી ટક-ટક કરતી ઘડિયાળ તરફ જોવું. ટક-ટક કરતી ઘડિયાળો હવે લુપ્ત થઈ રહી છે. એટલે આપણે ભણકારાથી સમયને ઓળખવાનું બંધ કરી દીધું છે, એટલે આપણને ખબર જ નથી પડતી કે આપણી બાજુમાં ક્યારે કયો ખતરનાક સમય આવીને બેસી ગયો છે. આપણે બેપરવા બની ગયા છીએ.
આપણી સંવેદનશીલતા ખતમ થતી જાય છે. તેઓ સોય ભોંકતા જાય છે અને આપણે પીડાને સહન કરતાં જઈએ છીએ. આપણે બધા હવે વાવાઝોડાંઓના ઉપભોક્તા બની ગયા છીએ, કન્ઝ્યુમ કરવા લાગ્યા છીએ. શહેરમાં વાવાઝોડાના સમાચાર આવે. વરસાદમાં ગુડગાંવ કે દિલ્હી ડૂબવા લાગે છે કે ચેન્નાઈ ડૂબવા લાગે છે, આપણે હવામાન સમાચાર જોવા માંડીએ છીએ. હવામાન સમાચાર રજૂ કરનારી પોતાની શાંત અને સૌમ્ય અવાજમાં આપણને ધીમે-ધીમે વાવાઝોડા અને તોફાનના કન્ઝ્યુમરમાં બદલી રહી હોય છે અને આપણે વાવાઝોડું પસાર થવાની માત્ર રાહ જોતાં હોઈએ છીએ. આગલી સવારે ખબર પડે છે કે (ઘરની પાસે) રસ્તા પર આવેલા પૂરમાં એક કાર ફસાયેલી હતી અને તેમાં બેઠેલાં ત્રણ જણાં પાણી ભરાઈ જવાથી જીવનની બાજી હારી ગયા.
મરવું માત્ર સ્મશાન કે કબ્રસ્તાનમાં દફન કરી દેવું કે બાળી મૂકવું નથી, મરવું એ ડર પણ છે, જે તમને બોલતાં, લખતાં, કંઈક કહેતાં કે સાંભળતાં ડરાવે છે. આપણે ખતમ થઈ રહ્યા છીએ, આપણે હવામાન સમાચાર રજૂ કરતી ઍન્કર ઇચ્છે છે, એવા પ્રકારના કન્ઝ્યુમરમાં બદલાઈ રહ્યા છીએ. આપણને સૌને પરીક્ષાના એવા ખંડમાં બેસાડી દેવામાં આવ્યા છે, જ્યાં વારંવાર ફ્લાઇંગ સ્ક્વૉડ કે ઊડતી મુલાકાતે આવનારાઓનું ટોળું હુમલા કરતું રહે છે. તેઓ ક્યારેક આપણા ખિસ્સાની તલાશી લે છે, ક્યારેક આપણાં પાનાં ઊલટાવી-સૂલટાવીને જુએ છે. તમને ખબર છે કે તમે ચોરી કરી રહ્યા નથી, છતાં થોડા-થોડા સમયના અંતરે ફ્લાઇંગ સ્ક્વૉડની ટોળી આવીઆવીને દહેશત ફેલાવી જાય છે.
તમને [ડર] લાગ્યા કરે છે કે ક્યાંક આગલી ક્ષણમાં તમને ચોર જાહેર કરી દેવાશે. તમને લાગતું હોય કે આવું કંઈ થઈ રહ્યું નથી, તો તમારી આજુબાજુ નજર ફેરવી જુઓ કે કેટલા લોકોને કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે.
આ એ જ ફ્લાઇંગ સ્ક્વૉડ છે, જે આવીને તમારા ખિસ્સાની તલાશી લે છે અને ક્યારે ય ચોરને પકડતા નથી, પરંતુ તમને ચોર જાહેર કરાશે, એનો ડર તમારામાં ઠસાવી દે છે.
તો આ કેસો, પોલીસ, ઈન્કમટૅક્સ ઑફિસર …. આ બધા આજકાલ બહુ સક્રિય બની ગયા છે. તેમની ભૂમિકા અગાઉ કરતાં ઘણી વધારે સક્રિય છે અને ન્યૂઝ ઍન્કર આપણા સમયના સૌથી મોટા જમાદાર છે.
તેઓ દરેક સાંજને એક લૉકઅપમાં ફેરવી નાખે છે અને ત્યાં વિપક્ષ, વિરોધના અવાજો કે વૈકલ્પિક અવાજો ઉઠાવનારાઓને જેલમાં પૂરીને તેમની ધોલાઈ કરે છે. અત્યાર સુધી તો તમે ફર્સ્ટ ડિગ્રી, થર્ડ ડિગ્રી, ફેક ડિગ્રીમાં ફસાયેલા હતા, તે તો રોજ સાંજે થર્ડ ડિગ્રી ઍપ્લાય કરે છે.
આ ઍન્કર આજના સમયનો સૌથી મોટો ગુંડો છે અને મને એ વાતનો ખૂબ જ આનંદ છે કે મીડિયા-ચૅનલોના ઍન્કર ગુંડા બની ગયા છે, નવા પ્રકારના બાહુબલી બની બેઠા છે, એવા સમયે આ સમાજના કેટલાક એવા લોકો પણ છે, જે ઍન્કરને સન્માનિત કરવાનું જોખમ ઉઠાવી રહ્યા છે.
આવનાર સમાજ અને ઇતિહાસ, જ્યારે આ વાવાઝોડું અને તોફાન શમી જશે અને ઍન્કરને ગુંડા અને તેની ગુંડાગીરીની ભાષા તથા ભાષાની ગુંડાગીરી, એના પર લખાશે, ત્યારે તમે લોકોને આ સાંજ માટે યાદ કરવામાં આવશે કે તમે લોકોએ એક ઍન્કરનું સન્માન કર્યું છે.
આ સાંજ એટલી પણ બેકાર નહીં જાય. હા, તમે જનાદેશ ન બદલી શકો, પરંતુ સમાજનો તકાજો જો એ છે તો આ પણ છે. ગાંધી શાંતિ-પ્રતિષ્ઠાનનો આભાર. આ પુરસ્કારમાં પત્રકારોનો પરસેવો છે. તમારા વ્યવસાયને કારણે કંઈ પણ મળે, તો સમજવું કે તમારી દુવા કુબૂલ હુઈ!
આપણે સૌ કુલદીપ નૈયરસાહેબનો આદર કરીએ છીએ. કરોડો લોકોએ તમને વાંચ્યા છે, સાહેબ! તમે એ સરહદ પર જઈને મીણબત્તીઓ પેટાવી છે, જેના નામે આ દિવસોમાં રોજ નફરત ફેલાવવામાં આવી રહી છે. આ દેશમાં એ દેશનું નામ આ દેશના લોકોને બદનામ કરવા માટે લેવામાં આવી રહ્યું છે. કદાચ જૂનો જમાનો તમારી મીણબત્તીઓનું મહત્ત્વ સમયસર સમજી શક્યો નહીં હોય. એ મીણબત્તીના ઉજાસને આપણે સૌએ સાથે મળીને ફેલાવ્યો હોત તો એ રોશની મુઠ્ઠીભર લોકોના ઝનૂનનું નહીં પણ વધુ ને વધુ લોકોની સમજનું અજવાળું બનત.
આપણે ત્યારે પણ એ જ ભૂલ કરી અને અત્યારે પણ એ જ ભૂલ કરી રહ્યા છીએ. મહોબ્બતની વાત કેટલા લોકો કરે છે? મને તો શંકા છે કે આ જમાનામાં લોકો મહોબ્બત કરે છે કે નહીં. ઍન્ટિ રોમિયો દળના લોકોને કોઈ સાથે પ્રેમ થઈ જશે તો શું થશે, એ વિચારીને ડરી જાઉં છું. પ્રેમના તલસાટમાં તે કોઈ જૂના ઝભ્ભાની જેમ જર્જરિત થઈને ફાટી જશે. દુવા કરીશ કે ઍન્ટિ રોમિયો દળના કોઈને કોઈથી પ્રેમ ન થાય. પ્રાર્થના કરીશ કે તેમને કમ સે કમ કિશોરકુમારનાં ગીતો સાંભળવાની સહનશક્તિ મળે.
આપણા ઉત્તરપ્રદેશમાં શેક્સપિયરની વાર્તાના નાયકની વિરુદ્ધ જનાદેશ આવ્યો છે. આપણે રોમિયોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તમે બધા પણ જિંદગીમાં ક્યારે ય કોઈને પ્રેમ કર્યો હોય, તો તમારા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરજો. આશા રાખું છું કે અમેરિકાની કોઈ ચૂંટણીમાં પ્રેમચંદના નાયકોની વિરુદ્ધ પણ ક્યારેક કોઈ જનાદેશ આવશે. આવી ગયો હોય તો પણ શું ખબર. ઍન્ટિ હોરી, ઍન્ટિ ધનિયાદળ જોવા મળશે.
અનુપમ મિશ્રજી આપણી વચ્ચે નથી. આપણે આ સત્યનો સામનો એ જ રીતે કરી લીધો છે, જે રીતે સમાજે તેમના નહીં હોવાની અનુભૂતિ તેમની હયાતીમાં જ કરી લીધી હતી. કાશ, હું આ પુરસ્કાર તેમની નજર સામે લેતો હોત, તેમના વરદ હસ્તે!
જ્યારે પણ કોઈ સ્વચ્છ હવા શરીરને સ્પર્શે છે, ક્યાંક પાણીની લહેર જોવા મળે છે, મને અનુપમ મિશ્ર યાદ આવી જાય છે. તેઓ એક એવી ભાષા બચાવીને ગયા છે, જેના સહારે આપણે ઘણું બધું બચાવી શકીએ છીએ.
પ્રતિક્રિયામાં આપણી ભાષા હિંસક ન બની જાય, એની ચિંતા કંઈ દુનિયાને દેખાડવા માટે નથી કરવાની. એના માટે આપણે ફરીથી આપણી ભાષાને સાફસૂથરી કરીએ, એ જરૂરી બન્યું છે. આપણામાં રહેલી નિર્મળતા અનેક પ્રકારની મલિનતાઓમાં દબાઈ ગઈ છે. એટલે આપણે આપણી ભાષા અને વિચારોને થોડા ઘણા સંપાદિત કરીએ, આપણી અંદર બધું સમુસૂતરું નથી, તેનું સંમાર્જન કરીએ, એ બહુ જરૂરી બની ગયું છે.
આપણે સંભાવનાઓનું નિર્માણ કરતા નથી, તે ક્યાં બચી છે, કોનાકોનામાં બચી છે, કોણે-કોણે બચાવી છે, તેની શોધ કરી રહ્યા છીએ. આવા લોકોમાં જે સંભાવનાઓ છે, તે હવે મને ક્યારેક-ક્યારેક ખટકે છે. આપણે ક્યાં સુધી બચેલાની ચિંતામાં જિંદગીનો સ્વાદ પણ ભૂલતાં રહીએ, બચાવવાનો જુસ્સો ગુમાવતાં રહીએ. આપણા એકલાની સંભાવનાઓને અન્યો સાથે સાંકળીને ચાલીએ … અંતર્વિરોધોનો રામાયણપાઠ બહુ થયો. જેને પણ મળું છું તે કોઈ ને કોઈ અંતર્વિરોધનો અધ્યાપક લાગે છે.
તમે રાજકારણમાં વિકલ્પ શોધવા માગતા હોય, તો અંતર્વિરોધોને સાથે લઈને ચાલવાનું શીખો. ઘણા લોકોને તેમનાં સમાધાનોએ વધારે અધમૂવા કરી દીધા છે. આજે જે સમય છે, તેને લાવવામાં એ લોકોની પણ ભૂમિકા છે, જેમની પાસે વીતેલા સમયમાં કંઈક કરવાની જવાબદારી હતી.
એ લોકોએ ઘોખો દીધો. વીતેલા સમયમાં લોકો સંસ્થાઓમાં ઘૂસીને તેને ખોખલી કરવામાં વ્યસ્ત રહ્યા. અમુક અપવાદોને છોડી દઈએ, તો ધનેડાનો પ્રવેશ એમના દોરમાં જ શરૂ થયો. વિકલ્પની વાતો કરનારાઓનો સમાજ સાથેનો સંવાદ તૂટી ગયો.
સમાજ પણ પરિવર્તનના માત્ર એક જ કારકને (એજન્ટને) ઓળખે છે, રાજકીય પક્ષ. બાકી એજન્ટો પર પણ રાજકારણે કબજો કરી લીધો છે, એટલે રાજકારણથી ભાગવાનો હવે કોઈ અર્થ નથી. હા, કોઈ એક વર્ષના કામને સો વર્ષમાં કરવા માગતા હોય, તો વાત અલગ છે.
જ્યારે સારા લોકો નિષ્ફળ જાય છે, ત્યારે જ જનતા ખરાબ સાથે જોખમ ઉઠાવે છે. દર વખતે હારે છે, છતાં આગલી વખતે કોઈ મોટા રાજકીય પક્ષ પર જ દાવ લગાવે છે. ગાંધીવાદી, આંબેડકરવાદી, સમાજવાદી, માક્ર્સવાદી અને જે કોઈ રહી ગયા હોય, એ તમામ વાદી, વાવાઝોડાં આવે છે, ત્યારે તેમનાં વૃક્ષો જ શા માટે મૂળસોતાં ઊખડી જાય છે! બોનસાઈનો બગીચો બનાવીને તો બચો!
તમે બધાએ [સમારંભમાં ઉપસ્થિત સમજદાર નાગરિકો, બૌદ્ધિકો, સર્જકોને સંબોધીને] રાજકીય પક્ષોને છોડીને બહાર આવી ગયા, તેનાથી રાજકીય પક્ષોનું વધારે પતન થયું. ત્યાં પરિવારવાદનું વર્ચસ્વ વધ્યું, કૉર્પોરેટ કલ્ચરે માઝા મૂકી. કોમવાદનો સામનો કરવાની શક્તિ ન પહેલાં તેમનામાં હતી અને ન આજે છે.
આ તેમના માટેનો અફસોસ આપણે શા માટે કરી રહ્યા છીએ? હા, જો આપણા માટે હોય, તો આપણે સૌએ પડકાર ઝિલી લેવો જોઈએ. મેં ક્યારે ય રાજકારણને મારી લાઇન ગણી નથી, એ માર્ગ મારા માટે હોય એવું હું માનતો નથી, પરંતુ જે લોકો આ માર્ગ અપનાવે છે, તેમને એટલું જ કહું છું કે રાજકીય પક્ષો તરફ પાછા ફરો, આડાઅવળા ન ભાગો.
સેમિનારો અને સંમેલનોમાંથી બહાર નીકળવાનો સમય આવી પુગ્યો છે. એ એકૅડેમિક ચર્ચાઓનું એક સ્થાન છે, જરૂરી સ્થાન છે, પરંતુ રાજકીય વિકલ્પનું નહીં. રાજકીય પક્ષોમાં ફરીથી જોડાવા માટે આંદોલન કરવું પડશે. ફરીથી એ પક્ષો તરફ પાછા ફરો અને સંગઠનો પર કબજો મેળવો. ત્યાં જે નેતા બેઠેલા છે, તેઓ નેતૃત્વને લાયક નથી, તેમને હટાવી દો. એ ડરપોક લોકો છે. અપ્રામાણિકતામાં જ રચ્યાપચ્યા છે. આ તેમના ગજાની વાત નથી. તેમની કાયરતા, તેમના સમાધાનો સમાજને રોજેરોજ તોડવાનું કામ કરી રહ્યાં છે. તેમનાં સમાધાનોને કારણે એક નાનકડી ચિનગારી આવે છે, અને બધું સળગાવીને જતી રહે છે.
આપણી પાસે હજુ પણ એટલું માનવ-સંસાધન બચ્યું છે અને આ ખંડમાં જેટલા પણ લોકો છે, તેઓ પણ રાજકારણને વધારે ઉમદા બનાવી શકવા સક્ષમ છે.
પત્રકારત્વ માટે પુરસ્કાર મળી રહ્યો છે, ત્યારે બે-ચાર વાત તેના માટે પણ કરવા માગું છું.
મને એ જણાવતા બેહદ આનંદ થઈ રહ્યો છે કે આજે પત્રકારત્વ પર કોઈ સંકટ નથી. અત્યારે પત્રકારત્વનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. પાટનગરથી લઈને જિલ્લા-આવૃત્તિઓના સંપાદકો આ વાવાઝોડામાં ખેતરમાંથી ઊડીને સીધા છાપરા પર પહોંચી ગયા છે. હવે તેમને પત્રકાર હોવાની સાર્થકતા સમજાઈ રહી છે. શું આપણે નહોતા જોતાં કે કેટલાક દાયકાઓથી પત્રકારત્વનું ક્ષેત્ર સત્તા સાથે વિલીન થવા માટે કેટલું મથી રહ્યું હતું. તેઓ જ્યારે હોટલનું લાઇસન્સ લઈ રહ્યા હતા, મૉલનું લાઇસન્સ લઈ રહ્યા હતા, ખાણની લીઝ લઈ રહ્યા હતા, ત્યારે તેઓ આની તો તૈયારી કરતા હતા.
મીડિયાને બહુ ભૂખ લાગી છે. વિકલ્પનું પત્રકારત્વ છાંડીને હવે વિલન અને વિલીન થવાના પત્રકારત્વનો દોર છે. સત્તાધારી પક્ષની વિચારધારા એટલી તો વિરાટ લાગી રહી છે કે તેની સાથે ખુદને વામણો જોઈને સમજી રહ્યો છે કે જાણે તે ભગવાન શ્રીકૃષ્ણના મુખ સામે ઊભો છે.
ભારતનું પત્રકારત્વ કે પત્રકારત્વની સંસ્થાઓ અત્યારે પોતાના સુખચેનના સુવર્ણકાળમાં પણ છે. તમને વિશ્વાસ ન હોય તો કોઈ પણ અખબાર કે કોઈ પણ ન્યૂઝચૅનલ જોઈ લો. તમને ત્યાં ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળશે. તેમની ખુશી જોઈને તમે ઝુમશો, તો તમારી સમસ્યાઓ પણ ઘટી ગયેલી લાગશે.
સૂટેડ-બૂટેડ ઍન્કર, પોતાની આઝાદી ગુમાવીને આટલા હેન્ડસમ ક્યારે ય નહોતા લાગ્યા. ઍન્કર સરકારની તરફદારી કરતાં-કરતાં આટલા સોહામણા ક્યારે ય નહોતા લાગ્યા. ન્યૂઝરૂમમાં રિપોર્ટરોનું નામોનિશાન દેખાતું નથી.
‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં એવા સારા પત્રકારોની ભરતી કરવાની સ્પર્ધા જામી છે, જેઓ વૉશિંગ્ટનની ગલીઓમાં જઈને સરકાર વિરુદ્ધના સમાચારો શોધી લાવે. ત્યાં આવી સ્પર્ધા છે. હું ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ અને ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની બદમાશીઓથી પણ વાકેફ છું. એ જ ખરાબામાં આવી વાત પણ સાંભળવા મળી રહી છે. ભારતના ન્યૂઝરૂમમાંથી પત્રકારો વિદાય લઈ રહ્યા છે. માહિતી આવવાના તમામ રસ્તાઓ બંધ છે. દેખીતું છે કે ધારણા જ આપણા સમયની સૌથી મોટી માહિતી છે.
ઍન્કર પક્ષના પ્રવક્તા તરીકે ઢળવા અને બદલવા માટે અભિશપ્ત છે. તેઓ પત્રકાર નથી, સરકારના સેલ્સમૅન છે. જ્યારે પણ જનાદેશ આવે છે, ત્યારે પત્રકારોને એવું શા માટે લાગતું હોય છે કે આ પરિણામો તેમની વિરુદ્ધ આવ્યાં છે. શું તેઓ પણ ચૂંટણી લડી રહ્યા હતા? શું જનાદેશથી પત્રકારત્વે પ્રભાવિત થવાની જરૂર છે? પરંતુ ઘણા પત્રકારો આ દિલ્હીમાં કન્ફ્યુઝનમાં ફરી રહ્યા છે કે યુપી પછી હવે શું કરીએ? તમે બિહાર પછી શું કરી રહ્યા હતા? તમે ’૭૭ પછી શું કરી રહ્યા હતા? તમે ’૭૭ પહેલાં શું કરી રહ્યા હતા? ૧૯૪૭ પહેલાં શું કરી રહ્યા હતા અને ૨૦૨૫ પછી શું કરવાના?
આનો સીધો અર્થ એ છે કે પત્રકારો હવે પત્રકારત્વ બાબતે બિલકુલ ચિંતિત નથી. એટલે કામ ન કરવાની તમામ તકલીફોથી મુક્ત આજના પત્રકારોના આનંદને તમે નહીં સમજી શકો. તમે પૂર્વાગ્રહયુક્ત છો. જઈને જુઓ કે કેટલા રાજી છે, કેટલી આઝાદી ભોગવી રહ્યા છે, કોઈ સ્મશાન, કોઈ રાજકીય પક્ષ અને સરકારમાં વિલીન થઈને ! તેમની ખુશીની કોઈ સીમા નથી, તેનો તમને અંદાજ પણ નહીં આવી શકે. પ્રેસ રિલીઝ તો અગાઉ પણ છાપતાં જ હતા, ફરક એટલો આવ્યો છે કે હવે ગાઈ પણ રહ્યા છે. આવું જ રોજેરોજ ગાઈ રહ્યા છે. કોઈ મુંબઈવાળો (અભિનેતા) જ આ કામ કરી શકે, પરંતુ હવે અમે ટીવીવાળા કરી રહ્યા છીએ. ચાપલૂસિયાઓનો એક ઇન્ડિયન આઇડલ તમે કરાવો. પત્રકારોને બોલાવો ને જુઓ કે કોણ સરકાર અંગે સૌથી સારી રીતે ગાઈ શકે છે. આગલી વખતે તેમનું પણ સન્માન કરજો. બની શકે કે સમય જતાં આપણે એવા ચાપલૂસિયાઓનું પણ સન્માન કરીએ.
તમે લડવું હોય, તો અખબારો અને ટીવી સાથે લડવાની તૈયારી શરૂ કરી દેજો. પત્રકારત્વને બચાવવાના મોહમાં ફસાયેલા રહેવાની જીદ છોડી દેજો. પત્રકાર બચવા માગતો નથી. જે થોડા ઘણા બચી રહ્યા છે, તેમનું બચી રહેવું બહુ જરૂરી નથી. તેમને હાંકી કાઢવા પણ બહુ મુશ્કેલ નથી. ખબર નથી ક્યારે હટાવી દેવામાં આવે. આ ચીલે ચાલતા સમાજને જણાવજો કે આમાં કેવું જોખમ છે.
ન્યૂઝચૅનલ અને અખબારો રાજકીય પક્ષોની નવી શાખાઓ છે. ઍન્કર કોઈ રાજકીય પક્ષમાં તેમના મહામંત્રી કરતાં વધારે પ્રભાવશાળી છે. રાજકીય પક્ષ બનવા માટે, બનાવવા માટે પણ તમારે આ નવા રાજકીય મોરચા સામે લડવું પડશે. ન લડી શકો તો પણ કોઈ વાંધો નહીં. લોકોની પણ એવી તાલીમ થઈ ચૂકી છે કે તેઓ પૂછવા આવી જાય છે કે તમે આવા સવાલો શા માટે પૂછો છો?
શાહી ફેંકનારા પ્રવક્તા બની રહ્યા છે અને શાહીથી લખનારા પ્રોપેગન્ડા ચલાવી રહ્યા છે. આ ભારતીય પત્રકારત્વનો પ્રોપેગન્ડા યુગ છે. આ વર્તમાનમાં આપણે એ પત્રકારોને કઈ રીતે ભૂલી શકીએ, જે સંભાવનાઓ બચાવવામાં અહીંતહીં મથી રહ્યા છે. હું તેમની એકલતાને સમજી શકું છું. હું તેમની એકલતામાં સહભાગી પણ બની શકું છું. ભલે તેમની સંભાવનાઓ ખતમ થઈ જાય, પરંતુ આવનારા સમયમાં આવા પત્રકારો અન્યો માટે મોટો ઉપકાર કરી રહ્યા છે. જિલ્લા સ્તરેથી લઈને દિલ્હી સુધી ઘણા પત્રકારોને ઝઝૂમતા જોયા છે. તેમના સમાચાર-અહેવાલો ભલે ન છપાઈ રહ્યા હોય, પરંતુ તેમની પાસે સમાચારો છે. સમાજ જો આ પત્રકારોને સાથ નહીં આપે, તો એ નુકસાન સમાજને જ સહન કરવું પડશે. એટલે સમાજને આગોતરો સાવધ કરીને, આંખોથી આંખો મિલાવીને એટલું કહેવાની કે તમે અમને એકલા છોડી રહ્યા છો, અને તમે અમને ગાળો ભાંડી રહ્યા છો … તમે આ કામ અમને હટાવવા માટે નહીં, તમારું વજૂદ મિટાવવા માટે કરી રહ્યા છો.
તમે એ લોકોની તકલીફ અંગે પૂછો, જે આજે પણ ન્યૂઝ રૂમમાં છે અને ટેલિવિઝનના ન્યૂઝ ઍન્કરને આજે પણ દસ પત્રો આવે છે. હાથેથી લખેલા આવે છે. તેમના ન્યૂઝ જ્યારે નહીં આવતાં હોય, ત્યારે તેઓ કેવી સમસ્યાનો સામનો કરતાં હશે અને ક્યાં ક્યાં લખતાં-ભટકતાં હશે. આ સમાજ પત્રકારોને ગાળો આપી રહ્યો છે અને આવા લોકોની તકલીફમાં વધારો કરી રહ્યો છે. જેઓ પીડિત છે, તેમને તેમની પીડા સાથે જ મારી નાખવાની યોજનામાં તેઓ સામેલ થઈ રહ્યા છે.
… તો ઘણી વખત સમાજ પણ ખતરનાક બની જાય છે.
ખેર … આજે જે કોઈ પણ પત્રકારત્વ કરી રહ્યું છે, જેટલું પણ કરી રહ્યું છે, તેમના પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું. સત્તાની ચાપલૂસીથી ઉબાઈ ગયેલા કે છેતરપિંડીનો ભોગ બનેલા પત્રકારોની ઊંઘ ઊડશે અને જ્યારે તેમનો ખપ પૂરો થતાં ફેંકી દેવાશે, ત્યારે તેમને આવા લોકો જ આત્મહત્યા કરતાં બચાવી લેશે. ત્યારે તેમને લાગશે કે આમણે એવું કર્યું છે, જે મારે પણ કરવું જોઈએ. એના થકી જ હું બચી શકીશ. એટલે જેટલી બની શકે એટલી સંભાવનાઓને બચાવીને રાખો. આજના આપણા સમયને આશા અને હતાશાનાં ચશ્માંથી ન જુઓ.
આપણે એવા પાટા પર છીએ, જેના પર રેલગાડીનું એન્જિન બિલકુલ સામે છે. આશા અને હતાશાની મદદથી તમે બચી ન શકો. આશા એ છે કે રેલગાડી મને નહીં કચડે અને હતાશા એ છે કે હવે તો મને કચડી જ નાખશે. સમય બહુ ઓછો છે અને તેની ગતિ બહુ તેજ છે.
આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.
[અનુવાદ : દિવ્યેશ વ્યાસ]
(વક્તવ્યની મૂળ લિંક ..
જેના પરથી તમે રવીશકુમારના વક્તવ્યનો વીડિયો પણ જોઈ-સાંભળી શકો છો.)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 16-18