પોતે નિયમિત ભણે-વાંચે અને વિદ્યાર્થીઓને નિષ્ઠાથી નવું-નવું ભણાવે તેનું નામ શિક્ષક. શિક્ષકો વિશે મોટી-મોટી વ્યાખ્યાઓ થાય છે, આદર્શો રજૂ કરાય છે, મહાન વ્યક્તિઓનાં સુવાક્યો ટાંકવામાં આવે છે. એ બધું ચોપડીમાં કે ભીંત પર ભલે સાચું હોય, આજના વાસ્તવ-જગતમાં એ બધું પોથીમાંનાં રીંગણાં જેવું છે. અર્થાત્ આજનો શિક્ષક આદર્શોથી તો દૂર જ છે, પણ એની પાસે થોડીક ભાવનાઓ કે માણસાઈ દેખાડતું હૃદય પણ નથી બચ્યું !!
શિક્ષકો – (૮૦ ટકા જેટલા શિક્ષકો) આજે ‘નોકરી’ કરે છે, એમણે ભણાવવાનો આનંદ લેવો નથી તથા વિદ્યાર્થીઓને એ આનંદ આપવો નથી. એમનાં કાર્યોનું કેન્દ્ર ‘પગાર’ નથી ‘બીજા લાભો’ છે. વિદ્યાવ્યાસંગ શું છે ? એનો આનંદ કેવો તો લોકોત્તર છે. એ વાત એ જાણતા જ નથી, ને આપણે જણાવીએ, તો એમને અઘરું લાગે છે. એમને ‘અભ્યાસક્રમ’ અને ‘સમયપત્રક’ દીઠાં ગમતાં નથી. પહેલો ‘બેલ’ એમની છાતીમાં વાગે છે અને દરેક પાછલો (છેલ્લો) ‘બેલ’ એમને ભાવવિભોર કરી દે છે. પરીક્ષા કરતાં વધારે સમય એ એમનાં વ્હાલાં વ્યસનોને આપે છે. એમને ટૂંકાં, મૌલિક પ્રવચનોની ટેવ નથી, એ આવડત કેળવવામાં એમને આર્થિક લાભ દેખાતો નથી. થોડાં સાચ્ચાં / ચોખ્ખાં વાક્યો લખવાનું સાહસ એ કરતા નથી. અજ્ઞાનને એ મૂડી માને છે ને એના બળે એ નભી રહ્યા છે. પણ આપણા વહાલા આ સ્માર્ટ શિક્ષકો પરિશ્રમ કરીને પ્રતિભા કેળવવામાં પણ ‘પંતુજીપણું’ જુવે છે … એમને નોકરી મળી ગઈ, કાયમી થઈ ગયા એટલે બસ, એમણે જગ અને જંગ બંને જીતી લીધાં હોય, એવી રીતે મહાલે છે … ‘ભગવાન એમને માફ કરી દેજે, એ શું કરી રહ્યા છે એ વિશે એ (બિચારા !) કશું જાણતા નથી’ (ને જાણવા માગતા ય નથી.)
આજના આ કરુણ વાસ્તવિક ચિત્રમાં હજી બે-ચાર વધુ વિગતો ઉમેરીને ‘સાચા શિક્ષણ’ની વાત માંડીશું. આજે તો શિક્ષકો કે સરકારો કોઈના આચારવિચારમાં, ક્યાં ય દૂર દૂર સુધી, ‘વિદ્યા’સર્જકતા, મૂલ્યમાવજત, વિદ્યાર્થી તથા જીવનઘડતર વગેરે જરા ય દેખાતાં નથી. એ કેન્દ્રમાં કદી નહોતાં. એ આજે તો પરિઘની પાર નીકળી ગયા છે. આ બધા શિક્ષણ માટે સોનારૂપાનાં, અવનવી ભાતનાં પાંજરાં ઘડાવે છે. એનાં સ્થાન બદલે – રૂપ – રંગ બદલાવે છે, પણ પેલું પંખી તો ડાહ્યું હતું, તે પરદેશ ઊડી ગયું – લાચાર હતું તે પાંજરામાં જ મરી ગયું છે. બધે બધું સડી ગયું છે. પણ સરકારી તંત્રો-શિક્ષકો-સરકાર : કોઈને નાક નથી, એટલે દુર્ગંધ આવતી નથી.
આપણા શિક્ષકો-અધ્યાપકો(આચાર્યોની પણ)ની પ્રાથમિકતા (પ્રાયોરિટી) નોંધીએ : ૧. એની મોટરબાઇક : કાર ચકાચક જોઈએ. ૨. ફોર ‘બીએચકે’વાળો બંગલો, ફ્લૅટ – થોડી લોન, ટૅક્સ, બચાવવાં જોઈએ. (ને આની ના નથી. આ તો આનંદની વાત છે.) ત્રીજા ક્રમે સંતાન, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પત્નીની નોકરી જ, કુટુંબ, સમાજ, ધંધો, ખેતીની ચિંતા. પ. સ્વાસ્થ્યટૂર્સ – જલસા – ફ્રૅન્ડ્ઝઃ હી ઍન્ડ શી ! ૬. છેક છઠ્ઠા ક્રમે આવે છે નોકરીએ જવાનું ને લમણાં લેવાનાં ! ૭. સાતમા ક્રમે આવે છે વર્ગમાં પાઠ વાંચી કે વંચાવી જવાનો અને વાંચ્યા વિના પેપર્સ જોઈ – તપાસી કાઢવાનું ! આ સત્ય હકીકતો છે. અહીં વાંચવું, સજ્જતા કેળવવી, સરસ ભણાવવું – વિદ્યા આપી વિદ્યાર્થીનું ઘડતર કરવું, ‘આ બધું તો જૂની વાતો થઈ ગઈ !’ હા, સરકાર સુધારવા ખૂબ પ્રયત્નો કરે છે પણ કઠોર ને કડક નિર્ણયો લેતી નથી. ચોરને રખેવાળ બનાવો તો વાડી ભેળાઈ-લૂંટાઈ જ જાયને ?! લૂંટનારા ને લૂંટાવનારા રાજી-રાજી છે. બેની વચ્ચે ‘વિદ્યા અને વિદ્યાર્થી’ નધણિયાતાં નમાયાં ઊભાં છે.
હવે જે વીસ ટકાને વિદ્યા અને વિદ્યાર્થીમાં ખરેખર હજી ય રસ છે. (ને પેલા ૮૦% પણ ભલે જોડાય) એમની આશા તથા એમના આનંદના સંદર્ભે શિક્ષક તથા વિદ્યાર્થીની વાત કરીએ. જેમને માટે વિદ્યા-શિક્ષણ તથા વિદ્યાર્થી પ્રથમ પ્રાયોરિટી (પહેલી પ્રાથમિકતા) છે, તેવા શિક્ષકો ‘યસ ટીચર’ છે જ્યારે આપણે ઉપર ગણાવ્યા તે ‘નોકરિયાત’ શિક્ષકો ખરેખર તો ‘નો ટીચર’-ના વર્ગમાં આવે છે. શિક્ષણની, આજની કમનસીબી એ છે કે આજે ‘નો ટીચર્સ’ રોજેરોજ વધતા જાય છે.
રવીન્દ્રનાથે પોતાની એક ચાહક, આર્જેન્ટિનાની વિક્ટોરિયાને કહેલું કે : ‘હું તો રસ્તો છું, હું રોકાઈ ન શકું. રસ્તાએ તો આગળ જ વધવાનું હોય છે.’ આ વાત શિક્ષક, શિક્ષણ તથા વિદ્યાર્થી ત્રણેને પણ લાગુ પાડી શકાય એમ છે. શિક્ષણ કેડી છે, રાજપથ છે, દેશદેશાવરમાં આગળ વધતો માર્ગ છે. એના પર શિક્ષકે-ભણનારે-થાક્યા વિના ચાલવાનું છે. શિક્ષણ તથા જ્ઞાનનો માર્ગ તો નિત્ય લંબાતો રહે છે. શિક્ષકે – છાત્રે એ માર્ગ પર ચાલવાનું છે. કેમ કે શિક્ષકે છાત્રે જ્ઞાનનો પર્યાય બનવાનું છે. કેમ કે જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. તે જ્ઞાન અનુભવો તથા પ્રયોગો દ્વારા પુસ્તકોમાં સંચિત થાય છે. પુસ્તકો જ્ઞાનનો મુખ્ય સ્રોત છે, જેમ સૂર્ય સર્વ શક્તિઓનો સ્રોત છે. જ્ઞાનનાં બધાં માધ્યમો પુસ્તકનો આધાર લે છે, એટલે પુસ્તકનો વિકલ્પ નથી. ‘યસ ટીચરે’ હંમેશાં વાંચતાં રહેવાનું છે. વાંચવાથી જ સજ્જતા વધે છે. કશે પણ પહોંચતા વાસ્તે ચાલવું પડે … બધાંને દોરવા રસ્તો બનીને આગળ વધવું પડે … ને આ બધું વાંચવાથી જ બને છે. આજના શિક્ષણની બીજી કમનસીબી છે કે મોટા ભાગના શિક્ષકો (અને બહેનો તો સવિશેષ) વાંચતાં જ નથી … વાંચવું એટલે જાતને બધી રીતે તથા અનેક વાતે સજ્જ કરવી તે !
‘નો ટીચર’ બધા સુક્કાં ઝાડ જેવાં હોય છે. ને સુક્કા ઝાડ પર બેસીને પંખીઓ કદી ગાતાં નથી કે રાતવાસો કરતાં નથી. ભૂલથી થોડા સૂડાઓ જો સુક્કા ઝાડ પર આવીને બેસે, તો એ ઘડીક લીલું લાગે છે. પણ સૂડા ઊડી જતાં ઝાડ તો પાછું ઠૂંઠું જ લાગે છે. પંખીઓ (પ્રેમીજનો) બોલવવાં હોય, તો લીલાંછમ ઝાડ બનવું પડે. ‘યસ ટીચર્સ’ લીલાંછમ ઝાડ જેવા હોય છે. ઝાડ લીલું રહેવા માટે મૂળ ઊંડાં નાખીને પાણી તથા તત્ત્વો મેળવે છે. ડાળીઓ કૂંપળો ફુટાડીને ઝાડ વધારે હવા, તડકો તથા અવકાશ મેળવે છે. માટી સાથે જળ, ખાતર તથા ઊર્જાને ચાહતું વૃક્ષ ટાઢ-તડકા-વાયરા-વિપદા વેઠીને વિકસે છે ને ત્યારે એને ફૂલ તથા ફળ બેસે છે. શિક્ષકે પણ ખાતર, પાણી, ઊર્જા મેળવવા વાંચવું-વિચારવું-વિહરવું પડે. આ બધાં માટે ખર્ચ કરવા અને જાત ઘસવા તૈયાર રહેવું જ પડે. ‘યસ ટીચર’ બનવાનો આનંદ જેને મળે છે, એ તો વગર માલે માલામાલ થઈ જાય છે. ઉત્તમ ગ્રંથો વાંચવાનો અને સરસ રીતે ભણાવવાનો આનંદ એ સર્જન કરવા જેટલી જ ઊંચી કક્ષાનો આનંદ છે. ખાધુંપીધું તો ખલાસ થઈ જાય છે, પણ વાંચ્યું અને ઉત્તમ ભણાવ્યું એ તો પેઢીઓ સુધી પહોંચે છે. ઉમાશંકર એમના શિક્ષકોને યાદ કરતા તથા ઉમાશંકરને એમના વિદ્યાર્થીઓ હજીયે યાદ કરે છે. હવે આવા ઉત્તમ શિક્ષકો તથા એવા વિદ્યાર્થીઓની પેઢીઓનું બીજ ખોવાતું જાય છે. ‘યસ ટીચર’ – બનવાનો પડકાર ઉપાડનારા ક્યાં છે ? – છે – આ શક્ય છે … ચાલો, જાગીએ ને લીલું ઝાડ થઈએ …
કોઈ ભાષામાં કહેવાત છે, લોકોક્તિ છે : “તમારા હૃદયને લીલાછમ વૃક્ષ જેવું રાખો. (ભીતરમાં લીલુંછમ વૃક્ષ ઉછેરો) ક્યારેક કોઈક ગાતું પંખી આવશે, તો રાતવાસો કરશે.” યસ ટીચર હંમેશાં લીલા વૃક્ષ જેવો હોય છે. ઘડીક આવતી પેલી પાનખર પણ લીલી કથ્થાઈ કૂંપળો ફુટાડવા માટે જ આવે છે. પાનખર પછી જ મંજરી બેસે છે. જ્યારે યસ ટીચર તો બારેમાસ લીલો તથા મંજરીથી લચેલો હોય છે.
યસ ટીચર કોઈનો – આચાર્યનો, વિદ્યાર્થીનો, મંડળનો, સમાજ કે સરકારનો વાંક કાઢીને બેસી રહેતો નથી. એ જાણે છે કે અગવડો તથા સમસ્યાઓ તો હોવાની જ. મકાન ન મળે, તો એ ઝાડ નીચે પણ ભણાવશે. સરસ ઘટાદાર તરુવર હોય તથા નીચે માટી લીંપેલો ઓટલો મળી જાય, તો વર્ગ ચાલવા માંડે. બહુ વ્યવસ્થાઓ અને નિયમો કરી-કરાવીને આપણે વિદ્યાને નામે વેપાર કરવા માંડ્યા. વિદ્યા બેટીને આપણે બજારે બેસાડીને કવિ અખોભગતને સાચા પાડ્યા છે. હવે તો બસ કરો !! શિક્ષણની શતાબ્દી-જયંતી કરવાને બદલે એવા અધિકારીઓએ તો શિક્ષણ સાથે શાળા-કૉલેજનોય મૃત્યુઘંટ વગાડી દીધો છે. શાળાઓમાં પણ ‘સૅમેસ્ટર’ લાવનારાંઓને ગુજરાતની યુવા પેઢીઓ કદી માફ નહિ કરે !!
વલ્લભવિદ્યાનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2015, પૃ. 10 – 11