ડૉ. આનંદ તેલતુંબડે દેશના જાહેર જીવનના એક અગ્રેસર બૌદ્ધિક છે. તેઓ જાણીતા લેખક અને માનવ અધિકાર કર્મશીલ છે. તેમણે જાતિ, વર્ગ, લોક આંદોલન, જાહેર નીતિઓ અને ભારતમાં આજના લોકતાંત્રિક રાજકારણના પ્રશ્નો પર ઘણું લખ્યું છે. તેમણે દલિતો અને બીજા પીડિત સમૂહોના સંદર્ભમાં ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના પ્રશ્નને સમજવાની પહેલ કરી છે. તેમણે ડાબેરી અને દલિતોના આંદોલનોના એક થવા વિશે પણ ઘણું કહ્યું છે અને લખ્યું છે. તેમણે ૨૨ પુસ્તકો લખ્યાં છે જેમાં દલિત્સ : પાસ્ટ, પ્રેસન્ટ એન્ડ ફ્યુચર (૨૦૧૦), મહાડ : મેકિંગ ઑફ ધ ફર્સ્ટ દલિત રિવોલ્ટ (૨૦૧૬); પર્સિસ્ટન્સ ઑફ કાસ્ટ (૨૦૧૦); ખૈરલાંજીઃ એ સ્ટ્રેંજ એન્ડ બીટર ક્રોપ (૨૦૦૮); એન્ટિ-ઇંપિરિયાલીઝમ ઍન્ડ એનાઇહિલેશન ઑફ કાસ્ટ (૨૦૦૫) અને હિંદુત્વ એન્ડ દલિત્સઃ પરસ્પેિક્ટવ્સ ફોર અંડરસ્ટેન્ડિંગ કોમ્યુનલ પ્રાક્સિસ(૨૦૦૫)નો સમાવેશ થાય છે. તેઓ કમિટી ફોર પ્રોટેક્શન ઑફ ડેમોક્રેટિક રાઇટ્સ (સી.પી.ડી.આર.)ના જનરલ સેક્રેટરી છે. તેઓ ઑલ ઇન્ડિયા ફોરમ ફોર રાઈટ્સ ટુ એજ્યુકેશન (એ.આઈ.એફ.આર.ટી.ઈ.) સાથે પણ જોડાયેલા છે. ઘણાં વર્ષો સુધી તેમણે ‘થિનાગી’ નામના મજૂર-વર્ગ માટેના માસિકનું સંપાદન પણ કર્યું હતું.
ડૉ. તેલતુંબડેએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદથી એમ.બી.એ.ની, અને જાહેર તંત્રોમાં સાયબરનેટિક મોડેલિંગનાં નવા ક્ષેત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી છે. કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યા બાદ આઈ.આઈ.ટી. ખડગપુરના નિમંત્રણથી તેઓ ત્યાં અધ્યાપક તરીકે જોડાયા. અત્યારે તેઓ ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં અધ્યાપક છે. તેમને કર્મશીલ તરીકે અને પોતાના વ્યાવસાયિક ક્ષેત્રમાં અનેક પુરસ્કારો મળ્યા છે. મૈસૂરની કર્ણાટક સ્ટેટ યુનિવર્સિટી તરફથી તેમને ડી.લિટ.ની ડિગ્રી મળી છે.
•
ડૉ. બાબાસાહેબ આંબેડકરનો લોકશાહી વિશેનો ખ્યાલ એક દૃષ્ટા તરીકેનો હતો. તેમને એક ભગવી પ્રતિમા તરીકે અપનાવવાની ફાસીવાદી હિંદુત્વ તત્ત્વોની આજને ચેષ્ટાઓને પગલે આ વિચારને સમજવો એ આ દેશના ભવિષ્ય માટે ખૂબ અગત્યનું બની રહે છે. કેમ કે, જો લોકશાહી તરીકે નહીં તો આ દેશ જે વિવિધતાઓનું ખરું સંગ્રહસ્થાન છે તે કદાચ ટકી પણ ન શકે. સીધી કે પ્રત્યક્ષ લોકશાહીથી માંડીને પ્રાતિનિધિક લોકશાહીના જુદા જુદા પ્રકારો એમ લોકશાહીનાં અનેક સ્વરૂપો છે. પ્રાતિનિધિક લોકશાહી એ મોટાભાગના દેશોએ અપનાવેલો લોકશાહીનો સામાન્ય પ્રકાર છે. જો કે સૈદ્ધાંતિક રીતે આ પ્રકાર, જે ચોક્કસ સમય માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઇચ્છાઓને અભિવ્યક્તિ આપે છે તે સારો એવો સંતોષકારક જણાય છે. વાસ્તવમાં એ ધનિકશાહીથી માંડીને તદ્દન ફાસીવાદી સરમુખત્યારશાહી જેવા વિરોધી પરિણામો પેદા કરે છે. ભારતે પાર્લમેન્ટ લોકશાહીનું બ્રિટિશ સ્વરૂપ અપનાવ્યું છે જે ચૂંટણી દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ પ્રકારમાં એટલી બધી ખામી છે કે સૈદ્ધાંતિક રીતે એ ઓછામાં ઓછા ૪૯ ટકા લોકોને બાકાત રાખે છે. વાસ્તવમાં, બ્રિટનની લોકશાહીના મૂળ સ્વરૂપની પણ ૧૮મી સદીના ફ્રેંચ ફિલસૂફ ઝ-ઝાંક રુસોએ ટીકા કરી હતી અને કહ્યું હતું : ‘બ્રિટિશ લોકો કેવળ ચૂંટણીને દિવસે જ સ્વતંત્ર હોય છે; એક વખત ચૂંટણીઓ પૂરી થાય કે બીજી ચૂંટણી આવતા સુધી તેઓ ગુલામ હોય છે.’ ભારત, જ્યાં બધું જ જલદીથી ક્ષય પામે છે, ત્યાં આવી કલ્પના સારી રીતે કરી શકાય!
વિચારધારાની દૃષ્ટિએ આંબેડકર પોતાને ઉદારમતવાદી માળખામાં મૂકે છે અને ભારતનું સંવિધાન લખવાની પ્રતિષ્ઠા તેમણે મેળવી હોવાથી ભારતમાં જે પ્રકારની લોકશાહી છે તેને તેમની લોકશાહીની કલ્પના સાથે જોડવામાં આવે છે. પરંતુ આ અત્યંત ભૂલભરેલું છે. ભારતનું લોકશાહીનું સ્વરૂપ તેમની કલ્પનાની લોકશાહીથી જોજનો દૂર છે જેનો તેમણે પોતે બંધારણ સભાની છેલ્લી બેઠકમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો ભારત સંવિધાને સર્જેલી રાજકીય લોકશાહીને પૂરક થાય તેવી આર્થિક અને સામાજિક લોકશાહી જલદીમાં જલદી નહીં લાવે તો લોકો એ રાજકીય લોકશાહીના માળખાને ઉડાડી દેશે. દુર્ભાગ્યે, પોતે સર્જેલા ફ્રાંકેન્સ્ટાઇનની વિનાશક શક્તિનો તેમણે અંદાજ બાંધ્યો ન હતો. લોકશાહીના માળખાને ઉડાડી દેવાનું તો દૂર, લોકો પોતે જ એ વિસ્ફોટની કરચો બની ગયા છે.
આંબેડકરની લોકશાહીની કલ્પનામાં એક ક્રાંતિકારી અંશ હતો જે તેમના સારા સમાજના વિચાર માટે તેઓ લોકશાહીને કેવી રીતે પ્રસ્તુત કરે છે એમાં જોવા મળે છે. આ આદર્શના સ્વરૂપ વિશે તેમણે કોઈ અસંદિગ્ધતાની જગા રાખી ન હતી. સારા સમાજ વિશેનો તેમનો વિચાર એ ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’ના ત્રણ પાયા પર રચાયેલો હતો. લોકશાહી, જે રીતે તેમણે તેને જોઈ હતી, એ આ આદર્શનું સાધન અને સાધ્ય બંને હતી. એ સાધ્ય હતી કેમ કે તેમણે લોકશાહીને આ ત્રણ પાયાને પ્રત્યક્ષ કરવા બરાબર ગણી હતી. એ સાથે જ, લોકશાહી એ આદર્શને પામવાનું સાધન પણ હતી. આંબેડકરનો લોકતાંત્રિક સરકાર વિશેનો ખ્યાલ ‘લોકોની સરકાર, લોકોથી ચાલતી સરકાર અને લોકો માટેની સરકાર’ના મૂળભૂત વિચાર સાથે જોડાયેલો હતો. પરંતુ તેમને મન લોકશાહીએ ‘લોકશાહી’ સ્વરૂપની સરકાર કરતાંં ઘણું વિશેષ હતી. એ એક જીવવાની રીત હતીઃ “લોકશાહી એ કેવળ સરકારનો એક પ્રકાર જ નથી. એ મુખ્યત્વે સહઅસ્તિત્વનો, સંયુક્ત વહેવારના અનુભવનો એક પ્રકાર છે. લોકો પ્રત્યે સમાન અને આદરનું વલણ એ જ ખરી લોકશાહી છે.” આંબેડકરની લોકશાહીની કલ્પનાનું બીજું વિશિષ્ટ લક્ષણ એ છે કે એ સામાજિક પરિવર્તન અને માનવ વિકાસ પ્રત્યે ગતિશીલ હતી. લોકશાહીના રૂઢિવાદી ખ્યાલો, જેમ કે એ મુખ્યત્વે દુષ્ટ લોકોને સત્તા પર આવતા રોકવાનું સાધન છે એ વિચાર તેમને સંતોષી શક્યો નહીં. લોકશાહીના એક ખૂબ જ પ્રેરણાદાયક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું કે “એ સરકારનું એક સ્વરૂપ અને પદ્ધતિ છે જેના વડે લોકોના જીવનમાં ક્રાંતિકારી આર્થિક અને સામાજિક ફેરફારો કોઈનું લોહી વહેવડાવ્યા વગર લાવી શકાય છે.” આ થવા માટે રાજકીય લોકશાહીને આર્થિક અને સામાજિક લોકશાહી સાથે જોડવી અત્યંત આવશ્યક હતું. આમ, આંબેડકરનું લોકશાહીનું દર્શન જાતિના ઉચ્છેદ અને સમાજવાદને સમાવી લેનાર હતું. તેમનું સ્પષ્ટ માનવું હતું કે આર્થિક અને સામાજિક લોકશાહી વગર રાજકીય લોકશાહી સફળ થઈ શકે નહીં. તેમણે પાર્લમેન્ટરી લોકશાહીમાં સ્વતંત્રતા માટેનો પ્રેમ પરંતુ સમાનતા પ્રત્યે ઉપેક્ષા જોઈ. એ સમાનતાનું મહત્ત્વ સમજવામાં નિષ્ફળ ગઈ હતી. અને એણે સ્વતંત્રતા અને સમાનતા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો જેને પરિણામે સ્વતંત્રતા સમાનતાને ગળી ગઈ હતી અને લોકશાહી કેવળ એક નામ માત્ર અને મજાક બની ગઈ હતી. આ અને બીજી બાબતોમાં એમનું પશ્ચિમ યુરોપની લોકશાહીના ભવિષ્યનું વિવરણ મોટે ભાગે ભારતની આજની પરિસ્થિતિને લાગુ પડે છે.
આંબેડકરની લોકશાહીની કલ્પનાને ખ્યાલ આપવાનો પ્રયત્ન કરતાં વૈચારિક સ્તરે મારી એ દલીલ છે કે એ ઉદારમતવાદી માળખામાં કલ્પી શકાય એવો ખૂબ જ મૌલિક વિચાર છે. આંબેડકરના લોકશાહી માટેના પ્રેમને બૌદ્ધિક અભિગમ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રત્યે એમની પ્રતિબદ્ધતા સાથે ઘેરો સંબંધ હતો. દેખીતી રીતે બૌદ્ધિક અભિગમ લોકતાંત્રિક સરકાર માટે જરૂરી છે. લોકશાહીની પ્રક્રિયા સામાન્ય સમજ, તાર્કિક રજૂઆત અને વિવેચક દૃષ્ટિના અભાવે શક્ય નથી. એ ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’ સાથે સંકળાયેલી છે. જે વ્યક્તિ સ્વતંત્ર નથી એ બુદ્ધિહીન હોઈ શકે કેમ કે એ કાબૂમાં નથી હોતી. પરંતુ જો આપણે આપણી જિંદગીને કાબૂમાં લેવા માંગીએ તો બૌદ્ધિક અભિગમ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આવશ્યક છે. બૌદ્ધિકતા અને સમાનતા વચ્ચે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આવશ્યક છે. બૌદ્ધિકતા અને સમાનતા વચ્ચે નજીકનો સંબંધ છે. પ્રચાર અને તરકીબો અજમાવવી એ લોકોને તાબે કરવાના સામાન્ય સાધનો છે. જેમ કે જાતિપ્રથા સદીઓથી કાળજીપૂર્વક મહેનતથી ઊભી કરેલી અવૈજ્ઞાનિક માન્યતાઓની ઇમારત પર ટકી રહી છે. અને આજે એ જ રીતે હિંદુત્વનો પ્રચાર અત્યારની હકૂમત કરી રહી છે. પોતાની જાતને વિચારધારાના દોરીસંચારથી મુક્ત અને સુરક્ષિત રાખવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જરૂરી છે. બીજું એ કે વૈજ્ઞાનિક તત્ત્વમાં મજબૂત આપખુદશાહી વિરોધી પરિણામ છે. સત્તા એ ખ્યાલ પર નિર્ભર કરે છે કે એક વ્યક્તિના અભિપ્રાય અને ઇચ્છા બીજી વ્યક્તિના અભિપ્રાય અને ઇચ્છા કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે. વૈજ્ઞાનિક રજૂઆતમાં આમ નથી. એમાં જે મહત્ત્વનું છે તે રજૂઆતની સુસંગતતા અને પૂરાવાની ઉત્કૃષ્ટતા. આ રીતે જોતાં, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ એ સત્તાના આપખુદ ઉપયોગ સામે સંરક્ષણ છે. આંબેડકરનો બૌદ્ધ ધર્મનો રેશનાલ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પર રચાયેલા ધર્મ તરીકે અંગીકાર પણ તેમની લોકશાહીની કલ્પનાને મજબૂત બનાવે છે. બુદ્ધ અને માર્ક્સ પરનું એમનું ભાષણ પણ એમના લોકશાહી પરના વિચારોને મજબૂત બનાવનારું જોઈ શકાય.
વિચારોની અનેક સેરો પર રચાયેલી આંબેડકરની લોકશાહીની કલ્પનાની વાત કરતાં ભારતમાં લોકશાહીની અત્યારની પરિસ્થિતિ તપાસવી અને બંનેની તુલના કરવાની જરૂર છે. લોકશાહીનું કલ્યાણ રાજ્ય સાથેનું ઉદારમતવાદી સ્વરૂપ જે અર્થશાસ્ત્રી કેઇન્સના સિદ્ધાંતો પર રચાયેલું છે તે આંબેડકરના લોકશાહીના પ્રકારથી ઘણું જુદું હોવા છતાં સામાજિક ન્યાય અને માનવ અધિકારોના વિચાર પ્રત્યે અભિમુખ હતું. પરંતુ ૧૯૯૦ના દાયકાથી, જ્યારે ભારતે ઉદારીકરણના સુધારાઓ અપનાવ્યા, રાજ્યે સામાજિક અને આર્થિક લોકશાહી માટે પ્રયત્ન કરવાનો દેખાવ માત્ર પણ છોડી દીધો છે. રાજકીય લોકશાહી જે દેખાવ પૂરતી હતી તે પણ સામાજિક ડાર્વિનવાદના લક્ષણોને કારણે નબળી પડી છે જેનો નવા સત્તાધારી સમૂહના હિન્દુ રાષ્ટ્રની યોજનામાં પડઘો પડે છે. આ નિરાશાજનક પરિસ્થિતિ આંબેડકરને અને તેમના લોકશાહીના વિચારોને સજીવન કરવા પ્રત્યે દોરે છે જેથી ફાસીવાદી તત્ત્વોના દુષ્ટ પ્રચારને રોકી શકાય.
‘ગંગોત્રી ટૃસ્ટ’ના ઉપક્રમે, 10 ડિસેમ્બરના રોજ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એ.એમ.એ.) ખાતે અપાયેલા ‘ઉમાશંકર જોશી સ્મૃિત વ્યાખ્યાન’ સમયે વિતરિત સંક્ષેપ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 16-17