ભારતની પ્રજાનું ભાવિ ત્રાજવે તોળાઈ રહ્યું છે. પક્ષના નેતાની વરણી કરીને તેને ભાવિ વડા પ્રધાન તરીકે સ્થાપિત કરવાની ધૂમ તૈયારીઓ ચાલે છે. વાંદરો ન્યાય કરવા બેસે ત્યારે રોટલાના ટુકડામાંથી વારાફરતી બંને બાજુના તોલડામાંથી નાનું બટકું ભરતો જાય અને બે લડતી બિલ્લીઓ મોઢું વકાસીને પોતાને ભાગે કેટલો રોટલો આવશે તેની વિમાસણમાં અસહાય થઈને એકબીજાનું મોઢું તાક્યા કરે, એવો ઘાટ ભારતની આમ પ્રજાનો અત્યારે થઈ રહ્યો છે.
અખબારી જગતના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદીની તાજપોશીનો સમય ભરાઈ આવ્યો લાગે છે. કોંગ્રેસ અને બીજા પક્ષો ન.મો.ના હાથ ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણોમાં કાળા થયેલા છે, એ યાદ રાખીને તેમને ગાદીનરેશ ન થવા દેવા માટે સખત મહેનત કરે છે, તો બીજી બાજુ ન.મો.ના ટેકેદારોએ ‘ગુજરાતને ભૂલી જાઓ, કોંગ્રેસનો રેકોર્ડ જુઓ’ એવા સૂત્રો હેઠળ કોંગ્રેસના રાજ્યકાળ દરમ્યાન થયેલ ખાનાખરાબીના હિસાબનો પ્રચાર શરૂ કર્યો છે. એ પ્રચારપત્રમાંની વિગતો કંઈક આ પ્રમાણે છે : ૧૯૪૭થી માંડીને ૨૦૧૨ સુધીમાં દેશભરમાં થયેલ રમખાણોની યાદી, કયા કયા રાજ્યો/શહેરોમાં થયાં, દરેક રમખાણોમાં કેટલી જાનહાનિ થઈ, કઈ કોમના માણસો મર્યા, તેને માટે કઈ કોમ કસૂરવાર હતી અને તે સમયે કયા પક્ષની સરકાર સત્તા પર હતી તેની નોંધ એક લાં …… બા કોઠામાં અપાયેલ છે. સરસ. એ અભ્યાસનો સાર કાંઈક આવો છે : કુલ ૨૧માંથી પાંચ રમખાણો બિહારમાં અને ચાર ચાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયેલાં. આ હકીકત શું સાબિત કરે છે ? બિહારમાં વધુ સંખ્યામાં ગરીબ પ્રજા વસે છે અને બીજા બે રાજ્યો થોડા ધનાઢ્ય છે, તો શું ફેર પડ્યો ? વળી એ કોઠામાં સમયનું કોષ્ટક જોતાં ખ્યાલ આવશે કે ’૪૭ પછી ’૬૪ સુધી સમગ્ર દેશમાં પ્રમાણમાં શાંતિ પ્રવર્તતી હતી. સહુથી વધુ હિંસા ૮૦ અને ૯૦ના દાયકામાં થયેલી નોંધાઈ છે. કદાચ એ ત્રણ દાયકા દરમ્યાન આપણે વધુ શિક્ષિત અને સંસ્કૃત થયાં હોઈશું ખરું ને ?
એ પત્રકમાં બીજી પણ એક વિગત ધ્યાન ખેંચે છે. દરેક તોફાનો વખતે મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ અને શીખ એકબીજાની કતલ કરતા રહ્યા. કોણ કોનાથી સારું ? છતાં બહુમતી ધરાવતા હિન્દુઓએ વધુ સંખ્યામાં મુસ્લિમોને માર્યા. આવી વિગતો લોકભોગ્ય બનાવીને ન.મો.ને બગલાની પાંખ જેવા બતાવવા જતાં હિન્દુઓની હિંસક વૃત્તિ ઉઘાડી પડી ગઈ તેનું શું ?
સૌથી વધુ હૃદયદ્રાવક હકીકત એ છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની કત્લેઆમથી ૫,૦૦,૦૦૦ નાગરિકો મરાયા અને જમ્મુ-કાશ્મીર સંઘર્ષમાં ‘૮૭થી આજ સુધીમાં લગભગ ૬૦,૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા અને ૪,૫૦,૦૦૦ વિસ્થાપિત થયા. આ આંકડાઓ જીવતા જાગતા, આશાસ્પદ યુવાનો, બાળકો, સ્ત્રીઓ અને જે સમાજ માટે આદરણીય હોવા જોઇએ તેવા વૃધ્ધોના છે, માત્ર ગણિતના અંક નથી. જો માત્ર કોંગ્રેસ પક્ષ જ આવા નરસંહાર માટે જવાબદાર હોત તો બીજા વિરોધ પક્ષો આ મુદ્દાને આગળ કરીને પ્રજામત જીતીને સત્તારૂઢ થઈ શક્યા હોત. જોવાની વાત એ છે કે કેટલા હિંદુ મર્યા, કેટલા મુસ્લિમ મર્યા કે કેટલા શીખ મર્યા, તેની નોંધ છે પણ એમાના કેટલા ‘માણસ’ હતા એનો દસ્તાવેજી પુરાવો નથી મળતો. જેમણે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા તેમને પૂછો તો કહેશે, ભાઈ, અમે બધા સમદુખિયા છીએ. હિંદુ માને શીખ મા કરતા ઓછું દુ:ખ લાગતું હશે ? મુસ્લિમ વિધવાનો દુ:ખનો પહાડ હિંદુ વિધવાના પહાડ કરતાં નાનો હશે ? અનાથ થયેલાં બાળકો હિંદુ હોય તો વધારે નિરાધારપણું અનુભવતાં હશે ને ? કોને ખબર.
૨૦૧૪માં કોઈ એક પક્ષ બહુમતીથી ચૂંટાઈ આવે કે બે અથવા બેથી વધુ પક્ષોના જોડાણવાળી સરકાર રચાય અને જે કોઈ પક્ષના વડા દેશની ધુરા સંભાળે તેમને ભારતની માનવતા પ્રિય જનતા તરફથી આંતર કલહ અને પડોશી દેશો સાથેના સંઘર્ષોને પરિણામે થતા માનવ સંહાર તત્કાળ રોકવાની અરજ કરીએ.
e.mail : 71abuch@gmail.com