ભારત માતા કી જય પોકારવાથી જ કોઈ માણસની રાષ્ટ્રભક્તિ પુરવાર થતી હોય તો વિજય માલ્યાથી મોટો રાષ્ટ્રભક્ત બીજો કોઈ ન હોઈ શકે
દુનિયામાં 50 જેટલી ભાષા કે દેશોમાં પિતૃભૂમિ અથવા તો તેનો સમકક્ષ શબ્દ વપરાય છે. મોટાભાગે પિતૃભૂમિ શબ્દ યુરોપિયન દેશોનો છે. બાકીના દેશો માતૃભૂમિ શબ્દ વાપરે છે. જર્મન લોકો એમના દેશને ફાધરલેન્ડ કહે છે. રશિયામાં મધરલેન્ડ છે. આપણે ભારત માતા કી જય કહીએ છીએ, એના પરથી ભારત માતૃભૂમિ છે, તે સ્પષ્ટ થાય છે.
મજલિસ-એ-ઇત્તેહાદુલના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ કારણથી જ ‘ગર્દન પર છુરી મૂકો તો પણ ભારત માતા કી જય નહીં બોલું’ એવું નિવેદન કર્યું હતું. પાકિસ્તાનના (જેના માટે ‘વતન’ શબ્દ છે, જે પિતૃભૂમિનો દ્યોષક છે) મશહૂર ઇસ્લામિક સ્કોલર અને રાજનેતા તાહિર ઉલ કાદરીએ કહ્યું છે કે, ‘વતનની સરજમીનને માતાનો દર્જા આપવો એ ઇસ્લામની વિરુદ્ધ નથી.’ પયગમ્બર-એ-ઇસ્લામની એક હદીસમાં હજરત પયગમ્બર મોહમ્મદે કહ્યું છે કે, ‘હુલ્બલ વતની મિનલ ઇમાન’ અર્થાત્ વતનને મોહબ્બત કરવી એ ઇમાન(ધર્મ)નો ભાગ છે.
વંદે માતરમ્ ગાવાને લઈને મુસ્લિમોમાં ઘણાં વર્ષોથી બહસ ચાલે છે, જેમાં (કેટલાક) મુસ્લિમોનો વિરોધ એ બાબતને લઇને છે કે આ રાષ્ટ્રગીતમાં ભારત માતા સામે નમન કરવાનું આહ્્વાન છે, જ્યારે કુરાનમાં સ્પષ્ટ આદેશ છે કે અલ્લાહની જમાતમાં બીજા કોઈને સામેલ કરવાની મનાઈ છે. મતલબ કે ઇસ્લામમાં અલ્લાહ સિવાય બીજા કોઈની ઇબાદત કરવાની ઇજાજત નથી. ‘ભારત માતા કી જય’માં માતૃભૂમિ ભારતના જય જયકારની વાત છે કે પછી ભારત માતા નામની ‘દેવી’ના પૂજનનું ઇજન છે તેની અસ્પષ્ટતાને લઈને મુસ્લિમોના એક વર્ગમાં વિરોધ અને વિવાદ ચાલે છે.
ભારતની ભૂમિને માતા તરીકે જોવાની કલ્પના બહુ જૂની છે, અને મોટાભાગે એ સાંસ્કૃિતક પરંપરામાંથી આવે છે. બીજી તરફ એને દેવીની કક્ષાએ મૂકવામાં આવી છે તે પણ હકીકત છે, અને મોટા ભાગે એમાં રાજનૈતિક ચળવળોની હિસ્સેદારી છે. વારાણસીમાં ભારતઅંબા (અંબા એટલે માતા)નું મંદિર છે, જેમાં ભારતના નકશા સાથેની ભારત માતાની માર્બલની પ્રતિમા છે. ગાંધીએ 1936માં આ મંદિર ખુલ્લું મૂકતાં કહ્યું હતું કે, ‘મને આશા છે કે આ મંદિર હરિજન સહિતની તમામ જાતિઓ અને દરેક ધર્મ અને પંથના લોકો વચ્ચે ધાર્મિક એકતા, શાંતિ અને પ્રેમનું સ્થાન બની રહેશે.’
જન્મભૂમિને માતા તરીકે જોવાની વાત સર્વકાલીન છે, પરંતુ માત્ર ભારતના કિસ્સામાં જ આઝાદી આંદોલનને કારણે એ માતાએ દુર્ગાનું સ્વરૂપ પણ ધારણ કર્યું છે. મુસ્લિમોને આ દેવત્વારોપણ સામે વાંધો છે, કારણ કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જિત છે. આજથી 100 વર્ષ પૂર્વે 1905માં કનૈયાલાલ મુન્શીએ અરવિંદ ઘોષને પૂછેલું, ‘દેશપ્રેમી કેવી રીતે બનાય?’ ત્યારે અરવિંદે બ્રિટિશ ઇન્ડિયાનો નકશો બતાવીને જવાબ આપેલો, ‘આ નકશો દેખાય છે? આ નકશો નથી, પણ ભારત માતાનું ચિત્ર છે. એનાં શહેરો, પર્વતો, નદીઓ ને જંગલોથી અને શરીર બને છે. ભારતને એક જીવતી માની જેમ ધારી લો, અને નવવિધા ભક્તિથી એની પૂજા કરો.’
બંગાળમાં આ જ સમયગાળા દરમિયાન ભારતને માતા તરીકે આગળ ધરીને બંગાળના વિભાજનનો વિરોધ થયો હતો, અને એ પછી સ્વદેશી ચળવળમાં પણ માતાની છબી આગળ વધી હતી. રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અને પ્રસિદ્ધ ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોરે 1905માં પહેલી વખત ભારત માતાની આ કલ્પનાને ચિત્ર સ્વરૂપે ઉતારી હતી, જેનો સ્વદેશી ચળવળમાં ખૂબ ઉપયોગ થતો હતો. દિલચસ્પ વાત એ છે કે અવનીન્દ્રનાથે જ્યારે સૌ પ્રથમ ચિત્ર દોર્યું ત્યારે તેમણે અવિભાજિત બંગ માતા તરીકે એની કલ્પના કરી હતી.
બંગાળના વિભાજનમાંથી બિહાર, આસામ, બંગાળ અને ઓરિસ્સા રાજ્યની રચના થઈ તે પછી બંગ માતાનો ભારત માતા તરીકે પુનર્જન્મ થયો હતો. આ અગાઉ 1882માં આવેલી બંકીમચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’માં આ માતાની શિવજીની છાતી પર નૃત્ય કરતી કાલિકા અને દસ હાથવાળી દુર્ગા તરીકે કલ્પના કરવામાં આવી હતી. અવનીન્દ્રનાથે એમના ચિત્રમાં વૈભવ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી તરીકે એની કલ્પના કરી હતી. ભારત માતાનો બીજો એક અવતાર ભારતીય ગૃહિણી તરીકેનો છે.
પશ્ચિમની દુનિયાને ભારતીય કળાનો પરિચય કરાવનાર તમિળ ઇતિહાસકાર કુમાર સ્વામીએ એક કહાનીમાં ‘ઊંચી, ગોરી અને યુવાન સ્ત્રી’ તરીકે ભારતમાતાનું ચિત્રણ કર્યું હતું. આ એ જ સમય હતો, જ્યાંથી કેલેન્ડર, લિથોગ્રાફ, સાડી અને ધોતીની બોર્ડર, મેચ બોક્સ અને કાર્ટૂનમાં ભારત માતાનો પ્રભાવ છવાઈ ગયો હતો. 1935માં ચિત્રકાર અમૃતા શેરગિલે ભારત માતાને આદિવાસી સ્ત્રી તરીકે દોરી હતી. ગુલામી અને પછાતપણાની માનસિકતામાં સબડતા ભારતીય સમાજમાં ચેતના જગાવવા માટે ભારત માતાની કોરી કલ્પના એક સશક્ત પ્રતીક તરીકે ઊભરી આવી તે સાચું, પરંતુ એ (33 કરોડ પૈકીની) એક દેવી ન બની જાય અને બહુમતી હિન્દુઓના પ્રભુત્વની લાકડી ન બની જાય તેની ચિંતા ત્યારે પણ થઈ હતી. 1920માં એક લેખમાં રાષ્ટ્રપ્રેમી અરવિંદ ઘોષે લખેલું,
‘કૉંગ્રેસની જે ભારત માતાની આપણે પૂજા કરીએ છીએ તે કૃત્રિમ છે અને બ્રિટિશરોની રાખેલી છે, આપણી મા નથી. જે દિવસે આપણે અખંડ ભારતમાનાં દર્શન કરીશું ત્યારે ભારતની સ્વતંત્રતા, એકતા અને વિકાસનો માર્ગ ખૂલી જશે, પણ આપણે હિન્દુ માતા કે હિન્દુ રાષ્ટ્રવાદનાં દર્શન પર ભાર મૂકીશું તો એ ભયાનક ભૂલ હશે, અને આપણું રાષ્ટ્રત્વ પૂરેપૂરું ખીલી નહીં શકે.’ 1937માં વંદે માતરમમાં ભારત માતા સામે સજદા કરવાનો વિવાદ થયો ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે સુભાષચન્દ્ર બોઝને એક પત્ર લખીને વંદે માતરમ્્ને રાષ્ટ્રગીત નહીં બનાવવાની સલાહ આપી હતી, કારણ કે (ટાગોરના શબ્દોમાં), ‘વંદે માતરમના કેન્દ્રમાં દુર્ગા દેવીનું સ્તવન છે.
આ એટલું દેખીતું છે કે એમાં કોઈ શંકા નથી કે કોઈ પણ મુસલમાન દસ હાથવાળી દેવીની પૂજા નહીં કરે. ‘આનંદમઠ’ એક કાલ્પનિક કહાની છે, એટલે એમાં આ ગીત ઉચિત લાગે, પરંતુ સંસદ તમામ ધાર્મિક સમુદાયોના મેલજોલનું સ્થળ છે ત્યાં આ ગીત યોગ્ય નથી.’ ટાગોરની આ ટકોરના કારણે જ કૉંગ્રેસે વંદે માતરમ્્માંથી એ પંક્તિ હટાવી દીધી હતી, જેમાં રાષ્ટ્રને દુર્ગાના અવતાર તરીકે પેશ કરવામાં આવ્યું હતું.’ અત્યારે જે વિરોધ અને વિવાદ થયો છે તેની પાછળ પણ પેલો ધાર્મિક લહેજો જ કારણભૂત છે.
રાષ્ટ્રધ્વજને સલામી કરવા માત્રથી જ, કે પછી ભારત માતા કી જય પોકારવાથી જ કોઈ માણસની રાષ્ટ્રભક્તિ પુરવાર થતી હોય તો વિજય માલ્યાથી મોટો રાષ્ટ્રભક્ત બીજો કોઈ ન હોઈ શકે, જેણે એની ઑફિસો અને મહેફિલોમાં ‘રાષ્ટ્રભક્તિની સંવેદના’ની બરાબર દરકાર કરી હતી. આપણને આવા દેશના લૂંટારા-પીંઢારાથી કોઈ સમસ્યા નથી (ઇનફેક્ટ, લાખો નવજવાનોના તો એ આદર્શ પણ છે) અને કપોળ કલ્પનાઓના મુદ્દે તલવારો લઈને નીકળી પડીએ છીએ!
આપણે કઈ ભારત માતાના જયની વાત કરીએ છીએ? એ માતાની જેણે ખજુરાહો અને કોણાર્ક મંદિરોની દીવાલો પર સ્ત્રી-પુરુષોના મૈથુનની રચનાઓને મંજૂરી આપી હતી? કે પછી એ ભારત માતાની જે 350 વર્ષ સુધી મુઘલોની ગુલામ રહી હતી અને જેમણે અંતે આપણને તાજમહાલ નામના ચમત્કારની ભેટ આપી હતી? આ એ જ માતાની જય છે જે એક સદી સુધી બ્રિટિશરોની એડીઓ નીચે કચડાતી રહી અને જે રજવાડાંઓને હાથમાં હાથ પરોવાવીને એક સશક્ત પક્ષ તરીકે ઊભરી હતી? કે પછી આ એ ભારત માતાનો જય જયકાર છે, જે કાશ્મીર અને હૈદરાબાદ અને પંજાબ જેવાં ‘છોરાં-છૈયાં’ વગર 15મી ઑગસ્ટ, 1947ના દિવસે આઝાદ થઈ હતી?
શું આ એ જ ભારત માતાને નમન છે જેના ખોળામાં બેઠેલાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ, મિઝોરામ, ત્રિપુરા અને સિક્કિમ માતાની સ્થિરતા અને એકતાને સતત પડકારી રહ્યાં છે? આ જય એની જ છે, જેની છત્રછાયામાં આજે પણ દલિત કે હરિજનની હત્યા સહજ અને સામાન્ય છે અને જ્યાં સ્ત્રી હજુ ય ચાર દીવાલો વચ્ચે મનોરંજન અને ઇજ્જતનું સાધન છે?
ભારત માતા એટલે, એક્ઝેક્ટલી, કોણ?
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂસ’ નામક લેખકની કોલમ, ’રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, Mar 27, 2016
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-views-by-raj-goswami-in-sunday-bhaskar-5284417-NOR.html