૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ – ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫ : દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રીપદે અરવિંદ કેજરીવાલના શપથ સાથે એક વર્તુળ જાણે પૂરું થાય છે. એનાર્કિસ્ટ અને ભગૌડા અરવિંદ અને આપ સમસ્તને લોકશાહી રાહે અશ્રુતપૂર્વ અનુમોદના મળે છે.
ધારો કે સ્વાસ્થ્યવશ હાજર ન રહી શકે તો પણ અણ્ણા હજારેનાં આર્શીવચનો આપ સાથે છે, કેમ કે આખરે તો આમ આદમી પાર્ટી દ્રૌપદીની પેઠે યાજ્ઞસેની છે. આંદોલનના અગ્નિદિવ્યની પેદાશ છે. સ્થાપિત રાજકીય પક્ષો પરત્વે અનાસ્થા અને અંતર અલબત્ત પોતાને ઠેકાણે છે, પણ આંદોલનમાંથી નીકળેલા પક્ષ પરત્વે અને એમાં ઉભરેલ નેતૃત્વ માટે પુણ્યપક્ષપાત પણ ઠીક જ છે. અણ્ણા આંદોલનમાં સુકાન અને કમાનઢઢ્ઢા સંદર્ભે ઠીક ઠીક દોર અરવિંદ કેજરીવાલે સંભાળ્યો હતો તેની કદરબૂજ અણ્ણાને અવશ્ય છે. એટલે આંદોલનગર્ભ પક્ષમાં નહીં જોડાતે છતે એમનું એક ભાવનાત્મક સંધાન છે તે સાફ જણાઈ આવે છે. અરવિંદની ભૂમિકા અને સજ્જતા સબબ એમણે આ દિવસોમાં પણ ‘બ્રાઈટર ધેન મી’ (‘મુંથી અદકો ઉજ્જવલ’) એવો હૃદયભાવ વ્યક્ત કર્યો છે.
આંદોલનસાથી કિરણ બેદીના ભા.જ.પ. પ્રવેશ વિશે અણ્ણાએ પોતાની નાપસંદગી અને નારાજગી પ્રગટ કરતાં સંકોચ કર્યો નથી. મોદી વિશે અણ્ણાને પક્ષે નિર્ભ્રાન્તિનો પહેલો ધક્કો મે ૨૦૧૧ની એમની ગુજરાતયાત્રા સાથે લાગ્યો હતો, અને કેજરીવાલ તથા સિસોદિયાની સમજ પણ આ મુલાકાત સાથે કદાચ ઓર સાફ થવા લાગી હતી. કંઈ નહીં તો પણ આંદોલનની કોર કમિટીના કેટલાક સભ્યો(ખાસ કરીને કિરણ બેદી અને ઉદ્યોગપતિ જિંદાલ)ની જેમ ભ્રષ્ટાચારવિરોધી (અને એથી એસ્ટાબ્લિશમેન્ટ વિરોધી) આંદોલનનો કેજરીવાલ-સિસોદિયા આદિનો અર્થ કૉંગ્રેસને સ્થાને ભા.જ.પ. (જયપ્રકાશના શબ્દોમાં સાપનાથને સ્થાને નાગનાથ) એવો અલબત્ત નહોતો.
જ્યાં સુધી અણ્ણાનો સવાલ છે, કેન્દ્રમાં મોદી સરકારની કામગીરીના આઠનવ મહિના સંદર્ભે એમનું મૂલ્યાંકન પાસ માર્કનું પણ નથી. ક્યાં છે ‘અચ્છે દિન’, એમણે પૂછ્યું છે અને જનલોકપાલ બાબતે ક્યાં છો એવો ચીપિયો પણ એમણે તહેદિલથી પછાડ્યો છે. આંદોલનના દિવસોમાં ચેનલચોવીસાએ એમને ગાંધી-જેપીમાં સ્થાપવા પરત્વે લગરીક પણ વિવેકપોરો ખાધો નહોતો એ સાચું; પણ પક્ષીય રાજનીતિથી ઉફરી નાગરિક શક્તિની ઉદ્યુક્તિની દિશામાં એમનું ચોક્કસ અર્પણ હતું અને છે તે પણ સાચું.
૨૦૧૪-૧૫ના આપ ઘટનાક્રમનું પગેરું દબાવતા હમણાં મે ૨૦૧૧ની અણ્ણાની ગુજરાતયાત્રાની જિકર કરી, પણ સગડ દબાવતે દબાવતે ખરું જોતાં ગુજરાતમાં હજુ પાછળ જવાની જરૂર છે : ફેબ્રુઆરી ૧૯૭૪માં ‘ચાહે તો હાઇજેક કરીને લાવો’ એવા નવનિર્માણી ઉદ્રેકના ઝંખ્યા જયપ્રકાશ અમદાવાદ આવ્યા હતા અને છાત્રોને સંબોધતાં નવી રાજનીતિના સાદને એમણે દાદ આપી હતી કે આજે લહેરોમાં નિમંત્રણ છે ત્યારે હું તીરે કેમ ખોડાઈ શકું. તટસ્થતાને નામે કોઈ સલામત અંતરની ચિંતા વગર એમણે પોતાના જીવનકાર્યના અનુસંધાનમાં નવસક્રિયતાની રીતે વિચારવાપણું જોયું હતું. આ જ ફેબ્રુઆરી મહિનો અને એનું આ જ બીજું અઠવાડિયું હતું જ્યારે એમની ઉપસ્થિતિમાં ‘લોકસ્વરાજ આંદોલન’નો આરંભ થયો હતો જે આગળ ચાલતાં લોકસંઘર્ષ સમિતિ વાટે જનતા મોરચા લગી પહોંચ્યો હતો. એમાંથી સ્તો ૧૯૭૭માં લોકશાહીની પુનઃ પ્રતિષ્ઠા સારુ અગ્રનિમિત્ત બની રહેલ જનતા પાર્ટીની ભૂમિકા રચાઈ હતી.
‘આપ’ના ઉદયમાં આ આખા ઇતિહાસપર્વ પરત્વે જેમ સાતત્ય અને સંધાન છે તેમ એક શોધન-શક્યતા પણ બેલાશક છે. જેપી આંદોલનની નિયતિ, છેવટ જતાં, ચાલુ પક્ષોની સહાયથી (ભલે ‘જનતા’ બેનર છતાં) રોડવવાની રહી. જયપ્રકાશે જો કે જનતા પક્ષ બાબતે આત્મીયતા છતાં લોકસમિતિ અને છાત્રયુવા સંઘર્ષ વાહિની જેવાં આગવાં ઓજારો પર ભાર જરૂર મૂક્યો હતો. તાજેતરનાં વર્ષોની આપ ઘટના આ આગવાં ઓજારો અને વિધિવત્ પક્ષરચના બેઉ મળીને એક પ્રકારે નૃસિંહ કોશિશ જેવી છે.
નાતજાતકોમમાં વહેંચીને ચાલતી રાજનીતિને બદલે આમ આદમીને અનુલક્ષીને ચાલતી નાગરિક હિલચાલ લેખે આ નવોદયને સારુ ગુજરાતમાં પણ એક આશાઅપેક્ષા અસ્થાને નથી. સ્થાપિત પક્ષો સિવાયની જે પણ હિલચાલો આજે સક્રિય છે એમની સાથે સિનર્જીભેર કાંક કશુંક નિર્માણ કરવાની દિશામાં પહેલ કરવાનો દડો આ ક્ષણે નાગરિક શક્તિના પર્યાયરૂપે ઉભરેલ ‘આપ’ના આંગણામાં છે.
આપ ભલે હાલ દિલ્હીમાં કાર્યરત થશે, એના ભણી મીંટ દેશ સમસ્તની હોવાની છે કેમ કે નાગરિક કહેતાં સેક્યુલર વિકલ્પખોજ જારી છે.
ફેબ્રુઆરી ૧૨, ૨૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 01 – 02